Categories
વાચન સમૃદ્ધિ

ભોગીલાલ ગાંધી

જ. ૨૬ જાન્યુઆરી, ૧૯૧૧ અ. ૧૦ જૂન, ૨૦૦૧

અગ્રણી સ્વાતંત્ર્યસેનાની તથા સાહિત્યકાર ભોગીલાલ ગાંધીનું ઉપનામ ‘ઉપવાસી’ હતું. જન્મ મોડાસામાં પણ અમદાવાદ, મુંબઈ અને ભરૂચમાં પ્રારંભિક શિક્ષણ મેળવી ૧૯૩૦માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય હોવાથી જેલવાસ વેઠ્યો અને તે દરમિયાન માર્કસવાદી સાહિત્યથી આકર્ષાઈ ૧૯૪૦માં સામ્યવાદી પક્ષમાં જોડાયા. સ્વરાજ પછી સામ્યવાદી પક્ષની નવી નીતિના સંદર્ભમાં અઢાર માસનો જેલવાસ થયો. ત્યારબાદ વૈચારિક મૂલ્યાંકન બાદ ૧૯૫૬માં પક્ષમાંથી રાજીનામું આપ્યું પછી જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે જોડાયા. ગુજરાતમાં જનતા મોરચાની રચનામાં તથા કટોકટી સામેના લોકસંઘર્ષમાં તેમણે ૧૯૭૪-૭૭માં અગ્રભૂમિકા ભજવી હતી. ૧૯૫૮ના આરંભમાં અમદાવાદ-મુંબઈમાં પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન કરી ગુજરાતી પ્રકાશનોનું સંપાદન-સંકલન કર્યું. તેમણે ‘વિશ્વમાનવ’ સામયિક તથા સરદાર પટેલ યુનિવર્સિટી સંયોજિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના પ્રથમ સત્તાવીસ ગ્રંથો(૧૯૬૭-૧૯૯૦)નું સંપાદન કર્યું હતું. તેઓ ‘ઉપવાસી’ ઉપનામ હેઠળ લેખનકાર્ય કરતા. એમનાં મૌલિક પુસ્તકોમાં પ્રવાસકથા ‘મહાબળેશ્વર’ (૧૯૩૮); જીવનચરિત્રોમાં ‘પ્રા. કર્વે’, ‘રાજગોપાલાચારી’, ‘મહામાનવ રોમાં રોલાં’ (૧૯૫૮) અને ‘પુરુષાર્થની પ્રતિભા’(૧૯૩૯-૮૦)નો સમાવેશ થાય છે. તેમનો કાવ્યસંગ્રહ ‘સાધના’ (૧૯૪૩) અને વાર્તાસંગ્રહ ‘પરાજિત પ્રેમ’ (૧૯૫૭) અને ‘લતા’ (૧૯૬૭). અમુક અપવાદો બાદ કરતાં તેમણે મુખ્યત્વે સ્વાધ્યાયલક્ષી લેખન કર્યું છે. ‘સોવિયેટ રશિયા’ (૧૯૪૭), ‘સામ્યવાદ’ (૧૯૪૮), ‘રશિયાની કાયાપલટ’ (૧૯૫૯), ‘અદ્યતન સોવિયેત સાહિત્ય’ (૧૯૬૪), ‘મહર્ષિ ટૉલ્સ્ટૉય’ (૧૯૮૩) જેવાં પુસ્તકો સાથે સાથે સમીક્ષા પુસ્તકો ‘ઇન્દિરાજી કયા માર્ગે’ (૧૯૬૯), ‘ચમત્કારોનું મનોવિજ્ઞાન’ (૧૯૮૨) જેવા પરામનોવૈજ્ઞાનિક લેખો તથા ‘ઇસ્લામ – ઉદય અને અસ્ત’ (૧૯૮૪) જેવી લેખમાળાનું સંકલન પણ કર્યું છે. તેમજ બંગાળના ઉત્તમ સાહિત્યકારો શરદબાબુ, રવીન્દ્રનાથ વગેરેનાં લખાણોના અનુવાદ પણ કર્યા છે. દેવદાસનો અનુવાદ પણ તેમણે કરેલો. ૧૯૭૦માં લખેલા ‘મિતાક્ષર’ તેમનો સાંસ્કૃતિક અભ્યાસલેખ તથા ‘પાથેય’ ૧૯૭૨માં લખેલ વિચારમંથનનો લેખ છે. તેમના આવા પ્રદાનની કદર રૂપે ૨૦૧૧માં તેમની યાદમાં ‘ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ’ બહાર પાડવામાં આવ્યો હતો.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

