Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ-પૂર્વ (અગ્નિ)

એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ

અગ્નિએશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિએશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની દૃષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે ઈસવી સન 20થી 1200ના સમયગાળા દરમિયાન આ અસર ક્રમશ: ફેલાઈ. અગ્નિએશિયામાં ભારતમાંથી સૌપ્રથમ વેપારીઓ અને ત્યારબાદ વસાહતીઓ કાંઠાળ વિસ્તારો તથા મુખ્ય નદીઓ અને માર્ગોની નજીકના પ્રદેશમાં આવી વસ્યા. ભારતીય વેપારીઓ તથા વસાહતીઓના પગલે પગલે ભારતના બે મહાન ધર્મો હિંદુ ધર્મ તથા બૌદ્ધ ધર્મનું પણ આગમન થયું. અગ્નિએશિયાની ભવ્ય કલાપ્રવૃત્તિ માટે આ બે ધર્મો પ્રેરણાસ્રોત બની રહ્યા. વળી બૌદ્ધ સાધુઓ તેમજ યાત્રિકોના નિરંતર પ્રવાસ પણ આ વિશાળ અને વિભિન્નતાભર્યા ભૂમિપ્રદેશમાં સાંસ્કૃતિક વિકાસ માટે મહત્ત્વનું કારણ બની રહ્યા.

અંગકોર નગર (કમ્બોડિયા) ખાતેના મંદિરના મહાસંકુલનો મધ્યભાગ

ભારતીય સંસ્પર્શ પામેલી અગ્નિએશિયાની સંસ્કૃતિઓ પૈકી કલાદૃષ્ટિએ તેમજ રાજકીય રીતે સૌથી મહત્ત્વની તે કંબોડિયાની સંસ્કૃતિ. ભારતીય વસાહતીઓએ સૌપ્રથમ કંબોડિયામાં ઈસવી સનના પ્રથમ શતકમાં વસવાટ શરૂ કર્યો. ઈસવી સનની પ્રથમ સદીમાં ફૂનાન વંશની અને ત્યારબાદ ઈસવી સનની પાંચમી સદીમાં ચેન-લા વંશની સ્થાપના થઈ હતી. આ બંને રાજ્યપ્રદેશોનાં ખંડેરોનું ઉત્ખનન હાથ ધરાયું છે; ત્યાંથી પથ્થરમાં ઉત્કૃષ્ટ કૌશલ્યપૂર્વક કંડારેલી હિંદુ અને બૌદ્ધ દેવદેવીઓની શ્રેણીબંધ મૂર્તિઓ મળી આવી છે. એમાં બુદ્ધની કેટલીક મૂર્તિઓ કાષ્ઠની પણ છે. આ બધી મૂર્તિઓ કદાચ ઈંટચણતરથી રચેલાં પૂજાસ્થાનોમાં ગોઠવાઈ હશે અને આ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિધિવિધાનનાં કેન્દ્રો બની રહ્યાં હશે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ, પૃ. 183 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ/)

Categories
વાચન સમૃદ્ધિ

જુથિકા રૉય

જ. 20 એપ્રિલ, 1920 અ. 5 ફેબ્રુઆરી, 2014

અત્યંત મધુર અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા જુથિકા રૉયનો જન્મ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં થયો હતો. ખૂબ નાની વયથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ ઉર્ફે ‘કાઝીદા’ જુથિકા રૉયના માર્ગદર્શક અને પથપ્રદર્શક હતા. તેમની દોરવણી હેઠળ જુથિકાનું પ્રથમ આલબમ બહાર પડ્યું હતું. તે સિવાય બંગાળી સંગીતનિર્દેશક કમલ દાસગુપ્તાના સંગીત હેઠળ પણ તેમણે સુંદર ગીતો ગાયાં છે. 1934-1961ના લગભગ ત્રણ દાયકામાં જુથિકાએ ગાયેલાં હિંદી ગીતોની સંખ્યા આશરે 225 અને બંગાળી ગીતોની સંખ્યા આશરે 140 જેટલી છે. બંગાળી અને હિંદી ભાષાનાં ભજનો ઉપરાંત તેમણે ઉર્દૂ અને તમિળ ભાષામાં પણ થોડાંક ગીતો ગાયાં છે. ભજન અને ગીતો ઉપરાંત તેમણે કવ્વાલી પણ રજૂ કરેલ છે. મીરાંનાં ભજનો ગાવામાં તે વિશેષ ખ્યાતિ ધરાવે છે. મીરાંનાં ભજનોની વિશિષ્ટ પ્રકારની ગાયકીને કારણે જુથિકા રૉય તેમના પ્રશંસકોમાં ‘આધુનિક મીરાં’ના ઉપનામથી જાણીતાં બન્યાં છે. મીરાંબાઈનાં ભજનો ઉપરાંત જુથિકાએ સંત તુલસીદાસ, સંત સૂરદાસ અને સંત કબીર જેવા સંતકવિઓની રચનાઓને પણ પોતાનો કંઠ આપ્યો છે. તેમણે થોડાંક ફિલ્મી ગીતો ગાયાં છે, તેમ છતાં ભજનગાયિકા તરીકે તેમની પ્રતિષ્ઠા વધારે ઊંચી છે. તેમના પ્રશંસકોમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ અને સત્ય સાંઈબાબા જેવાનાં નામ મોખરે મૂકી શકાય. 15 ઑગસ્ટ, 1947ના રોજ તીનમૂર્તિ ભવનના પોતાના શાસકીય નિવાસથી લાલ કિલ્લા સુધી રાષ્ટ્રને સંબોધવા જવા માટે પંડિત નહેરુ પસાર થતા હતા તે જ સમયે આકાશવાણી પરનું જુથિકાનું ગાયન પૂરું થયું હતું, પરંતુ પંડિતજીના સૂચનથી જુથિકા તરત જ આકાશવાણી કેન્દ્ર પાછાં ફર્યાં હતાં અને પંડિતજી લાલ કિલ્લા પર પહોંચે ત્યાં સુધી ભક્તિસંગીત ચાલુ રાખ્યું હતું. ગાંધીજી કોમી એખલાસ અને શાંતિ પ્રસ્થાપિત કરવા માટે નોઆખલીનો પ્રવાસ ખેડતા હતા ત્યારે બેલઘાટ ખાતેના તેમના રોકાણ દરમિયાન ગાંધીજીના આગ્રહથી જુથિકાએ તેમને પાંચથી છ ભજન સંભળાવ્યાં હતાં. 1972માં ભારત સરકારે તેમને પદ્મશ્રી ઇલકાબથી સન્માન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો આભાર

