ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40´ ઉ. અ. અને 51° 26´ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું છે. તેની દક્ષિણે ઈરાનનું મધ્યવર્તી મેદાન વિસ્તરેલું છે. તેનું નામ જૂના ફારસી શબ્દ ‘તેહ’ એટલે કે ‘ગરમ જગ્યા’ (સ્થળ) પરથી પડેલું છે. આ પ્રદેશની અસહ્ય ગરમીથી બચવા ઘણા લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળ શેમીરાન (ઉત્તરે આશરે 17 કિમી. દૂર) જતા હોય છે. તહેરાનથી ઈશાનમાં આશરે 70 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત માઉન્ટ ‘દામવંદ’ આવેલ છે, જે મૃત જ્વાળામુખી છે. આ નગર 262 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. નગરની વસ્તી આશરે 86.9 લાખ (2016) છે. ઈરાનના પદભ્રષ્ટ શાહ મહંમદ રઝા પહેલવી(1919–80)નું રહેઠાણ આ નગરમાં હતું.
તેહરાન શહેર
તેહરાનના ઉનાળા સખત ગરમ અને શિયાળા અતિ ઠંડા હોય છે. ઉનાળાનું સરાસરી તાપમાન જુલાઈમાં 29° સે. અને જાન્યુઆરીનું તાપમાન 4° સે. હોય છે. આખા વર્ષનો સરાસરી વરસાદ 200 મિમી. જેટલો પડે છે. વરસાદ સામાન્ય રીતે નવેમ્બરથી મેના અંત સુધી પડે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં હિમવર્ષા પણ થાય છે. આ નગર દેશનું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર ગણાય છે. ત્યાંના નજીકના વિસ્તારમાં ખાંડ તથા સિમેન્ટનાં કારખાનાં છે. ઉપરાંત આ નગર તેના કાપડઉદ્યોગ માટે જાણીતું છે. ત્યાં ઘણી સ્પિનિંગ તથા જિનિંગ મિલો આવેલી છે. ત્યાંથી મોટા પાયા પર ગરમ ધાબળાની નિકાસ થાય છે. આ નગર સડક, રેલવે અને હવાઈ માર્ગથી સમગ્ર દેશ સાથે જોડાયેલું છે. દેશના રેલમાર્ગો ઉત્તર, વાયવ્ય, દક્ષિણ અને પૂર્વ દિશા તરફ ફેલાયેલા છે. સાથોસાથ આ નગર તુર્કસ્તાન મારફત ટ્રાન્સયુરોપીય રેલવે સાથે પણ જોડાયેલું છે. હવાઈ માર્ગ દ્વારા તેહરાન યુરોપ-એશિયા અને ઈરાનના અખાતી દેશો જોડે જોડાયેલું છે. નગરની મુખ્ય વસ્તી મુસ્લિમ છે. એ ઉપરાંત લઘુમતીમાં અમેરિકન, આસિરિયન અને બહુ થોડા યહૂદી લોકો પણ ત્યાં વસે છે. પર્શિયન એ ત્યાંની મુખ્ય ભાષા છે. શહેરમાં સિપેહસાલાર મસ્જિદ, બહારસ્તાન પૅલેસ, શાહ-અલ-અમારેહ પૅલેસ, આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. આજનું તેહરાન એ જૂના ઈરાનના પાટનગર રે’નું વારસદાર શહેર છે. ઈ. સ. 1200માં મોંગોલ લોકોએ તેનો વિધ્વંસ કરેલો. આજે પણ તેહરાનથી આશરે 6 કિમી. દક્ષિણે જૂના પાટનગર રે’ના અવશેષો જોવા મળે છે.
સ્વાતંત્ર્યસૈનિક અને કેળવણીકાર જીવણલાલ દીવાનનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા હરિપ્રસાદ અને માતા કૃષ્ણાબહેન. તેમણે 1884માં સ્કૂલની ફાઇનલ અને મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1899માં બી.એ.ની પરીક્ષામાં ગુજરાત કૉલેજમાં પ્રથમ નંબરે પાસ થયા. 1900માં ગુજરાત કૉલેજમાં ફેલો નિમાયા. ડિસેમ્બર, 1900માં ઉમરેઠની જ્યૂબિલી ઇન્સ્ટિટ્યૂટના હેડમાસ્તર બન્યા. 1901માં સૂરતની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. 1902માં એસ.ટી.સી.ની પરીક્ષામાં આખા ડિવિઝનમાં પહેલા ક્રમાંકે ઉત્તીર્ણ થયા. ત્યાંથી અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં બદલી થયા પછી 1906માં એમ.એ. થયા. 1907માં તેમના પરિવારનાં બાળકોને મિડલ સ્કૂલમાં પ્રવેશ ન મળતાં તેમનું સ્વમાન ઘવાયું અને શાળામાંથી રાજીનામું આપ્યું. 1908માં બળવંતરાય ઠાકોર સાથે પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરી અને આચાર્ય થયા. 1920માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડી રાષ્ટ્રીય શાળા બનાવી. તેઓ અમદાવાદ પ્રજાકીય કેળવણી મંડળના સ્થાપક મંત્રી હતા. તેમણે ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી અને શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું. 1920માં બિહાર ભૂકંપ રાહત ફંડના મંત્રી તરીકે કાર્ય કર્યું. દારૂની દુકાનો પર પિકેટિંગ કર્યું. 1930માં ધંધૂકા તાલુકા પરિષદના પ્રમુખ તરીકે ભાષણ કરવા બદલ અંગ્રેજ સરકારે એક વર્ષની કેદ કરી. 1932માં પોલીસમાં હાજરી નહિ આપવા બદલ દોઢ વર્ષની સખત કેદની સજા અને 500 રૂપિયાનો દંડ થયો હતો. તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીની સેનેટમાં જિલ્લા લોકલ બોર્ડના પ્રતિનિધિ તરીકે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તથા અમદાવાદ જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. 1942માં તેઓ પથારીવશ હતા છતાં તેમની ધરપકડ કરવામાં આવી. ફેબ્રુઆરી, 1943માં જેલમાંથી મુક્ત થયા પછી શાળાનું દેવું ચૂકતે કરવા ઘેર ઘેર ફરીને સિત્તેર હજાર રૂપિયા એકઠા કર્યા હતા.