Categories
વાચન સમૃદ્ધિ

મહારાજા રણજિતસિંહ

જ. 13 નવેમ્બર, 1780 અ. 27 જૂન, 1839

પંજાબમાં શીખ સામ્રાજ્યના સ્થાપક અને ‘શેર-એ-પંજાબ’ તેમજ ‘પંજાબકેસરી’ તરીકે ઓળખાતા મહારાજા રણજિતસિંહનો જન્મ ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન) ખાતે થયો હતો. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના તેઓ મુખી એટલે કે નાયક બન્યા હતા. આ સુકર ચકિયા મિસલ રાવી અને ચિનાબ નદીઓ વચ્ચેના પ્રદેશ પર સત્તા ધરાવતી હતી, જેમાં ગુજરાનવાલા નગર આસપાસના પ્રદેશનો સમાવેશ થતો હતો. મહારાજા રણજિતસિંહે જુલાઈ, 1799માં પંજાબનું પાટનગર લાહોર જીતી લીધું હોવાથી અફઘાનિસ્તાનના શાસક ઝમાનશાહે તેમને ગવર્નર તરીકે નીમ્યા હતા, પરંતુ તેમણે પોતાને પંજાબના મહારાજા તરીકે જાહેર કર્યા હતા. તેમણે ગુરુનાનક તથા ગુરુ ગોવિંદસિંહના નામના સિક્કા પડાવ્યા અને શીખ રાષ્ટ્રમંડળના નામથી રાજ્યનો વહીવટ કરવા માંડ્યો હતો. 1802માં તેમણે શીખોનું પવિત્ર યાત્રાધામ અમૃતસર જીતી લીધું હતું અને ત્યારબાદ પંજાબમાં આવેલી શીખ અને અફઘાનોની જાગીરો કબજે કરવા માંડી હતી. તેથી પૂર્વ તરફની એમની આગેકૂચ અંગ્રેજોએ અટકાવી હતી. 25 એપ્રિલ, 1809ના રોજ અંગ્રેજો સાથે થયેલ સંધિ મુજબ સતલજ નદીની પૂર્વના પ્રદેશોનો દાવો તેમણે જતો કર્યો હતો અને સતલજની દક્ષિણે આવેલી 45 જાગીરો તેમણે અંકુશમાં લીધી હતી. રણજિતસિંહનો મુખ્ય હેતુ યુદ્ધો દ્વારા પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાનો હતો, તેથી તેમણે ગુરખાઓ પાસેથી કાંગડા અને અફઘાનો પાસેથી મુલતાન જીતી લીધું હતું. 1819માં કાશ્મીર જીતી લીધા બાદ અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ શાસક શાહ સુજાને રાજ્યાશ્રય આપીને તેની પાસેથી જગપ્રસિદ્ધ  કોહિનૂર હીરો પડાવી લીધો હતો અને ત્યારબાદ વાયવ્ય સરહદે પેશાવર જીતી લીધા બાદ તેને ખાલસા કર્યું અને 1834માં તેમણે લડાખ પણ જીતી લીધું હતું. મહારાજા રણજિતસિંહ, સર્વસત્તાધીશ શાસક હોવા છતાં તેમણે વહીવટ કરવા માટે મંત્રીમંડળ રાખ્યું હતું. તેઓ લોકોની સુખાકારીની ખૂબ કાળજી લેતા હતા. તેમણે લાહોર અને અમૃતસરમાં તોપો, બંદૂકો, કારતૂસો અને દારૂગોળો બનાવવાનાં કારખાનાં સ્થાપ્યાં હતાં. તેમણે અન્ય ધર્મીઓને રાજ્યમાં ઊંચા હોદ્દા પર નીમ્યા હતા. તેઓ બહાદુર યોદ્ધા અને કુશળ સેનાપતિ હોવા છતાં પોતાને ‘ખાલસા’ના પ્રથમ સેવક માનતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દેવાલય વૃદ્ધાશ્રમ લાગે છે !

