Categories
વાચન સમૃદ્ધિ

સુજીત કુમાર

જ. 7 ફેબ્રુઆરી, 1934 અ. 5 ફેબ્રુઆરી, 2010

હિન્દી તથા ભોજપુરી સિનેમાના અભિનેતા સુજીતકુમારનો જન્મ વારાણસીમાં સંપન્ન ખેડૂત પરિવારમાં થયો હતો. શાળાકીય શિક્ષણ વારાણસીમાં મેળવ્યા પછી વકીલાતના શિક્ષણ માટે પરદેશ ન જતાં વારાણસીમાં જ લેવાનું પસંદ કર્યું. કૉલેજના દિવસોમાં નાટકોમાં અભિનય કરતા રહ્યા. દરમિયાન ફિલ્મનિર્દેશક ફની મજુમદારની નજરમાં આવ્યા અને મુંબઈ આવી ફિલ્મજગતમાં નસીબ અજમાવવાનું એમણે સૂચન કર્યું. મુંબઈ માયાનગરીમાં ઘણા સંઘર્ષ પછી પણ કામ ન મળતાં એમણે ભોજપુરી ફિલ્મોમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો. 1963માં ભોજપુરી ફિલ્મ ‘વિદેસીયા’થી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું અને નસીબજોગે એમની ભોજપુરી ફિલ્મોથી ડૂબતું જતું ભોજપુરી ફિલ્મજગત ફરીથી પુનર્જીવિત થયું. તેઓ ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા. તેમણે 1966માં હિન્દી ફિલ્મ ‘લાલ બંગલા’ સાથે હિન્દી સિનેમાજગતમાં પ્રવેશ થયો. ‘આરાધના’, ‘અમરપ્રેમ’, ‘ઇત્તફાક’, ‘હાથી મેરે સાથી’, ‘આંખે’, ‘જુગનુ’, ‘ધરમ-વીર’, ‘અવતાર’ જેવી લગભગ 70 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. વિશેષ કરીને રાજેશ ખન્ના સાથે અનેક ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં તથા સહાયક ખલનાયકની ભૂમિકામાં તેઓ દેખાયા હતા. સાથે ફિલ્મનિર્માણમાં પણ એમણે જંપલાવ્યું. ‘ખેલ’, ‘આસમાં સે ઊંચા’, ‘દરાર’, ‘અનુભવ’ જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું. પત્ની કિરણ સિંહ એક વાર્તાલેખિકા હતાં. 2005માં એમનું નિધન થયું. પત્નીના અવસાન પછી સુજીતકુમારનું જીવન લાગણીના ધોરણે એકલતાભર્યું બની ગયું. પુત્ર જતીનકુમાર અને પુત્રી હેના સિંહ એમનાં સંતાનો પિતા માટે સદાય સહારો બની રહ્યાં. 1996માં ફિલ્મ ક્રાન્તિવીરમાં અભિનય કરવા સાથે સુજીતકુમારે અભિનયને તિલાંજલી આપી અને પુત્ર જતીનકુમાર સાથે ફિલ્મનિર્દેશનનું કાર્ય ચાલુ રાખ્યું. કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

અદનો સિપાઈ

ભીષણ રણસંગ્રામમાં સેનાપતિ સિડનીએ અપ્રતિમ વીરતા દાખવી. આ મૂર યુદ્ધમાં શત્રુઓ સામે ખેલવા જતાં સિડની ઘાયલ થયો અને દુશ્મન સૈનિકો એને ઘેરી વળ્યા. સેનાપતિ સિડનીની સેનાના એક સિપાઈએ આ દૃશ્ય જોયું. એણે વિચાર્યું કે કોઈ પણ ભોગે સેનાપતિને દુશ્મનોના ઘેરામાંથી ઉગારવા જોઈએ. આથી સિપાઈ વીરતાપૂર્વક દુશ્મનોનો ઘેરો પાર કરીને સેનાપતિ પાસે પહોંચી ગયો. ઘાયલ સેનાપતિને ઘોડા પર લઈને યુદ્ધના મેદાનની બહાર નીકળી ગયો. દુશ્મનોએ ઘણા પ્રહાર કર્યા, પરંતુ સિપાઈની વીરતા આગળ તેઓ ફાવ્યા નહીં. સિપાઈ સેનાપતિને છાવણીમાં લઈ ગયો, ત્યારે સેનાપતિએ સિપાઈને પૂછ્યું, ‘તારું નામ શું છે ?’ સિપાઈએ નામ કહેવાની આનાકાની કરી. આથી સેનાપતિએ ફરી નામ પૂછ્યું, ત્યારે સાહસિક સૈનિકે કહ્યું, ‘આપ મારું નામ જાણીને શું કરશો? હું તો સેનાનો એક અદનો સિપાઈ છું.’ સેનાપતિ સિડનીએ કહ્યું, ‘મારે તને શાબાશી આપવી છે. બધા સૈનિકોની હાજરીમાં તારી વીરતાની પ્રશંસા કરવી છે. તારા પર મોટા ઇનામની નવાજેશ કરવી છે.’ આ સાંભળીને સિપાઈએ કહ્યું, ‘મને માફ કરજો, મેં કાંઈ કીર્તિ કે કલદારની ઇચ્છાથી આ કામ કર્યું નથી. મેં તો માત્ર મારું કર્તવ્ય બજાવ્યું છે.’ આટલું કહીને સિપાઈ નમ્રતાથી છાવણીની બહાર નીકળી ગયો. એના ચહેરા પર કર્તવ્યનો આનંદ છલકાતો હતો. એની પ્રાપ્તિ જ એનું અંતિમ ધ્યેય હતું. ફરજ એટલે ફરજ. એમાં વળી બીજું શું હોય ? સેનાપતિએ ઘણી શોધ કરી, પરંતુ એ સિપાઈનાં નામ-ઠામ મળ્યાં નહીં. સેનાપતિ સિડની સિપાઈની આવી કર્તવ્યનિષ્ઠા પર વારી ગયા.

Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર નારાયણ દ્વિવેદી

જ. 6 ફેબ્રુઆરી, 1915 અ. 11 ડિસેમ્બર, 1998

હિન્દી ફિલ્મોના ખ્યાતનામ ગીતકાર રામચંદ્ર દ્વિવેદીનો જન્મ ઉજજૈન જિલ્લાના બડનગરમાં થયો હતો. તેઓ કવિ ‘પ્રદીપ’ના નામથી ખ્યાતનામ છે. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ પ્લેગને કારણે સ્થળાંતર કરી મધ્યપ્રદેશમાં સ્થાયી થયા. તેમનું શાળેય શિક્ષણ ઇન્દોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ અને લખનઉમાં થયું. ટીસર્ચ ટ્રેનિંગ કોર્સ કરીને શિક્ષક બન્યા. તેમને કવિતા લખવા અને રજૂ કરવાનો શોખ હતો. તેમણે કવિસંમેલનોમાં શ્રોતાઓને મોહિત કર્યા હતા. મુંબઈમાં યોજાયેલા કવિસંમેલનમાં તેમની કવિતાથી પ્રભાવિત થઈ હિમાંશુ રૉય દ્વારા તેમને ‘કંગન’ ફિલ્મમાં ચાર ગીતો લખવા આપ્યાં જેમાંનાં ત્રણ ગીતો તેમણે ગાયાં હતાં. તેમણે 1500 ઉપરાંત ગીતોની રચના કરી. અનેક ફિલ્મોમાં તેમનાં ગીતો લોકપ્રિય બન્યાં. જેમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘ઝૂલા’, ‘કિસ્મત’, ‘મશાલ’, ‘બાપ-બેટી’, ‘નાગમણિ’, ‘તલાક’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’, ‘અગ્નિરેખા’, ‘જય સંતોષી મા’, ‘પૈગામ’ અને ‘આંખ કા તારા’ ઉલ્લેખનીય છે. તેમનાં અનેક ગીતો લોકહૈયે વસી ગયાં હતાં. જેમાં ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે’, ‘ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડ્ગ બિના ઢાલ’, ‘પિંજરે કે પંછી રે’ જેવાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ‘કિસ્મત’ ફિલ્મના ગીતની ‘હિંદોસ્તાં હમારા હૈ’, પંક્તિમાં ‘ભારત છોડો’ ચળવળનો ધ્વનિ માલૂમ પડતાં અંગ્રેજ સરકારે તેમને પકડવા વૉરન્ટ કાઢ્યું હતું, પરંતુ તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા. 1962ના ભારત-ચીન યુદ્ધમાં પરમવીર મેજર શૈતાનસિંહ ભાટીના બલિદાનથી પ્રભાવિત થઈ તેમણે ‘એ મેરે વતન કે લોગો’ ગીત લખ્યું એ ગીતથી તેમને ‘રાષ્ટ્રકવિ’નું સન્માન મળ્યું. તેમણે એ ગીતની રૉયલ્ટી ‘યુદ્ધ વિધવા ભંડોળ’માં આપી હતી. કવિ પ્રદીપને અનેક ઍવૉર્ડોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ ઍસોસિયેશનનો શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનો ઍવૉર્ડ, ભારત સરકારનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ઍવૉર્ડ, સૂરસિંગાર ઍવૉર્ડ, રાષ્ટ્રીય એકતા ઍવૉર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, સંસ્કૃતિ સંબંધ પુરસ્કાર, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ વગેરે તેમને મળ્યા હતા. ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.