Categories
વાચન સમૃદ્ધિ

આંધ્રપ્રદેશ

ભારતમાં દક્ષિણ મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે ૧૨° ૪૧´ થી ૧૯° ૦૭´ ઉ. અ. અને ૭૭° ૦૦´ થી ૮૪° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર ૧,૬૨,૯૬૭ ચો.કિમી. છે આ રાજ્યની ઉત્તરે તેલંગાણા, પશ્ચિમથી વાયવ્યે છત્તીસગઢ, ઉત્તરે ઓડિશા, પૂર્વે બંગાળનો ઉપસાગર, દક્ષિણે તમિળનાડુ જ્યારે પશ્ચિમે અને નૈઋત્યે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. તેના દરિયાકિનારાની લંબાઈ આશરે ૯૭૦ કિમી. છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી છે. નવું પાટનગર બને તે દરમિયાન હંગામી ધોરણે હૈદરાબાદ ગણાય છે. વસ્તી ૨૦૨૬ મુજબ આશરે ૯.૬૦ કરોડ છે. આ રાજ્યનું ભૂષૃષ્ઠ વૈવિધ્યસભર છે. આ રાજ્યને ભૌગોલિક દૃષ્ટિએ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય. પૂર્વમાં બંગાળના ઉપસાગરથી શરૂ કરીને પૂર્વઘાટની પર્વતમાળા અને દરિયાકિનારાનાં મેદાનો. પશ્ચિમથી પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં ઠલવાતી અનેક નદીઓના જળથી આ મેદાનો સમૃદ્ધ બન્યાં છે. એમાં ગોદાવરી અને કૃષ્ણાનદીના ત્રિકોણાકાર પ્રદેશો કાંપના નિક્ષેપને કારણે અત્યંત ફળદ્રુપ બન્યા છે. અન્ય નદીઓમાં તુંગભદ્રા, પેનાર, વંશધારા અને નાગાદળીનો સમાવેશ થાય છે.

અહીં સાગ, વાંસ, યુકેલિપ્ટ્સ, કાજુ અને સરુનાં વૃક્ષો આવેલાં છે. આંધ્રપ્રદેશના અર્થતંત્રનો મુખ્ય પાયો ખેતી છે. ડાંગર અને દ્રાક્ષ તેના મુખ્ય પાક છે. તે ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ વગેરે ખાદ્ય પાકો છે. તમાકુ, કપાસ, શેરડી, મરચાં, કેરી, મગફળી જેવા રોકડિયા પાકોની ખેતી લેવામાં આવે છે. આ રાજ્ય ચોખાની મહત્તમ નિકાસ કરતું હોવાથી તે ‘ભારતનો ચોખાનો વાટકો’ તરીકે ઓળખાય છે. જંગલોમાં હાથી વાઘ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અહીં યુરેનિયમ અને બૉકસાઇટનો જથ્થો રહેલો છે. વહાણવટું, પેટ્રોકેમિકલ, કાપડ, રસાયણ, સિમેન્ટ, ખાતર, યંત્રસામગ્રી અને દવાઓના ઉદ્યોગો વ્યાપક પ્રમાણમાં વિકસ્યા છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી જાહેર કર્યું છે છતાં કાર્યકારી પાટનગર હૈદરાબાદ છે. મુખ્ય શહેરો વિશાખાપટ્ટનમ્, તિરુપતિ, વિજયવાડા, ગુંતૂર, કર્નૂલ, કડાવા વગેરે છે. આ રાજ્યનું સૌથી મોટું કુદરતી બંદર અને શહેર વિશાખાપટ્ટનમ્ છે. જોવાલાયક સ્થળોમાં તિરુપતિ મંદિર, કલાહસ્તી મંદિર, બોજ્ જન્નાકોન્ડા અને નાગાર્જુનકોન્ડાનાં બૌદ્ધ સ્થાપત્યો મુખ્ય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંધ્રપ્રદેશ, પૃ. 143)

Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર

જ. 20 જૂન, 1869 અ. 26 સપ્ટેમ્બર, 1956

વિખ્યાત  ઉદ્યોગપતિ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક લક્ષ્મણરાવ કિર્લોસ્કરનો જન્મ બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂરમાં થયો હતો. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હોવાથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટસમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. તે આંશિક રંગઅંધત્વથી પીડાતા હોવાથી ચિત્રકલાનો અભ્યાસ છોડી મિકૅનિકલ ડ્રૉઇંગ અભ્યાસક્રમમાં જોડાયા. 1887માં મુંબઈની V.J.T.I.માં મિકૅનિકલ ડ્રૉઇંગના શિક્ષક બન્યા. નોકરી સિવાયના સમય દરમિયાન વધારાની આવક મેળવવા માટે યંત્રોની સ્થાપના તથા સમારકામ શરૂ કર્યું. 1888માં કિર્લોસ્કર બ્રધર્સ નામની પેઢી કરી જે ભવિષ્યના વિશાળ ઔદ્યોગિક સંકુલનું પ્રારંભિક કેન્દ્રબિંદુ સાબિત થયું. 1897માં બેળગાંવ ખાતે પોલાદનાં કૃષિયંત્રો અને ઓજારોના ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું. ત્યારપછી એન્જિનિયરિંગની વિચક્ષણ કોઠાસૂઝને કારણે બૅંગાલુરુ, પુણે તથા દેવાસ જેવી જગ્યાઓએ નવા ઔદ્યોગિક એકમો પ્રસ્થાપિત થયા. સંકુલના આ એકમોમાં કૃષિઉપકરણો ઉપરાંત ડીઝલ એન્જિન, વીજળીની મોટર તથા મશીનટૂલ્સનું વૈવિધ્યપૂર્ણ ઉત્પાદન શરૂ કર્યું. લક્ષ્મણરાવ ઉદ્યોગપતિ ઉપરાંત પ્રખર દેશભક્ત તથા સમાજસુધારક પણ હતા. તેમણે જીવનભર ખાદીનાં વસ્ત્રો અપનાવ્યાં હતાં. ભારતની સ્વાધીનતાની લડતને તેઓ સક્રિય સહાય આપતા હતા. તેમના માર્ગદર્શન હેઠળ કિર્લોસ્કરવાડી સામાજિક રીતે એક આદર્શ વસાહત તરીકે વિકસી હતી જ્યાં શ્રમ, સહકાર તથા સમભાવ – આ ત્રણેયને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. 1910માં અસ્પૃશ્યતાનિવારણ અપનાવવામાં આવ્યું હતું. ઔધ રિયાસતમાં પ્રજાકીય શાસનપ્રણાલી દાખલ થઈ ત્યારે લક્ષ્મણરાવ મંત્રીપદે નિમાયા. આ કારકિર્દીમાં પણ તેમણે ઔદ્યોગિક વિકાસ, ગ્રામોદ્ધાર તથા કેળવણીમાં ખૂબ રસ દાખવ્યો હતો. આ અગ્રણી ઉદ્યોગપતિના સાહસ, સૂઝ તથા નિયોજન કુશળતાની જાહેર પ્રશંસા કરનારામાં લોકમાન્ય તિલક, જવાહરલાલ  નહેરુ, શ્યામાપ્રસાદ મુખર્જી, ચક્રવર્તી રાજગોપાલાચારી તથા એમ. વિશ્વેશ્વરૈયા જેવી મહાન વિભૂતિઓનો સમાવેશ થાય છે. તેમના ચારે પુત્રો કુટુંબના વ્યવસાયમાં જોડાયેલા છે.

1969માં તેમની જન્મશતાબ્દીને અનુલક્ષીને ભારત સરકારે એક ખાસ ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

દીવ

સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42´ ઉ. અ. અને 70° 59´ પૂ. રે. ઉપર આવેલો છે. તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તર તરફ જૂનાગઢ જિલ્લાનો ઊના તાલુકો આવેલો છે. સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિથી તે યાસી નદીની સેસલખડા ખાડીને કારણે અલગ પડેલ છે. વિક્રમની પહેલી સદી સુધી તે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો હતો. સમગ્ર ટાપુનું ક્ષેત્રફળ 40 ચોકિમી. છે. ટાપુમાં દીવ ઉપરાંત માણેકવાડા, બોચરવાડા, નાગવા અને બરાંકવાડા ગામો આવેલાં છે. શહેરનો વિસ્તાર 40 ચોકિમી. છે. ટાપુની કુલ વસ્તી આશરે 72,000 (2026) છે. ત્યાંની આબોહવા ખુશનુમા અને સમધાત છે. વાર્ષિક સરેરાશ વરસાદ 694 મિમી. પડે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મુખ્ય પાક બાજરી, જુવાર અને મગફળી છે. થોડા પ્રમાણમાં ઘઉં અને શેરડીનું ઉત્પાદન પણ થાય છે. નારિયેળી, કેળાં, કેરી વગેરે ફળફળાદિના બગીચા અને સિંચાઈ માટેના કૂવા ઘણા છે. થોડા લોકો મચ્છીમારીમાં રોકાયેલા છે. ઔદ્યોગિક વસાહતની સ્થાપના પછી ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેલની મિલો, સાબુનું કારખાનું, ફર્નિચર તથા દારૂ બનાવવાનાં કારખાનાં તથા મીઠાના અગરો છે. લઘુ અને ગૃહઉદ્યોગોનો વિકાસ થયો છે. 1988–89થી વીજળીઘર શરૂ કરાયું છે.

ટાપુ ઉપર વણાકબારા, દીવ અને ઘોઘલા ખાતે જેટીઓ છે. બાધક ખડકો (barrier reefs) નૈઋત્ય અને દક્ષિણના પવનોથી વહાણોનું રક્ષણ કરે છે. બજરા (barge) દ્વારા માલની ચડ-ઊતર થાય છે. દીવમાં રેલવે નથી. પાકા રસ્તાની લંબાઈ 60 કિમી. છે. એક હવાઈ મથક દ્વારા તે મુંબઈ સાથે જોડાયેલું છે. તે પ્રવાસન-મથક તરીકે વિકસ્યું છે. અહીં કિલ્લો, ચર્ચ, મ્યુઝિયમ, કંઠારરેતપટ જોવાલાયક છે. અનાજ, વિલાયતી નળિયાં, ઇમારતી લાકડું, બળતણ, કેરોસીન, કોપરાં, સિમેન્ટ વગેરેની આયાત અને મીઠું, દારૂ અને મચ્છીની નિકાસ મુખ્યત્વે છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દીવ/)