Categories
વાચન સમૃદ્ધિ

ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જ. 16 એપ્રિલ, 1903 અ. 6 જાન્યુઆરી, 1991

ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકારનો જન્મ વલસાડના ચીખલી ગામમાં અને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ભાગ લેવાથી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો રહ્યો. ત્યારપછી 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી, 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયા અને 1926થી 1928 સુધી વિદ્યાપીઠમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપી. 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે ‘સત્યાગ્રહ પત્રિકા’નું સંપાદન કરતા હોવાથી નવ માસની કારાવાસની સજા પણ ભોગવી. 1931માં સૂરત કૉંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થઈ અને ફરી બે વર્ષનો જેલવાસ થયો હતો. 1934માં જીવનદિશા બદલાઈ અને મુંબઈમાં વિલે પારલે ખાતે ગોકળીબાઈ શાળામાં આચાર્યપદે નિયુક્ત થયા. 1938માં અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં આચાર્યપદે જોડાયા. પ્રથમ શિક્ષક તરીકે અને નિવૃત્ત થયા બાદ નિયામકપદે વરણી પામ્યા. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિપદે પણ ત્રણ વાર નિયુક્ત થયા. એમની શૈક્ષણિક કારકિર્દીને લક્ષમાં લઈ 1961માં એમને ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત થયેલો. વળી આ જ હેતુસર ચંદ્રકાન્ત મેમોરિયલ પારિતોષિક પણ એનાયત થયું હતું. સાહિત્યક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. 1921થી શરૂ થયેલી કાવ્યયાત્રાનો પ્રથમ પડાવ એટલે 1935માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ઘ્ય’, 1948માં બીજો ‘પનઘટ’ પ્રગટ થયો. ત્યારબાદ 1974માં ‘અતીતની પાંખમાંથી’, 1984માં ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ તથા ‘નિજલીલા’. 1967માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં સૌપ્રથમ સીમાસ્તંભ સમાન હાઈકુ-સંગ્રહ ‘સોનેરી ચાંદ – રૂપેરી સૂરજ’, 1984માં બીજો હાઈકુ-સંગ્રહ ‘કેવળવીજ’ પ્રકાશિત થયા. 1986માં કેટલાંક હાઈકુના અંગ્રેજી અનુવાદોનો સંગ્રહ ‘સનરાઇઝ ઑન સ્નોપિક્સ’ શીર્ષકથી પ્રકટ થયો. ‘તરાપો’ અને ‘ઉજાણી’ જેવાં બાળકાવ્યોના સંગ્રહો પણ છે. 1967માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1985માં નર્મદ સાહિત્ય સભા તરફથી નર્મદ ચંદ્રક એનાયત થયા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અંબાજી

એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : 24° 19´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ સિવાય ગૌણ રૂપે કચ્છમાં આશાપુરા, ભુજ પાસે રુદ્રાણી, દ્વારકા પાસે અભયમાતા, પોરબંદરનાં હરસિદ્ધ માતા, ગોંડલનાં ભુવનેશ્ર્વરી, ઘોઘા-ભાવનગર પાસે ખોડિયાર માતા, હળવદ પાસે સુંદરી ભવાની, વઢવાણમાં બૂટ(ભૂત)માતા, ચોટીલાનાં ચામુંડા, નર્મદાતટે અનસૂયા, પેટલાદ પાસે આશાપુરી વગેરે પ્રખ્યાત છે.

અંબાજી મંદિર

આરાસુરી અંબિકા કે અંબાજી એટલે માતાજી. માતાને સંસ્કૃતમાં  `अम्बा’ કહે છે. પૌરાણિક કથા કહે છે કે દક્ષે કરેલા યજ્ઞમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને નિમંત્રણ આપ્યું ન હતું; પરંતુ પિતાને ત્યાં યજ્ઞ હોઈ અન્ય દેવદેવીઓને જતાં જોઈ સતી પણ પિતાને ત્યાં ગયાં. ત્યાં પોતાના પતિનું અપમાન અને પોતાની અવગણના જોઈ તેમને લાગી આવતાં પોતાના દેહને બાળી નાખ્યો. શિવને ખબર પડતાં ક્રોધના આવેશમાં વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો નાશ કર્યો. મૃત સતીના દેહને લઈ શિવ આવેશ અને આઘાતથી ફરવા લાગ્યા. શંકર ભગવાનના મોહને છિન્નભિન્ન કરવાના હેતુથી વિષ્ણુએ ચક્રને ગુપ્ત રીતે સતીના દેહમાં પ્રવેશ કરાવી દેહનાં અંગોને છેદવા માંડ્યાં. જ્યાં જ્યાં આ અંગો પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠો થઈ. ગુજરાતના અર્બુદારરણ્ય(આરાસુર વિસ્તાર)માં પર્વતના શિખર ઉપર સતીના દયનો એક ભાગ પડ્યો હતો. ત્યાં થયેલી આ શક્તિપીઠમાં માતા અંબા પૂજાય છે. અંબાજી વિશે લોકોમાં અનેક કથાઓ પ્રચલિત પણ થઈ છે. ગબ્બર (ગહ્વર-ગુફા) માતાની ગુફા કહેવાય છે. ઇડરિયો ગઢ ચામુંડાની ટેકરી માતાજીનું વિહારસ્થાન છે. દાતાના ઠાકોર અંબાજીના ભક્ત અને વહીવટકર્તા હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અંબાજી, પૃ. 88)

