Categories
વાચન સમૃદ્ધિ

હસ્તિનાપુર

મહાભારતના સમયમાં કુરુવંશીઓના રાજ્યની રાજધાની.

તે હાલના ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગા નદીના કાંઠે આવેલું હતું. દિલ્હીના ઈશાન ખૂણે આશરે ૯૧ કિમી.ના અંતરે આ પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. જોકે તેમનું ગંગા નદીના પ્રવાહથી ધોવાણ થયેલું જણાય છે. પુરાણકાળમાં અત્રિપુત્ર સોમ અહીંના વનમાં ફરતો હતો, ત્યારે તેણે કોઈ પક્ષીને ચાંચમાં હાથીને પકડીને ઊડી જતું જોયું, તેથી તેણે અહીં નગર વસાવ્યું. પાછળથી ભરતપુત્ર હસ્તિ રાજાના સમયમાં તેનું નામ ‘હસ્તિનાપુર’ રખાયું. હસ્તિનાપુરમાં કૌરવોએ રાજ્ય કર્યું. પાંડવો આ હસ્તિનાપુરમાં કૌરવો સાથે જુગાર રમ્યા. તેમાં પાંડવો દ્રૌપદી સહિત પોતાનું સર્વસ્વ હારી ગયા અને દ્રૌપદી અપમાનિત થઈ. યુદ્ધમાં ભાઈઓની હત્યાથી મળેલા હસ્તિનાપુર પાટનગરનો પાંડવોએ અસ્વીકાર કર્યો. તેમણે હસ્તિનાપુર ત્યજી દીધું અને નવું ઇન્દ્રપ્રસ્થ પાટનગર વસાવ્યું. આ ઇન્દ્રપ્રસ્થ પાટનગર વર્તમાન દિલ્હીની નિકટ આવેલું હતું.

હસ્તિનાપુરમાં આવેલું મહાદેવનું એક પ્રાચીન મંદિર, હસ્તિનાપુરમાં આવેલું જૈનોનું એક મંદિર – જંબુદ્વીપ જૈન મંદિર

દુર્યોધનના સમયમાં શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે ક્રોધમાં નગરને ધ્વસ્ત કર્યું હતું. ફરી વસાવાયેલા નગરને નિમિચક્ર રાજાના સમયમાં ભાગીરથી નદીના પૂરથી ભારે હાનિ થઈ. તેને ફરીથી ઊભું કરાયું. સમય પ્રમાણે તેનાં ‘નાગપુર’ અને ‘ગજપુર’ જેવાં નામો પ્રચલિત બન્યાં. પાછલાં વર્ષોમાં રાજાઓ આ નગરને સાચવી શક્યા નહિ તેથી તેનો નાશ થયો. હસ્તિનાપુર જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ ગણાય છે. મહાવીર સ્વામીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળે રાજા શ્રેયાંસે આદિ તીર્થંકર ઋષભદેવને શેરડીનો રસ દાનમાં આપ્યો હતો. તેથી આ સ્થળ ‘દાનીતીર્થ’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળનો સંબંધ જૈન ધર્મના શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ નામના તીર્થંકરો સાથે પણ હતો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પુષ્પાવલ્લી

જ. 3 જાન્યુઆરી, 1926 અ. 28 એપ્રિલ, 1991

તમિલ અને તેલુગુ ફિલ્મજગતનાં અભિનેત્રી પુષ્પાવલ્લીનો જન્મ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પેન્ટાપડુ ગામમાં થયો હતો. મૂળ નામ કંડાલા વેંકટ પુષ્પાવલ્લી તાયારમ્મા હતું, પરંતુ પુષ્પાવલ્લીના નામથી જ ફિલ્મજગતમાં જાણીતાં થયાં. ‘સંપૂર્ણ રામાયણ’ ચલચિત્રમાં બાળકલાકાર તરીકે બાળસીતાનું પાત્ર ભજવી, ફિલ્મી દુનિયામાં શ્રીગણેશ કર્યા. ત્યારપછી બાળકલાકાર તરીકે અન્ય ચિત્રોમાં પાત્ર ભજવ્યાં. કુટુંબ માટે કલાકાર તરીકે મળતું મહેનતાણું ખૂબ આવશ્યક હતું. સતત ફિલ્મી સેટો પર સમય વીતતાં ફક્ત પાયાનું શિક્ષણ જ મેળવી શક્યાં. 1940માં વકીલ આઈ. વી. રંગાચારી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જોકે લગ્ન વધુ ના ટક્યાં અને 1946માં તેઓ જુદાં થયાં. રંગાચારી સાથેનાં લગ્નથી તેમને બે સંતાન થયાં. બાળકલાકારમાંથી તેઓ અભિનેત્રી તરીકે ચલચિત્રોમાં પાત્ર ભજવવા માંડ્યાં. જોકે મુખ્ય અભિનેત્રી તરીકે તેમનાં ખૂબ ઓછાં ચલચિત્રો હતાં. મોટા ભાગે તેઓ સહાયક અભિનેત્રી તરીકેનું જ પાત્ર ભજવતાં. બધું થઈને તેમણે કુલ 20-25 તેલુગુ અને તમિલ ચલચિત્રો કર્યાં હતાં. તેઓને ક્યારેય પોતાના અભિનય માટે પ્રશંસા મળી ન હતી. તેમનું ખૂબ વખણાયેલું ચલચિત્ર હતું ‘બાલા નાગમ્મા’ (1942), જેમાં સહાયક અભિનેત્રી તરીકે ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. 1947માં આવેલું ‘મીસ માલિની’ ક્રિટિક્સ દ્વારા વખાણાયેલું, પરંતુ બૉક્સઑફિસ પર નિષ્ફળ નીવડ્યું હતું. ‘મીસ માલિની’ ચલચિત્રથી તેઓ જેમિની ગણેશનના સંપર્કમાં આવ્યાં. ત્યારપછી પુષ્પાવલ્લી અને જેમિની ગણેશન સાથે રહેવા માંડ્યાં. બંને અગાઉથી પરણેલાં હોવાથી લગ્ન કરી શકે તેમ નહોતાં. જેમિની ગણેશનથી પુષ્પાવલ્લીને બે પુત્રીઓ થઈ. રેખા અને રાધા. રેખા એટલે હિન્દી ફિલ્મજગતની ખ્યાતનામ અભિનેત્રી. જેમિની ગણેશનને અભિનેતા તરીકે ખૂબ નામના મળી હતી. તેમણે ક્યારેય પણ રેખા અને તેની બહેન રાધાને પુત્રી તરીકે અપનાવ્યાં ન હતાં. ધીમે ધીમે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. દીકરીઓના ઉછેર માટે તેમણે નાની નાની ફિલ્મોમાં સાધારણ પાત્રો ભજવવાનું ચાલુ રાખ્યું. ત્યારપછી પુષ્પાવલ્લીએ સિનેમૅટોગ્રાફર કે. પ્રકાશ સાથે લગ્ન કર્યાં અને પોતાનું નામ કે. પુષ્પાવલ્લી કર્યું. વધુ બે સંતાનોને જન્મ આપ્યો. પુત્રી રાધા લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી છે. પુત્રી ધનલક્ષ્મીએ તેજ સપ્રુ સાથે લગ્ન કર્યાં છે જ્યારે પુત્ર ડાન્સર સેશુ 1991માં અવસાન પામ્યો હતો. 1991માં પુષ્પાવલ્લીનું ડાયાબીટિસના રોગના કારણે અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

