Categories
વાચન સમૃદ્ધિ

આશારામ દલીચંદ શાહ

જ. 8 ફેબ્રુઆરી, 1842 અ. 26 માર્ચ, 1921

મોરબી, માળિયા, લાઠી રાજ્યોના કારભારી અને શિક્ષક આશારામનો જન્મ રાજકોટમાં. પિતા દલીચંદ અને માતા વખતબા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. 1859માં પ્રાંતમાં યોજાયેલી પ્રથમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા પાસ કરી 17 વર્ષની ઉંમરે લીંબડીમાં શિક્ષક થયા. 1863માં જામનગર બદલી થઈ. 1865માં શિક્ષણ વિભાગમાંથી રાજીનામું આપી જામનગર રાજ્યમાં જોડાયા. જામનગર અને આમરણ વચ્ચે તકરાર ચાલતી હતી તેમાં તેમની નિમણૂક થઈ. પંચે જામનગર તરફી ચુકાદો આપ્યો. તેનો યશ તેમને મળ્યો. એ પછી તેઓ રાજકોટ ગયા અને એજન્સીની કોર્ટમાં વકીલાત કરવાની સનદ મેળવી. તેમને મોરબીના પાટવીકુમાર વાઘજી બીજાના શિક્ષક તરીકે નીમવામાં આવ્યા. પછી તેઓ મોરબીની શાળાના હેડમાસ્તર બન્યા. બ્રિટિશ રાજકીય એજન્ટે તેમને માળિયાના કારભારી નિયુક્ત કર્યા.  જુલાઈ, 1886માં કર્નલ વૉટસને તેમને લાઠીના મૅનેજર  નીમ્યા. તેમણે સાતેક વર્ષ સુધી લાઠી રાજ્યનું સંચાલન કર્યું. પછી તેઓ ચૂડામાં અને એ પછી બાંટવે અને સરદારગઢ (ગીદડ) રાજ્યના કારભારી તરીકે નિમાયા. 1898માં તેમણે સેવામાંથી નિવૃત્તિ લીધી.  તેઓ તલવાર, બંદૂક, કટાર વાપરી જાણતા હતા. તેઓ ઘોડેસવારીના શોખીન હતા. તેઓ ઊંટ ઉપર બેસીને લાંબી મુસાફરી કરતા હતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી. નિવૃત્તિ પછી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેમણે ગુજરાતી કહેવતો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો ‘ગુજરાતી કહેવત સંગ્રહ’ (1911માં) પ્રગટ કર્યો. 1901માં સ્વામિનારાયણ મંદિરના નેતૃત્વ અને સંપત્તિનો ઉત્તરાધિકારનો વિવાદ થતાં તેમને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. સહજાનંદ સ્વામીએ જૉન માલ્ક્સની રાજકોટમાં મુલાકાત લીધી ત્યારે તેઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તૃણાહારી (Herbivore)

પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી. તૃણાહાર માટેનાં અનુકૂલનોમાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ચતુષ્ખંડ જઠર; કૃન્તકો(rodent)માં સતત વૃદ્ધિ પામતા છેદક દાંત; ઢોર, ઘેટાં-બકરાં, અન્ય પશુઓ અને હાથીમાં ચૂર્ણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલી દાઢ; પાણીની ગોકળગાય અને ચૂષક મુખવાળા બિડાલ–મત્સ્ય(sucker mouthed catfish-Plecostomus)માં રેતન જીભ(rasping–tongue)નો સમાવેશ થાય છે. કેટલાંક તૃણાહારીઓ એકાહારી (monophagus) હોય છે, જે એક જ પ્રકારનો ખોરાક ખાય છે; દા.ત. ઑસ્ટ્રેલિયન વૃક્ષવાસી શિશુધાનીસ્તની કૉએલા (Phascolarctos cinereus) નીલગિરિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; પરંતુ મોટા ભાગનાં તૃણાહારીઓનાં ખોરાકમાં સાધારણ વૈવિધ્ય હોય છે.

ઑસ્ટ્રેલિયન વૃક્ષવાસી શિશુધાનીસ્તની કૉએલા (Phascolarctos cinereus)

