Categories
વાચન સમૃદ્ધિ

હેમંત કુમાર

જ.  16 જૂન, 1920 અ. 26 સપ્ટેમ્બર, 1989

વારાણસી(ઉત્તરપ્રદેશ)માં જન્મેલ હેમંત કુમારનું પ્રારંભિક શિક્ષણ કૉલકાતામાં થયું. 13 વર્ષની ઉંમરે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. શાળા બાદ વધુ અભ્યાસ માટે તેમણે બંગાળ ટૅકનિકલ શિક્ષણસંસ્થામાં પ્રવેશ લીધો, પણ શારીરિક અસ્વસ્થતાના કારણે પિતાની નારાજગી હોવા છતાં શિક્ષણ છોડીને સંગીતમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં સાહિત્યક્ષેત્રે પ્રયોગાત્મક રીતે બંગાળી સામયિક ‘દેશ’માં એક ટૂંકી વાર્તા પ્રકાશિત કરી, પણ સંગીતરસિક જીવ છેવટે સંગીતને જ સમર્પિત થયો. 1940માં તેમણે બંગાળી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 1942માં હિન્દી સિનેમામાં ‘મિનાક્ષી’ ફિલ્મથી પ્રવેશ કર્યો. 1947માં સંગીતદિગ્દર્શક તરીકે તેમણે બંગાળી ફિલ્મ ‘અભિયાત્રી’માં કામ કર્યું. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA) સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા, જ્યાં તેમની મુલાકાત સાથી સભ્ય અને સંગીતકાર સલીલ ચૌધરી સાથે થઈ. આ જોડીએ 1947માં હૃદયસ્પર્શી ગીતરચના ‘ગણ્યેર બધુ’ (ગ્રામીણ વહુ) રજૂ કરી, જે ખૂબ સફળ રહી. ફિલ્મ ‘આનંદ મઠ’નાં ગીતોને સંગીતબદ્ધ કરવા તેઓ મુંબઈ સ્થળાંતરિત થયા. આ ફિલ્મનું  ઐતિહાસિક ગીત ‘વંદે માતરમ્’ ગાયું. તેમણે ‘જાલ’, ‘નાગીન’, ‘હાઉસ નંબર 44’, ‘એક હી રાસ્તા’, ‘દુનિયા ઝૂકતી હૈ’, ‘બીસ સાલ બાદ’ વગેરે ફિલ્મોમાં સુમધુર સંગીત આપ્યું. 1950ના દાયકામાં તેઓ બિનફિલ્મી બંગાળી ગીતો, રવીન્દ્ર સંગીત, બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીત વગેરે થકી કારકિર્દીના શિખર પર રહ્યા. 1959માં હેમંત બેલા પ્રોડક્શન હેઠળ તેમણે ફિલ્મનિર્માણની શરૂઆત કરી. મૃણાલ સેનદિગ્દર્શિત હેમંતદાની પ્રથમ ફિલ્મ ‘નીલ આકાશેર નીચે’ને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. બંગાળી અને હિન્દી ઉપરાંત તેમણે ગુજરાતી, મરાઠી, પંજાબી વગેરે ભાષાઓમાં પણ ગાયું અને સંગીતસર્જન કર્યું. તેમણે વેસ્ટ ઇન્ડીઝ સહિત અન્ય ઘણા દેશોમાં સંગીતના કાર્યક્રમો આપ્યા. બંગાળ પાછા ફર્યા બાદ તેમણે 1963માં ‘પલટક’ અને અન્ય બંગાળી ફિલ્મોમાં લોકસંગીત અને સુગમસંગીતનું સંયોજન કરી સંગીત આપવાનું ચાલુ રાખ્યું. 1961માં રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દી નિમિત્તે ગ્રામોફોન કંપનીએ હેમંત કુમાર દ્વારા ગવાયેલ રવીન્દ્ર સંગીત બહાર પાડ્યું હતું. ‘ઈશ્વરનો અવાજ‘ તરીકે નામના પામેલા આ ગીતકાર, સંગીતકાર અને ફિલ્મનિર્માતાને બંગાળ સરકાર તરફથી અનેક વાર શ્રેષ્ઠ ગાયકનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમને 1956માં ફિલ્મફેર ઍવૉર્ડ અને બે વાર રાષ્ટ્રીય ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2016માં ભારત સરકારે તેમના નામની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