જિબુટી (Djibouti)

જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન ૧૧° ૩૬´ ઉ. અ. અને ૪૩ ૦૯´ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (૧૯૭૭) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર 23,000 ચોકિમી. તથા વસ્તી 10,66,809 (૨૦24 અંદાજ) છે. વસ્તીમાં 60% સોમાલી મૂળના ઇસા, 35% ઇથિયોપિયાના મૂળના અફાર તથા 5 % અન્ય છે. ૯૪% લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. વસ્તીના H લોકો નગર વિસ્તારમાં તથા 3 ગ્રામીણ વિસ્તારમાં રહે છે. વસ્તીની ગીચતા ૧૮ પ્રતિ ચોકિમી. છે. અત્યંત ગરમ હવામાન ધરાવતા આ દેશમાં જાન્યુઆરીમાં ૨૮.૭ સે. તથા જુલાઈમાં ૪૩.૪ સે. તાપમાન રહે છે. દરિયાકિનારાના પ્રદેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૫ મિમી. તથા મેદાની વિસ્તારમાં ૫૦૦ મિમી. પડે છે. મુખ્ય ભાષા અરબી છે. થોડા પ્રમાણમાં ફ્રેંચ અને કુથિટિક ભાષાઓ બોલાય છે. દેશના કુલ વિસ્તારમાંથી ૬૦% વિસ્તારની જમીન સૂકી, નિર્જન, બિનઉપજાઉ અને ઉજ્જડ છે તથા ૮૯% વિસ્તાર રણથી છવાયેલો છે. ૯% ભૂમિ પર ઘાસ ઊગે છે. કુલ વસ્તીમાંથી ૫૦% લોકો વિચરતી જાતિના છે, જે ઘેટાં, બકરાં કે ઊંટ જેવાં પ્રાણીઓના ઉછેરમાં રોકાયેલા છે. રણપ્રદેશ અને સૂકી જમીનને લીધે ખેતી તથા ઉદ્યોગોના વિકાસની શક્યતાઓ નહિવત્ છે. દેશનું અર્થતંત્ર મોટા ભાગે વ્યાપાર અને વાણિજ્ય પર નભે છે. જિબુટી બંદર મારફત તથા વ્યાપારમાંથી પ્રાપ્ત થતી આવક એ જ દેશની આંતરિક આવકનો મુખ્ય સ્રોત છે. માથાદીઠ આવક ૨,૮૦૦ (વર્ષ ૨૦૧૦) અમેરિકન ડૉલર હતી. કાચી રાષ્ટ્રીય પેદાશમાં ખેતી અને ખેતીજન્ય વ્યવસાયોનો ફાળો માત્ર ૫% છે. કૉફી, મીઠું, ચામડું અને કઠોળ દેશની મુખ્ય નિકાસો તથા યંત્રો, કાપડ અને ખાદ્ય પદાર્થો એ મુખ્ય આયાતો છે. અંબુલી નદી પર પીવાના પાણીનો આધાર છે. આવકમાં ઉદ્યોગોનો ફાળો ૧૫% છે. બાકીના ૮૦% સેવા વ્યવસાયો પર આધાર રાખે છે.

