Categories
વાચન સમૃદ્ધિ

ધીરુભાઈ ઠાકર

જ. 27 જૂન, 1918 અ. 24 જાન્યુઆરી, 2014

ગુજરાતી ભાષાના સંશોધક, સંપાદક, નાટ્યવિદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રણેતા અને ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરનો જન્મ કોડીનારમાં થયો હતો. એમનું ઉપનામ સવ્યસાચી હતું. ધીરુભાઈ ઠાકર વિદ્વત્તાની સાથે સ્વચ્છ પારદર્શક વ્યક્તિત્વને કારણે સાહિત્યજગતમાં ઋષિતુલ્ય સ્થાન ધરાવતા હતા. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં સાલસ ગૃહિણી હતાં. ઘરમાં ગિરિધરકૃત રામાયણનું નિત્ય વાચન તથા પાઠ થતા હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં થયું. મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક તથા અનુસ્નાતકનો અભ્યાસ કરીને ત્યાં જ અધ્યાપનકાર્ય શરૂ કર્યું.  અમદાવાદ ગુજરાત કૉલેજ તથા મોડાસા કૉલેજમાં અધ્યાપન અને આચાર્યપદે સેવા આપીને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં સંપૂર્ણ કેળવણી આપી. એમની દૃષ્ટિ વિદ્યાર્થીને નહિ પરંતુ આખા સમાજને કેળવવાની હતી. ત્યાંથી નિવૃત્ત થયા બાદ 1985માં શિષ્ય અને માનસપુત્ર કુમારપાળ દેસાઈના સહયોગથી ગુજરાત વિશ્વકોશની સ્થાપના કરી.  ગુજરાતીમાં વિશ્વકોશ બનાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યું. વિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકે જીવનપર્યંત કાર્યરત રહ્યા. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ 2000-2001માં સેવા આપી હતી. તેમને અનેક ઍવૉર્ડ એનાયત થયા છે જેમાં 1994માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1999માં ગુજરાત ગૌરવ પુરસ્કાર, 2002માં વિદ્યાવિકાસ પુરસ્કાર, 2012માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઍવૉર્ડ , વીરનર્મદ પુરસ્કાર તથા ભારત સરકાર તરફથી 2014માં પદ્મભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થયા હતા. એમના સેવાકાર્ય બદલ સમગ્ર ગુજરાત એમનું ઋણી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઇક્વેડૉર

દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ.

તે ૨° ૦૦´ દ. અ. અને ૭૭° ૩૦´ પૂ. રે.ની આજુબાજુનો ૨,૮૩,૫૬૧ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સ્પૅનિશ ભાષા મુજબ ઇક્વેડૉર (Ecuador) એટલે ‘Equator’ વિષુવવૃત્ત. ઇક્વેડૉર વિષુવવૃત્તની નજીક આવેલો છે. તેની ઉત્તરમાં કોલંબિયા તથા પૂર્વ અને દક્ષિણમાં પેરુ દેશ આવેલો છે. એની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર આવેલો છે. દેશના મધ્ય ભાગમાં ઍન્ડિઝની બે પર્વતમાળાઓ છે. તેમાં ૨૨માંથી ૨૦ જ્વાળામુખી સક્રિય છે. બે પર્વતમાળાની વચ્ચે ઉચ્ચપ્રદેશ આવેલો છે. પૂર્વમાં ગીચ વરસાદી જંગલો (rain forests) છે. ઇક્વેડૉર વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. પાટનગર ક્વિટોનું જાન્યુઆરી તથા જુલાઈનું તાપમાન અનુક્રમે ૧૫° સે. અને ૧૪° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૧,૧૧૫ મિમી. જેટલો થાય છે. મોટા ભાગના લોકો કેળાં, કોકો, કૉફી અને શેરડીની ખેતી કરે છે.