કોઈ મંદિરમાં દર્શનાર્થે જાવ ત્યારે સહેજ નજર કરજો કે અત્યંત ભક્તિભાવથી ઈશ્વરની મૂર્તિનાં દર્શન કરનારા યુવાનો કેટલા છે ? પ્રભુ સમક્ષ ભાવથી હાથ જોડીને ઊભેલાં બાળકો કેટલાં છે ? કઈ વયના લોકો મંદિરની કેટલો સમય મુલાકાત લે છે, તેની યાદી રાખવી જોઈએ, તો એમ લાગશે કે ઈશ્વર તો વૃદ્ધોના છે. યુવાનો સાથે એનું કોઈ અનુસંધાન નથી. મોટા ભાગના યુવાનો માત્ર હાથ જોડી, વંદન કરીને મંદિરમાંથી બહાર નીકળી જાય છે. મંદિરના ઉપાસકો જોતાં એમ લાગે કે આપણે વૃદ્ધાશ્રમને અહીં લઈ આવ્યા છીએ. વ્યક્તિ જેમ જેમ વૃદ્ધ બને તેમ તેમ એ મંદિર આવવામાં વધુ નિયમિત અને ઉપાસનામાં વધુ સમય વ્યતીત કરવા માંડે છે. આદિ શંકરાચાર્ય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને બાલ્યાવસ્થાથી જ્ઞાન અને ધર્મ પ્રાપ્ત થયાં હતાં. આજના બાળકને આ મંદિરો જ્ઞાન અને ધર્મ આપી શકે છે ? બાળકના માનસઘડતરમાં મંદિરનો કેટલો હિસ્સો છે ? માત્ર વડીલોના કહેવાથી બાળક કે યુવાન મંદિરમાં જતો હોય છે અથવા તો કોઈ યાત્રાધામના પ્રવાસે નીકળ્યો હોય ત્યારે મંદિરની ‘ઔપચારિક મુલાકાત’ લેતો હોય છે, પરંતુ એના મનમાં ભક્તિનાં બીજ કે ઈશ્વરની શ્રદ્ધા કેટલી છે ? મંદિરના ભગવાનનો બાળકો અને યુવાનો સાથે નાતો જોડીએ. જેનાં દર્શન કરે છે, એના ગુણને આત્મસાત્ કરવાની એનામાં કેટલી તીવ્રતા છે. અરે ! એ જેમનું દર્શન કરે છે, એ ભગવાન વિષ્ણુ કે તીર્થંકર ઋષભદેવ વિશે કશી વિશેષ જાણકારી ધરાવતો નથી. પરિણામે મંદિરો યુવાનોને આકર્ષી શક્યાં નથી અને બાળકોને આતુર બનાવી શક્યાં નથી. બધી બાબતમાં આવતીકાલની ચિંતા-ફિકર કરનારા આપણે ચોપાસ સતત નિર્માણ પામતાં મંદિરોની આવતીકાલનો વિચાર કરીશું ખરા ?

Categories
વાચન સમૃદ્ધિ

સી. પી. રામાસ્વામી ઐયર

જ. 12 નવેમ્બર, 1879 અ. 26 સપ્ટેમ્બર, 1966

વિદ્વાન કાયદાશાસ્ત્રી અને ત્રાવણકોરના દીવાન ચેતપુટ પટ્ટાભિરામન રામાસ્વામી ઐયરનો જન્મ તમિળનાડુના વાંડીવાશમાં થયો હતો. શાળેય શિક્ષણ વેસ્લી કૉલેજ હાઈસ્કૂલમાં લીધું. પછી પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન અંગ્રેજી, સંસ્કૃત અને ગણિતમાં ઇનામો મેળવ્યાં. નેબ્યુલર થિયરી અંગે પેપર લખીને એલ્ફિન્સ્ટન પુરસ્કાર મેળવ્યો. મદ્રાસ લૉ કૉલેજમાંથી ગોલ્ડમેડલ મેળવી ડિગ્રી મેળવી અને ચેન્નાઈમાં વકીલાત શરૂ કરી. 1920માં મદ્રાસ પ્રેસિડેન્સીના ઍડ્વોકેટ જનરલ બન્યા. તેઓ કેન્દ્રીય વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. 1923માં ચેન્નાઈના ગવર્નરની અને 1931માં ભારતના વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કાયદાસભ્ય તરીકે નિમાયા. તેઓ લીગ ઑફ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિ હતા. 1936થી 1947 સુધી ત્રાવણકોરના દીવાનપદે રહ્યા. તેમણે ત્રીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સચિવ હતા અને એની બેસન્ટને જેલ થતાં તેમના અખબાર ‘ન્યૂ ઇન્ડિયા’નું સંપાદન કર્યું હતું. તેમણે લોકોપયોગી અનેક કાર્યો કર્યાં. પાયકાર ડૅમ અને  મેટ્ટુર ડૅમના બાંધકામ તેમજ કોચીન, વિશાખાપટ્ટનમ્ અને તુતીકોરીન બંદરોનો વિકાસ કર્યો. તેમણે કાશ્મીર રાજ્ય માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. તેમણે 1937માં મહારાજાને ચાન્સેલર રાખીને ત્રાવણકોર યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમના દીવાનપણા હેઠળ ત્રાવણકોર ભારતમાં માર્ગ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. તેમણે પહેલી વાર મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. 1947માં તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રાવણકોરના દીવાનપદેથી રાજીનામું આપી લંડન ગયા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અન્નામલાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. એકસાથે બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનનાર પ્રથમ ભારતીય હતા. 1926માં તેમને નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર (KCJE) અને 1941માં નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઇન્ડિયા(KCSI)નો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1939માં ત્રાવણકોર યુનિવર્સિટી દ્વારા માનદ એલ.એલ.ડી.ની પદવી આપવામાં આવી હતી.