Categories
વાચન સમૃદ્ધિ

આંગણવાડી

જાણીતા બાળકેણવણીકાર ગિજુભાઈ બધેકાની દૃષ્ટિએ ‘બાલમંદિર’નું વિકસિત અને વ્યાપક સ્વરૂપ.

ગિજુભાઈનાં સાથી અને મહારાષ્ટ્રનાં વિખ્યાત બાળકેળવણીકાર તારાબહેન મોડકે ૫૦ વર્ષ પહેલાં એનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં પણ એ વિચાર સ્વીકારાયો. જુગતરામભાઈ દવેએ આદિવાસી વિસ્તારમાં આંગણવાડીઓની સ્થાપના કરી અને તે ઉત્તમ રીતે ચલાવી. આંગણવાડીમાં બાળકના છ વર્ષ સુધીના વયગાળામાં માનસિક, ભાવાત્મક અને ક્રિયાત્મક – એમ સર્વાંગી વિકાસનો ખ્યાલ રહેલો છે. કેટલાક એને પૂર્વપ્રાથમિક શિક્ષણ રૂપે પણ ઓળખે છે. બાળકના વ્યક્તિત્વનો પાયો છ વર્ષની ઉંમર સુધીમાં નંખાઈ જાય છે એવો ખ્યાલ દુનિયાભરમાં સ્વીકાર પામ્યો છે. એટલે રમતો, ગીતો, નૃત્યો, ચિત્રો જેવી વિવિધ ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય એવી આંગણવાડીની વિભાવના છે. મોટા ભાગની આંગણવાડીઓ ગ્રામસ્તરે હોઈ બાળક્રીડાંગણનો ખ્યાલ પણ વિકસ્યો. સ્વરાજ પછી ગુજરાતમાં મનુભાઈ પંચોળીએ બાળશિક્ષણની સતત હિમાયત કરી અને બાળકેળવણીને ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ (Master Key) તરીકે ઓળખાવી. આંગણવાડીમાં (કે બાળમંદિરમાં) અક્ષરજ્ઞાન કે ગણિત શીખવવાનો હેતુ નથી, પરંતુ બાળકની ક્રિયાશક્તિ, તેનાં ભાવાત્મક પાસાંઓ અને તેનો જ્ઞાનપ્રાપ્તિનો પાયો દૃઢ બને એ ઉદ્દેશ છે.

સ્વરાજ આવ્યા પછી પણ વ્યાપક રૂપમાં આંગણવાડીનો ખ્યાલ સ્વીકારાયો ન હતો. ૧૯૭૫થી કેન્દ્ર સરકારે ‘સંકલિત બાળવિકાસ યોજના’ (Integrated Children’s Development Scheme – ICDS) દ્વારા માતા અને શિશુની જાળવણી, કાળજી અને વિકાસની દૃષ્ટિએ યોજના અમલમાં મૂકી. દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામ સુધી આવાં કેન્દ્રો સ્થપાયાં છે. તેનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થાય છે. જ્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ જાગૃત અને દૃષ્ટિવાળી હોય છે ત્યાં બાળકેળવણીનું કામ વધુ નક્કર રીતે થાય છે. માતૃકલ્યાણ, પ્રસૂતિમાં કાળજી, બાળઉછેર, બાળકનું પોષણ અને છ વર્ષ સુધીનાં બાળકો માટેની કેળવણીની આ સંકલિત યોજનામાં આજે આરોગ્ય અને પોષણની કાળજી વધુ લેવાય છે. જોકે આંગણવાડીમાં બાળશિક્ષણ અંગે પણ પૂરતી કાળજી લેવાય એ જરૂરી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંગણવાડી, પૃ. 140)

