Categories
વાચન સમૃદ્ધિ

ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોં

જ. 17 જુલાઈ, 1943 અ. 14 ડિસેમ્બર, 1971

1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોંનો જન્મ લુધિયાણા જિલ્લાના રૂરકા ઇસેબલ ગામમાં થયો હતો. પિતા ત્રિલોક સિંહ અને માતા હરબંસ કૌર. પિતા વાયુસેનામાં હતા. નિર્મલજીત સિંહનું શાળેય શિક્ષણ અજિતસર મોહી હાઈસ્કૂલમાં થયું હતું. 1962માં દયાલબાગ એન્જિનિયરિંગ કૉલેજમાં દાખલ થયા પરંતુ અભ્યાસ છોડીને ફાઇટર પાઇલટ તરીકે વાયુદળમાં જોડાયા. તાલીમ પછી ઑક્ટોબર, 1968માં 18 સ્ક્વૉડ્રનમાં સામેલ થયા. 1971માં લગ્ન થયા. એ સમયે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થતાં તેઓ યુદ્ધમોરચે ગયા. પાકિસ્તાન તરફથી થતા હવાઈ હુમલામાં ઍરસ્પેસની સુરક્ષાની જવાબદારી 18 સ્ક્વૉડ્રનને આપવામાં આવી હતી. 14 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાનના 6F -86 જેટે શ્રીનગર ઍરબેઝ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની વિમાનોએ સ્ટ્રીપ પર ઊડી ગોળીઓનો મારો ચલાવ્યો. આ સ્થિતિમાં ઉડાન ભરવી મુશ્કેલ હતી તેમ છતાંય નિર્મલજીત સિંહે ઉડાન ભરી અને દુશ્મનનું એક વિમાન તોડી પાડ્યું. બીજું વિમાન આગની લપેટમાં આવ્યું. આ દરમિયાન ફ્લાઇંગ લેફ્ટેનન્ટ ધુમ્મન સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હોવાથી તેઓ એકલા આકાશમાં દુશ્મનો સાથે લડી રહ્યા હતા. પાકિસ્તાનના ચાર સૈબર વિમાનોએ તેમના વિમાનને ઘેરી લીધું. લડાઈ ખૂબ ઓછી ઊંચાઈ પર થઈ તોપણ તેમણે એકલાએ હિંમત હાર્યા વિના સામનો કર્યો. તેમના વિમાન પર દુ્શ્મનોએ હુમલો કરતાં તેમનું વિમાન તૂટી પડ્યું અને તેઓ શહીદ થયા. તેમનાં વિમાનનો ભંગાર મળી આવ્યો પરંતુ તેમનો મૃતદેહ ન મળ્યો. ભારત સરકારે તેમના અજોડ પરાક્રમ બદલ તેમને મરણોત્તર પરમવીરચક્રથી સન્માનિત કર્યા હતા. આંદામાન અને નિકોબારના ટાપુઓમાં એક ટાપુનું નામ નિર્મલજીત સિંહના નામ પરથી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, લુધિયાણા જિલ્લા કોર્ટ અને શાળામાં પણ તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતના ટપાલખાતાએ જાન્યુઆરી, 2000માં પાંચ રૂપિયાની ટપાલટિકિટ તેમની સ્મૃતિમાં બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

દેવચકલી

ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું ગાન તરત જ પારખી શકાય છે. આ પક્ષીની લંબાઈ આશરે 16 સેમી. નરનો રંગ મુખ્યત્વે કાળો. માદા ઝાંખા ધુમાડિયા રંગની. ચાંચ અને પગ કાળાં. બંનેની પાંખમાં સફેદ પટી. દેવચકલીનો દેહ ઝાડની અંધારી ઘટામાં ભળી જવાથી તે જવલ્લે જ શિકારી પક્ષીની નજરે પડે છે. આમ પર્યાવરણના રંગમાં દેવચકલીનો રંગ ભળી જાય છે અને દુશ્મનોથી સુરક્ષિત રહે છે. આ પક્ષીની બીજી એક ખાસિયત તે પૂંછડી અક્કડ ઊભી રાખવાની ટેવ. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા એકેક જોડીમાં સ્વતંત્ર ફર્યાં કરે છે. આવી ટેવને કારણે જ તેમને પિંજરામાં અલગ રાખવાં પડે છે કારણ કે અન્ય પક્ષીઓનો સહચાર તેઓ સહી શકતાં નથી.

