Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણા નહેરુ હઠીસિંહ

જ. 2 નવેમ્બર, 1907 અ. 9 નવેમ્બર, 1967

જવાહરલાલ નહેરુ અને વિજયાલક્ષ્મી પંડિતની સૌથી નાની બહેન અને લેખિકા કૃષ્ણાનો જન્મ અલાહાબાદના મીરગંજમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા સ્વરૂપરાણી. તેમનાં લગ્ન અમદાવાદના સુપ્રસિદ્ધ હઠીસિંહ પરિવારના ગુણોત્તમ (રાજા) હઠીસિંહ સાથે થયાં હતાં. કૃષ્ણાએ અને તેમના પતિએ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. કૃષ્ણાને સાત વખત જેલવાસ થયો, જેમાં સૌથી લાંબો જેલવાસ 14 મહિના અને 10 દિવસનો હતો.  1931માં પ્રથમ વખત તેમને જેલની સજા થઈ હતી. ત્યારબાદ બીજી વખત 1932માં 11 માસની જેલની સજા થઈ હતી. 1950માં તેઓ તેમના પતિ સાથે અમેરિકામાં વ્યાખ્યાન માટે ગયાં અને ભારતની આઝાદીની લડાઈ પર તેમના અનુભવો રજૂ કર્યા હતા. તેઓ ‘વૉઇસ ઑવ્ અમેરિકા’ સાથે જોડાયાં અને અનેક પ્રવચનો આપ્યાં. તેઓ પંડિત નહેરુની ટીકા કરતાં હતાં. 1952માં કૉંગ્રેસ પક્ષ વિરુદ્ધ ધરણા પર ઊતર્યાં હતાં. તેઓ 1958માં ઇઝરાયલ ગયાં અને પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન-ગુરિયને મળ્યાં હતાં. તેમણે 1959માં સી. રાજગોપાલાચારીને ફ્રીડમ પાર્ટી માટે ટેકો આપ્યો. તેઓ મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષની સામે સમાજવાદી તરીકે ચૂંટણી લડ્યાં હતાં. તેમણે સાત જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકોમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના જીવનની વાતો લખી છે. ‘વી નહેરુસ’, ‘વિથ નો રિગ્રેટ્સ – એન ઑટોબાયૉગ્રાફી’, ‘ડિયર ટુ બી હોલ્ડ ઃ એન ઇન્ટિમેટ પૉર્ટ્રેટ ઑવ્ ઇન્દિરા ગાંધી’, ‘શેડોઝ ઑન ધ વૉલ’, ‘ધ સ્ટોરી ઑવ્ ગાંધીજી’, ‘નહેરુઝ લેટર્સ ટુ હિઝ સિસ્ટર’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના પતિ પણ લેખક હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વચ્છતા

આરોગ્ય કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મનુષ્યના આંતરબાહ્ય જીવનમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ, શુદ્ધિ કે સફાઈ. ભારતીય સંસ્કૃતિ સદીઓથી સ્વચ્છતાને ધર્મ સાથે સાંકળી તેનો મહિમા દાખવતી રહી છે. હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિનો અભ્યાસ દર્શાવે છે કે પ્રાચીન કાળમાં પાણીપુરવઠા અને ગટરની સુનિયોજિત રચનાવાળાં નગરો પણ ભારતમાં હતાં. ભારતીય ધર્મશાસ્ત્રો સ્વચ્છતાના આગ્રહવાળી જીવનશૈલીનો નિર્દેશ કરે છે. મોટા ભાગના ભારતીયો સ્નાન કર્યા બાદ જ પોતાનાં દૈનિક કર્મો શરૂ કરે છે. એ મુજબ વ્યક્તિ સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, પૂજા-પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. જમ્યા પહેલાં અને પછી હાથ-મોં ધોવાં, બહારથી આવીને હાથ-પગ ધોવા, શૌચની ક્રિયા બાદ સ્નાન કરવું, ઘરમાં પ્રવેશતાં પગરખાં ઘરની બહાર મૂકવાં વગેરેમાં સ્વચ્છતાનો આગ્રહ અને તેનું પાલન જોઈ શકાય છે. સ્વચ્છતા આપણી રહેણીકરણીમાં, આપણાં રોજ-બરોજનાં કામમાં પણ જોવા મળતી હોય છે.

