Categories
વાચન સમૃદ્ધિ

રમેશચંદ્ર મજુમદાર

જ. 4 નવેમ્બર, 1888 અ. 11 ફેબ્રુઆરી, 1980

ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી હતી. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ વિષય પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી  પ્રાપ્ત કરી હતી અને ત્યાં વ્યાખ્યાતા તરીકે કામ પણ કર્યું હતું. ત્યારબાદ ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને તે પછી ઉપકુલપતિ તરીકે સેવા બજાવી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ નાગપુર યુનિવર્સિટીની કૉલેજ ઑફ ઇન્ડોલૉજીના આચાર્ય તરીકે તેમણે યશસ્વી સેવા બજાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની શિકાગો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીએ તેમને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે નિમંત્ર્યા હતા. રમેશચંદ્ર મજુમદાર ભારતની અને વિદેશની ઇતિહાસવિષયક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. ઇન્ડિયન હિસ્ટ્રી કૉંગ્રેસ, ઑરિયેન્ટલ કૉન્ફરન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝના પ્રમુખ તરીકે તેમણે સફળ કામગીરી કરી હતી. તેઓ કૉલકાતાની એશિયાટિક સોસાયટી, ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટી તથા મુંબઈની એશિયાટિક સોસાયટીના માનાર્હ ફેલો હતા. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈના માનાર્હ અધ્યક્ષ અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના માનાર્હ સભ્ય હતા. ડૉ. રમેશચંદ્ર મજુમદારને ભારતની વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ-સંસ્થાઓએ વ્યાખ્યાનમાળાઓ આપવા આમંત્રણ આપ્યું હતું. તેમના ઇતિહાસને લગતા અનેક સંશોધન-લેખો દેશવિદેશનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા છે. ‘ધી અર્લી હિસ્ટ્રી ઑફ બૅંગોલ’ (1925) નામના લઘુગ્રંથમાં તેમણે ઉત્તર-વૈદિક કાળથી, પાલવંશનું શાસન સ્થપાતાં સુધીનો ઇતિહાસ આલેખ્યો છે. આ સિવાય તેમણે ‘હિંદુ કૉલોનિઝ ઇન ધ ફાર ઈસ્ટ’ (1944), ‘એશિયન્ટ ઇન્ડિયા’ (1952), ‘ધ ક્લાસિકલ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા’ (1960) જેવાં પુસ્તકો લખ્યાં છે. ઇતિહાસક્ષેત્રે કરેલા અમૂલ્ય પ્રદાનની કદર કરીને જાદવપુર યુનિવર્સિટી તથા કલકત્તા યુનિવર્સિટીએ તેમને ડિ.લિટ.ની માનાર્હ ઉપાધિ આપી હતી. કૉલકાતાની સંસ્કૃત કૉલેજ તરફથી તેમને ‘ભારતતત્ત્વભાસ્કર’નું બિરુદ અને મુંબઈની એશિયાટિક સોસાયટી તરફથી ‘કૅમ્પબેલ ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હરણ

ખરીવાળા પગવાળું, વાગોળનારું, એક સસ્તન પ્રાણી.

આ વન્ય પ્રાણી જંગલ, પર્વત તથા ઘાસિયાં મેદાનોમાં વસે છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા સિવાયના વિશ્વના અન્ય દેશોમાં તે જોવા મળે છે. હરણની આશરે ૫૩ જાતિઓ છે, જે વિવિધ કદ ધરાવે છે. ‘મૂસ’ (Moose) મોટામાં મોટા કદનું હરણ છે અને તે ઉત્તર અમેરિકા અને કૅનેડામાં વસે છે. નરમૂસ ૨.૩ મીટરની ઊંચાઈ તથા ૮૧૫ કિગ્રા. વજન ધરાવે છે. તેનાં શિંગડાં ૧.૪ મીટર પહોળાં અને ૨૭ કિગ્રા. વજન ધરાવે છે. જ્યારે પુડુ તે સૌથી નાના કદનું હરણ દક્ષિણ અમેરિકામાં વસે છે. તે ૩૦ સેમી. ઊંચું અને ૬.૮ કિગ્રા. વજન ધરાવે છે. હરણની અન્ય જાતોમાં રેન્ડિયર, રેડ ડિયર, હંગલ (કાશ્મીરી સાબર), સાબર, ચીતળ, ભસતું હરણ, કસ્તૂરીમૃગ વગેરેનો સમાવેશ થાય છે. નીલગાય, કાળિયાર, શિંકારા, ચતુ:શૃંગી વગેરે હરણની જાતિનાં પણ અલગ પ્રકારનાં મૃગો છે – તે ઘેટાં-બકરાં કે ગાય-ભેંસના સમૂહનાં (bowidas) પ્રાણીઓ છે. હરણની બે મુખ્ય જાતિઓ તેમનાં શિંગડાંથી અલગ પડે છે. તેમાં એક જાતનાં મૃગો, ખરી પડે તેવાં શાખા-વિભાજિત શિંગડાં ધરાવે છે. તેમનાં શિંગડાં ઉપર મખમલ જેવી રુવાંટીનું આચ્છાદન હોય છે, જ્યારે બીજી જાતનાં મૃગો શાખાવિહીન અને ખરે નહીં તેવાં શિંગડાં ધરાવે છે. તેમનું મૂળ અસ્થિ સાથે જોડાયેલું હોય છે. આવાં મૃગો ‘ઍન્ટિલોપ’ કહેવાય છે. તેમનાં શિંગડાં વળવાળાં અને અણીદાર હોય છે; દા. ત., કાળિયાર, શિંકારા વગેરે.