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષના સ્ટિફન હૉકિંગ(જ. 8 જાન્યુઆરી, 1942)ના શરીરમાં એકાએક અણધાર્યા ફેરફારો થવા લાગ્યા. સ્કેટિંગ કરતાં બરફ પર પડી જતાં ડૉક્ટરો એમને હૉસ્પિટલમાં લાવ્યા અને લાંબી તપાસને અંતે ખ્યાલ આવ્યો કે એકવીસ વર્ષનો આ યુવક મોટરન્યૂરોન ડિસીઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લૅટર સ્ક્લેરોસિસ (ALS) નામના જીવલેણ રોગના હુમલાનો ભોગ બન્યો છે. લગભગ બધાં જ અંગો લકવાગ્રસ્ત બની ગયાં. આ એવી બીમારી હતી કે એમાં મગજ એના શરીર પરનું નિયંત્રણ ગુમાવી દે છે. ડૉક્ટરોએ પણ ભવિષ્ય ભાખ્યું કે સ્ટિફન હૉકિંગની બે વર્ષથી વધુ આવરદા નથી. એ પછી ન્યુમોનિયા થયો અને શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થઈ. ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થતાં વાચા ચાલી ગઈ. પહેલાં તો હૉકિંગને એમ થયું કે હવે બ્રહ્માંડ વિજ્ઞાનમાં મેળવેલી પીએચ.ડી.ની પદવીનો શો મતલબ ? સ્ટિફન હૉકિંગનાં સઘળાં સ્વપ્નાં આથમી ગયાં હતાં, પરંતુ એનું મગજ બરાબર સ્વસ્થ હતું અને તેથી એણે થિયૉરેટિકલ ફિઝિક્સમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું. એમાં એણે અદ્ભુત સિદ્ધિ મેળવી. ખગોળવિદ્યામાં આગવી નામના હાંસલ કરી. એનું પુસ્તક ‘બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’એ 237 સપ્તાહ સુધી ‘સન્ડે ટાઇમ્સ’ની બેસ્ટ-સેલર યાદીમાં સ્થાન પામીને વિક્રમ સર્જ્યો. એવું જ એમનું બીજું એટલું જ લોકપ્રિય પુસ્તક ‘ધ યુનિવર્સ ઇન એ નર શેલ’ છે. માથે મૃત્યુનો ડર ઝઝૂમતો હતો છતાં છેલ્લાં 39 વર્ષથી એ સતત સંશોધનકાર્ય કરે છે. એની પ્રથમ પત્ની જેન વાઇલ્ડે એને સમજાવ્યું હતું કે ભવિષ્ય જેવું કશું છે જ નહીં. વર્તમાનમાં જ જીવો. સ્ટિફન હૉકિંગ કહે છે કે આજે ક્યારેક મારા જીવનના ભૂતકાળને જોઉં છું, તો થાય છે કે હું કેટલું બધું શાનદાર જીવન જીવ્યો અને મારાં શોધ-સંશોધનોને માટે હું મારી બીમારીનો સૌથી વધુ આભારી છું. એને કારણે બધું છોડીને મારા ધ્યેયને વળગી રહ્યો. સ્ટિફન હૉકિંગે બ્લૅકહોલ, વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત ‘બિગબૅંગ’ અને બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓ વિશે સંશોધન કર્યું. આજે તેઓ બ્રહ્માંડના અંતિમ રહસ્યની શોધ કરી રહ્યા છે.