Categories
વાચન સમૃદ્ધિ

ત્રિંકોમાલી

શ્રીલંકાનું પૂર્વ પ્રાંતનું જિલ્લામથક અને મહત્ત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 8° 34´ ઉ. અ. અને 81° 14´ પૂ. રે.. વિસ્તાર : 2727 ચોકિમી.. વસ્તી : 1,09,000 જેટલી (2026, આશરે) છે. તે કોલંબોથી ઈશાન ખૂણે 230 કિમી. દૂર આવેલું છે. તેનું પ્રાચીન નામ ગોકન્ના છે. તેનું બારું ત્રિંકોમાલીના ઉપસાગર ઉપર આવેલા દ્વીપકલ્પ ઉપર છે. અગાઉ તે કોડ્ડિયાર તરીકે જાણીતું હતું. તેનો અર્થ નદીના ઉપસાગર ઉપરનો કિલ્લો છે. ત્રિંકોમાલીનું બારું દુનિયાનાં ઉત્તમ કુદરતી બારાં પૈકીનું એક છે. તે 8° ઉ. અ. નજીક હોવાથી ઉનાળા અને શિયાળાના તાપમાનમાં બહુ ઓછો તફાવત રહે છે. બારે માસ હવા ભેજવાળી અને ગરમ રહે છે. તેમ છતાં સમુદ્રના સામીપ્યને લીધે આબોહવા સમધાત રહે છે. નૈઋત્ય અને ઈશાની મોસમી પવનો ઉનાળા અને શિયાળામાં આશરે 1000 મિમી. વરસાદ આપે છે. કિનારાના પ્રદેશમાં નાળિયેરીનાં વૃક્ષો છે, જ્યારે સપાટ પ્રદેશમાં ડાંગરનો પાક બે વખત લેવાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે, જ્યારે મચ્છીમારી ગૌણ વ્યવસાય છે. મોતી આપતી ઑઇસ્ટર માછલી અહીં ક્વચિત્ જોવા મળે છે.

ત્રિંકોમાલીનું વિહંગાવલોકન

ત્રિંકોમાલી રેલવેનું ટર્મિનસ છે અને લંકાનાં અગત્યનાં શહેરો સાથે રેલ તથા માર્ગો દ્વારા જોડાયેલું છે. 1960થી કોલંબો ખાતે સ્ટીમરની ભારે અવરજવર રહેતી હોવાથી અને લાંબો વખત સ્ટીમરને બારા બહાર રાહ જોવી પડતી હોવાથી ત્રિંકોમાલી ખાતે માલસામાનની ચડઊતર અગાઉ કરતાં વધી છે. અહીં વિમાની મથક પણ છે. ચાની નિકાસ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે, ચામડાં તથા સૂકી માછલીની નિકાસ થોડા પ્રમાણમાં થાય છે. પ્રાચીન કાળમાં ઇન્ડો-આર્યન આગંતુકોની પ્રમુખ વસાહત અહીં હતી. ઈ. સ. પૂ. 543થી તામિલ લોકો અહીં વસે છે. તેમણે દ્વીપકલ્પને છેડે 1000 સ્તંભોવાળું મંદિર બાંધ્યું હતું. પોર્ટુગીઝો અહીં સૌપ્રથમ સોળમી સદીમાં આવ્યા હતા. ઈ. સ. 1622માં આ મંદિરનો તેમણે નાશ કર્યો હતો અને તેના સ્થાને તેના પથ્થરોથી કિલ્લો બાંધ્યો હતો. 1639માં પોર્ટુગીઝોને હરાવીને ડચો અહીં આવ્યા હતા. તેમણે 1676માં ફૉર્ટ ફેડરિક બાંધ્યો હતો. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે અઢારમી સદી દરમિયાન ભારતના કોરોમાંડલ કિનારા ઉપર પ્રભુત્વ જમાવવા માટે અનેક યુદ્ધો થયાં હતાં. અંગ્રેજોએ 1795માં ત્રિંકોમાલી ડચો પાસેથી જીતી લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં સિંગાપોરના પતન પછી અહીં ગ્રેટ બ્રિટને નૌકામથક સ્થાપ્યું હતું અને મ્યાનમાર અને મલાયામાંનાં જાપાનનાં લશ્કરી મથકો ઉપર યુ.એસ.નાં યુદ્ધવિમાનો અહીંથી હુમલો કરતાં હતાં. 1948માં શ્રીલંકા સ્વતંત્ર થયું છતાં આ લશ્કરી મથક બ્રિટનની હકૂમત નીચે તે અંગે થયેલા સંરક્ષણકરાર મુજબ 1957 સુધી રહ્યું હતું. સંરક્ષણકરાર રદ કરીને શ્રીલંકાની સરકારે આ મથકનો કબજો લીધો (1957).

