Categories
વાચન સમૃદ્ધિ

ઉપેન્દ્ર ત્રિવેદી

જ. 14 જુલાઈ 1937 અ. 4 જાન્યુઆરી 2015

ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ઇન્દોરમાં. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજજૈન ખાતે નોકરી કરતા હતા. એટલે પ્રાથમિક શિક્ષણ ઉજજૈનમાં થયું. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. પિતાના અવસાન પછી મોટા ભાઈ ભાલચંદ્ર પાસે મુંબઈ ગયા. મુંબઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું. તેઓ કૉલેજકાળથી જ નાટકોમાં ભાગ લેતા હતા. તેમણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પરથી નાટક લખી તેમાં દિગ્દર્શન અને અભિનય પણ કર્યો. આ ઉપરાંત ‘બાંધવ માડીજાયા’, ‘મેજર ચન્દ્રકાન્ત’, ‘પારિજાત’, ‘વેવિશાળ’, ‘નૌકાડૂબી’ વગેરે નાટકો કર્યાં. ‘અભિનયસમ્રાટ’ નાટકથી તેમને ‘અભિનયસમ્રાટ’નું બિરુદ મળ્યું. તેમણે ‘કાદુ મકરાણી’ તથા ‘મેંદી રંગ લાગ્યો’માં ભૂમિકાઓ કરી. ત્યાર પછી કેટલાંક ચલચિત્રોમાં કામ કર્યા બાદ ચલચિત્રોથી દૂર થઈ ગયા. તેઓ આકાશવાણી સાથે જોડાયા. ફરી પાછા ચલચિત્રોમાં આવ્યા. તેમણે સોએક ચલચિત્રોમાં લોકકથાઓનાં પાત્રોને પડદા પર જીવંત કર્યાં. ‘જેસલ તોરલ’, ‘માલવપતિ મુંજ’, ‘કાદુ મકરાણી’, ‘રાજા ભરથરી’, ‘વીર માંગડાવાળો,’ ‘રાણકદેવી’, ‘હોથલ પદમણી’, ‘જોગીદાસ ખુમાણ’ ‘શેતલને કાંઠે’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘સંતુ રંગીલી’, ‘સોન કંસારી’, ‘અમર દેવીદાસ’, ‘મચ્છુ તારાં વહેતાં પાણી’ વગેરે તેમનાં લોકપ્રિય ચલચિત્રો છે. તેમણે ‘પવિત્ર પાપી’થી હિંદી ચલચિત્રોમાં પ્રવેશ કર્યો. એ પછી તેમણે ઘણાં ચલચિત્રોમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવી હતી. પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી તેમણે ચલચિત્ર બનાવ્યું. એમાં તેમણે કાળુની ભૂમિકા ભજવી. આ ચલચિત્રને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમની છેલ્લું ચલચિત્ર ‘માબાપને ભૂલશો નહીં’ હતું. તેમણે 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા જિલ્લાની ભિલોડા બેઠક પરથી બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે વિધાનસભાના ઉપાધ્યક્ષપદે, ગુજરાત ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષપદે અને સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો, માહિતી તથા શહેરી ગૃહનિર્માણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનપદે પણ કાર્ય કર્યું હતું. તેમને પં. ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દેવગઢબારિયા

દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુળદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું કુલ ક્ષેત્રફળ 1,144 ચોકિમી. છે. તેમાં એક શહેર અને 186 ગામો આવેલાં છે. આ તાલુકાની ઉત્તરે લીમખેડા અને પૂર્વે ધાનપુર તાલુકા આવેલા છે જ્યારે દક્ષિણે વડોદરા અને પશ્ચિમે પંચમહાલ જિલ્લા આવેલા છે. દેવગઢબારિયા તાલુકા અને શહેરની વસ્તી અનુક્રમે 3,05,000 અને 31,500 (2026,  આશરે) જેટલી હતી. તાલુકામાં ઘણોખરો ભાગ ડુંગરાળ છે. જોકે પશ્ચિમનો ભાગ લગભગ સપાટ છે. પૂર્વ તરફનો ઉચ્ચપ્રદેશ 234.89થી 395.76 મી. ઊંચો છે. આ તાલુકાની સૌથી મોટી નદી પાનમ છે, જે 118 કિમી. લાંબી છે. આ નદી ઉપર જંબુસર સહિત આઠેક ગામો છે. પાનમ ઉપર બંધ બાંધીને સિંચાઈ માટે તેનો ઉપયોગ થાય છે.