શનિવારની સાંજનું ચિંતન

અમેરિકાના એક સમયના આર્થિક બાબતોના નિષ્ણાત એચ. પી. હોવેલનું જીવન એટલે અવિરત પ્રગતિનો ઊંચો ગ્રાફ. સ્કૂલ કે કૉલેજમાં અભ્યાસ કરવાની તકથી વંચિત રહેલા એચ. પી. હોવેલે કરિયાણાની સામાન્ય દુકાનમાં કારકુની કરીને આજીવિકા મેળવવાનો પ્રારંભ કર્યો. નિષ્ઠા, ચીવટ અને પ્રામાણિકતાથી સતત આગળ વધતા રહ્યા. એક સામાન્ય કારકુનમાંથી તેઓ અમેરિકન સ્ટીલ કંપની જેવી વિખ્યાત કંપનીના ક્રૅડિટ મૅનેજર બની ગયા. અહીં પણ એમની પ્રગતિનું પૂર્ણવિરામ આવ્યું નહીં. એથીય આગળ વધીને તેઓ અમેરિકાની કમર્શિયલ નૅશનલ બૅંક ઍન્ડ ટ્રસ્ટ કંપનીના ચૅરમૅન અને બીજી ઘણી કંપનીઓના ડાયરેક્ટર બન્યા અને અમેરિકાના અર્થકારણમાં પોતાની કાબેલિયતથી આગવું સ્થાન ઊભું કર્યું. સૌને આશ્ચર્ય થતું કે એચ. પી. હોવેલે આવી અવિરત પ્રગતિ કરી કઈ રીતે ? એમની પ્રગતિનું રહસ્ય એ હતું કે તેઓ એક નાની એપોઇન્ટમેન્ટ ડાયરી રાખતા હતા અને એમાં દિવસ દરમિયાન કરવાનાં કાર્યોની અગ્રતાક્રમે નોંધ કરતા હતા. આમ રોજેરોજ એ પોતાનાં કાર્યોની અને પરિણામોની નોંધ કરતા જાય અને શનિવાર સાંજે તેઓ નિરાંતે બેસીને ગયા સપ્તાહે કરેલાં કાર્યોનું ચિંતન કરતા હતા. શનિવાર સાંજે એ કુટુંબ કે વેપારનું કોઈ કામ કરતા નહીં, બલ્કે ડાયરી ખોલીને ગયા અઠવાડિયે કરેલી પ્રવૃત્તિ વિશે ઊંડો વિચાર કરતા. પોતે કરેલાં કાર્યો અને લીધેલી મુલાકાતોને યાદ કરતા અને પછી આમાં ક્યાં પોતે કુશળતા દાખવી અને ક્યાં ભૂલ કરી બેઠા, એનું ચિંતન કરતા. ક્યારેક તો એમને ખ્યાલ આવતો કે તેઓ સાવ મૂર્ખાઈભરી ભૂલ કરી બેઠા છે. આથી હવે પછી આવી મૂર્ખાઈભરી ભૂલો ન થાય તેની તકેદારી રાખવાનું નક્કી કરતા અને આમ આત્મચિંતન અને સ્વ-સુધારણા દ્વારા એ એમના જીવનને અને કારકિર્દીને પ્રગતિને પંથે મૂકતા રહ્યા. 1974ની 31મી જુલાઈએ એચ. પી. હોવેલનું અકાળ મૃત્યુ થયું, ત્યારે અમેરિકાના વૉલ સ્ટ્રીટમાં સોપો પડી ગયો હતો, કારણ કે સૌના દિલમાં એ દુ:ખ હતું કે એમણે દેશનો કુશળ અર્થશાસ્ત્રી ગુમાવ્યો છે.