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

વેદ મહેતા

જ. 21 માર્ચ 1934 અ. 9 જાન્યુઆરી 2021

ભારતીય મૂળના અમેરિકામાં વસતા પત્રકાર અને લેખક વેદ મહેતાનો લાહોરમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મ. પિતા અમોલક રામ મહેતા અને માતા શાંતિ મહેતા. પિતા ભારત સરકારના વરિષ્ઠ જાહેર આરોગ્ય અધિકારી હતા. 3 વર્ષની ઉંમરે સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસને કારણે વેદે દૃષ્ટિ ગુમાવી. તેમને મુંબઈની દાદર સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં મૂકવામાં આવ્યા. પછી તેઓ અર્કાન્સાસ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં ભણવા ગયા. તેઓ 1956માં પોમોના કૉલેજમાંથી અને 1959માં ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાંથી બી.એ. થયા. 1961માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. વિદ્યાર્થીકાળમાં જ ‘ધ ન્યૂ યૉર્કર’ માટે લખવાનું શરૂ કર્યું. તેઓ 1975માં અમેરિકન નાગરિક બન્યા હતા. તેઓ 1961થી ધ ન્યૂ યૉર્કર સામયિકમાં જોડાયા અને 1994 સુધી સ્ટાફલેખક તરીકે કામ કર્યું. તેમણે 27 જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનું પ્રથમ પુસ્તક ‘ફેસ ટુ ફેસ’ 1957માં પ્રકાશિત થયું, જે તેમની આત્મકથાનું હતું. ‘વૉકિંગ ધી ઇન્ડિયન સ્ટ્રીટ્સ’(1963), ‘ફ્લાય ઍન્ડ ફ્લાય બૉટલઃ એન્કાઉન્ટર્સ વિથ બ્રિટિશ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ’(1962), ‘ડેલિન્ક્વન્ટ ચાચા’, ‘પૉર્ટ્રેટ ઑવ્ ઇન્ડિયા’, તેમના પિતા અમોલક રામ મહેતાનું જીવનચરિત્ર ‘ડેડીજી’ (1972), ‘મહાત્મા ગાંધી ઍન્ડ હિઝ અપોસ્ટલ્સ’ (1977), ‘ધ ન્યૂ ઇન્ડિયા’ (1978), ‘મામાજી’ (1979), ‘વેદી’ (1982), ‘ધ લેજ બિટવીન ધ સ્ટ્રીમ’ (1984), ‘સાઉન્ડ-શેડોસ ઑવ્ ધ ન્યૂ વર્લ્ડ’ (1986), ‘ધ સ્ટોલન લાઇટ’ (1989) નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં લખ્યું છે, પરંતુ તેમની કૃતિઓના અનેક ભાષામાં અનુવાદો થયા છે. તેમણે અનેક કૉલેજોમાં અને યેલ તથા ન્યૂયૉર્ક યુનિવર્સિટીઓમાં પણ શીખવ્યું હતું. 1982માં તેઓ મેકઆર્થર ફેલો થયા હતા. 1971 અને 1977માં તેમને  ગુગેનહેમ ફેલોશિપ મળી હતી. 2009માં રૉયલ સોસાયટી ઑવ્ લિટરેચરના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેમને પોમોના કૉલેજ, બાર્ડ કૉલેજ, વિલિયમ્સ કૉલેજ, બોડોઇન કૉલેજ તથા યુનિવર્સિટી ઑવ્ સ્ટર્લિંગ દ્વારા માનદ પદવીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

નકલ એટલે નિષ્ફળતા

સૅમ વૂડ તરીકે જાણીતા સેમ્યુઅલ ગ્રોસવેનૉર વૂડે (ઈ. સ. 1883 થી ઈ. સ. 1949) પોતાની વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કર્યો. પોતાના આ વ્યવસાય માટે એ ઘણા સેલ્સમૅનો રાખતા હતા અને તેઓને તદ્દન નવીન અભિગમ અપનાવીને ગ્રાહકોને કઈ રીતે આકર્ષી શકાય, તે શીખવતા હતા. જ્યારે આ વ્યવસાયમાં બીજા લોકો ચીલાચાલુ ઢબે કામ કરતા હતા, ત્યારે સેમ વૂડે પોતાના સેલ્સમૅનોને કહ્યું કે ‘‘તમે એમની માફક પોપટની જેમ નકલ કરશો, તો એનાથી તમને ક્યારેય સફળતા મળશે નહીં. તમારી પાસે તમારી પોતાની આગવી રીત હોવી જોઈએ અને એ રીતથી તમારે તમારા ગ્રાહકોને પ્રભાવિત કરવા જોઈએ.’’ સૅમ વૂડ આ વ્યવસાયમાં ખૂબ સફળ થયા અને એ પછી એમણે અમેરિકન ફિલ્મમાં દિગ્દર્શક તરીકેની કામગીરી સ્વીકારી અને પ્રારંભમાં ‘પૅરેમાઉન્ટ પિક્ચર્સ’ નામની કંપનીની કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ફિલ્મના દિગ્દર્શનમાં એમણે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકેના પોતાના કસબને નવી રીતે ઢાળ્યો. એમાં પણ એમણે બીજાની નકલ કરવાને બદલે પોતાની આગવી રીતે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. દર્શકોને કઈ રીતે આકર્ષી શકાય, એને માટે કેટલાય મૌલિક વિચારો કર્યા. એ સ્પષ્ટપણે કહેતા, ‘‘તમે નકલ કરીને ક્યાંય અને ક્યારેય સફળ થઈ શકવાના નથી. તમારે તમારો પોતાનો કસબ બતાવવો જોઈએ અને તો જ લોકો તમને સ્વીકારશે.’’ વળી એ સારી પેઠે જાણતા હતા કે લોકોને પણ કશુંક નવું જોઈએ છે અને ફિલ્મના માધ્યમ દ્વારા થતું મૌલિક આલેખન જોઈને દર્શકો સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. આનું પરિણામ એ આવ્યું કે સેમ વૂડે દિગ્દર્શિત કરેલી ઘણી ફિલ્મો હૉલિવૂડની ‘હીટ ફિલ્મો’ બની અને તે એકૅડેમી ઍવૉર્ડ માટે પણ નામાંકિત થઈ. ‘ફોર હૂમ ધ બેલ ટોલ્સ’, ‘એ નાઇટ ઓફ ધ ઓપેરા’, ‘ગૂડબાય મિ. ચિપ્સ’ અને ‘ધ પ્રાઇડ ઑફ ધ યાન્કી’ જેવી ફિલ્મોએ દિગ્દર્શક તરીકે સેમ વૂડને વૈશ્વિક નામના અપાવી.