સૌથી નાનાં પ્રાણીઓથી માંડીને સૌથી મોટાં પ્રાણીઓ સુધી પ્રાણીજીવનની પ્રત્યેક કક્ષા તૃણાહાર સાથે સંબંધિત હોય છે. ઉત્તર ધ્રુવીય ટુંડ્ર, ઉષ્ણકટિબંધીય જંગલ કે રણમાં  અથવા સૌથી ઊંચા પર્વત પર કે સમુદ્રકિનારે કે તેની મધ્યમાં થતી વનસ્પતિની કોઈ પણ જાતિ તૃણાહારથી બાકાત નથી. આ એક પારસ્પરિક આંતરપ્રક્રિયા છે; જ્યાં વનસ્પતિની સંખ્યા કે જથ્થામાં થતો ફેરફાર તૃણાહારીઓની સંખ્યા અને તેમના ભક્ષણના દરના ફેરફાર પર આધાર રાખે છે. તૃણાહારીઓ સમુદાયમાં અસ્તિત્વ ધરાવતી વનસ્પતિઓ દ્વારા ઉદ્ભવતા વધારાના વનસ્પતિદ્રવ્યનો જ માત્ર તેમના નિભાવ માટે સામૂહિક રીતે ઉપયોગ કરતાં હોય ત્યારે આ આંતરપ્રક્રિયા સમતોલનની અવસ્થાએ પહોંચી શકે. કેટલાંક તૃણાહારીઓ દ્વારા વનસ્પતિના જીવનાવશ્યક ભાગોનું ભક્ષણ થતાં સમય જતાં વનસ્પતિ મૃત્યુ પામે છે; દા. ત., બાર્ક બીટર પાઇન વૃક્ષને મેખલાકારે કોરે છે અથવા પક્ષીઓ અંકુરિત વનસ્પતિઓની નાજુક કૂંપળોને ખાઈ જાય છે. અન્ય તૃણાહારીઓ વનસ્પતિનાં પર્ણો, શાખા કે મૂળ જેવા ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; જેથી વનસ્પતિ કુંઠિત બને છે. અથવા તેને કોઈ ખાસ અસર થતી નથી. તૃણાહાર સમુદાયમાં આવેલી વનસ્પતિઓની જાતિઓની સંખ્યા અને તેમના કુલ જૈવભાર(biomass)ને મર્યાદિત કરતું એક પરિબળ હોવાથી સમુદાયના બંધારણને અસરકર્તા છે. તે વનસ્પતિપેશીઓ જેમાંથી ઉદ્ભવે છે તેવાં પોષક ખનિજો, અંગારવાયુ અને પાણીના પુન:શ્ચક્રણ (recycling) માટેના સાધન તરીકે વર્તે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તૃણાહારી (herbivore), પૃ. 895 અથવા જુઓ https://gujarativishwakosh.org/તૃણાહારી/)

Categories
વાચન સમૃદ્ધિ

સુજીત કુમાર

જ. 7 ફેબ્રુઆરી, 1934 અ. 5 ફેબ્રુઆરી, 2010

હિન્દી તથા ભોજપુરી સિનેમાના અભિનેતા સુજીતકુમારનો જન્મ વારાણસીમાં સંપન્ન ખેડૂત પરિવારમાં થયો હતો. શાળાકીય શિક્ષણ વારાણસીમાં મેળવ્યા પછી વકીલાતના શિક્ષણ માટે પરદેશ ન જતાં વારાણસીમાં જ લેવાનું પસંદ કર્યું. કૉલેજના દિવસોમાં નાટકોમાં અભિનય કરતા રહ્યા. દરમિયાન ફિલ્મનિર્દેશક ફની મજુમદારની નજરમાં આવ્યા અને મુંબઈ આવી ફિલ્મજગતમાં નસીબ અજમાવવાનું એમણે સૂચન કર્યું. મુંબઈ માયાનગરીમાં ઘણા સંઘર્ષ પછી પણ કામ ન મળતાં એમણે ભોજપુરી ફિલ્મોમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો. 1963માં ભોજપુરી ફિલ્મ ‘વિદેસીયા’થી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું અને નસીબજોગે એમની ભોજપુરી ફિલ્મોથી ડૂબતું જતું ભોજપુરી ફિલ્મજગત ફરીથી પુનર્જીવિત થયું. તેઓ ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા. તેમણે 1966માં હિન્દી ફિલ્મ ‘લાલ બંગલા’ સાથે હિન્દી સિનેમાજગતમાં પ્રવેશ થયો. ‘આરાધના’, ‘અમરપ્રેમ’, ‘ઇત્તફાક’, ‘હાથી મેરે સાથી’, ‘આંખે’, ‘જુગનુ’, ‘ધરમ-વીર’, ‘અવતાર’ જેવી લગભગ 70 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. વિશેષ કરીને રાજેશ ખન્ના સાથે અનેક ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં તથા સહાયક ખલનાયકની ભૂમિકામાં તેઓ દેખાયા હતા. સાથે ફિલ્મનિર્માણમાં પણ એમણે જંપલાવ્યું. ‘ખેલ’, ‘આસમાં સે ઊંચા’, ‘દરાર’, ‘અનુભવ’ જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું. પત્ની કિરણ સિંહ એક વાર્તાલેખિકા હતાં. 2005માં એમનું નિધન થયું. પત્નીના અવસાન પછી સુજીતકુમારનું જીવન લાગણીના ધોરણે એકલતાભર્યું બની ગયું. પુત્ર જતીનકુમાર અને પુત્રી હેના સિંહ એમનાં સંતાનો પિતા માટે સદાય સહારો બની રહ્યાં. 1996માં ફિલ્મ ક્રાન્તિવીરમાં અભિનય કરવા સાથે સુજીતકુમારે અભિનયને તિલાંજલી આપી અને પુત્ર જતીનકુમાર સાથે ફિલ્મનિર્દેશનનું કાર્ય ચાલુ રાખ્યું. કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું.