Categories
વાચન સમૃદ્ધિ

મિખાઇલ ગોર્બાચોવ

જ. 2 માર્ચ, 1931 અ. 30 ઑગસ્ટ, 2022

સોવિયત સંઘ(રશિયા, 1958-1991)ના સર્વોચ્ચ નેતા મિખાઇલ ગોર્બાચોવનો જન્મ કૉકેસસની ઉત્તરે એક ખેડૂતને ત્યાં થયો હતો. 16 વર્ષની વયે તેમણે ટ્રૅક્ટર પર કામ કરવા માંડ્યું. તે પછી 1950માં મૉસ્કો યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રના વિષયમાં સ્નાતક થયા. 1967માં પત્રવ્યવહાર દ્વારા કૃષિ-અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1955થી 1962ના ગાળામાં સામ્યવાદી પક્ષના યુવક મંડળ – કૉન્સોમોલમાં જોડાયા. ત્યારબાદ સામ્યવાદી પક્ષના સામાન્ય મંત્રી તરીકે વરણી પામ્યા. તેમણે રશિયાના રાજકારણ અને અર્થકારણમાં આમૂલ પરિવર્તન આણ્યું, જેની દૂરગામી અસરો વર્તાવા માંડી. આર્થિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા તથા કેન્દ્રીકરણ દૂર કરી બજારલક્ષી મુક્ત સાહસ પર આધારિત અર્થકારણ અપનાવવું તેમને જરૂરી લાગ્યું. વળી સર્વદેશીય નવવિધાન કરવું પણ આવશ્યક લાગ્યું. આ ઉદ્દેશો સિદ્ધ કરવા ગોર્બાચોવે બે સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા : નવગઠન (પેરેસ્ટ્રોઇકા) અને ખુલાવટ (ગ્લાસનોસ્ટ). પેરેસ્ટ્રોઇકા નવી રચના તથા સર્વદેશીય પરિવર્તન માટેનો અને ગ્લાસનોસ્ટ દ્વારા મુક્ત સમાજ ઊભો કરવાનો હેતુ હતો. યુદ્ધકીય વાતાવરણને શાંતિમાં પલટાવવા માટે તેમણે પૂર્વ યુરોપમાં વોર્સો કરારની રૂએ લશ્કરોમાં ઘટાડો કર્યો. રાજકીય ક્ષેત્રે પ્રમુખનું સર્વોપરી સ્થાન ગ્રહણ કર્યા બાદ તેમણે સમતુલનની નીતિ અપનાવી. તેમને એકીસાથે ઘરઆંગણાક્ષેત્રે, વિદેશના આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો. વૈશ્વિક ધોરણે શાંતિથી યુદ્ધ સમાપ્ત થયું. શસ્ત્રદોડ અટકી અને લશ્કરમાં તેમજ શસ્ત્રોમાં મોટે પાયે કાપની શરૂઆત થઈ. તેમના દ્વારા રશિયાનું જે નવસંસ્કરણ થયું તે મોટે ભાગે અફર હતું. ખુલાવટની નીતિના સ્વીકાર સાથે તેમનું કાર્ય પૂર્ણ થયું તેવું કહી શકાય, પરંતુ રશિયાનું વિઘટન, એ તેના જેવી મહાસત્તાની પડતી અને તેને કારણે દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ વગેરે તેમની નેતાગીરીની નબળી બાજુ દર્શાવે છે. તેમના સત્તાત્યાગની પ્રક્રિયા રક્તવિહીન રહી તે તેમની નીતિનો વિજય દર્શાવે છે. પલટાતા યુગનાં એંધાણ પારખી તેમણે જે પરિવર્તનો કર્યાં તેમાં તેઓ સફળ રહ્યા. 1990માં તેમને શાંતિનો નોબેલ પુરસ્કાર આપીને પશ્ચિમની દુનિયાએ તેમનું બહુમાન કર્યું.

