Categories
વાચન સમૃદ્ધિ

શત્રુને મિત્ર

અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન(ઈ. સ. 1809થી ઈ. સ. 1865)ના સમયમાં અમેરિકામાં આંતરવિગ્રહ જાગ્યો. લિંકનની સમવાય સરકાર અને અમેરિકાનાં દક્ષિણનાં રાજ્યો વચ્ચેનો આ વિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો. ઉત્તરનાં રાજ્યોએ અબ્રાહમ લિંકનને તત્કાળ લશ્કરી પગલાં ભરવાની માંગ કરી અને અમેરિકામાં ખેલાયેલું ‘ધ બૅટલ ઑવ બુલ’ નામનું ઘમસાણ યુદ્ધ વાસ્તવમાં એનો લોહિયાળ આંતરવિગ્રહ હતો. આ યુદ્ધકાળમાં લિંકનની માનવતા વધુ ઝળકી ઊઠી. આ સમયે લિંકન કાર્યાલયમાં આવતા હજારો પત્રો પર જાતે નોંધ લખતા અને એ અંગે જરૂરી પગલાંઓ માટે સૂચન કરતા. એક વાર એક મહિલાએ નોકરીની શોધમાં મદદરૂપ થવા પ્રમુખને વિનંતી-પત્ર લખ્યો, ત્યારે પ્રમુખ અબ્રાહમ લિંકને તેની કામ કરવાની તૈયારીને પ્રોત્સાહન આપ્યું. પોસ્ટમાસ્તર જેવી સામાન્ય નિમણૂકો જાતે રસ લઈને કરતા. જાતે પોતાના બૂટની પૉલિશ કરતા અને રોજ એકાદ કલાકથી વધુ સમય નાગરિકોને મળવા પાછળ ફાળવતા. અબ્રાહમ લિંકને ગુલામી પ્રથાની નાબૂદીની ઘોષણા કરતાં ચાળીસ લાખ ગુલામો મુક્ત થયા અને યુદ્ધની બાજી પલટાવા લાગી. અનાથ બાળકો, નોંધારી વિધવાઓ અને લશ્કરી છાવણીમાં રહેલા યુદ્ધકેદી જવાનો પ્રત્યે અપાર સહાનુભૂતિ રાખતા. દરેકને માટે વ્યક્તિગત ધોરણે કંઈક કરી છૂટતા. તેઓ કહેતા, ‘અંતે તેઓ પણ આપણા જેવા સંવેદનશીલ માનવીઓ છે. યુદ્ધમાં પણ મર્યાદાની એક રેખા હોવી જોઈએ. એમાં ક્રૂર કે નિર્દય બનવાનું ન હોય.’ અબ્રાહમ લિંકનની આવી વાત સાંભળીને એક વૃદ્ધા ઉશ્કેરાઈ ગઈ. એણે કહ્યું, ‘પ્રમુખ, તમે તે કેવા છો ? જે શત્રુઓનો વિનાશ કરવો જોઈએ, એમની સાથે માનવતાભર્યો વ્યવહાર રાખવાની વાત કરો છો !’ અબ્રાહમ લિંકને વૃદ્ધાના ચહેરા પરના ઉશ્કેરાટને હસીને અળગો કરતાં કહ્યું, ‘મેડમ, એમને મિત્ર બનાવીને હું શત્રુઓનો વિનાશ કરું છું.’