હરણ

હરણ લાંબા પગ, મોટી આંખો, સુંદર ત્વચા અને શિંગડાં ધરાવે છે. તેની શ્રવણશક્તિ અને ઘ્રાણશક્તિ ઘણી તીવ્ર હોય છે. શિંગડાં વડે નર માદાને મેળવવા માટે બીજા નર જોડે યુદ્ધ કરે છે. પોતાના રક્ષણ માટે પણ તે શિંગડાંનો ઉપયોગ કરે છે. માદાને શિંગડાં હોતાં નથી. હરણ ટોળામાં રહેવાનું પસંદ કરે છે. માદાઓ તેનાં બચ્ચાં સાથે સમૂહમાં રહે છે. તે જ્યારે નરની સરહદમાં પ્રવેશે છે ત્યારે નર આ જૂથનો વડો બની જાય છે. રામાયણમાં સીતાના હરણ માટે સુવર્ણમૃગનું રૂપ લઈ મારીચ રાક્ષસ તેને લલચાવે છે અને તેનો વધ કરવા રામને જવું પડે છે તે વાત જાણીતી છે. ઘણી બાળવાર્તાઓમાં હરણની વાત આવે છે. ‘હરણ’ અને ‘મૃગ’ શબ્દો એક જ અર્થમાં વપરાય છે, પરંતુ ‘Deer’ માટે ‘હરણ’ અને ‘ઍન્ટિલોપ’ માટે ‘મૃગ’ શબ્દ વપરાય તો ઇષ્ટ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરણ, પૃ. 116)

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત હોલકર

જ. 3 ડિસેમ્બર, 1776 અ. 28 ઑક્ટોબર, 1811

અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કરનાર ઇન્દોર રાજ્યના છઠ્ઠા હોલકર રાજા યશવંતરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના વડગાંવમાં થયો હતો. પિતા તુકોજીરાવ અને માતા યમુનાબાઈ. તેઓ ફારસી, મરાઠી અને ઉર્દૂ ભાષાના જાણકાર હતા. ગ્વાલિયરના રાજા દૌલતરાવ સિંધિયાએ યશવંતરાવના મોટા ભાઈ મલ્હારરાવની હત્યા કરી એ પછી એમણે પોતાના લોકોમાંથી વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે પોતાની સેના તૈયાર કરી. તેમણે શેવેલિયર ડુડ્રેનેકના નેતૃત્વની સેનાને હરાવી આથી અંગ્રેજોએ યશવંતરાવને હોલકરના વડા તરીકે સ્વીકાર્યા. 1802માં તેમણે પુણેના પેશ્વા અને સિંધિયાની સંયુક્ત સેનાને હરાવી. યુદ્ધ જીત્યા પછી પુણેના નાગરિકોને નુકસાન ન પહોંચાડવાનો આદેશ આપ્યો. તેમણે ભારતમાં અંગ્રેજોના વધતા સામ્રાજ્યને રોકવાના પ્રયત્નો કર્યા. નાગપુરના ભોસલે અને ગ્વાલિયરના સિંધિયા તેમની સાથે જોડાયા અને દગો કર્યો. તેમણે એકલા હાથે અંગ્રેજોની સેનાને હરાવી. 11 સપ્ટેમ્બર, 1804માં વેલેસ્લીએ લૉર્ડ લ્યુકને પત્ર લખ્યો કે જો યશવંતરાવને કાબૂમાં નહીં લેવામાં આવે, તો તે અન્ય રાજાઓ સાથે જોડાઈને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢશે. યશવંતરાવે 1804માં દિલ્હી પર હુમલો કર્યો. એક અઠવાડિયા સુધી ઘેરો કર્યો, પરંતુ સફળતા મળી નહીં. તેમની બહાદુરી માટે શાહઆલમે તેમને ‘મહારાજાધિરાજ રાજ રાજેશ્વર અલીજા બહાદુર’નું બિરુદ આપ્યું. સિંધિયા યશવંતરાવની બહાદુરી જોઈને તેમની સાથે જોડાતાં અંગ્રેજોની ચિંતા વધી. આથી અંગ્રેજોએ તેમની સાથે બિનશરતી સંધિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને યશવંતરાવે નકાર્યો. બધા શાસકોને એક કરવામાં નિષ્ફળતા મળતાં તેમણે 1805માં અંગ્રેજો સાથે સંધિ કરી. અંગ્રેજોએ તેમને સ્વતંત્ર શાસક તરીકે માન્ય રાખ્યા અને તેમના બધા પ્રદેશો પાછા આપ્યા. યશવંતરાવે ભાનપુરમાં દારૂગોળો બનાવવા કારખાનું નાંખ્યું. તેમણે દિવસ-રાત કામ કર્યું. તેમણે 200 જેટલી તોપોનું  ઉત્પાદન કરાવ્યું. તેમણે આખું જીવન દેશી રાજ્યોના રાજાઓને એક કરવા અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં વિતાવ્યું.