Categories
વાચન સમૃદ્ધિ

પુ. લ. દેશપાંડે

જ. 8 નવેમ્બર, 1919 અ. 12 જૂન, 2000

મરાઠી લેખક, અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને ગાયક પુરુષોત્તમ દેશપાંડેનો જન્મ મુંબઈમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા લક્ષ્મણ ત્ર્ યંબક દેશપાંડે અને માતા લક્ષ્મીબાઈ. મુંબઈના પાર્લેના ટિળક વિદ્યાલયમાં અભ્યાસ કરી ઇસ્માઈલ યુસુફ કૉલેજમાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતક થયા. પિતાનું અવસાન થતાં નોકરી શરૂ કરી સાથે નાટ્યકલાની તાલીમ મેળવી. તેમણે પટકથાઓ લખવાનું, અભિનય કરવાનું, ગાવાનું તેમજ સંગીતનિર્દેશનનું કામ કર્યું. એ પછી તેઓ અનુસ્નાતક થયા અને એલએલ.બી.ની પદવી મેળવી. પ્રારંભમાં મુંબઈની ઓરિએન્ટ હાઈસ્કૂલના શિક્ષક બન્યા પછી કર્ણાટકના બેલગામની રાણી પાર્વતી કૉલેજ અને મુંબઈની કીર્તિ કૉલેજમાં અધ્યાપન કર્યું. તેમણે આકાશવાણીના મુંબઈ, પુણે અને દિલ્હી કેન્દ્રમાં સેવા આપી. યુનેસ્કોની શિષ્યવૃત્તિ મેળવી ટેલિવિઝન અને પ્રસારણના અભ્યાસ માટે બીબીસી લંડન ગયા. પાછા આવ્યા પછી આકાશવાણી, મુંબઈમાં નાટ્ય વિભાગના અધ્યક્ષ બન્યા. તેમણે 1943માં લેખનની શરૂઆત કરી. ‘ખોગીર ભરતી’થી તેઓ હાસ્યલેખક તરીકે જાણીતા થયા. એમણે એકપાત્રીય નાટકો લખ્યાં અને ભજવ્યાં. ‘બટાટ્યાચી ચાળ’ નાટક ભારતભરમાં ભજવ્યું હતું. તેમણે મૌલિક નાટકોની સાથે વિદેશી નાટકોનાં રૂપાંતર પણ કર્યાં છે. એમનાં નાટકો ભારતની અનેક ભાષાઓમાં ભજવાયાં છે. એમનાં પુસ્તકોના અનુવાદ કન્નડ, ગુજરાતી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં થયા છે. 1965માં નાંદેડ ખાતે યોજાયેલ અખિલ ભારતીય મરાઠી નાટ્યસંમેલનમાં તેઓ પ્રમુખ હતા અને 1974માં ઇચલકરંજીમાં યોજાયેલ અખિલ ભારતીય સુવર્ણ મહોત્સવી મરાઠી સાહિત્ય સંમેલનના તેઓ અધ્યક્ષ હતા. તેમણે આપેલાં પદાર્પણ બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર (1965), પદ્મશ્રી (1966), સંગીત નાટક અકાદમી પુરસ્કાર (1967), કાલિદાસ સન્માન (1987-88), બાળગંધર્વ સ્મૃતિ માનચિહ્ન (1988), રામ ગણેશ ગડકરી પુરસ્કાર (1989), પદ્મભૂષણ અને મહારાષ્ટ્ર ગૌરવ સન્માન (1990), ગરિમા પુરસ્કાર (1993), મહારાષ્ટ્રભૂષણ (1996) મુખ્ય છે. ત્રણ યુનિવર્સિટીઓએ તેમને માનદ ડૉક્ટર ઑવ્ લિટરેચરની પદવી આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ડોમિનિકા

: કૅરિબિયન સમુદ્રમાંનો એક નાનો  ટાપુ અને સ્વતંત્ર દેશ.

