Categories
વાચન સમૃદ્ધિ

ગુલઝારીલાલ નંદા

જ. ૪ જુલાઈ, ૧૮૯૮ અ. ૧૫ જાન્યુઆરી, ૧૯૯૮

ભારતરત્નથી સન્માનિત ભારતના પૂર્વવડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી મજૂરનેતા ગુલઝારીલાલ નંદાનો જન્મ પંજાબના સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમાં છે)માં થયો હતો. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતાનું નામ ઈશ્વરદેવી હતું. તેમનાં પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું. તેમને પોતાનું શિક્ષણ લાહોર, આગ્રા અને અલાહાબાદમાં પ્રાપ્ત થયું હતું. ૧૯૨૦-૨૧માં તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં શ્રમ સંબંધી સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું હતું. ૧૯૨૧માં મુંબઈની નૅશનલ કૉલેજમાં અધ્યાપક બનવાની સાથોસાથ તેઓ અસહકાર આંદોલનમાં જોડાયા હતા. ૧૯૨૨માં તેઓ અમદાવાદ ટેક્સટાઇલ લેબર ઍસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે ૧૯૪૬ સુધી કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સત્યાગ્રહ માટે તેઓ ૧૯૩૨માં અને ફરીથી ૧૯૪૨થી ૧૯૪૪ સુધી જેલમાં રહ્યા હતા. ગુલઝારીલાલ નંદાએ ૧૯૪૬થી ૧૯૫૦ સુધી બૉમ્બે સરકારના શ્રમમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્ય વિધાનસભામાં શ્રમવિવાદવિધેયક સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. તેમણે કસ્તૂરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, હિન્દુસ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે અને રાષ્ટ્રીય યોજના સમિતિના સદસ્ય તરીકે સેવાઓ આપી હતી. ૧૯૪૭માં જિનીવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં તેમણે એક સરકારી પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ૧૯૫૦માં તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ બન્યા હતા. ગુલઝારીલાલ નંદા ૧૯૫૨ અને ૧૯૫૭ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી. ૧૯૬૨માં સાબરકાંઠા બેઠક પરથી ચૂંટાયા બાદ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી કેન્દ્રીય ગૃહમંત્રીપદે પણ રહ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ ૨૭ મેથી ૯ જૂન, ૧૯૬૪ સુધી અને લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ૧૧ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું. બાદમાં ૧૯૭૦-૭૧માં તેઓ રેલવેમંત્રી પણ બન્યા હતા. ‘ગુલઝારીલાલ નંદા : અ લાઇફ ઇન ધ સર્વિસ ઑફ પીપલ’ નામના પ્રેમિલા કાનનલિખિત જીવનચરિત્રમાં ગાંધીજી સાથેની નંદાની મુલાકાતનું વર્ણન છે. તેમણે પોતે પણ પાંચેક અંગ્રેજી પુસ્તકો લખેલાં છે. સાદગીની જીવંત મૂર્તિ તરીકે ગુલઝારીલાલ સદા સ્મરણમાં રહેશે.

Categories
વાચન સમૃદ્ધિ

સંવેદનામાં સંભળાય છે સર્જક-આત્માનો અવાજ

સાહિત્યકાર પાસે સંવેદનાની મૂડી હોય છે. એ પોતાની સંવેદનાને શબ્દનો આકાર આપતો હોય છે, એણે સંવેદનાને ઉચિત રીતે જાળવવી પડે છે. પરંતુ જો યોગ્ય માવજત કરે નહીં, તો એની સંવેદના કે એનું સત્ય વ્યાપક નહીં બને, પણ અન્યને વાગનારું બનશે. પ્રત્યેક માનવી પાસે સંવેદનાની મૂડી હોય છે, પરંતુ સાહિત્યકાર પાસે એને શબ્દરૂપ આપવાની શક્તિ હોય છે. પણ એ પોતાની સંવેદનાને અંગત સ્વાર્થ સાથે જોડી દેશે તો એ સંવેદના અહંકારવૃત્તિ બની જશે. આથી જ સાહિત્યકારે સમાજ વચ્ચે જીવવાની જરૂર એ માટે છે કે એ અન્યનાં સુખ-દુ:ખ, ઉલ્લાસ અને વિષાદ જેવા ભાવોને પામી શકે અને એ રીતે પોતાની સંવેદનાનો વિસ્તાર સાધી શકે. સંવેદનાની પણ જબરી ચાલબાજી હોય છે. કેટલાક સર્જક આવી સંવેદનાની થોડી મૂડી સાથે આવે છે અને પછી એ ખર્ચાઈ જતાં બેબાકળા બની જાય છે. એની એકાદી કૃતિ વખણાય છે, પછી સંવેદનાનો ખાલીપો અનુભવતા પોતાની સંવેદનાને જુદા જુદા વેશ પહેરાવીને પ્રગટ કરવા કોશિશ કરે છે અથવા તો એને ચબરાકિયાં અજમાવવાં પડે છે. સાચી સંવેદના વિનાના સર્જકો તુક્કાઓની રચના કરતા હોય છે અને એ તુક્કાઓમાં એમની કૃત્રિમતા દેખાયા વિના રહેતી નથી. આજનો સર્જક એની સંવેદનાનો વિસ્તાર સાધશે નહીં, તો એનું સાહિત્ય વધુ ને વધુ સંકુચિત બની જશે. એને સંવેદનાના નવા નવા પ્રદેશો શોધવાના છે. બે દાયકા પહેલાંની સમસ્યાઓ કાળગ્રસ્ત બની ગઈ હોય છે અને તેથી જ નવી નવી સંવેદનાઓ સાથે સર્જકે પનારો પાડવો જોઈએ. આ સંવેદના એ સર્જક-આત્માનો અવાજ છે.