દેવચકલી ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત અને કચ્છમાં વિશેષ જોવા મળે છે. તે ડુંગરાઓમાં, બગીચાઓમાં અને વાડીઓમાં કાંટાળા છોડની આસપાસ ભ્રમણ કરે છે. તેનો ખોરાક જીવાતનો હોય છે અને તેને અનુરૂપ તેની ચાંચ પાતળી, સરળ, લાંબી, અને કોમળ હોય છે. સૂક્ષ્મ જીવાતની સાથે સાથે તીડ, ઇયળો, અને અળસિયાંનું પણ ભક્ષણ કરે છે. આ માંસાહારી પક્ષીનો પ્રિય ખોરાક, ઊધઈ છે, આથી જ તો વહેલી સવારે ઊધઈના રાફડા પર બેઠેલું, નાનું પક્ષી દેખાય તો સમજવું કે દેવચકલી જ હોવાની ! સંવનનકાળમાં જ સંગીતના સૂર રેલાવી નર ફેરફૂદડી ફરે છે. પૂંછડીનો પંખો રચી, તે માદાને રીઝવવા પ્રયત્ન કરે છે. તેનો આ પ્રણય-ઉન્માદ લાંબો સમય, 15થી 20 મિનિટ ટકી રહે છે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ દેવચકલી માળો બાંધવાનું કાર્ય શરૂ કરે છે. વૃક્ષોના પોલાણમાં, ખુલ્લા ઢાળિયામાં, જમીનની બખોલમાં, ઘરના ગોખલાઓમાં માળા માટેની સુરક્ષિત જગ્યા શોધી ઘાસનાં તણખલાં, લીમડાની સળીઓ, માથાના વાળ વગેરે ગોઠવી પડિયા જેવો છીછરો માળો રચે છે. ભારતીય પરંપરા મુજબ, દેવચકલીને શુકનિયાળ પક્ષી ગણવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવચકલી/)

Categories
વાચન સમૃદ્ધિ

જગદીશચંદ્ર માથુર

જ. 16 જુલાઈ, 1917 અ. 14 મે, 1978

હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત નાટ્યકાર, લેખક જગદીશચંદ્ર માથુરનો જન્મ ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા ગામે થયો હતો. અલાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. 1941માં ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે પસંદગી પામ્યા. ત્યારબાદ છ વર્ષ માટે બિહાર સરકારમાં શિક્ષણ સચિવ તરીકે કામગીરી કરી. 1955-62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા. 1963-64માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય અમેરિકામાં વિઝિટિંગ ફેલો નિમાયા. ત્યાંથી પરત આવ્યા બાદ વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. તેઓ થોડો વખત સંગીત નાટક અકાદમીના સભ્યપદે રહેલા. તેમણે થોડો સમય ભારત સરકારના હિંદીના સલાહકાર તરીકે પણ કામ કરેલું. તેમણે ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું ‘આકાશવાણી’ નામકરણ કર્યું હતું. ટી.વી.ને ‘દૂરદર્શન’ નામ આપવાનો શ્રેય પણ તેમને ફાળે જાય છે. સરકારી કામકાજમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે નાટ્યસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં પણ અદ્વિતીય યોગદાન આપ્યું છે. હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના બધા જ દિગ્ગજ લેખકોને તેઓ રેડિયો પર લાવ્યા હતા, જેમાં સુમિત્રાનંદન પંતથી લઈને રામધારી સિંહ ‘દિનકર’, બાલકૃષ્ણ શર્મા ‘નવીન’નો સમાવેશ થાય છે. હિંદીના માધ્યમથી તેમણે સાંસ્કૃતિક પુનઃ જાગરણ સ્થાપિત કર્યું હતું. 12 વર્ષની વયથી તેમણે લેખનકાર્યથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1936માં તેમના પ્રથમ એકાંકી ‘મેરી બાંસુરી’ના રંગમંચનથી જ તેમને ખ્યાતિ મળી. ત્યારબાદ તેમના નાટ્યસંગ્રહો ‘ભોર કા તારા’ (1946) અને ‘ઓ મેરે સપને’ (1956) અતિ લોકપ્રિય બન્યા. તેઓ હિંદી રંગમંચ અને લોક રંગમંચના વિદ્વાન અધિષ્ઠાતા ગણાયા. તેમની સાહિત્યકૃતિઓ પૈકી ‘કોણાર્ક’ (1950), ‘કુંવરસિંહ કી ટેક’ (1955), ‘આશાદીપ’ (1956), ‘શારદીયા’ (1959) અને ‘પહલા રાજા’ (1969) વિશેષ ગણનાપાત્ર છે. તેમના ‘કોણાર્ક’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. તેમણે સંસ્મરણાત્મક નિબંધો પણ આપ્યા છે, જેનું હિંદી સાહિત્યમાં આગવું સ્થાન છે. ‘દસ તસવીરે’(1964)માં વિવિધ ક્ષેત્રોની દસ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં શબ્દચિત્રો આપ્યાં છે.