સ્વચ્છતા રાખવી જોઈએ તેનો નિર્દેશ કરતું એક ચિત્ર

આ રીતે નખ કાપવા, વાળ સ્વચ્છ રાખવા, આંખો ધોવી, હાથ-પગ ધોવા જેવી વ્યક્તિની અંગત સ્વચ્છતા પર સામાન્ય રીતે ઘર અને શાળામાં ધ્યાન અપાતું હોય છે. અંગત સ્વચ્છતા જેટલું જ ધ્યાન ઘરની સ્વચ્છતા પર પણ અપાતું હોય છે. રોજબરોજ ઘરની સફાઈ કરવી, શૌચાલય અને સ્નાનાગાર સ્વચ્છ રાખવાં અત્યંત જરૂરી છે. સ્વચ્છ ઘરમાં લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે. વળી દિવાળી પહેલાં કે ગ્રહણ બાદ પણ ઘરની સફાઈ કરવાનો જે રિવાજ છે તે પણ સરાહનીય છે. જેટલી પોતાના ઘરની સ્વચ્છતા અંગે હોય તેટલી જ ચીવટ ઘરની બહાર જાહેર સ્થળો માટે પણ હોવી જોઈએ. જાહેર સ્થળો પર ગમે ત્યાં કચરો નાખવો, થૂંકવું, મળ-મૂત્રનો ત્યાગ કરવો જેવી કુટેવો નજરે પડે છે. આ બધાં પાછળ અનેક પરિબળો કારણભૂત હોય છે – ગરીબાઈ, અજ્ઞાન, આળસ વગેરે ઉપરાંત વધુ પડતી વસ્તી, વહીવટી તંત્રની બિનકાર્યક્ષમતા જેવાં અન્ય અનેક કારણોથી સ્વચ્છતા કે સફાઈનું કામ અવરોધાતું હોય છે. ગાંધીજી ભારતના દરેક નાગરિકને સ્વચ્છ પાણી ખોરાક અને હવા મળે તે માટે આગ્રહ રાખતા હતા. આશ્રમમાં આ કાર્યો જાતે કરી તેમણે લોકોમાં સ્વચ્છતા ને સમાનતાનો સારો દાખલો બેસાડ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વચ્છતા, પૃ. 88)

Categories
વાચન સમૃદ્ધિ

ઊર્મિલા ભટ્ટ

જ. 1 નવેમ્બર, 1933 અ. 22 ફેબ્રુઆરી, 1997

રંગભૂમિ, ફિલ્મ અને ટીવીના પરદે જાજરમાન અભિનય આપનાર ઊર્મિલા ભટ્ટનો જન્મ દહેરાદૂનમાં થયો હતો. એમણે વડોદરામાં જ નૃત્યનાટકની તાલીમ લીધી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્ર સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતમાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958 દરમિયાન તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યનાં અધ્યાપિકા તરીકે તથા ત્યારબાદ વડોદરાની મ. સ. યુનિવર્સિટી સંચાલિત ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસ ખાતે અધ્યાપિકા તરીકે સંનિષ્ઠ સેવા આપી હતી. ત્યારબાદ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી. 1960માં રાજકોટની સંગીતકલા અકાદમીમાં લોકનૃત્યકાર તરીકે જોડાયાં. માર્કંડ ભટ્ટ જેવા નામી કલાકાર સાથે નાટકોમાં અભિનય કર્યો અને 1965માં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. તેમણે માર્કંડ ભટ્ટ સાથે ફિલ્મોમાં અભિનય પણ આપ્યો હતો. તેમણે ખ્યાતનામ દિગ્દર્શકો સાથે વિવિધ શૈલીનાં નાટકોમાં ભૂમિકાઓ ભજવી. તેમણે ભજવેલાં જાણીતાં નાટકોમાં ‘ભગવદજ્જુકીયમ’, ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’, ‘નંદિની’, ‘મરચન્ટ ઑવ્ વેનિસ’, ‘અત્ર લુપ્તા સરસ્વતી’, ‘ધરા ગુર્જરી’, ‘આણલ દે’, ‘શેતલને કાંઠે’, ‘મા’, ‘ઘૂંઘટપટ’ વગેરેનો સમાવેશ થાય છે. ચતુર્થ મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધા 1958 તથા ગુજરાત રાજ્ય નાટ્યસ્પર્ધા 1962માં તેમણે શ્રેષ્ઠ અભિનયનાં પારિતોષિક મેળવ્યાં હતાં. તેમણે 100થી વધુ હિન્દી ફિલ્મો, 75થી વધુ ગુજરાતી ફિલ્મો અને 10થી 15 રાજસ્થાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. બે દાયકા સુધી તેમણે હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરી ભારે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે બંગાળી, ભોજપુરી, હરિયાણવી વગેરે ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અભિનયક્ષેત્રે તેમણે કરેલા વિશિષ્ટ પ્રદાન બદલ 1970માં ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન, સિમલા દ્વારા તથા 1981માં ત્રિવેણી, વડોદરા દ્વારા તથા 1987માં વડોદરાની 30 જેટલી સંસ્થાઓ દ્વારા તેમને સન્માનવામાં આવ્યાં હતાં. સ્ત્રીનિકેતન, વડોદરાના પ્રમુખપદે રહી તેમણે અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ પણ કરી હતી. મુંબઈમાં તેમના ઘરમાં જ તેમની હત્યા થઈ હતી.