ધ ગેલૅપગાસ (The Galapagos) જ્વાળામુખીથી બનેલા ટાપુઓ (Islands) છે. તે મુખ્ય ભૂમિથી ૧,૧૦૦ કિમી. દૂર પૅસિફિક (પ્રશાંત) મહાસાગરમાં આવેલા છે. તે પણ ઇક્વેડૉરની માલિકીના છે. તે ટાપુઓ ત્યાં વસતા વિરાટ કાચબાઓના કારણે જાણીતા છે. આ કાચબા દોઢથી બે મીટર લાંબા અને એકથી સવા મીટર પહોળા હોય છે. આ કાચબાઓ ઉપરાંત આ ટાપુ પર અનેક જાતનાં ચિત્રવિચિત્ર પ્રાણીઓ વસે છે. વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન અહીં ઘણો લાંબો સમય રહેલા. તેમના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના પ્રતિપાદનમાં અહીંનાં પ્રાણીઓનું નિરીક્ષણ કર્યાંનું તેમણે નોંધ્યું છે. આ દેશની વસ્તી આશરે ૧.૯૦ કરોડ (૨૦૨૬) જેટલી છે. ક્વિટો તેની રાજધાની છે. તેઓ સ્પૅનિશ, ક્વેચુઆ અને જીવારો ભાષાઓ બોલે છે. ઇતિહાસ : ઈ. સ. ૧૫૩૨માં સ્પેનના કેટલાક   લોકો સ્થળાંતર કરીને હાલના ઇક્વેડૉરના સ્થળે ગયા. ત્યાં જઈને તેમણે ક્વિટો નામની વસાહત સ્થાપી. ઈ. સ. ૧૮૨૧માં સ્થાનિક લોકોએ બળવો કર્યો અને સ્પેનના શાસનમાંથી દેશ મુક્ત થયો. તે પછી ઈ. સ. ૧૮૩૦માં તે પ્રજાસત્તાક બન્યું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇક્વેડૉર, પૃ. 145)

Categories
વાચન સમૃદ્ધિ

રામ રાઘોબા રાણે

જ. 26 જૂન, 1918 અ. 11 જુલાઈ, 1994

પરમવીરચક્રથી સન્માનિત સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણેનો જન્મ કર્ણાટકના હાવેરીમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ થયું હતું. તેઓ 1930માં અસહકારની લડતમાં જોડાયા આથી પિતાએ તેમને ચેન્ડિયા મોકલ્યા. તેઓ 10 જુલાઈ, 1940ના રોજ બૉમ્બે સેપર્સ રેજિમેન્ટમાં જોડાયા. તેમને જાપાનીઓ સામે લડવા માટે બથીડોંગ મોકલવામાં આવ્યા. બ્રિટિશ સેનાએ પીછેહઠ કરવી પડી ત્યારે બ્રિટિશ ડિવિઝનના કમાન્ડરે તેમને બથીડોંગ રહેવાનું કહ્યું. તેમને દુશ્મનોના શસ્ત્રસરંજામ અને વાહનોનો નાશ કરવાનો હતો એ પછી બ્રિટિશ નૌકાદળના જહાજમાં તેમણે આવવાનું હતું, પરંતુ બ્રિટિશ જહાજો ન આવતાં તેમણે જંગલમાં જાપાનીઓને હાથતાળી આપી ટુકડીને હેમખેમ બહાર લાવ્યા. આથી અંગ્રેજોએ તેમને હવાલદાર તરીકે બઢતી આપી. આઝાદી પછી ભારતીય સેનામાં તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા. રાજૌરીને મુક્ત કરવા માટે નૌશેરાથી નીકળેલી ટુકડીમાં રામ રાણે પણ હતા. નદપુર પહોંચતા દુશ્મનોએ તોપમારો ચલાવ્યો. રામ અને તેમના સાથીદારોએ રસ્તામાં બિછાવેલી સુરંગોને નિષ્ક્રિય કરી. રસ્તામાં મૂકવામાં આવેલાં પથ્થરો અને વૃક્ષો દૂર કર્યાં. આ દરમિયાન રામ જમણા પગે જખમી થયા છતાં પોતાની ફરજમાંથી ચલિત ન થયા. તેમણે મોડી રાત સુધી સુરંગોને શોધવાનું અને નિષ્ક્રિય કરવાનું કામ ચાલુ રાખ્યું. રામ સ્ટુઅર્ટ ટૅન્કરના બે કેટરપિલર પટ્ટા વચ્ચેની જગ્યામાં છાતીસરસા સૂઈ ગયા અને પછી ધીરે ધીરે ટૅન્ક ચલાવડાવી. ટૅન્ક આગળ વધતાં પોતે બે હાથથી શરીરને ખેંચીને આગળ વધતા રહ્યા અને સુરંગોનો નાશ કરતા રહ્યા. આમ, તેમણે રાજૌરીને કબજે કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કલાકો સુધી આરામ અને ભોજન વગર સતત કામ કર્યું હતું. તેમને 14 જાન્યુઆરી, 1950ના રોજ લેફ્ટનન્ટ અને 14 જાન્યુઆરી, 1954ના રોજ કૅપ્ટન તરીકે બઢતી આપવામાં આવી હતી. 25 જૂન, 1968ના રોજ મેજરના પદ પરથી નિવૃત્ત થયા. યુદ્ધમાં કરેલી અદ્વિતીય કામગીરી માટે તેમને 8 એપ્રિલ, 1948ના રોજ પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.