Categories
વાચન સમૃદ્ધિ

સ્વામિનારાયણ સંપ્રદાય

સહજાનંદ સ્વામીએ સ્થાપેલો સંપ્રદાય.

સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસેના લોજ ગામમાં ઉદ્ધવના અવતાર મનાતા સ્વામી રામાનંદ પાસે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લઈ નીલકંઠ બ્રહ્મચારી સ્વામી સહજાનંદ બન્યા. સ્વામી રામાનંદે પોતાના અવસાન પહેલાં પોતાના અનુયાયીમંડળના આચાર્યપદે સ્વામી સહજાનંદને સ્થાપ્યા. ગુરુ રામાનંદ સ્વામીના અવસાન બાદ ચૌદમા દિવસે સહજાનંદ સ્વામીએ વૈદિક તત્ત્વજ્ઞાનના સાર રૂપે ‘સ્વામિનારાયણ’નો મંત્ર આપ્યો. એ જ મંત્રથી તેઓ ‘ભગવાન સ્વામિનારાયણ’ તરીકે ઓળખાયા અને આ ઉદ્ધવ સંપ્રદાય વખત જતાં ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ના નામે ઓળખાયો.

સ્વામિનારાયણ મંદિર, મૂળી

ઈ. સ. ૧૮૦૧માં શ્રી સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ-સુધારણાની પ્રવૃત્તિ આરંભી અને આ પ્રવૃત્તિએ થોડાં જ વર્ષોમાં સ્વામિનારાયણ સંપ્રદાયને વ્યાપક સ્વીકૃતિ અપાવી. સહજાનંદ સ્વામી સંયમના ચુસ્ત આગ્રહી હતા, તેથી વૈષ્ણવ સંપ્રદાયમાં જે વિલાસિતાનાં તત્ત્વોએ પ્રવેશ કરવા માંડ્યો હતો તેને દૂર કરી ધર્મમાં સદાચારને પ્રાધાન્ય આપ્યું. એમણે યજ્ઞોને અહિંસક બનાવ્યા; એ સમયની અરાજક સ્થિતિનો લાભ ઉઠાવતી ધાડ અને ચોરીનો ધંધો કરતી કાઠી અને કોળી જેવી કોમોને શાંત, પ્રામાણિક, મહેનતુ અને ધર્મનિષ્ઠ બનાવી; લોકોનાં અફીણ, દારૂ ને તમાકુનાં વ્યસન છોડાવ્યાં; રાજપૂતો ને કાઠીઓનો દીકરીને દૂધ-પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો; સતી થવાના ચાલને પોતાની અસંમતિ આપી; વિધવાઓને ભગવાનને પતિ માની તેની ભક્તિ કરવાનો માર્ગ ચીંધી વૈધવ્યને ધર્મપરાયણ અને હેતુલક્ષી બનાવ્યું. આમ તળગુજરાત અને કાઠિયાવાડના લોકોમાં વિચારશુદ્ધિ, આચારશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિનો ખાસ આગ્રહ રાખતા આ સંપ્રદાયે સનાતન ધર્મનું એક આગવું સ્થાન મેળવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની દાર્શનિક વિચારધારા રામાનુજદર્શન(શ્રીસંપ્રદાય)થી પ્રભાવિત છે; તેથી અહીં પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ – એમ પાંચ અનાદિ તત્ત્વોનો નિર્દેશ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ માયાથી પર છે. જીવ અને ઈશ્વર બ્રહ્મ સાથે એકતા કરી માયાથી પર થઈ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. સંપ્રદાયમાં શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલા સદાચારને ધર્મ ગણવામાં આવે છે, આથી સંપ્રદાયના ત્યાગી વર્ગને પંચવર્તમાન – નિષ્કામ, નિ:સ્નેહ, નિ:સ્વાદ, નિર્માન અને નિર્લોભ – આ પાંચ વ્રતો પાળવાનાં હોય છે. આ ઉપરાંત દરેક ત્યાગી-ગૃહસ્થી સત્સંગીએ લસણ-ડુંગળીનો ત્યાગ પણ કરવાનો હોય છે.

રાજશ્રી મહાદેવિયા

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વામિનારાયણ સંપ્રદાય, પૃ. 98)