જિબુટી બંદર

જિબુટી દેશનું પાટનગર છે. તે બંદર હોવા ઉપરાંત દેશનું મોટામાં મોટું શહેર છે. આફ્રિકાના ઈશાન કિનારા પર તાજુરા ઉપસાગરમાં એડનના અખાતના વાયવ્ય છેડા પર આવેલું છે. એડન શહેરથી ૨૪૦ કિમી. અંતરે છે. બાબ-અલ-માન્ડેબ સામુદ્રધુનીના મુખ પર વસેલું હોવાથી લશ્કરી દૃષ્ટિએ મહત્ત્વનું થાણું છે. ઇથિયોપિયાનો સમગ્ર વ્યાપાર આ બંદર મારફત થાય છે. પશ્ચિમ એશિયાના પ્રદેશો તથા પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોની મિશ્ર વસ્તી ત્યાં વસે છે. નગરનું અર્થતંત્ર બંદરની આવક પર નભે છે. નગરની વસ્તી 7,76,966 (૨૦24 અંદાજ). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેંચોએ આ પ્રદેશ પર પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કર્યું. ૧૯૬૭માં લેવાયેલ સર્વમતસંગ્રહમાં બહુમતી મતદારોએ ફ્રેંચ શાસન હેઠળ ચાલુ રહેવાની સંમતિ આપી, પરંતુ ૧૯૭૭માં દેશને સ્વતંત્ર ઘોષિત કરાયો. ત્યારથી ત્યાં પ્રજાસત્તાક પ્રણાલીએ શાસન ચાલે છે. ૧૯૯૪માં રાષ્ટ્રીય સંયુક્ત જોડાણ ધરાવતી સરકાર સ્થપાઈ. રાષ્ટ્રીય લોકપૃચ્છા (રેફરન્ડમ) પછી ૪ સપ્ટેમ્બર, ૧૯૯૨માં નવું બંધારણ માન્ય રાખવામાં આવ્યું. પ્રમુખ છ વર્ષ માટે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે. સંસદ એકગૃહી છે, પાંચ વર્ષની મુદત ધરાવે છે જે (ઉપરના લખાણનું અનુસંધાન) ‘ચેમ્બર ઑવ્ ડૅપ્યુટીઝ’ નામથી ઓળખાય છે અને ૬૫ સભ્યોથી રચાય છે. દેશના બે મુખ્ય સમુદાયો – ઇસા અને અફાર વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે, તેને કારણે દેશને રાજકીય સ્થિરતા પ્રાપ્ત થતી નથી. વીસમી સદીના નવમા દાયકામાં ઇથિયોપિયામાંથી આ દેશમાં દાખલ થયેલા હજારો શરણાર્થીઓએ દેશ માટે મોટી સમસ્યા ઊભી કરી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

રમાબાઈ રાનડે

જ. ૨૫ જાન્યુઆરી, ૧૮૬૩ અ. ૨૫ જાન્યુઆરી, ૧૯૨૪

૧૯મી સદીનાં પ્રથમ મહિલા અધિકાર કાર્યકર્તા અને સમાજસુધારક તરીકે જાણીતાં રમાબાઈ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના દેવરાષ્ટ્રે નામના ગામમાં થયો હતો. એ દિવસોમાં સ્ત્રીશિક્ષણ નિષેધ હોવાના કારણે તેમના પિતાએ તેમને અક્ષરજ્ઞાન આપેલું જ નહીં. ૧૮૭૩માં ૧૦ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને સમાજસુધારક એવા મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં હતાં. પરિવારના વિરોધ વચ્ચે પણ રમાબાઈને તેમના પતિએ શિક્ષિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પતિના મજબૂત સમર્થન અને દૂરંદેશિતાથી રમાબાઈએ પોતાનું સમગ્ર જીવન મહિલાઓની આત્મનિર્ભરતા માટે સમર્પિત કરી દીધું હતું. યુવા રમાબાઈને જસ્ટિસ રાનડેએ મરાઠી, અંગ્રેજી, ગણિત, ભૂગોળ અને ઇતિહાસ જેવા વિષયોનું વાંચન અને લેખન શીખવ્યું હતું. તેમણે રમાબાઈને વર્તમાનપત્રોના નિયમિત વાંચન દ્વારા સમસામયિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની પ્રેરણા આપી હતી. રમાબાઈનું મહત્ત્વનું સાહિત્યિક યોગદાન મરાઠીમાં લખાયેલી તેમની આત્મકથા ‘અમચ્યા આયુષતિલ આથવાણી’ છે. જેમાં તેમણે તેમના સાંસારિક જીવનનું વિગતે આલેખન કર્યું છે. તેમણે જસ્ટિસ રાનડેના ધર્મસંબંધિત વ્યાખ્યાનોનો એક સંગ્રહ પણ પ્રકાશિત કર્યો હતો. રમાબાઈએ નાશિક હાઈસ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સાર્વજનિક કાર્યક્રમમાં પ્રથમ વ્યાખ્યાન આપ્યું હતું. મુંબઈમાં પ્રાર્થના સમાજની શાખામાં જોડાયાં બાદ તેમણે આર્ય મહિલા સમાજની શાખા પણ શરૂ કરી હતી. ૧૮૯૩થી ૧૯૦૧ દરમિયાન તેમની સામાજિક પ્રવૃત્તિઓ ચરમસીમા પર રહી હતી. ૧૯૦૧માં રમાબાઈ મુંબઈ છોડી પુણે સ્થાયી થયાં હતાં. પતિના મૃત્યુ પછીનું તેમનું શેષજીવન તેમણે મહિલાઓના શિક્ષણ અને અધિકાર માટે વિતાવ્યું હતું. પીડિત મહિલાઓના પુનર્વસન માટે તેમણે ‘સેવાસદન’ જેવી સામાજિક સંસ્થા સ્થાપી હતી.

અશ્વિન આણદાણી