Categories
વાચન સમૃદ્ધિ

સુરૈયા

જ. 15 જૂન, 1929 અ. 31 જાન્યુઆરી, 2004

હિન્દી ફિલ્મજગતનાં ખ્યાતનામ અભિનેત્રી અને ગાયિકા સુરૈયાનો જન્મ અઝીઝ જમાલ શેખ તથા મુમતાઝ બેગમ શેખને ત્યાં ચુસ્ત મુસ્લિમ પરિવારમાં લાહોર(પાકિસ્તાન)માં થયો હતો. તેમનું મૂળ નામ સુરૈયા જમાલ શેખ હતું. તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે એમનો પરિવાર અર્થોપાર્જન માટે લાહોરથી મુંબઈ આવી સ્થાયી થયો. મામા એમ. ઝહૂર તથા નાની બાદશાહ બેગમ હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલાં હોવાથી સુરૈયાને બાળપણથી જ ફિલ્મજગત પ્રત્યે આકર્ષણ હતું. શાળાકીય અભ્યાસ ન્યૂ હાઈસ્કૂલ મુંબઈમાં શરૂ કર્યો. નાની પાસેથી ઇસ્લામનું જ્ઞાન તથા પર્શિયન ભાષાનું જ્ઞાન મળ્યું. 1936માં ફિલ્મ ‘મદામ-એ-ફૅશન’માં બાળકલાકાર તરીકે અભિનય કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1941માં મામા સાથે ફિલ્મનું શૂટિંગ જોવા ગયાં અને ફિલ્મ તાજમહેલમાં ‘મુમતાઝમહલ’નું પાત્ર ભજવવા માટે આમંત્રણ મળ્યું. જે એમણે સ્વીકાર્યું. કિશોર વયમાં આકાશવાણીનાં બાળકોના કાર્યક્રમમાં એમનો અવાજ સાંભળતા સંગીતકાર નૌશાદના ધ્યાનમાં આવ્યાં. 1942માં ફિલ્મ ‘નયી દુનિયા’ માટે એમણે પ્રથમ ગીત ગાયું. ત્યારબાદ અનેક ફિલ્મોમાં અભિનય કરીને અભિનય અને ગાયન એમ બંને ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવી. ‘ઇશારા’, ‘તદબીર’, ‘ફૂલ’, ‘અનમોલ ઘડી’, ‘ઉમર ખય્યામ’, ‘પરવાના’, ‘દર્દ’, ‘શાયર’, ‘દાસ્તાન’, ‘અફસર’, ‘દિવાના’ જેવી અનેક ફિલ્મોમાં એમણે યાદગાર અભિનય કર્યો. 1954માં ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ એમના જીવનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક પુરવાર થઈ. એમના  કાર્યકાળના સર્વોચ્ચ સમય દરમિયાન ‘મલિકા-એ-હુસ્ન’ તથા ‘મલિકા-એ-અદાકારી’ જેવા ખિતાબ સુરૈયાને પ્રાપ્ત થયા. એમણે 70 ફિલ્મોમાં અભિનય કર્યો તેમજ 338 ગીતોને કંઠ આપ્યો. 1963માં ‘રુસ્તમ સોહરાબ’ ફિલ્મ સાથે ફિલ્મજગતને તિલાંજલિ આપી. અંગત જીવન એકલતાભર્યું રહ્યું. પ્રિયપાત્ર સાથે લગ્ન ન થઈ શકવાને કારણે આજીવન હતાશાભર્યો સમય પસાર કર્યો. એક સમયે પુરુષ અભિનેતાઓ કરતાં વધુ મહેનતાણું મેળવતાં સુરૈયા જીવનનાં અંતિમ વર્ષોમાં અનેક બીમારીઓ તથા એકલતામાં રહ્યાં બાદ હરકિશન હૉસ્પિટલમાં એમનું અવસાન થયું. ફિલ્મક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન માટે તેમને 1996માં સ્ક્રીન વીડિયોકોન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, 1999માં બિમલ રૉય મેમોરિયલ લાઇફટાઇમ એચીવમેન્ટ ટ્રૉફી, 2003માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ ઉપરાંત અન્ય સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 2013માં ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.