Categories
વાચન સમૃદ્ધિ

યશવંત હોલકર

જ. 3 ડિસેમ્બર, 1776 અ. 28 ઑક્ટોબર, 1811

અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કરનાર ઇન્દોર રાજ્યના છઠ્ઠા હોલકર રાજા યશવંતરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના વડગાંવમાં થયો હતો. પિતા તુકોજીરાવ અને માતા યમુનાબાઈ. તેઓ ફારસી, મરાઠી અને ઉર્દૂ ભાષાના જાણકાર હતા. ગ્વાલિયરના રાજા દૌલતરાવ સિંધિયાએ યશવંતરાવના મોટા ભાઈ મલ્હારરાવની હત્યા કરી એ પછી એમણે પોતાના લોકોમાંથી વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે પોતાની સેના તૈયાર કરી. તેમણે શેવેલિયર ડુડ્રેનેકના નેતૃત્વની સેનાને હરાવી આથી અંગ્રેજોએ યશવંતરાવને હોલકરના વડા તરીકે સ્વીકાર્યા. 1802માં તેમણે પુણેના પેશ્વા અને સિંધિયાની સંયુક્ત સેનાને હરાવી. યુદ્ધ જીત્યા પછી પુણેના નાગરિકોને નુકસાન ન પહોંચાડવાનો આદેશ આપ્યો. તેમણે ભારતમાં અંગ્રેજોના વધતા સામ્રાજ્યને રોકવાના પ્રયત્નો કર્યા. નાગપુરના ભોસલે અને ગ્વાલિયરના સિંધિયા તેમની સાથે જોડાયા અને દગો કર્યો. તેમણે એકલા હાથે અંગ્રેજોની સેનાને હરાવી. 11 સપ્ટેમ્બર, 1804માં વેલેસ્લીએ લૉર્ડ લ્યુકને પત્ર લખ્યો કે જો યશવંતરાવને કાબૂમાં નહીં લેવામાં આવે, તો તે અન્ય રાજાઓ સાથે જોડાઈને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢશે. યશવંતરાવે 1804માં દિલ્હી પર હુમલો કર્યો. એક અઠવાડિયા સુધી ઘેરો કર્યો, પરંતુ સફળતા મળી નહીં. તેમની બહાદુરી માટે શાહઆલમે તેમને ‘મહારાજાધિરાજ રાજ રાજેશ્વર અલીજા બહાદુર’નું બિરુદ આપ્યું. સિંધિયા યશવંતરાવની બહાદુરી જોઈને તેમની સાથે જોડાતાં અંગ્રેજોની ચિંતા વધી. આથી અંગ્રેજોએ તેમની સાથે બિનશરતી સંધિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને યશવંતરાવે નકાર્યો. બધા શાસકોને એક કરવામાં નિષ્ફળતા મળતાં તેમણે 1805માં અંગ્રેજો સાથે સંધિ કરી. અંગ્રેજોએ તેમને સ્વતંત્ર શાસક તરીકે માન્ય રાખ્યા અને તેમના બધા પ્રદેશો પાછા આપ્યા. યશવંતરાવે ભાનપુરમાં દારૂગોળો બનાવવા કારખાનું નાંખ્યું. તેમણે દિવસ-રાત કામ કર્યું. તેમણે 200 જેટલી તોપોનું  ઉત્પાદન કરાવ્યું. તેમણે આખું જીવન દેશી રાજ્યોના રાજાઓને એક કરવા અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં વિતાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