Categories
વાચન સમૃદ્ધિ

કાન્તિલાલ મોહનલાલ મડિયા

જ. ૩ જુલાઈ, ૧૯૩૨ અ. ૧૫ માર્ચ, ૨૦૦૪

ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા, લેખક અને દિગ્દર્શક કાન્તિ મડિયાનો જન્મ લાઠીમાં. ગામમાં નાટકમંડળીઓ દ્વારા નાટકો ભજવાતાં. એ નાટકોની એમના પર અસર પડી. તેઓ શેરીમાં છોકરાંઓને ભેગા કરતા અને પોતે જોયેલા ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ નાટકો દસ-બાર વર્ષની ઉંમરે ભજવતા. પિતાનું અવસાન થતાં મુંબઈમાં મામાને ત્યાં આવ્યા. ૧૯૪૮માં મૅટ્રિક પાસ કરી ભવન્સ કૉલેજમાં દાખલ થયા. કૉલેજ દરમિયાન ‘ભૂતઘર’ એકાંકી ભજવ્યું. પછી કૉલેજના વાર્ષિકોત્સવમાં ‘સિલ્વરમૂનનો સ્વયંવર’ ભજવ્યું. ભારતીય વિદ્યાભવનના કલાકેન્દ્રની આંતરકૉલેજ સ્પર્ધામાં કૉલેજ દ્વારા ‘ગળેપડુ ગોકળદાસ’ નાટક રજૂ થયું. એ સ્પર્ધામાં એમને શ્રેષ્ઠ નટ તરીકેનું દ્વિતીય પારિતોષિક મળ્યું. એમણે ‘રાખનાં રમકડાં’ નાટકમાં ચન્દ્રવદન ભટ્ટના સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું અને એમાં ‘જ્યોતિષી’નું પાત્ર પણ ભજવ્યું. તેમણે અદી મર્ઝબાન સાથે ‘રંગમિલન’, ‘પીરોજા ભવન’, ‘મોટા દિલના મોટા બાવા’ જેવાં નાટકોમાં અભિનય કર્યો. ૧૯૬૭માં એમણે ‘નાટ્યસંપદા’ની સ્થાપના કરી અને અદ્યતન ટૅકનિક અને વૈવિધ્યપૂર્ણ સાંપ્રત વિષયવસ્તુવાળાં નાટકો ભજવ્યાં. એમાં ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘નોખી માટી ને નોખાં માનવી’, ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’, ‘અમે બરફનાં પંખી’, ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘બાણશય્યા’, ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’, ‘મહાનાયક’, ‘કાચિંડો’ જેવાં નાટકોનો સમાવેશ થાય છે. એમણે ૩૩ વર્ષમાં ૩૫ જેટલાં નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન એકલા હાથે કર્યું હતું, આથી તેઓ નાટ્યમંચના ‘વનમૅન આર્મી’ કહેવાતા. એમણે વિનોદિની નીલકંઠની વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’નું દિગ્દર્શન કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નાટ્યલેખન શિબિરો યોજ્યા હતા. ૧૯૮૦માં ‘કાવ્યસંપદા’ સ્થાપી અને તે દ્વારા ‘નૅશનલ સેન્ટર ફોર પર્ફૉર્મિંગ આર્ટ્સ’માં કાવ્યપઠનનું આયોજન પણ કર્યું હતું. તેમણે ‘માલગુડી ડેઝ’ના એક એપિસોડમાં અભિનય કર્યો હતો.