ભૌગોલિક સ્થાન : 15O 30´ ઉ. અ. અને 61O 20´ પ. રે.. વેનેઝુએલાના કિનારાથી 515 કિમી. અંતરે તે આવેલો છે. એક જમાનામાં બ્રિટનનું રક્ષિત રાજ્ય હતું. ડોમિનિકા ટાપુ એ જ્વાળામુખી પર્વતોની બનેલી પહાડી ભૂમિ પર આવેલ છે. આ પર્વતમાળા જંગલોથી છવાયેલી અને ઉત્તરથી દક્ષિણ તરફ પથરાયેલી છે, જે મોરને ડાયબ્લોટીન (આશરે 1447 મી) પાસે પૂરી થાય છે. આ વિસ્તારમાં પશ્ચિમે વહેતી તેઓયુ નદી તેમજ પૂર્વમાં વહેતી પગુઆ અને કેસેલબ્રુસ નદીઓ આવેલી  છે.  આ ટાપુનું ક્ષેત્રફળ 790 ચોકિમી. છે. તેની વસ્તી 72,412 (2021) છે. આ દેશનું પાટનગર રોઝીઉ છે. ડોમિનિકામાં  આવેલા જ્વાળામુખી પર્વતો લગભગ મૃત કે સુષુપ્ત અવસ્થામાં છે, પણ ટાપુની દક્ષિણે આવેલું ગરમ પાણીનું સરોવર અને ગરમ પાણીના ઝરા એ વાતની સાક્ષી પૂરે છે કે આ ટાપુ પર જ્વાળામુખીય અસરો હજુ પણ ચાલુ છે. ટાપુ પર જ્વાળામુખીયુક્ત ભૂપૃષ્ઠ હોવાને કારણે જમીન ફળદ્રુપ છે અને ગાઢાં ઉષ્ણકટિબંધી જંગલો વિપુલ પ્રમાણમાં આવેલાં છે.

કેળાંની ખેતી

ટાપુ પર પક્ષીજીવન ઘણું સમૃદ્ધ છે. 135 જાતનાં વિવિધ પક્ષીઓ તેના પર જોવા મળે છે; જેમાં પોપટ, ભૂરા માથાવાળાં હમિંગબર્ડ, ટ્રેમ્બલર, ઇગ્વાના, ઓપોસમ, અગુતી અને ચામાચીડિયાં વગેરેનો સમાવેશ થાય છે. ડોમિનિકાનો મુખ્ય પાક કેળાં છે, જેની બહારના દેશોમાં મોટે પાયે નિકાસ થાય છે. આ ઉપરાંત ખેડૂતો ગ્રેપફ્રૂટ, લીંબું, સંતરાં અને શાકભાજીની ખેતી કરે છે. નારિયેળ એ અહીંનું મહત્ત્વનું ફળ છે. તેથી કોપરાં, કોપરેલ અને સાબુના ઉદ્યોગો વિકસ્યા છે. ડોમિનિકાનું સમૃદ્ધ પર્યાવરણ અને શાંત આબોહવાને કારણે ટાપુ પર પર્યટન-ઉદ્યોગને વિકસાવવાની ઘણી શક્યતાઓ છે. ટાપુ પર કલુષિત થયા વગરના વિશાળ વિસ્તાર તેના અદ્ભુત કિનારા અને નૌકાવિહાર અને માછીમારીની સગવડને લીધે સહેલાણીઓને આકર્ષિત કરે છે. એ જ રીતે 1975માં બનાવેલો નૅશનલ પાર્ક પણ પર્યટકોને માટે મહત્ત્વનું સ્થાન છે. ઇતિહાસ : ડોમિનિકાનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે. આ બંધારણ 3 નવેમ્બર, 1978માં દેશના સ્વતંત્રતાના દિવસે અમલમાં આવેલું છે. તે દિવસથી ડોમિનિકા ગણરાજ્ય બન્યું. તે સંસદીય લોકશાહી ધરાવે છે. રાષ્ટ્રસમૂહ(કૉમનવેલ્થ)નું સભ્ય ઉપરાંત તે સંયુક્ત રાષ્ટ્રો, અમેરિકન રાજ્યોના મંડળનું અને કૅરિબિયન કૉમ્યુનિટીનું સભ્યપદ ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડોમિનિકા, પૃ. 601 અથવા જુઓ https://gujarativishwakosh.org/ડોમિનિકા/)