Categories
વાચન સમૃદ્ધિ

પાબ્લો નેરુદા

જ. 12 જુલાઈ, 1904 અ. 23 સપ્ટેમ્બર, 1973

દક્ષિણ અમેરિકાના જગપ્રસિદ્ધ સ્પૅનિશ કવિ પાબ્લો નેરુદાનો જન્મ ચિલીમાં થયો હતો. તેઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી, લોકપ્રિય કવિ તથા રાજનેતા હતા. તેમનું મૂળ નામ નેફતાલી રિકાર્ડો રેઇસ બોસાલ્ટો હતું. તેમની ચાર વર્ષની વયે માતાનું અવસાન થતાં પિતાએ પુનર્લગ્ન કર્યાં અને ચિલીની દક્ષિણે તેમુકામાં રહેવા ગયા. ત્યાં વનપ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને નેરુદાની કલ્પનાશક્તિને વેગ મળ્યો. ત્યાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ સાથે જ તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તેમુકાનાં અખબારોમાં નેરુદાના આરંભનાં કાવ્યો પ્રગટ થવા માંડ્યાં. પોતાનો પુત્ર કવિ થાય તે સામે પિતાનો પ્રચંડ વિરોધ હતો આથી કવિએ પોતાના પ્રિય ચેક સાહિત્યકાર યાન નેરુદાની અટક અપનાવી પાબ્લો નેરુદા તખલ્લુસ અપનાવ્યું. સોળ વર્ષની વયે તેઓ ચિલીની રાજધાની સાન્ટિયાગોમાં વધુ અભ્યાસાર્થે ગયા. ત્યાંની શિક્ષણ-સંસ્થામાં તેમની કાવ્યકૃતિ ફિએસ્ટા સૉંગને પ્રથમ પારિતોષિક મળ્યું. 1923માં તેમનો પ્રથમ અને 1924માં બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થતાં ચિલીમાં તેમની કીર્તિ ચારેકોર ફેલાઈ. ચિલીની સરકારે નવોદિત કવિઓને પ્રોત્સાહન આપવા માટે તેમને પ્રથમ યુરોપ અને ત્યારબાદ પૂર્વના દેશોમાં મોકલ્યા. 1932માં તેઓ ભારત સહિત કેટલાક દેશોમાં ફરી દક્ષિણ અમેરિકા પાછા ફર્યા. 1936માં સ્પેનમાં ફાટી નીકળેલ આંતરવિગ્રહ દરમિયાન તેમણે પ્રગતિવાદી દૃષ્ટિકોણ અપનાવી સામાજિક રીતે પ્રતિબદ્ધ થઈને કવિતાઓ લખી. 1943માં તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ ધારાસભામાં પણ સેનેટર તરીકે ચૂંટાયા. 1950માં તેમણે કેન્ટો જનરલ નામે દીર્ઘકાવ્ય પ્રગટ કર્યું. જે તેમનું ઉત્તમ, યશસ્વી મહત્ત્વાકાંક્ષી સર્જન છે. તેમણે લખેલું એલિમેન્ટલ ઓડ્ઝ 1954થી 1957 દરમિયાન ત્રણ ખંડોમાં પ્રકાશિત થયું. તેમણે લગભગ 12થી વધુ કાવ્યસંગ્રહો અને લગભગ 7000 પૃષ્ઠોમાં તેમણે કાવ્યો લખ્યાં છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેમનાં કાવ્યો તથા વ્યાખ્યાનોનો અનુવાદ થયેલો છે. ગહન પ્રેમ, પ્રકૃતિ, ક્રાન્તિ, માનવઅધિકારો પ્રત્યેની તેમની ભાવુકતા અને સશક્ત કવિતાઓ માટે પ્રસિદ્ધ નેરુદાને 1971માં સાહિત્યના નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઇરાક

મધ્યપૂર્વનો લોકશાહી ધરાવતો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે ૨૯° ૨૦´થી ૩૭° ૩૩´ ઉ. અ. અને ૩૮° ૫૩´થી ૪૮° ૧૬´ પૂ. રે. વચ્ચેનો ૪.૩૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. ઇરાકની વસ્તી ૪.૭૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘માસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ વિકસી હતી. વિશ્વની ચાર મહાન સંસ્કૃતિઓમાં તેની ગણના છે. તે એક સમયે ચંદ્રલેખાના ફળદ્રૂપ પ્રદેશ તરીકે પણ ઓળખાતો હતો. તે ઈરાનના અખાતની વાયવ્યમાં આવેલો છે. ઉત્તરે તુર્કી, ઈશાન અને પૂર્વમાં ઈરાન, અગ્નિકોણમાં ઈરાનનો અખાત, દક્ષિણમાં કુવૈત અને સાઉદી અરેબિયા, પશ્ચિમમાં સીરિયા અને જૉર્ડન આવેલાં છે. તેનું પાટનગર બગદાદ છે. અરબી ભાષામાં ‘ઇરાક’નો અર્થ ‘ઊંડા મૂળવાળો દેશ’ એવો થાય છે. મૂળે આ દેશ ખેતીપ્રધાન છે; પરંતુ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે વિશ્વના ખનિજતેલના મહત્ત્વના ઉત્પાદક દેશ તરીકે જાણીતો છે.

ઇરાકને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) કુર્દિસ્તાનનો ઈશાની પહાડી પ્રદેશ, (૨) મેસોપોટેમિયાનો નદીખીણનો પ્રદેશ અને (૩) નૈઋત્યનો રણપ્રદેશ. ઇરાકની મુખ્ય બે નદીઓ યુફ્રેટિસ અને ટાઇગ્રિસ છે. ઇરાક ખેતીપ્રધાન દેશ છે. ખેતીના પાકમાં મુખ્યત્વે જવ ઉગાડવામાં આવે છે. તે સિવાય અહીં ઘઉં, ડાંગર, બાજરી અને મકાઈની ખેતી પણ થાય છે. રોકડિયા પાકમાં કપાસ અને તમાકુની ખેતી થાય છે. પર્વતીય ક્ષેત્રોની તળેટીમાં દ્રાક્ષના બગીચા ઉપરાંત અંજીર, શેતૂર, સફરજન, મોસંબી, નારંગી જેવાં ફળફળાદિની બાગાયતી ખેતી થાય છે. ખજૂર ઇરાકનો સૌથી મહત્ત્વનો પાક છે. ખજૂરના ઉત્પાદનમાં ઇરાક વિશ્વમાં પ્રથમ નંબરે છે. ઇરાકનું મુખ્ય ઉત્પાદન ખનિજતેલ છે. પૂર્વમાં આવેલા કિરકુકમાં ઇરાકનાં વિશાળ તેલક્ષેત્રો છે. ઇરાકનો ઔદ્યોગિક વિકાસ તેને આભારી છે. બગદાદ અને તેની આજુબાજુના પ્રદેશોમાં તેલ-રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ અને રાસાયણિક ખાતરના ઉદ્યોગો વિકસ્યા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇરાક, પૃ. 161)