આપણી પીડાનો આપણને સંદેશ

તમે માનસિક રીતે હતાશા અનુભવો છો ? શરીરનો મેદ એટલો બધો વધી ગયો છે કે સાંધામાં પારાવાર દુઃખાવો થાય છે ? કુટુંબજીવનમાં ચાલતા ક્લેશથી વારંવાર લાગણીમય આઘાતો અનુભવવા પડે છે ? જીવનમાં વ્યક્તિ માનસિક, શારીરિક કે લાગણીમય પીડા અનુભવે છે, ત્યારે એ પોતાની પીડાને માથે લઈને ફર્યા કરે છે અને સતત એનાં જ ગીત ગાયા કરે છે. બીજી બધી બાબતો ભૂલીને પોતાની પીડાના વિચારને સતત ખંજવાળ્યા કરે છે. પરિણામે જીવનની પ્રત્યેક પીડામાં રહેલો સંદેશ એ પામી શકતો નથી. એ પીડા એને સાચી સલાહનો જે પુરસ્કાર આપે છે, તે પ્રાપ્ત કરી શકતો નથી. દરેક પીડા વખતે મન એમ વિચારે છે કે ‘આમ કર્યું હોત, તો આ ન થયું હોત. જીવનમાં સાચી સમજણ કેળવી હોત, તો હતાશા આવી ન હોત. ગુટકાના વ્યસનીઓ સમય જતાં થતી પીડાથી જ્યારે પરેશાન થાય, ત્યારે ગુટકાને દોષ આપે છે. શરીરની નબળાઈની ફરિયાદ કરે છે. ભૂખ લાગતી નથી, કહી વસવસો કરે છે, પણ વ્યસનના પ્રારંભકાળે જાગ્યો નહીં, તે એને યાદ આવતું નથી. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ખોરાક પર લક્ષ કેન્દ્રિત કરીને આરોગ્યનું ધ્યાન રાખ્યું હોત, તો સ્થૂળ કાયાને પરિણામે થયેલો સાંધાનો દુઃખાવો ન થયો હોત. નાની નાની તુચ્છ બાબતોને ભૂલીને સહુની સાથે પ્રેમથી વ્યવહાર કર્યો હોત તો આટલો મોટો કુટુંબક્લેશ થયો ન હોત. પ્રત્યેક પીડા મનને સતત એની ભૂલ બતાવે છે. પોતાની ભૂલનો એ વસવસો કરે છે અને પીડામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે, પરંતુ દરેક પીડાનો એક બીજો સંદેશ છે અને તે છે પીડામુક્ત બનવાનો. પીડાનો એ સંદેશ કાન દઈને સાંભળવો જોઈએ. તમારી પીડા કહે છે કે મનની હતાશા ખંખેરી નાખો, શરીરના આરોગ્યને પ્રાથમિકતા આપો અને કુટુંબમાં સ્નેહનું વાતાવરણ સર્જો.

Categories
વાચન સમૃદ્ધિ

બોમ્બી રેડ્ડી નાગી રેડ્ડી

જ. 2 ડિસેમ્બર, 1912 અ. 25 ફેબ્રુઆરી, 2004

હિન્દી અને તેલુગુ ફિલ્મોના નિર્માતા અને પ્રકાશક બી. નાગી રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના પોટ્ટિપાડુ ગામમાં થયો હતો. બાળપણમાં તેમનો ઉછેર તેમનાં નાના-નાની દ્વારા થયો હતો. તેમને બાળપણથી જ કલા પ્રત્યે લગાવ હતો. તેમણે  ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ ફાઇન આર્ટસમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ચેન્નાઈમાં વિજયાવાહિણી સ્ટુડિયોની સ્થાપના કરી, જે એ વખતનો એશિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો હતો. તેમણે અલુરી ચકપાણી સાથે મળીને ચાર દાયકામાં ચાર દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દીમાં પચાસથી વધુ ફિલ્મો બનાવી. પૌરાણિક અને ઐતિહાસિક કથાવસ્તુઓ એ તેમની ફિલ્મોની વિશેષતા હતી. તેઓ ‘આંધ્રજ્યોતિ’ અને ‘ધ હેરિટેજ’ સામયિકોના પ્રકાશક હતા. તેમણે 1947માં બાળકોનું સામયિક ‘ચાંદામામા’ની શરૂઆત કરી. આ સામયિક ભારતની બાર ભાષાઓમાં પ્રગટ થાય છે. તેમણે 1972માં વિજયા મેડિકલ ઍન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા મલ્ટિસ્પેશિયાલિટી વિજયા હૉસ્પિટલ શરૂ કરી. તેમણે બે વખત ફિલ્મ ફેડરેશન ઑવ્ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. તેમણે ચાર ટર્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ચેમ્બર ઑવ્ કૉમર્સ અને બે ટર્મ ઑલ ઇન્ડિયા ફિલ્મ સંમેલનના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેઓ 1980થી 1983 સુધી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ હતા. તેમણે ‘મિસ્સામ્મા’, ‘માયા બજાર’, ‘પૈગામ’, ‘ગુંડમ્મા કથા’, ‘રામ ઔર શ્યામ’, ‘સ્વર્ગનરક’, ‘યહી હૈ જિંદગી’, ‘જુલી’, ‘સ્વયંવર’ જેવી નોંધપાત્ર અને યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ‘મદુવે મદીનોડુ’ ફિલ્મ માટે કન્નડમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ તથા ‘માયાબજાર’ અને ‘ગુંડમ્મા કથા’ ફિલ્મ માટે તેલુગુ ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. 1986માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1972 તમિળનાડુ સરકારે ક્લાઈમામણિ પુરસ્કાર અને 1987માં આંધ્રપ્રદેશ સરકારે રઘુપતિ વેંકૈયા પુરસ્કારથી તેમને નવાજ્યા હતા. શ્રી કૃષ્ણદેવરાય યુનિવર્સિટી અને શ્રી વેંકેટેશ્વર યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. તેમની સ્મૃતિમાં 23 ફેબ્રુઆરી, 2018ના રોજ ભારતીય ટપાલખાતાએ પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.