Categories
વાચન સમૃદ્ધિ

ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ !

કબ્રસ્તાનમાં સૂતેલાં મુર્દાંઓની વાત સાંભળી છે ? એમને એકબીજા સાથે હસ્તધૂનન કરતાં કે આલિંગન કરતાં જોયાં છે ખરાં ! કેટલાંય વર્ષોથી એકબીજાની પડખોપડખ સૂતા છે અને છતાં એમની વચ્ચે કશો વ્યવહાર નથી. માત્ર મૌન ધારણ કરીને સાવ પાસે સૂતાં છે, પણ માત્ર કબ્રસ્તાનમાં સૂતેલાંઓ જ એકબીજા સાથે વાત કરતા નથી એવું નથી; એક જ અગાસી કે ટૅરેસ નીચે વસતા લોકો પણ સાથે રહેતા હોવા છતાં એમની વચ્ચે કોઈ સંવાદ નથી. એ ન તો સ્નેહથી એકબીજાને હસ્તધૂનન કરે છે કે ન તો પ્રેમથી આલિંગન કરે છે. જેમ મુર્દામાં જાન નથી, એમ એમના જીવનમાં પણ પ્રાણ નથી. એક જ ઘરમાં પતિ અને પત્ની વસે છે, છતાં એકબીજાને દિલથી મળતાં નથી. એક જ બંગલામાં પિતા-પુત્ર વસે છે, પણ એમની વચ્ચે બોલ્યા-વ્યવહાર નથી. એક જ રસોડે બે ભાઈની રસોઈ થાય છે, છતાં એમના જીવનમાં મીઠાશ નથી. ચાર દીવાલ વચ્ચે સાસુ અને વહુ સાથે રહેતાં હોવા છતાં એમની વચ્ચે પ્રેમનો કોઈ સંવાદ નથી. માત્ર મકાનને જ દીવાલો હોતી નથી. માનવી-માનવી વચ્ચે પણ ‘અદૃશ્ય’ દીવાલો ચણાયેલી હોય છે. આવું ઘર કબ્રસ્તાન નથી તો બીજું શું છે ? જ્યાં જીવનમાં સ્નેહ નથી, ત્યાં આનંદનું સ્વર્ગ ક્યાંથી ઊતરશે ? જ્યાં પરસ્પર માટે પ્રેમ નથી, ત્યાં પારકા માટે અનુકંપા ક્યાંથી જાગશે ? એક જ કુટુંબની વ્યક્તિઓ માત્ર દેહથી સમીપ છે, પણ દિલથી સાવ ભિન્ન છે. એમના ચહેરા અતિ સુંદર છે, પણ એ પરસ્પરને દ્વેષયુક્ત ઝેરભરી નજરે નિહાળે છે. સમાન વાતાવરણમાં જીવતા હોવા છતાં ભિન્ન ભિન્ન દુનિયામાં વસે છે. સ્વાર્થની, ભેદની અને માત્ર પોતાની દુનિયામાં જીવતો માણસ ઘરમાં હોવા છતાં કબરમાં પોઢેલો છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રલેખા

જ. 6 ડિસેમ્બર, 1928 અ. 30 ડિસેમ્બર, 2006

ભરતનાટ્યમની પારંપરિક શૈલીને આધુનિક સ્પર્શ આપનાર પ્રભાવશાળી નૃત્યકાર ચંદ્રલેખાનો જન્મ વાડા ગામ(મહારાષ્ટ્ર)માં થયો હતો. પિતા પ્રભુદાસ પટેલ અજ્ઞેયવાદી તબીબી અને માતા ધાર્મિક પ્રકૃતિનાં હતાં. તેમનું બાળપણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીત્યું. ચંદ્રલેખાએ નાની વયથી જ અભ્યાસની સાથોસાથ નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું. શાળાના શિક્ષણ પછી તેમણે કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો, પરંતુ તેને અધવચ્ચે છોડીને નૃત્ય પાછળ જ પોતાનો સમય તથા શક્તિ સમર્પી દીધાં. થોડાં વર્ષોમાં જ ચેન્નાઈમાં શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે તેમનું નામ જાણીતું થઈ ગયું. તેમની માન્યતા હતી કે કલાને આધુનિક યુગ સાથે સીધો સંબંધ હોવો જોઈએ. આધુનિક યુગના પ્રશ્નો, વિષયો, હકીકતોનું પ્રતિબિંબ કલા અને નૃત્યમાં ઝિલાવું જોઈએ.