તામ્ર તકનીકી

તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી વીંટીઓ અને ચમચા, અરીસા, વાસણો તેમજ વિવિધ પશુ તથા માનવઆકૃતિઓ બનાવાતી. આ માટે તાંબું ગાળવાની, ઓગાળવાની અને તેમાંથી ઘાટ ઘડવાની વિવિધ પદ્ધતિઓ વપરાતી. ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000ના સિંધુ સંસ્કૃતિના તથા તેની આગળની પ્રાકસિંધુ સંસ્કૃતિમાં તાંબાનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હતો. સિંધુ સંસ્કૃતિના સમયમાં તાંબું ગળાતું નહીં. તેના તૈયાર ગઠ્ઠા (In gots) રાજસ્થાન તથા ઈરાનના સુસામાંથી આયાત થતા; પરંતુ રાજસ્થાન, આંધ્ર અને કર્ણાટકમાં ચાલ્કોપાઇરાઇટ તથા મૅલેચાઇટની તાંબાની કાચી ધાતુને ખોદીને ત્યાં જ સ્થળ પાસે જ તાંબું ગાળવામાં આવતું. ધાતુનો મેલ છૂટો પાડવા કાચી ધાતુ સાથે કવાર્ટ્ઝાઇટ કે મૅંગેનીઝનો પાઉડર ભેળવીને તેને ગોળાકાર છીછરા ખાડામાં કોલસા ભરીને અતિ ઊંચા તાપમાને તાંબું છૂટું પાડવામાં આવતું. હવા માટે આવા ભઠ્ઠાની ધારે માટીની પકવેલી નળીઓ ગોઠવાતી. ઘણી વાર કોલસા સાથે કાચી ધાતુનો જમીન ઉપર સીધો ઢગલો કરીને તેને ગારાથી છાંદી દેવામાં આવતો. ઉપર નાનું મોઢું રાખવામાં આવતું તથા હવા આપવા ઢગલાના તળિયાની ધારે માટીની પકવેલી ભૂંગળીઓ ગોઠવાતી. તાંબું ગાળવા માટે 800° સે. થી 1100° સે. તાપમાન જરૂરી હતું. જો તે ન જળવાય તો તાંબામાં લોખંડ, જસત, આરસેનિક, સીસું જેવી અશુદ્ધિઓ રહી જતી. તાંબું ગાળતી વખતે નીકળતા મેલને ત્યાં જ ફેંકી દેવામાં  આવતો. લોથલ તથા મોહેં-જો-દરોના આવા ગઠ્ઠામાં આવી અશુદ્ધિઓ નહિવત્ હતી.

તાંબામાથી બનાવેલી વસ્તુઓ

ગાળેલા તાંબામાંથી અશુદ્ધિઓ દૂર કરવા તથા તેમાંથી જરૂરી ચીજો બનાવવા તાંબાને ફરી ઓગાળવામાં આવતું. આ માટે જમીનમાં ગોળાકાર, નળાકાર કે નાસપાતી આકારના નાના છીછરા ખાડા ખોદીને તેની અંદરના ભાગે ગારો લિપાતો. ભઠ્ઠામાં કોલસા ભરી માટીના પકવેલા વાટકા, કુલડાં, નાળચાવાળાં કુલડાં કે બહારથી પાંખો કરેલી પહોળા મોઢાવાળી માટીની કોઠીઓમાં તાંબાને ઓગાળાતું. તાંબાને હલાવવા અને કુલડાને બહાર કાઢવા લાકડાના દાંડિયા વપરાતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તામ્ર તકનીકી, પૃ. 795 અથવા જુઓ https://gujarativishwakosh.org/તામ્ર-તકનીકી/)