Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ

બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´ ઉ. અક્ષાંશ, 93° 54´ પૂ. રેખાંશ પર, બંગાળના ઉપસાગરમાં આવેલા બેરન ટાપુનો સુપ્ત ગણાતો જ્વાળામુખી આ પૈકી મહત્ત્વનો છે. હાલમાં તેના ઘણા મોટા શંકુ જ્વાળામુખના અવશેષો જોવા મળે છે. એકબે સ્થાનમાં ખંડિત થયેલો, જૂના શંકુના અવશેષોથી બનેલો, આશરે ત્રણ કિમી.ના વ્યાસવાળો આ જ્વાળાકુંડ પ્રેક્ષાગાર (amphitheatre) જેવો દેખાય છે. તે અંદરના ભાગમાં આવેલા, પ્રમાણમાં નવા સમયના પ્રસ્ફુટનના નિયમિત થરવાળા લાવાપ્રવાહોથી બનેલા, નાના, સપ્રમાણ શંકુને ફરતો ગોઠવાયેલો છે. નવા શંકુની ટોચ ઉપર સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ જ્વાળામુખ આવેલું છે, પરંતુ પાણીની ઉપરનો જ્વાળામુખીનો દૃશ્યમાન ભાગ તેના આખા કદનો ઘણો જ નાનો અંશ છે. જ્વાળામુખી શંકુનો તળ ભાગ સમુદ્રસપાટીથી ઘણા મીટર ઊંડાઈએ રહેલો છે.

એક સુઘટિત શંકુ આકારનો દક્ષિણ એશિયાઈ જ્વાળામુખી

19મી સદીની શરૂઆતમાં તેની છેલ્લી પ્રસ્ફુટનસ્થિતિ જોવામાં આવેલી; ત્યાર પછી તે લગભગ સુપ્ત અવસ્થામાં રહ્યો છે; પરંતુ જ્વાળામુખની દીવાલો ઉપરની ગંધકની ઊર્ધ્વપાતનક્રિયા તેનું ગંધક-જ્વાળામુખી અવસ્થામાં થતું પરિવર્તન દર્શાવે છે. કૅપ્ટન બ્લેરે 1795માં થયેલા બેરન ટાપુના પ્રસ્ફુટનનું વર્ણન કરેલું છે, જેમાં નવા શંકુની ટોચ પર આવેલા જ્વાળામુખમાંથી ધગધગતી ભસ્મ, કેટલાક ટન વજનવાળા જ્વાળામુખીજન્ય ખડકજથ્થા તેમજ વાયુઓ અને વરાળનાં વાદળ બહાર ફેંકાયાની નોંધ મળે છે. બીજા એક નિરીક્ષકે 1803માં દર દસ મિનિટના તફાવતે જ્વાળામુખમાંથી થતા રહેલા અનેક ધડાકા સાંભળેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ, પૃ. 182 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ/)