પારંપરિક ભરતનાટ્યમ્ શૈલીમાં આ શક્ય ન જણાતાં તેમણે પોતાની શક્તિઓ અન્ય ક્ષેત્રોમાં કેન્દ્રિત કરી. તેઓ મહિલા અને માનવઅધિકારોની ચળવળમાં જોડાયાં. થોડું લેખનકાર્ય કર્યું, પોસ્ટર અને પુસ્તકોના જૅકેટની ડિઝાઇનિંગનું કામ પણ કર્યું, પરંતુ તેમની અંદરનો કલાકાર તેમને પુનઃ નૃત્યની દુનિયામાં કૉરિયૉગ્રાફર તરીકે ખેંચી લાવ્યો. તેમણે ભરતનાટ્યમની પારંપરિક શૈલીને નવીન અને આધુનિક ઓપ આપ્યો. તેમણે યોગની કેટલીક મુદ્રાઓ અને આસનોનો પોતાની નૃત્યશૈલીમાં સુંદર રીતે ઉપયોગ કર્યો. તેમની નૃત્યશૈલીમાં માનવદેહને, સુંદરતાના પ્રતીકને બદલે પુરુષ અને સ્ત્રીની શક્તિ, સત્તા તથા સ્વતંત્રતાના પ્રતીક તરીકે  પ્રયોજવામાં આવ્યો છે. તેમની ‘આંગિકા’, ‘લીલાવતી’, ‘શ્રી’ તથા ‘મહાકાલ’ જેવી નૃત્યનાટિકાઓને દેશ-વિદેશમાં ખૂબ પ્રશંસા મળી હતી. પાંત્રીસ વર્ષની લાંબી કારકિર્દીમાં ચંદ્રલેખાએ અનેક સંઘર્ષો, ટીકાઓ, વિરોધો અને મુશ્કેલીઓનો સામનો કર્યો. મજબૂત મનોબળ ધરાવતાં અને સ્વતંત્ર મિજાજનાં આ સ્ત્રીકલાકાર હંમેશાં પોતાના ધ્યેયમાં અડગ રહ્યાં. હૃદયરોગ જેવી ગંભીર માંદગીમાંથી ઊઠીને તેમણે હિંમતપૂર્વક પોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. તેમને મળેલા ઍવૉર્ડમાં સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ : ક્રિએટિવ ડાન્સ (1991), કાલિદાસ સન્માન (2003-2004), સંગીત નાટક અકાદમી ફેલોશિપ (2004) વગેરેનો સમાવેશ  થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

તરતી હિમશિલા (iceberg)

તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફજથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય તો તેનો તળભાગ સમુદ્રજળમાં જેમ જેમ સરકતો જાય તેમ તેમ, તથા સમુદ્ર-પ્રવાહો અથવા અન્ય કારણોસર જ્યારે પણ તૂટીને છૂટો પડે ત્યારે તેને તરતી હિમશિલા તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિભાગો પરના હિમજથ્થા તેમના મૂળ માતૃજથ્થામાંથી તૂટી જાય અને ત્યાં જો દરિયાકિનારો હોય તો દરિયાના પાણીમાં સરકી જઈ તરતા રહે છે, અથવા નજીકના ભાગમાં પડ્યા રહે છે – આ પ્રકારને પણ તરતી હિમશિલા કહેવાય છે.

સમુદ્રજળમાં તરતી મહાકાય હિમશિલા

ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતા વિશાળ અકબંધ બરફજથ્થા એ સ્વયં દરિયાઈ બરફ છે અથવા તો સમુદ્ર મહાસાગરનો ઠરી ગયેલો ભાગ છે, જ્યારે તરતી હિમશિલા આવા બરફપટમાંથી કે હિમનદમાંથી તૂટીને, છૂટી પડીને સમુદ્રજળમાં સરકીને તરતો રહેતો ભાગ છે. આર્ક્ટિક અને ઍન્ટાર્ક્ટિક બંને વિસ્તારોના ખંડીય કે ટાપુઓ પરનાં હિમાવરણો જ્યાં તે દરિયા તરફ વિસ્તરતાં હોય ત્યાં તૂટીને હિમશિલાઓ તરતી રહેવાની સ્થિતિ પેદા થતી હોય છે. ગ્રીનલૅન્ડની હિમશિલાઓ દસ લાખ ટન વજન ધરાવતી હોવાનું માલૂમ પડેલું છે અને ઍન્ટાર્ક્ટિકની હિમશિલાઓ તો એથી પણ ઘણી મોટી હોય છે. તરતી હિમશિલાઓ કમાનાકાર, ગચ્ચામય, ઘુમ્મટાકાર, અણીઆકાર, મેજઆકાર, ખીણ જેવા કે ઝૂંપડી જેવડા પરિમાણવાળી હિમશિલાઓ વિવિધ આકારની હોય છે. તેમની ઉત્પત્તિથી માંડીને અસ્તિત્વ સુધી આયુકાળ ઠંડા ધ્રુવીય પ્રદેશમાં હોય ત્યારે ઘણો લાંબો હોઈ શકે છે; માત્ર ગરમ ઋતુકાળ દરમિયાન જ તે નહિવત્ ઓગળે છે, પરંતુ મહાસાગર પ્રવાહોની અસર હેઠળ જો તે સરકતાં સરકતાં હૂંફાળા જળમાં પહોંચે તો તે ઝડપથી ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને દરિયાઈ જળના 5O સે. થી 10O સે. તાપમાને થોડાક સપ્તાહમાં તેમજ 10O સે.થી વધુ તાપમાને થોડા દિવસોમાં ઓગળી જાય છે. જ્યારે આવી હિમશિલાઓ આગળ ધપતી જઈને દરિયાઈ જહાજોના અવરજવરના માર્ગમાં ક્યારેક આવી ચઢે અને જહાજો સાથે અથડાય તો ભારે ખુવારી સર્જે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તરતી હિમશિલા, પૃ. 701 અથવા જુઓ https://gujarativishwakosh.org/તરતી હિમશિલા/)