Categories
વાચન સમૃદ્ધિ

હસરત જયપુરી

જ. 15 એપ્રિલ, 1922 અ. 17 સપ્ટેમ્બર, 1999

હિન્દી ફિલ્મજગતના કવિ અને શાયર હસરત જયપુરીનો જન્મ જયપુરમાં થયો હતો. એમનું મૂળ નામ ઇકબાલ હુસૈન જયપુરી હતું. બાળપણમાં જયપુરમાં માધ્યમિક શિક્ષણ એક અંગ્રેજી માધ્યમની શાળામાં લીધું, પરંતુ એમના નાના શાયર ફિદા હુસૈન ફિદા પાસે ઉર્દૂ તથા ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું. શાયરી પ્રત્યે એમનો લગાવ સહજ બન્યો. તેમણે અર્થોપાર્જન માટે 1940માં એમણે મુંબઈ પ્રયાણ કર્યું. ત્યાં માસિક અગિયાર રૂપિયામાં બસકંડક્ટરની નોકરી સ્વીકારી. પરંતુ એમનો કવિજીવ એમને વિવિધ કવિસંમેલન તેમજ મુશાયરાઓમાં ખેંચી જતો. જ્યાં તેઓ પોતાની રચનાઓ પ્રસ્તુત કરતા. આવા જ એક કવિસંમેલનમાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરનું ધ્યાન હસરત જયપુરી ઉપર પડ્યું. ફિલ્મનિર્માતા-નિર્દેશક પુત્ર રાજ કપૂરને પિતા પૃથ્વીરાજે હસરત જયપુરી માટે ભલામણ કરી. ફિલ્મ ‘બરસાત’માં ‘જીયા બેકરાર હૈ’ ગીતના લેખન સાથે એમણે ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ‘છોડ ગયે બાલમ મુજે હાય અકેલા છોડ ગયે’ હસરત જયપુરીની કલમે લખાયેલું પ્રથમ યુગલ ગીત પણ ખૂબ પ્રસિદ્ધ પામ્યું. હસરત જયપુરી રાજ કપૂરની નિર્માણ કંપનીમાં મુખ્ય સ્તંભોમાંના એક ગણાતા હતા. ગીતકાર તરીકેની હસરત જયપુરીની કારકિર્દી શરૂ થતાં એમને પ્રસિદ્ધ સાથે ધનરાશિ પણ વિપુલ પ્રમાણમાં મળવી શરૂ થઈ ગઈ. 1971માં રાજ કપૂર નિર્માણ કંપનીના એક સ્તંભ તથા હસરત જયપુરીના મિત્ર સંગીતનિર્દેશક જયકિશનના અવસાન તથા ફિલ્મ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા બાદ રાજકપૂર નિર્માણ કંપનીએ સંગીતનિર્દેશક તથા ગીતકારની ટીમ બદલી સાથે હસરત જયપુરીની કારકિર્દીમાં થોડી ઓટ આવી. 1885માં ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં રાજ કપૂરના આમંત્રણથી એમણે ‘સુન સાયબા સુન’ ગીત લખ્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. હસરત જયપુરીની કલમે લખાયેલાં લોકપ્રિય બનેલાં ગીતોમાં ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’, ‘પંખ હોતી તો ઉડ આતી રે’, ‘અજી રૂઠ કર અબ’, ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’, ઝિંદગી એક સફર હૈ સુહાના’ જેવાં અનેક ગીતોનો સમાવેશ થાય છે.  1967 તથા 1972માં એમને સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.