Categories
વાચન સમૃદ્ધિ

જ્યોતિ પ્રસાદ અગરવાલા

જ. 17 જૂન, 1903 અ. 17 જાન્યુઆરી, 1951

 અસમના રાષ્ટ્રભક્ત કવિ, નાટ્યકાર, ગીતકાર, લેખક અને ફિલ્મ-નિર્માતા જ્યોતિ પ્રસાદનો જન્મ દિબ્રુગઢ જિલ્લાના તામુલબારી ચાયબાગાનમાં થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે અસમિયા સંસ્કૃતિ તથા સભ્યતા તેની મૂળરૂપથી વિછિન્ન થઈ ગઈ હતી. પ્રગતિશીલ વિશ્વની સાહિત્યિક તથા સાંસ્કૃતિક ધારાથી અસમ પ્રત્યક્ષ સંપર્કમાં ન હતું. તેવા સમયે તેમણે પોતાની પ્રતિભાથી અસમની જનતાને એક નવી દૃષ્ટિ આપી અને વિશ્વમાં અસમની સંસ્કૃતિને ઉજાગર કરી. આમ જ્યોતિ પ્રસાદની બહુયામી અને વિલક્ષણ પ્રતિભાને લીધે તેમને એક હજાર સાલના ‘દસ શ્રેષ્ઠ અસમિયા’માં સ્થાન મળેલું છે. તેઓએ માત્ર 14 વર્ષની ઉંમરે ‘શોણિત કુંવરી’ નાટકની રચના કરી, જેમાં ઉષા-અનિરુદ્ધની કથા નાટ્યબદ્ધ થયેલી છે. વળી, રાજકુંવરીની લોકકથાને આધારે રચાયેલી ‘કારેનગર લગીરી’ (1930) તેમની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે. જેના દ્વારા અસમિયા નાટ્યમાં આધુનિકતાનાં મંડાણ થયાં ગણાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રમાં નવીનતા લાવવા બદલ અને વળી મૂળે મારવાડથી પરિવાર આવ્યો હોવાથી તેમને ‘રૂપકુંવર’ એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના તેમનાં અનેક ગીતોમાં મુખરિત થાય છે. તેમનાં ગીતો શૌર્યને ઉત્તેજિત કરનારાં પણ હોય છે. અસમિયા લોકગીતોના ઢાળ પ્રયોજી તેમાં લયમાધુર્ય પણ બક્ષ્યું છે. તેમનાં કાવ્યોને ‘જ્યોતિસંગીત’ નામ મળેલું છે. ‘જ્યોતિ રચનાવલી’ ગ્રંથમાં તેમનું સમગ્ર સાહિત્ય સંગૃહીત છે, તેમણે 10 નાટકો અને લગભગ એટલી જ વાર્તાઓ, એક નવલકથા, 20થી અધિક નિબંધો તથા 359 ગીતોનું સંકલન કર્યું છે. ‘નીમાતી કન્યા’ (મૂંગી કન્યા) નામની નૃત્યનાટિકા પણ લખી છે. આ ઉપરાંત ત્રણ-ચાર હિન્દી ગીતો તથા અંગ્રેજી નાટકો પણ લખ્યાં છે. અસમ સરકાર દર વર્ષે 17 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિને ‘શિલ્પી દિવસ’ તરીકે ઊજવે છે. ત્યારે પૂરા અસમમાં રજા પળાય છે. તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે 2004માં તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

દીમાપુર

ભારતની પૂર્વે પહાડી રાજ્ય નાગાલૅન્ડનો જિલ્લો તથા મુખ્ય શહેર. તે અગાઉના કાચાર રાજ્યનું પાટનગર હતું. તે એક મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તથા પર્યટક સ્થળ છે. તે ધનસિરિ નદીના જમણા કાંઠા પર વસેલું છે. 25° 54´ ઉ. અ. અને 93° 44´ પૂ. રે. પર રાજ્યના પાટનગર કોહિમાથી વાયવ્યમાં આશરે 45 કિમી. દૂર તે આવેલું છે. તેનો વિસ્તાર 924 ચોકિમી. છે. તે નૈઋત્યથી ઈશાન ખૂણા તરફ લંબાયેલી ‘કોહિમાની ટેકરીઓ’થી પશ્ચિમમાં અને આસામ રાજ્યની સીમા પરનાં મેદાનોમાં આવેલું છે. આમ છતાં તેની પાર્શ્વભૂમાં લીલોતરી અને કુદરતી સૌન્દર્યથી ભરપૂર એવી લાંબી ઊંચી પહાડી ટેકરીઓ અને તેમની વચ્ચે વચ્ચે નદીની ખીણો આવેલી છે. દીમાપુરની આબોહવા ઉપોષ્ણકટિબંધીય (sub-tropical) છે. અહીં એપ્રિલથી ઑક્ટોબર એમ લગભગ સાત માસ સુધી વરસાદ પડે છે. વરસાદનું પ્રમાણ આશરે 1800 મિમી. જેટલું છે. અહીં ડાંગર, મકાઈ, બાજરી, બટાટા, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી થાય છે.

તેનાં જંગલોમાં વાઘ, હાથી, સૂવર અને બીજાં અનેક પ્રકારનાં પ્રાણીઓ વસે છે. અહીં અન્ગામી અને ચાખેસાન્ગા જેવી નાગા જાતિના લોકો વસે છે. દીમાપુરને રેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને હવાઈ માર્ગોની ઉત્તમ સેવાઓ મળેલી છે, જેનાથી તે પડોશી રાજ્યો અને દેશનાં અગત્યનાં નગરોથી સંકળાયેલું છે. ગોલાઘાટ–ઇમ્ફાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ ત્યાંથી પસાર થાય છે. તેની આસપાસના પ્રદેશોમાંથી અહીંના બજારમાં ચોખા, નારંગી, બટાટા, કપાસ અને બીજી ખેતપેદાશો આવે છે, તેથી તે કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર બન્યું છે. અહીં મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના પ્રોસેસિંગ તથા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતા ઉદ્યોગો,  છૂટક ભાગો જોડીને ટી.વી. બનાવવાના એકમો, ઈંટો બનાવવાનો યાંત્રિક પ્લાન્ટ અને કુટિર-ઉદ્યોગો વિકસ્યા છે. ખાંડની વિશાળ મિલ અને તેને સંલગ્ન આલ્કોહૉલનું ઉત્પાદન કરતો ઔદ્યોગિક એકમ પણ આ નગરમાં છે. જૂના વખતના આવાસો અને મહાલયોનાં સુંદર, કળામય બેનમૂન બાંધકામો માટે તે જાણીતું છે. ત્યાં દુર્ગ, નગરની આજુબાજુ ફરતો કોટ, પથ્થરનાં દ્વાર તથા સ્તંભ વગેરેના અવશેષો છે. આ જિલ્લાની અને શહેરની વસ્તી અનુક્રમે 4.39 લાખ અને 1.82 લાખ જેટલી (2026, આશરે) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી