Categories
વાચન સમૃદ્ધિ

તથ્યને સત્ય માનીને અનિષ્ટો સર્જ્યાં !

તથ્યને સત્ય માનવાને કારણે કેટકેટલી ભ્રાંતિઓ સર્જાઈ છે ! વ્યક્તિ પાસે એનો આગવો અભિગમ, પોતીકી વિચારધારા અને સંસારવ્યવહારના અનુભવોમાંથી તારવેલું નવનીત હોય છે. પોતાની નજરે જગતને જોઈને મેળવેલા દર્શનમાંથી એને જે સાંપડે છે તે તથ્ય છે, સત્ય નહીં. એ પ્રાપ્ત કરેલા તથ્યને સત્ય માનવા જાય તો ઘણી મોટી ભૂલ કરી બેસે છે. વ્યક્તિ ઘણી વાર આવા તથ્યને આધારે જીવનઘડતર કરતી હોય છે અને એથીય વિશેષ સ્વજીવનનો માર્ગ નિર્ધારિત કરતી હોય છે, પણ એ ભૂલી જાય છે કે તથ્ય સાથે તમારી ધારણાઓ, માન્યતાઓ અને ખ્યાલો અનુસ્યૂત હોય છે, જ્યારે સત્ય તદ્દન ભિન્ન છે. તથ્ય આજે સ્વીકાર્ય હોય, તે આવતી કાલે અસ્વીકાર્ય બની શકે છે. એક સમયનું તથ્ય બીજા સમયમાં લાગુ પાડી શકાતું નથી. આની સામે સત્ય એ શાશ્વત હોય છે. એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તથ્ય સાથે આપણા પોતાના ખ્યાલો જોડાયેલા હોય છે, જ્યારે સત્ય સાથે વ્યક્તિના કોઈ ખ્યાલો જોડાયેલા હોતા નથી. આમ તથ્ય એ માનવબુદ્ધિની નીપજ છે, જ્યારે સત્ય એ પરમાત્માની દેન છે. પરમની પ્રાપ્તિ છે. સામાજિક વિચારધારામાં કે ધાર્મિક પરિસ્થિતિમાં તથ્યને સત્ય માની લેવાને કારણે પારાવાર અનિષ્ટો સર્જાયાં છે. તથ્યને જુદા જુદા વાઘા પહેરાવી શકીએ છીએ. જુદા જુદા વેશથી શણગારી શકીએ છીએ. સતીના કુરિવાજો સ્વર્ગપ્રાપ્તિના સિંહાસને બેસાડી શકીએ છીએ. ગઈકાલના તથ્યને વળગી રહીને ધર્મોમાં સત્યનો દ્રોહ થતો હોય છે. તથ્ય બહુરૂપી છે જ્યારે સત્ય કોઈ વેશ કે કોઈ આવરણનો સ્વીકાર કરતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષાબહેન પટ્ટણી

જ. 4 નવેમ્બર, 1938 અ. 10 માર્ચ, 2019

ગુજરાતનાં શિક્ષણવિદ, પ્રાધ્યાપિકા અને લેખિકા દક્ષાબહેનનો જન્મ ભાવનગરમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા શાંતાબહેન અને પિતા વિજયશંકર. પિતા લેખક અને ચિંતક હતા. દક્ષાબહેન પ્રસિદ્ધ લેખક મુકુંદરાય પારાશર્યનાં નાનાં બહેન અને ભાવનગર રાજ્યના પ્રભાશંકર પટ્ટણીનાં ભત્રીજી હતાં. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં થયું હતું. તેઓ 1962માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને 1965માં તે વિષયો સાથે અનુસ્નાતક થયાં હતાં. 1976માં ડૉ. ઈશ્વરલાલ દવેના માર્ગદર્શનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. તેઓ 1962માં ભાવનગરની ઘરશાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં અને 1965 સુધી ત્યાં કામ કર્યું. 1969માં પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ કૉલેજમાં જોડાયાં અને પછી 1970માં ભાવનગરની વળિયા આર્ટસ અને મહેતા કૉલેજમાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં. 2001માં નિવૃત્ત થયાં ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપનકાર્ય કર્યું. તેમણે 1977થી 1994 સુધી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત અને ગાંધીદર્શનનાં વિઝિટિંગ વ્યાખ્યાતા તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠ અને લોકભારતી, સણોસરામાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે ગાંધીવિચારધારાને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો હતો. તેઓ 1982થી 2013 સુધી ભાવનગરની ગાંધીસ્મૃતિ સંસ્થાની ગાંધીવિચારધારા સમિતિનાં સભ્ય હતાં. ગાંધીવિચારની શાળાઓમાં લેવાતી પરીક્ષાના કાર્યમાં જોડાયાં હતાં. વક્તૃત્વ અને લેખન તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. તેમણે પીએચ.ડી. માટે લખેલ શોધનિબંધ છ ખંડોમાં પ્રકાશિત થયો : ‘ગાંધીજીનું ચિંતન’ (1980), ‘ગાંધીજી : વ્યક્તિત્વનું ઘડતર’ (1981), ‘ગાંધીજી : ધર્મવિચારણા’ (1984), ‘ગાંધીવિચાર : સત્ય અને અહિંસા’ (2000), ‘ગાંધીજીના વિચારમાં સત્યાગ્રહ’ (2001) અને ‘ગાંધીજીનું ચિંતન : મૂલ્યાંકન’ (2003). આ ઉપરાંત તેમનાં 50થી વધુ નિબંધો, વ્યાખ્યાનો અને વિવેચનો પ્રકાશિત થયાં છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભગિની નિવેદિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ડોમિનિકન રિપબ્લિક

વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના જૂથમાંનું સ્વતંત્ર ગણરાજ્ય. 19O ઉ. અક્ષાંશ અને 70O 30’ પ. રેખાંશ પર આવેલું આ ગણરાજ્ય વેસ્ટ ઇન્ડીઝના હિસ્પાનિયોલા દ્વીપના 2/3 ભાગમાં તથા બિયેટ્રા, કૅટાલિના, સોને, ઓલ્ટોવિલો, કેટાલિનિટા તથા અન્ય નાના ટાપુઓ રૂપે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 48,137 ચોકિમી. તથા તેની દરિયાકિનારાની લંબાઈ 912 કિમી. છે. તેની કુલ વસ્તી 1,15,32,000 (2025, આશરે) છે. આ દેશની રાજધાની સેંટો ડોમિન્ગો છે, જે ડોમિનિકન ગણતંત્રનું સૌથી મોટું શહેર છે. અહીંના મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને સ્પૅનિશ ભાષા બોલે છે. પેસો (peso) તેનું મુખ્ય ચલણ છે. આ ગણતંત્રની પૂર્વ બાજુએ મોના પૅસેજ, પશ્ચિમે હૈતી, ઉત્તરે આટલાન્ટિક મહાસાગર તથા દક્ષિણે કૅરિબિયન સાગર આવેલા છે. દ્વાર્ટી સૌથી ઊંચું (3175 મી.) શિખર છે અને તેમાં એનરિકિયો સરોવર આવેલું છે. દેશની ત્રણ નદીઓમાં થાકી ડેલ નોર્ટ, થાકી ડેલ સર અને યુના છે. આબોહવા : શિયાળામાં અહીંનું સરાસરી તાપમાન 18 O સે.થી 27 O સે. સુધી તથા ઉનાળામાં 23 O સે.થી 35 O સે. સુધી રહે છે. પૂર્વ ભાગમાં સરાસરી વાર્ષિક વરસાદ આશરે 1325 મિમી. પડે છે જ્યારે ઈશાનમાં આશરે 2050 મિમી. તથા પશ્ચિમે 4440 મિમી. વરસાદ પડે છે.

સેંટો ડોમિન્ગો શહેર

અહીંની 15,840 ચોકિમી. જમીન ખેતીને યોગ્ય છે. ખેતી પ્રજાનો મુખ્ય વ્યવસાય છે. સીબાઓની ખીણ ખેતીનું મુખ્ય કેન્દ્ર છે. ઉત્તર અને દક્ષિણ કિનારાના પ્રદેશોમાં મોટા પાયે શેરડી ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત કૉફી, કોકો, તમાકુ અને કેળાંનો પાક લેવામાં આવે છે. આ પેદાશોની નિકાસ પણ કરવામાં આવે છે. બટાટા, વટાણા, નારિયેળ, સંતરાં, અનનાસ અને મકાઈની ખેતી પણ થાય છે. પશુપાલનનો વિકાસ થયેલો નથી. મત્સ્યઉદ્યોગનો આંશિક વિકાસ થયો છે. મેહૉગની તથા અનનાસ આ પ્રદેશની વિશિષ્ટ વનસ્પતિ છે. લોખંડ, નિકલ, ચાંદી, સોનું, યુરેનિયમ, સીસું, જસત અને કલાઈ અહીંનાં ખનિજો છે. સંગેમરમર, ચિરોડી અને તાંબું પણ અહીં મળી આવે છે. બારાબોનાની નજીક આશરે 16 કિમી. લાંબો મીઠાનો પર્વત આવેલો છે. સાતથી ચૌદ વર્ષ સુધીની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. સૅન્ટો ડોમિંગો વિશ્વવિદ્યાલય દેશની એકમાત્ર ઉચ્ચ શિક્ષણની  સંસ્થા છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 68 % છે. દેશના પર્વતીય વિસ્તારમાં જંગલી સૂવર જોવા મળે છે. અનેક પ્રકારનાં કબૂતર, બતક વગેરે પક્ષીઓ તેમજ અમેરિકન મગર તથા રાજહંસ પણ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડોમિનિકન રિપબ્લિક, પૃ. 600 અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોમિનિકન રિપબ્લિક/)