Categories
વાચન સમૃદ્ધિ

શોભના સમર્થ

જ. 17 નવેમ્બર, 1916 અ. 9 ફેબ્રુઆરી, 2000

ત્રીસના દાયકાની સ્વરૂપવાન અને સફળ અભિનેત્રી શોભના સમર્થનો જન્મ મુંબઈમાં થયો હતો. મૂળ નામ સરોજ શિલોત્રી હતું. પિતા પી. એસ. શિલોત્રી અને માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. સરોજે ‘શોભના સમર્થ’ નામે 1934માં ‘વિલાસી ઈશ્વર’ ચિત્રથી અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો. ગુજરાતી તથા હિંદી બે ભાષામાં બનેલા ‘દો દીવાને’ ચિત્રમાં શોભનાએ મોતીલાલ સાથે કામ કર્યું અને એ વખતે બંને વચ્ચે બંધાયેલી ગાઢ મિત્રતા અંત સુધી રહી. કુમારસેન સમર્થ સાથેના લગ્ન પછી પ્રથમ પુત્રી નૂતનના જન્મ સમયે શોભનાએ બે વર્ષ ચિત્રોમાં કોઈ કામ ન કર્યું, પણ પછી જે ચિત્ર આવ્યું તે ‘કોકિલા’ સફળ રહ્યું. એ દિવસોમાં વાડિયા બ્રધર્સ માત્ર મારધાડનાં ચિત્રો બનાવતા હતા, પણ શોભનાને લઈને તેમણે સામાજિક ચિત્ર ‘શોભા’ બનાવ્યું હતું. 1941માં દિગ્દર્શક વિજય ભટ્ટ ‘ભરત મિલાપ’નું સર્જન કરી રહ્યા હતા. સીતાની ભૂમિકા તેમણે શોભનાને સોંપી. ભૂમિકા ટૂંકી હતી પણ શોભનાના દમદાર અભિનયને કારણે 1943માં વિજય ભટ્ટે ‘રામરાજ્ય’માં સીતાની ભૂમિકા માટે તેમને જ પસંદ કર્યાં. આ ચિત્રને ખૂબ સફળતા મળી. તે પછી શોભનાએ ઘણાં ધાર્મિક ચિત્રોમાં કામ કર્યું. ‘રામબાણ’ અને ‘રામવિવાહ’માં પણ તેમણે સીતાની ભૂમિકા ભજવી. આ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર સાથે ‘નલ દમયંતી’ પણ સફળ રહ્યું. કિશોર સાહુનિર્મિત ‘વીર કુણાલ’માં તેમનો અભિનય ખૂબ પ્રશંસા પામ્યો. 1950 પછી ધાર્મિક ચિત્રોનું નિર્માણ ઓછું થતાં શોભના પણ વ્યક્તિગત જીવનમાં પરોવાઈ ગયાં. છૂટાંછવાયાં ચિત્રોમાં ચરિત્ર ભૂમિકાઓ ભજવતાં રહ્યાં. નૂતનને અભિનયક્ષેત્રે લાવવા તેમણે ‘હમારી બેટી’ અને તનુજા માટે ‘છબીલી’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. તેમને ત્રીજી દીકરી ચતુરા અને પુત્ર જયદીપ હતાં. તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘વિલાસી ઈશ્વર’, ‘દો દીવાને’, ‘સવેરા’, ‘રામરાજ્ય’, ‘નૌકર’, ‘મહાસતી અનસૂયા’, ‘તારામતી’, ‘હમારી બેટી’, ‘રામજન્મ’, ‘ઇન્સાનિયત’, ‘લવ ઇન સિમલા’, ‘છલિયા’, ચિત્રલેખા’, ‘એક બાર મુસ્કુરા દો’, ‘દો ચોર’ ‘ઘરદ્વાર’ વગેરેને ગણાવી શકાય.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જિંદગી યાત્રા બનતી નથી !

પ્રવાસે નીકળેલો માનવી ડગલે ને પગલે કેટલી બધી સાવચેતી અને અગમચેતીથી વર્તતો હોય છે ! પોતાના સામાન પર એની સતત ચાંપતી દેખરેખ હોય છે અને જરૂર પડે એની આસપાસ પરિવારજનોનો કડક જાપતો ગોઠવે છે. પ્રવાસ દરમિયાન કોઈ અન્ય પ્રવાસી પર ગુસ્સો કરવાની પરિસ્થિતિ જાગે, તો એ મનોમન ગુસ્સો દબાવી રાખતો હોય છે. વિચારતો હોય છે કે આના ગેરવર્તનને સાંખી લેવું સારું, પરંતુ પ્રવાસમાં કોઈનીય સાથે ઝઘડો કરવો એ પોસાય નહીં. પ્રવાસમાં ભોજનની બરાબર તકેદારી રાખે છે અને જે સ્ટેશને ઊતરવાનું હોય, એ સ્ટેશન આવતાં પહેલાં વહેલાસર સામાન બરાબર બાંધીને તૈયારી કરતો હોય છે. વળી સ્ટેશન પર સામાન ઉતારે ત્યારે છેલ્લે છેલ્લે એ પણ જોઈ લેતો હોય છે કે ડબ્બામાં પોતે કશું ભૂલી ગયો તો નથી ને ! આપણે પ્રવાસમાં જે તકેદારી રાખીએ છીએ એવી તકેદારી આપણા જીવન પરત્વે રાખીએ છીએ ખરા ? જીવનમાં એટલો બધો સામાન એકઠો કરીએ છીએ કે ચીજ-વસ્તુઓના ખડકલા નીચે માનવીનું જીવન દબાઈ-કચડાઈ જાય છે. પ્રત્યેક પળ પોતાના સામાન પર નજર રાખનાર જિંદગીનો ઘણો સમય વ્યર્થ બરબાદ કરી નાખે છે. પ્રવાસમાં એ પોતાનો ગુસ્સો ડામી દેતો હોય છે, પરંતુ ઘર-સંસારની બાબતમાં એવું ધૈર્ય બતાવતો હોય છે ખરો ? ભોજન જેટલી તકેદારીથી ચિત્તને સમૃદ્ધ કરવા માટે તકેદારી રાખે છે ખરો ? ડબ્બામાં કોઈ સામાન બચ્યો નથી એ જુએ છે, પણ પોતાના હૃદયના કોઈ ખૂણે દુર્વૃત્તિનો કચરો પડ્યો હોય તો  એની પરવા કરતો નથી. જિંદગીને યાત્રા ગણવામાં આવે છે, પરંતુ જિંદગી યાત્રા જેવી ત્યારે જ બને કે જ્યારે એમાં આવી જાગૃતિ હોય. આવું ન બને તો એ હેતુવિહીન, વ્યર્થ રખડપટ્ટી બનીને રહી જાય છે.