Categories
વાચન સમૃદ્ધિ

ફ્રિટ્ઝ જેકબ હેબર

જ. 9 ડિસેમ્બર, 1868 અ. 29 જાન્યુઆરી, 1934

જર્મન ભૌતિક-રાસાયણવિદ અને 1918ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રિટ્ઝ જેકબ હેબરનો જન્મ બ્રેસ્લો, પોલૅન્ડમાં થયો હતો. તેઓ એક સમૃદ્ધ રંગ-ઉત્પાદક વેપારીના પુત્ર હતા. તેમના જન્મ પછી લગભગ ત્રણ અઠવાડિયાંમાં માતાનું મૃત્યુ થયું તેથી જુદા જુદા સંબંધી પાસે ઉછેર થયો. શરૂઆતમાં જ્હોનનેમ પ્રાઇમરી શાળામાં અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉંમરે બ્રેસ્લોમાં સેંટ ઇલિઝાબેથ ક્લાસિકલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1886માં સપ્ટેમ્બરમાં સેંટ ઇલિઝાબેથ જીમેનઝિયમમાંથી ઉત્તીર્ણ થઈ રસાયણશાસ્ત્રના અભ્યાસ માટે હાલની બર્લિનની હમબોલ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. 1886થી 1891 દરમિયાન તેમણે એ. ડબલ્યૂ. હૉફમૅનના હાથ નીચે યુનિવર્સિટી ઑફ હાઇડેલબર્ગમાં રસાયણવિજ્ઞાનનો અભ્યાસ કરી 1891માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાંથી 1889માં એક વર્ષની સ્વૈચ્છિક સેવા માટે ‘સિક્સ્થ ફિલ્ડ આર્ટિલરી રેજિમેન્ટ’માં દાખલ થયા. ત્યાંથી પાછા આવી શાર્લોટનબર્ગમાં કાર્લ લિબરમનના વિદ્યાર્થી તરીકે ઑર્ગેનિક કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો. હેબર 1906થી 1911 સુધી કાલ્સરૂહ યુનિવર્સિટીમાં ભૌતિક-રસાયણના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1912માં તેઓ ડાહલેમ ખાતે નવા શરૂ થયેલ કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિકલ કેમિસ્ટ્રી ઍન્ડ ઇલેક્ટ્રૉકેમિસ્ટ્રીના નિયામક તરીકે નિમાયા. જમીનની ફળદ્રૂપતા વધારવા હવામાંના નાઇટ્રોજનને સસ્તી પદ્ધતિ વડે સંયોજન રૂપે મેળવવાના વિચારને લક્ષમાં લઈ હેબરે સતત બે વર્ષ સુધી (1907-1909) સંશોધન કરીને શોધી કાઢ્યું કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયાનું સંશ્લેષણ થઈ શકે છે. 1913માં કાર્લ બોશે આ પ્રક્રિયા ઔદ્યોગિક ઉત્પાદન માટે વિકસાવી. આથી આ વિધિ હેબર-બોશ પ્રવિધિ તરીકે જાણીતી છે. હેબરને મૂળતત્ત્વોમાંથી એમોનિયાના સંશ્લેષણ માટેની પદ્ધતિ શોધવા બદલ 1918નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો. આ ઉપરાંત તેમને રૉયલ સોસાયટી(લંડન)નો રમફર્ડ ચંદ્રક તથા લંડનની કેમિકલ સોસાયટીનું માનાર્હ સભ્યપદ પણ એનાયત થયેલાં. આ ઉપરાંત ઘણી બધી વિજ્ઞાનની અકાદમીએ તેમને માનાર્હ સભ્યપદ એનાયત કરેલું. તેમણે જર્મન ભાષામાં લખેલાં પુસ્તકો ‘ધ થીઅરેટિકલ બેસિઝ ઑવ્ ટૅકનિકલ ઇલેક્ટ્રૉકેમિસ્ટ્રી’ (1898) અને ‘ધ થરમૉડાયનેમિક્સ ઑવ્ ટૅકનિકલ ગૅસ રિએક્શન્સ’ (1905) બદલ તેમને સારી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1920માં તેમણે ભૌતિક-રસાયણના અભ્યાસ માટે ઉત્તમ કક્ષાની પ્રયોગશાળા સ્થાપી હતી જે ઉદ્યોગોને મદદરૂપ બની એ વિશ્વની એક અગ્રણી સંસ્થા બની.