આ તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે, પરંતુ તેના વિસ્તારમાં જંગલો અને ડુંગરો હોવાને કારણે તાપમાન સામાન્ય રીતે બેથી ત્રણ સે. ઓછું રહે છે. ડુંગરો અને જંગલોને કારણે વરસાદ – વાર્ષિક સરેરાશ 1,027 મિમી. પડે છે.

આ પ્રદેશમાં ખરાઉ પાનવાળાં જંગલો છે. સાગ, સાદડ, ખેર, ટીમરુ, સીસમ, મહુડો, ધાવડો, ખાખરો, બોરડી, કરંજ, જાંબુ, કેગાર, કલમ, ગૂગળી વગેરે વૃક્ષો છે. આ જંગલો દ્વારા ઇમારતી અને બળતણનું લાકડું, મધ, ગુંદર વગેરે મળે છે. દીપડો, જરખ, નીલગાય, શિયાળ, સસલું, હરણ વગેરે વન્ય પશુઓ છે. તાલુકામાં દૂધ સહકારી મંડળીઓ છે. તાલુકામાં મકાઈ, ડાંગર, ઘઉં, જુવાર અને બાજરી તથા તુવેર, ચણા અને અડદ વવાય છે. કપાસ, મગફળી, તલ, તમાકુ, શેરડી, એરંડા રોકડિયા પાકો છે.

(વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવગઢબારિયા/)

Categories
વાચન સમૃદ્ધિ

કેસરબાઈ કેરકર

જ. 13 જુલાઈ, 1892 અ. 16 સપ્ટેમ્બર, 1977

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જયપુર-અત્રોલી ઘરાનાની પ્રસિદ્ધ ગાયિકા કેસરબાઈ કેરકરનો જન્મ ગોવાના કેરી નામના નાનકડા ગામમાં થયો હતો. આઠ વર્ષની કુમળી વયે તે કોલ્હાપુર ગયાં અને અબ્દુલ કરીમખાં પાસે સંગીતની તાલીમ લીધી. પછી પાછાં ગોવા ગયાં અને રામકૃષ્ણ બુવા વઝે પાસે તાલીમ લીધી. 1909માં તેઓ મુંબઈ આવ્યાં. પટિયાલા રાજ્યના સિતારવાદક અને દરબારી સંગીતકાર બરકતુલ્લા ખાંસાહેબ પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. તેમણે નૃત્યની પણ તાલીમ લીધી હતી. 1911માં તેમણે જયપુર ઘરાનાના સંગીતકાર ખાંસાહેબ અલ્લાદિયાખાં પાસેથી કઠિન શરતો સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. તેઓ દરરોજ નવથી દસ કલાક સુધી રિયાજ કરતાં. તેમણે 1929થી જાહેર કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું હતું. 1930માં પેશાવર ગાયિકી શરૂ કરી. તેનાથી કેસરબાઈને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને ઉચ્ચ વર્ગના શ્રોતાઓની સામે પોતાની ગાયિકી રજૂ કરવા લાગ્યાં. તેઓ પોતાની પેઢીના સૌથી સારાં ખયાલ ગાયિકા બન્યાં. મોટા ભાગની ગ્રામોફોન રેકૉર્ડ કંપનીઓએ તેમની રેકૉર્ડ બહાર પાડી હતી. સંગીતક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 1953માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો. તેમને 1948માં કૉલકાતાની સંગીતપ્રવીણ સંગીતાનુરાગી સજજન સન્માન સમિતિ દ્વારા સુરશ્રી સન્માન મળ્યું હતું. 1969માં ભારત સરકારે તેઓને પદ્મભૂષણથી નવાજ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યનાં પ્રથમ રાજ્ય-ગાયિકાની ઉપાધિ અને 1975માં સૂરસિંગાર સંસદ દ્વારા શારંગદેવ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તેમની સ્મૃતિમાં કલા અકાદમી, ગોવા દ્વારા દર વર્ષે સુરશ્રી કેસરબાઈ કેરકર સ્મૃતિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. નાસાના 1977ના વૉયેજર મિશનમાં તેમનું રેકૉર્ડિંગ સુવર્ણ રેકૉર્ડમાં જળવાયેલું છે. આમ અવકાશમાં પ્રથમ ભારતીય અવાજ કેસરબાઈ કેરકરનો હતો.