Categories
વાચન સમૃદ્ધિ

અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલી ધરાવતી પ્રખ્યાત બૌદ્ધ ગુફાઓ.

ભારતીય ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત અજંતાની ગુફાઓમાં મળી આવેલાં ચિત્રોથી થાય છે એમ કહી શકાય. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી ૧૦૩ કિમી. અને જલગાંવ રેલવે-સ્ટેશનથી ૫૫ કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતાની ગુફાઓ બૌદ્ધોને લગતી છે. ‘અજંઠા’ નામના ગામ પાસે આ ગુફાઓ હોઈ એ નામે તે જાણીતી થઈ છે. બાઘોરા નદીના વહેળાની સામે પર્વતને કંડારીને અર્ધચંદ્રાકારે ૨૯ જેટલી ગુફાઓને કોતરી કાઢવામાં આવી છે. આ ગુફાઓ વર્ષો સુધી ઝાડીઝાંખરાંને કારણે ઢંકાયેલી અને અવાવરું રહી; પરંતુ આ ગુફાઓ શોધવાનું શ્રેય ઈ. સ. ૧૮૧૯માં મદ્રાસ સેનાના જનરલ જેમ્સને ફાળે જાય છે. તેમને અને તેમના સાથી સૈનિકોને આ ગુફાઓ અકસ્માતે જ મળી ગઈ હતી. આ ગુફાઓમાંથી ૧થી ૧૮ નંબરની ગુફાઓ દક્ષિણાભિમુખી અને બાકીની પૂર્વાભિમુખી છે. તેમાં ૯, ૧૦, ૧૯ અને ૨૬ નંબરની ગુફાઓ ચૈત્ય મંદિરરૂપ છે. અજંતાની બધી જ ગુફાઓમાં બૌદ્ધ પરંપરાની કળા જોવા મળે છે. તે ઈ. સ. પૂ. ૨૦૦થી ઈ. સ. ૬૫૦ દરમિયાન ત્રણ તબક્કે કંડારાયેલી છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલીનો અહીં ૮૦૦ વર્ષનો ઇતિહાસ રજૂ થયો છે. દૃશ્યકલાનાં ત્રણ સ્વરૂપ – સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાનો અહીં ત્રિવેણીસંગમ થયો છે. આ ગુફાઓમાંથી નં. ૧, ૨, ૧૬ અને ૧૭મી ગુફામાંનાં ચિત્રો ઉત્તમ ગણાય છે, જેમાંનાં ઘણાં જળવાઈ રહ્યાં છે. આ ગુફાઓમાં ભગવાન બુદ્ધના વિવિધ જીવન-પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગુફા નં. ૧નું બોધિસત્ત્વ(પદ્મપાણિ)નું ચિત્ર સર્વોત્તમ છે. હાથમાં નીલકમલ ધારણ કરીને ત્રિભંગમાં ઊભેલા બોધિસત્ત્વના મુખારવિંદ પર ચિંતન, મનોમંથન અને કરુણાના ભાવો અદ્ભુત રીતે અભિવ્યક્ત થયા છે. અજંતાની ગુફાનાં ચિત્રોની વિશેષતા એ છે કે ૮૦૦ વર્ષ સુધી આ ચિત્રકામ થયું હોવા છતાં તેના આલેખનમાં એકસૂત્રતા સચવાઈ છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળે આ ચિત્રોની પ્રતિકૃતિ કરીને તેનો ‘અજંતાના કલામંડપો’ નામે સંગ્રહ આપ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અજંતાની ગુફાઓ, પૃ. 14)