Categories
વાચન સમૃદ્ધિ

અહો આશ્ચર્યમ્

જીવનમાં સર્વથા નિષ્ફળ ગયેલો નાસીપાસ યુવાન બગીચામાં બેઠો હતો. એને વેપારમાં એટલી જંગી ખોટ આવી હતી કે જમીન-જાયદાદ ગીરવે રાખવી પડી હતી. મિત્રોએ પણ એનાથી મોં ફેરવી લીધું હતું. આવી પરિસ્થિતિમાં ડૂબેલા યુવાનની પાસે ધનવાન લાગતો એક વૃદ્ધ માણસ આવ્યો અને એણે યુવાનને એની નિરાશાનું કારણ પૂછ્યું. યુવાને જિંદગીમાં આવેલી આસમાની-સુલતાનીની વાત કરી ત્યારે વૃદ્ધે કહ્યું, ‘સહેજે ચિંતા ન કરીશ. મારું નામ જ્હોન ડી રોકફેલર છે. હું તને ઓળખતો નથી, પણ તું ઈમાનદાર લાગે છે આથી તને ઉછીના દસ હજાર ડૉલર આપવા હું તૈયાર છું.’ આટલું બોલીને એ વૃદ્ધે ચેકબુકમાં રકમ લખી આપી અને કહ્યું, ‘બરાબર એક વર્ષ પછી આપણે આ બગીચામાં મળીશું અને તું એ સમય સુધીમાં મહેનત કરીને મારું દેવું ચૂકવી આપજે.’ વીસમી સદીમાં દસ હજાર ડૉલરનો ચેક એ ઘણી મોટી રકમ ગણાતી અને યુવકનું મન હજી માનતું નહોતું કે એ અપરિચિત વ્યક્તિએ કઈ રીતે મારા પર આટલો મોટો ભરોસો કર્યો, જ્યારે મને ખુદને મારા પર ભરોસો નથી. એણે ચેકને જાળવીને રાખ્યો અને રાતદિવસ મહેનત કરવા લાગ્યો. વિચાર કર્યો કે કોઈ મોટી મુશ્કેલી આવશે ત્યારે ચેકની રકમનો ઉપયોગ કરીશ. એના મનમાં એક જ ધૂન હતી કે દેવું ચૂકવીને હું મારી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરું. એના પ્રયત્નો સફળ થવા લાગ્યા અને માથેથી દેવું ઊતરી ગયું. નિર્ધારિત દિવસે એ ચેક લઈને રોકફેલરની રાહ જોઈને ઊભો રહ્યો. એ વૃદ્ધ આવ્યા, યુવકે ભાવથી પ્રણામ કર્યાં. ત્યાં એક નર્સ દોડતી આવી અને વૃદ્ધને પકડી લીધા. યુવક પરેશાન થઈ ગયો. નર્સે કહ્યું, ‘આ પાગલ વારંવાર પાગલખાનામાંથી ભાગી જાય છે અને લોકોને જ્હોન ડી. રોકફેલર બનીને ચેક આપે છે.’ યુવક મૂંઝવણમાં પડી ગયો. જે ચેકની તાકાતથી એણે આ કામ કર્યું હતું, તે ખરે જ બનાવટી હતો. આ તે કેવું કહેવાય ?

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ સદાશિવ મરાઠે

જ. 8 ડિસેમ્બર, 1877 અ. 18 માર્ચ, 1956

મહારાષ્ટ્રના સંસ્કૃત વિદ્વાન અને ધાર્મિક સુધારક નારાયણ મરાઠેનો જન્મ કોલાબા જિલ્લાના સુડકોલી ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે થયું હતું. સંસ્કૃત ભાષા અને હિન્દુ ધર્મશાસ્ત્રોના અધ્યયન માટે તેમણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. ઘણા વિદ્વાનો પાસે રહી અધ્યયન કર્યું, પરંતુ તેમના પર પ્રજ્ઞાનંદ સરસ્વતીનો વિશેષ પ્રભાવ પડ્યો. નારાયણે તેમની પાસે વેદાંતનું અધ્યયન કર્યું. તેઓ ઋગ્વેદ, સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, મીમાંસા, ન્યાય અને વેદાંતના પ્રખર વિદ્વાન હતા. તેમણે ભૌતિકવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત ભારત અને વિશ્વનો ઇતિહાસ, ખગોળશાસ્ત્ર અને ભૂગોળનું પણ અધ્યયન કર્યું. તેઓ પોતાનાં બધાં જ કામ જાતે કરતા. દિવસભર અભ્યાસ કરતા અને તપસ્વી જેવું જીવન જીવતા. તેમણે તેમના ગુરુના નામ પરથી વાઈમાં ‘પ્રજ્ઞામઠ’ નામના વિદ્યાલયની સ્થાપના કરી. પછીથી એનું નામ ‘પ્રજ્ઞા પાઠશાળા’ રાખવામાં આવ્યું. આ વિદ્યાલયમાં ભારતીય દર્શનનું શિક્ષણ આપવામાં આવતું. તેમણે વામન કાણે જેવા વિદ્વાનોના સહયોગથી ‘ધર્મ નિર્ણય મંડળ’ની સ્થાપના કરી. તેમણે 1927માં ‘ધર્મકોશ કાર્યાલય’ની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોને લગતા વિશ્વકોશ સમાન સાત ખંડો પ્રકાશિત કરવામાં આવ્યા. તેમણે પ્રાચીન શિક્ષણપદ્ધતિને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણપદ્ધતિની રચના કરી. તેમણે 1931માં સંન્યાસ લીધો. સંન્યાસ પછી તેઓ કેવલાનંદ સરસ્વતીના નામે જાણીતા થયા. સંન્યાસ લીધા પછી પણ તેમણે હિંદુ દાર્શનિક વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે કાર્ય ચાલુ રાખ્યું. તેમણે ‘મીમાંસાદર્શનમ્’ અને ‘અદ્વૈતસિદ્ધિ’નો મરાઠીમાં અનુવાદ કર્યો. ‘કૌશિતાકી બ્રાહ્મણ’ અને ‘તૈત્તિરીય શાખા’ના વિષયવસ્તુના કોષ્ટક તૈયાર કર્યાં. ‘સત્યશબ્દ સંવાદ’ અને ‘તૈત્તિરીય શાખા’ તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે ‘મીમાંસા કોશ’ અને ‘અદ્વૈત વેદાંત કોશ’ની રચના કરી હતી.