Categories
વાચન સમૃદ્ધિ

મેરી ક્યુરી

જ. 7 નવેમ્બર, 1867 અ. 4 જુલાઈ, 1934

રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ પોલિશ-ફ્રેન્ચ મહિલાવિજ્ઞાની. તેમનું મૂળ નામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. નાનપણથી જ ભણવામાં ખૂબ રસ તેથી હંમેશાં પુસ્તકો સાથે જ રાખતાં. નાની વયે જ માતાના અવસાનથી ઘણો આઘાત લાગ્યો પણ જિમ્નેસિયમ સેકન્ડરી સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ પૂરો કરી 12 જૂન, 1883માં ગોલ્ડ મેડલ સાથે હાઈસ્કૂલ ગ્રૅજ્યુએટ થયાં. પિતાના માથેથી આર્થિક બોજો હળવો કરવા ગવર્નેસ અને શિક્ષિકા તરીકે કામ કર્યું. પિતા પાસેથી વિજ્ઞાનના વિષયનો રસ મેળવ્યો હોવાથી 1891માં વોર્સો છોડી પૅરિસની સોરબોન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. આર્થિક મર્યાદાઓને લીધે દિવસે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને રાત્રે ભંડકિયામાં પૂરતાં ગરમ કપડાં વગર પણ પરીક્ષાની તૈયારી કરતાં. આમ છતાં 1893માં ગણિતશાસ્ત્રમાં અને 1894માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયાં. 1895ના વર્ષમાં ભૌતિકશાસ્ત્રી પિયેર ક્યુરી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ત્યારબાદ પૅરિસની સ્કૂલ ઑફ ફિઝિક્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં ડૉક્ટરેટની ઉપાધિ માટેનું સંશોધનકાર્ય કરી મહાનિબંધ લખી મેરી ક્યુરીને ડૉક્ટરેટની ઉપાધિ મળી. 1903માં  ક્યુરી દંપતીને બૅકરલની સાથે પદાર્થ વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું. બીજા જ વર્ષે સોરબોન યુનિવર્સિટીમાં પિયેરની પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ થઈ અને મેરી તેમનાં સહાયક બન્યાં. 19 એપ્રિલ, 1906માં માર્ગ પર ટ્રક-અકસ્માતમાં પિયેરનું અવસાન થયું. પતિના અવસાન બાદ મેરી વ્યાખ્યાતા તથા પ્રયોગશાળાનાં ઉપરી બન્યાં અને સોરબોન યુનિવર્સિટીમાં પ્રથમ મહિલાવ્યાખ્યાતા બન્યાં. કાચી ધાતુમાંથી શુદ્ધ રેડિયમને અલગ કરવા માટે 1911માં રસાયણશાસ્ત્રમાં બીજું નોબેલ  પારિતોષિક મળ્યું. આમ બે જુદા જુદા વિષયોમાં નોબેલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં. તેમણે શોધેલાં બે નવાં રેડિયોઍક્ટિવ તત્ત્વો પૈકી એકનું નામ મેરી ક્યુરીના વતન પોલૅન્ડ પરથી પોલોનિયમ અને બીજાને રેડિયમ નામ આપ્યું. તેમણે પોતાનું શેષ જીવન રેડિયોઍક્ટિવ પદાર્થો અને તેના તબીબી ઉપયોગના સંશોધન પાછળ ગાળ્યું. 1932માં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી, જે આજે ન્યુક્લિયર ફિઝિક્સ માટેનું અગત્યનું કેન્દ્ર છે. આજે પણ ‘રેડિયમ થૅરપી’ કૅન્સરના રોગ માટે અગત્યની સારવાર ગણાય છે. લાંબા સમય સુધી શરીર પર રેડિયોઍક્ટિવ વિકિરણોનું ઉદ્ભાસન થવાથી તેઓ લ્યૂકેમિયાના દર્દથી અવસાન પામ્યાં.