Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગ

નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રકારોનું વિધાન છે.

ભારતીય વાસ્તુવિદ્યામાં દુર્ગના વિવિધ પ્રકારો ગણાવ્યા છે, જેમાં નૈસર્ગિક રીતે ભૌગોલિક પરિસ્થિતિઓથી, પર્વત, નદી વગેરેને આશ્રયે રચાતા દુર્ગોને સ્વાભાવિક કે અકૃત્રિમ દુર્ગ કહ્યા છે. આવા સ્વાભાવિક દુર્ગોમાં જલદુર્ગ, પ્રાસ્તારદુર્ગ, વનદુર્ગ, મિશ્રક દુર્ગ અને મરુદુર્ગ જેવા પ્રકારો પણ પડે છે. ઊંડા પાણી કે મહાજળથી ઘેરાયેલ દુર્ગ જે સાધારણ રીતે નદી કે સમુદ્રજળથી ઘેરાયેલા હોય તેને ‘જલદુર્ગ’ કે ‘સલિલદુર્ગ’ કહે છે. આવા દુર્ગ ઘણું કરીને ઊંડા વહેણવાળી નદી કે સમુદ્ર વચ્ચે આવેલ દ્વીપ પર હોય છે. યમુનાકાંઠે આવેલો મુઘલકાલીન લાલ કિલ્લો આનું સારું દૃષ્ટાંત છે. પ્રાસ્તાર કે શૈલમય દુર્ગના ગિરિદુર્ગ, ગુહાદુર્ગ અને ગર્તાદુર્ગ એવા ત્રણ પ્રકારો જાણીતા છે. પર્વતની ટોચ પર આવેલા દુર્ગને ગિરિદુર્ગ કહે છે. એમાં ચઢાણ આકરું હોય છે અને દુર્ગને ફરતી ઝાડી હોય છે. દુર્ગમાં જળસંચય અને અનાજના કોઠાર તથા લાંબા સમય સુધી સુરક્ષાકવચ તરીકે કામ લાગે તેમજ બાહ્ય આક્રમણ વખતે પૂરેપૂરું રક્ષણ મળી રહે તેવી જોગવાઈ હોય છે. શાસ્ત્રોમાં ગિરિદુર્ગને શ્રેષ્ઠ કહ્યા છે. ભારતમાં આ પ્રકારના દુર્ગોનાં સંખ્યાબંધ દૃષ્ટાંત મળી આવે છે. જેમ કે, દેવગિરિનો કિલ્લો, ગ્વાલિયરનો કિલ્લો, મેવાડમાં ચિતોડગઢ, જયપુરનો આંબેરગઢ, ગુજરાતમાં જૂનાગઢનો ઉપરકોટ, પાવાગઢ, ઈડરનો ગઢ, મહારાષ્ટ્રમાં રાયગઢ, સિંહગઢ વગેરે આ પ્રકારના ગિરિદુર્ગ છે. જે દુર્ગ ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો હોય તેને ગુહાદુર્ગ કહે છે. જયપુર અને ઉદયપુરના કિલ્લા આ પ્રકારના છે. બે પહાડોની વચ્ચેની ખીણમાં રચાયેલ દુર્ગને ગર્તાદુર્ગ કહે છે. બુંદીનો કિલ્લો આ પ્રકારનો છે. વનની મધ્યે ગીચ ઝાડીથી આવૃત દુર્ગને ‘વનદુર્ગ’ કહેવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દુર્ગ/)

Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન મનોજકુમાર પાંડે

જ. 25 જૂન, 1975 અ. 3 જુલાઈ, 1999

પરમવીરચક્ર વિજેતા કૅપ્ટન મનોજ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના રુઢા ગામમાં થયો હતો. પિતા ગોપીચંદ અને માતા મોહિની. તેમણે લખનઉની હેરાલ્ડ મૉન્ટેસોરી સ્કૂલ અને રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો પછી લખનઉની સૈનિક સ્કૂલમાં દાખલ થયા. બારમું ધોરણ પાસ કરી નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. પછી વધુ તાલીમ માટે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા અને 7 જૂન, 1997માં 11મી ગોરખાં રાઇફલ્સની પહેલી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટેનન્ટ બન્યા. સર્વિસીસ સિલેક્શન બોર્ડ ઇન્ટર્વ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે, તમે સેનામાં કેમ જોડાવા માગો છો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, હું પરમવીરચક્ર મેળવવા માગું છું. તેમણે 1999માં કુકરથાંગ, જુબર અને બીજાં શિખરો પરથી પાકિસ્તાની સૈનિકોને હાંકી કાઢ્યા હતા. 2/3 જુલાઈ, 1999ની રાત્રે મનોજકુમાર પાંડેએ સૈનિકો સાથે પહેલવાન ચોકી તરફ કૂચ કરી. તેમને ટેકરીની બંને બાજુથી ગોળીબારનો સામનો કરવો પડ્યો. મનોજકુમારે એક ટુકડીને જમણી તરફ મોકલી અને પોતે ડાબી તરફ દુશ્મનોના બંકરો સાફ કરવા આગળ વધ્યા. ગોળીબાર વચ્ચે તેમણે પહેલું બંકર કબજે કર્યું. બીજા બંકરના દુશ્મનોને હેન્ડ ગ્રેનેડ વડે માર્યા અને બંકર કબજે કર્યું. ત્રીજા બંકર તરફ જતાં ગોળીબારમાં સાથીદારો ઘવાયા. મનોજકુમારના ખભા અને જાંધમાં ગોળીઓ વાગી તેમ છતાં તેમણે ત્રીજા બંકર પર હુમલો કરવાની સૂચના આપી પોતે બીજી દિશાએથી આગળ વધ્યા. પેટે ઘસડાઈ બંકરની પાછળની બાજુએ પહોંચ્યા. છરાના ઘાથી દુશ્મનોને મારી નાખ્યા. પોતાના ઘાની પરવા કર્યા વિના તેઓ પેટે ઘસડાતા આગળ વધ્યા અને હેન્ડ ગ્રેનેડનો ઘા કર્યો એ જ વખતે દુશ્મનની ગોળીઓ મનોજકુમારના કપાળની આરપાર નીકળી ગઈ. તેમના ગ્રેનેડથી દુશ્મનોનો નાશ થયો. જીવનના ભોગે બંકરો કબજે કર્યા. ઉપરાંત શસ્ત્રો અને દારૂગોળાનો ભંડાર પણ મેળવ્યો. તેમના અજોડ પરાક્રમ અને ફરજનિષ્ઠા માટે તેમને પરમવીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની શહાદત પછી અનેક સ્થળો, રમતની ટ્રૉફી, સ્ટેડિયમ, મકાનો, ચોક વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. દ્રાસમાં કારગિલ યુદ્ધ સંગ્રહાલયની એક ગૅલરીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. અમરચિત્ર કથા દ્વારા અઢારમી વાર્તા તેમને સમર્પિત કરવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સન્માન પદમાં કે માનવતામાં ?

સમ્રાટ સિકંદરના સેનાપતિની નિષ્ઠા, કુશળતા અને માનવતા સર્વત્ર પ્રસિદ્ધ હતી. સમ્રાટ સિકંદર સ્વયં એની કાર્યપદ્ધતિથી પ્રસન્ન હતો, પરંતુ એક વાર સેનાપતિથી નાનકડી ક્ષતિ થતાં ગુસ્સે ભરાયેલા સમ્રાટે એને નીચી પાયરી પર ઉતારીને સૂબેદાર બનાવી દીધો, પરંતુ સેનાપતિ પર આનો કશો પ્રભાવ પડ્યો નહીં. એણે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને અગાઉ જેટલી જ નિષ્ઠા, તત્પરતા અને સમર્પણભાવથી કામગીરી બજાવતો હતો. થોડા સમય બાદ કાર્યપ્રસંગે સમ્રાટ સિકંદરને મળવાનું થયું, ત્યારે સમ્રાટ સિકંદરે આ સૂબેદારનો ઉત્સાહ જોઈને પ્રશ્ન કર્યો, ‘તમે સેનાપતિ હતા ત્યારે જેટલા આનંદ અને ઉત્સાહથી રહેતા હતા, એટલા જ આનંદ અને ઉત્સાહથી અત્યારે પણ રહેતા લાગો છો. મને તો એમ કે તમને આ રીતે નીચલી પાયરીએ મૂક્યા તેથી તમે દુઃખી અને હતોત્સાહ થઈ ગયા હશો.’ સૂબેદારે કહ્યું, ‘ના શહેનશાહ, બલ્કે હું વધુ સુખી થયો છું. પહેલાં તો સૈનિકો અને અધિકારીઓ મારાથી ભયભીત રહેતા હતા. નજીક આવતાં ડરતા હતા. હવે એ મને પ્રેમથી મળવા આવે છે અને જરૂર પડ્યે મારી સલાહ પણ લે છે. એ રીતે મને એમની નિકટ આવવાનો અને સેવા કરવાનો સુંદર મોકો મળ્યો છે’ સિકંદરે કહ્યું, ‘એ બધું તો ઠીક, પરંતુ તમને સેનાપતિના સર્વોચ્ચ પદ પરથી દૂર કરીને આવા સામાન્ય સ્થાને મૂક્યા, તેનું તમને અપમાન લાગ્યું નથી ? લોકો તમારી મજાક કરતા હશે અથવા તો મનોમન હાંસી ઉડાવતા હશે, એમ નથી માનતા ?’ સૂબેદારે સિકંદરને વળતો સવાલ કર્યો, ‘શહેનશાહ, તમે મને એ સમજાવશો કે સન્માન પદમાં છે કે માનવતામાં ? ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને કોઈ અહંકારી બની જાય અને અન્ય લોકોની ઉપેક્ષા કરે કે એમના પર જુલમ ગુજારે તો તે નિંદનીય છે. ખરું સન્માન તો ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા અને પરોપકાર છે અને એવું કરવાની મને વિશેષ તક મળતી હોવાથી હું અત્યંત સુખી, સંતુષ્ટ અને આનંદિત છું.’ સૂબેદારનો ઉત્તર સાંભળીને સિકંદરે આખી રાત એના વિશે વિચાર કર્યો અને બીજે દિવસે વહેલી સવારે આ કર્તવ્યનિષ્ઠ સૂબેદારને બોલાવીને એનું છીનવેલું પદ સન્માનભેર પાછું આપ્યું.