Categories
વાચન સમૃદ્ધિ

એલેક્ઝાન્ડર કાર્ટરાઇટ

જ. 17 એપ્રિલ, 1820 અ. 12 જુલાઈ, 1892

અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબૉલના જનક મનાતા એલેક્ઝાન્ડર કાર્ટરાઇટનો જન્મ ન્યૂયૉર્ક સિટીમાં થયો હતો. તેમના પિતા સમુદ્રી જહાજના કપ્તાન હતા. 16 વર્ષની વયે કાર્ટરાઇટે વૉલસ્ટ્રીટના એક બ્રોકરને ત્યાં કારકુન તરીકે કામની શરૂઆત કરી. ત્યારબાદ ન્યૂયૉર્કની યુનિયન બૅંકમાં કારકુનની કામગીરી બજાવી. 1845માં ત્યાં આગ લાગવાથી યુનિયન બૅંક નાશ પામી આથી તેમણે બીજા કામની શોધ કરવા માંડી અને તેમણે તેમના ભાઈ આલ્ફ્રેડ સાથે પુસ્તકોની દુકાન ખોલી. બાળપણથી તેમને રમતગમતનો ખૂબ શોખ હતો. બૉલ અને લાકડીના ઉપયોગથી તેઓ રમત રમતા. તેમાંથી તેમણે બેઝબૉલની રમત શોધી કાઢી. આધુનિક રમતના નિયમોનો લાંબા સમય સુધી કાર્ટરાઇટ અને નિકરબોકર્સ(Knickerbockers)ની એક સમિતિ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો. 1845માં તેમણે નિકરબોકર નિયમોને ઔપચારિક રૂપ આપ્યું, જેમાં રમતના મેદાનના આયામ અને રમતના મુખ્ય નિયમો સામેલ હતા. આ ઐતિહાસિક શોધનો યશ અગ્રણી કાર્ટરાઇટને આપવામાં આવ્યો. 1846માં તેમણે પહેલી સત્તાવાર મૅચનું આયોજન કર્યું. બાદમાં અમેરિકાના પશ્ચિમી ભાગમાં તથા હવાઈ ટાપુઓ સુધી બેઝબૉલનો પ્રચાર કર્યો. એવું કહેવાય છે કે 1852માં તેમણે ઓઆહુ દ્વીપ પર મકીકી ફિલ્ડમાં એક બેઝબૉલ મેદાનની સ્થાપના કરી. જોકે કાર્ટરાઇટને બેઝબૉલ રમતના પ્રથમ શોધક માનવા અંગે મતમતાંતર પ્રવર્તે છે, પરંતુ ઇતિહાસકારો કાર્ટરાઇટને જ આ શોધ માટેનું શ્રેય આપે છે. 1850થી 1863 સુધી તેમણે હોનોલૂલૂમાં અગ્નિશમન ક્ષેત્રે પ્રમુખ કાર્ય કર્યું. તેઓ રાજા કલાકાઉઆ અને રાણી એમ્માના સલાહકાર હતા. 1953માં તેમને 83મી સંયુક્ત રાજ્ય કૉંગ્રેસ દ્વારા અધિકૃત રીતે આધુનિક બેઝબૉલના શોધક ઘોષિત કરવામાં આવ્યા હતા. કાર્ટરાઇટને તેમના મૃત્યુનાં 46 વર્ષો બાદ રમતજગતમાં તેમના યોગદાન બદલ ‘હૉલ ઑફ ફેમ’માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આજે પણ હોનોલૂલૂના ઓઆહુ કબ્રસ્તાનમાં તેમની કબર જોવા મળે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાદા જીવનનું આશ્વાસન

એકાએક પાંત્રીસ વર્ષની યુવાનવયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેસિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી. આ લટેસિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી. જ્યાં વારંવાર દુશ્મનોનાં આક્રમણો થતાં હતાં. દુશ્મનોના હુમલા સમયે ઘર અને ખેતર છોડીને કુટુંબ લઈને પર્વતોમાં છુપાઈ રહેવું પડતું. લટેસિયા પોતાનાં બાળકોની આફતો સહન કરતી, જીવની જેમ જાળવીને સાથે લઈ જતી. વળી દુશ્મનો  પાછા જાય એટલે એમના ઘરમાં એ બધા પાછા આવતા. ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો. લટેસિયાનું ઘર પડી ગયું. શાસકોએ કોર્સિકાના નગરજનોને આ ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો. લટેસિયા મોટા પરિવારને લઈને કોર્સિકા છોડી મર્સાઈમાં આવી. અંધાધૂંધીમાં ઘેરાયેલા ફ્રાંસમાં સતત પક્ષપલટો થતો. ઘણા લોકોને આજીવિકાનાં ફાંફાં હતાં. આવે સમયે લટેસિયાએ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોનું ધ્યાન રાખ્યું. આ લટેસિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો. લટેસિયાને સમ્રાટની માતા તરીકે આદર-સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યાં. નેપોલિયન એની માતાને હંમેશાં આદર આપતો અને એણે કહ્યું પણ ખરું, ‘હે માતા ! તમે જીવનમાં અપાર દુઃખો વેઠ્યાં છે. હવે ફ્રાન્સના સમ્રાટનાં માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો.’ આટલી બધી જાહોજલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેસિયા પોતાના ભૂતકાળના દુઃખી અને દારિદ્રયના દિવસોને ભૂલી ન હતી. એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી. કોઈ એની ટીકા કરે અને કહે કે સમ્રાટનાં માતા કેવું સામાન્ય અને ગરીબાઈભર્યું જીવન જીવે છે, તો લટેસિયા એમને જવાબ આપતી, ‘આજે મારો દીકરો સમ્રાટ છે. પણ જીવનમાં ક્યારે દુઃખ આવી પડે એની કોઈને ખબર નથી. આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે.’