Categories
વાચન સમૃદ્ધિ

પી. એન. પણિક્કર

જ. 1 માર્ચ, 1909 અ. 19 જૂન, 1995

કેરળમાં પુસ્તકાલય ચળવળના પિતા પી. એન. પણિક્કરનું મૂળ નામ પુથુવાયિલ નારાયણ પણિક્કર હતું. તેમનો જન્મ ભારતના નીલમપેરૂર ખાતે પિતા ગોવિંદ પિલ્લઈ અને માતા જાનકી અમ્માને ત્યાં નાયર પરિવારમાં થયો હતો. પણિક્કરને વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચવાનો શોખ બાળપણથી જ હતો. વાંચી કે લખી શકતા ન હોય તેવા લોકોને તેઓ વાંચી સંભળાવતા. તેઓ શિક્ષક હતા અને સમાજ પર તેમનો પ્રભાવ હતો. 1926માં તેમણે તેમના વતનમાં સનાદનધર્મમ્ પુસ્તકાલય શરૂ કર્યું. 1945માં માત્ર 47 ગ્રામીણ પુસ્તકાલયોના પ્રારંભિક નેટવર્ક સાથે તેમણે તિરુવિથામકુર ગ્રંથશાળા સંઘમ્(ત્રાવણકોર પુસ્તકાલય સંગઠન)ની રચનાનું નેતૃત્વ કર્યું. સંગઠનનું સૂત્ર ‘વાંચો અને વધો’ (Read and Graw) હતું. પછીથી 1956માં કેરળ રાજ્યની રચના સાથે તે કેરળ ગ્રંથશાળા સંઘમ્ બન્યું. તેમણે કેરળનાં ગામડાંઓમાં પ્રવાસ કરીને વાંચનના મૂલ્યનો પ્રચાર કર્યો. તેમના 32 વર્ષના કાર્યકાળ દરમિયાન 6000 પુસ્તકાલયોને આ નેટવર્કમાં લાવવામાં તેઓ સફળ થયા. 1975માં ગ્રંથશાળા સંઘમને યુનેસ્કો તરફથી ‘કૃપ્સકાયા’ (Krupsakaya) ઍવૉર્ડ મળ્યો. 1977માં ગ્રંથશાળા સંઘમને રાજ્ય સરકારે પોતાના હસ્તક લેતાં તે કેરળ રાજ્ય પુસ્તકાલય પરિષદ બન્યું. તેઓ રાજકીય હસ્તક્ષેપનો ભોગ બનતાં તેમણે તેની પ્રતિક્રિયા રૂપે કેરળ ઍસોસિયેશન ફોર નૉન ફૉર્મલ એજ્યુકેશન ઍન્ડ ડેવલપમેન્ટ(KANFED)ની સ્થાપના કરી. આ સંસ્થાએ કેરળ રાજ્યમાં સાક્ષરતા મિશન શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જેના પરિણામે કેરળ સાર્વત્રિક સાક્ષરતા પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય બન્યું. પણિક્કરના અવસાન બાદ કેરળ સરકારે તેમના યોગદાન બદલ તેમની સ્મૃતિમાં 19 જૂનને રાષ્ટ્રીય વાંચનદિવસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. 19 જૂન, 1996થી કેરળમાં વાયનાદિનમ્ (વાંચનદિવસ) તરીકે તેમજ 19 જૂનથી 18 જુલાઈ સુધીના સમયગાળાને રાષ્ટ્રીય વાંચન મહિના તરીકે ઊજવવામાં આવે છે. 21 જૂન, 2004ના રોજ ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડીને તેમને સન્માન આપ્યું છે. 2010માં પી. એન. પણિક્કર ફાઉન્ડેશન દ્વારા તેમની જન્મશતાબ્દી મનાવવામાં આવી હતી. 2017માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂન, કેરળના વાંચનદિવસને ભારતમાં રાષ્ટ્રીય વાંચનદિવસ તરીકે જાહેર કર્યો હતો. 2024માં તેમનું જીવનચરિત્ર ‘ધ લાઇબ્રેરી મૅન ઑફ ઇન્ડિયા : ધ સ્ટોરી ઑફ પી. એન. પણિક્કર‘ નામે પ્રગટ થયું છે.