Categories
વાચન સમૃદ્ધિ

પંડિત રવિશંકર

જ. ૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૨

ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ તરીકે પંડિત રવિશંકર જગમશહૂર છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એમણે વિશ્વભરના કેટલાય મહત્ત્વના સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.

પંડિત રવિશંકરનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. ૧૯૪૪માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સત્યજિત રેલિખિત ફિલ્મ ‘અપુ ટ્રાયોલૉજી’ માટે સંગીત આપ્યું હતું. ૧૯૪૯થી ૧૯૫૬ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો, નવી દિલ્હી ખાતે સંગીતનિર્દેશક તરીકે તેમણે સેવા આપી હતી. બ્લૉકબસ્ટર ‘ગાંધી’ (૧૯૮૨) ફિલ્મના અનુસંધાને એકૅડેમી ઍવૉર્ડ માટે તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા.

વિશ્વવિખ્યાત ગિટારવાદક જ્યૉર્જ હેરિસન સાથેના તેમના સંપર્કથી ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પશ્ચિમી પોપ સંગીતમાં ભારતીય વાદ્યોનો ઉપયોગ લોકપ્રિય બન્યો હતો. સિતાર અને અન્ય ઑર્કેસ્ટ્રા માટે રચનાઓ લખીને તેઓ પશ્ચિમી સંગીતમાં જોડાયા હતા. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં તેમણે વિશ્વભરનો પ્રવાસ કર્યો હતો. ૧૯૮૮માં મૉસ્કોમાં તેમણે ૧૪૦ સંગીતકારો સાથે પર્ફૉર્મ કર્યું હતું. ૧૯૮૯માં તેમણે નૃત્યનાટક ‘ઘનશ્યામ’ રચ્યું હતું. સમકાલીન સંગીતકાર ફિલિપ ગ્લાસ સાથે તેમણે ૧૯૯૦માં ટેન્જેરીન ડ્રીમ બૅન્ડના પીટર બૌમન દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં ‘પૅસોજીસ નામનું આલબમ બહાર પાડ્યું હતું.

પંડિત રવિશંકરે ૧૯૬૮માં ‘માય મ્યુઝિક, માય લાઇફ’ નામની આત્મકથા લખી હતી. ૧૯૯૭માં તેમણે ‘રાગમાલા’ નામે બીજી આત્મકથા લખી હતી. તેમણે ૧૯૮૬થી ૧૯૯૨ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.

પંડિત રવિશંકરને નાનાંમોટાં ૨૫થી વધુ સરકારી અને શૈક્ષણિક સન્માનો અને કલા-પુરસ્કારો પ્રાપ્ત થયાં હતાં. ભારત સરકારે તેમને ૧૯૬૭માં પદ્મભૂષણ, ૧૯૮૧માં પદ્મવિભૂષણ અને ૧૯૯૯માં ભારતરત્નથી નવાજ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વાઘ કરતાં ખતરનાક

ચીનના મહાન ચિંતક અને ધર્મસ્થાપક કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂર્વે ૫૫૧થી ઈ. સ. પૂર્વે ૪૭૯) બાવીસમા વર્ષે પોતાના ઘરમાં પાઠશાળા સ્થાપી અને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા.

સત્યના ઉપાસક એવા કૉન્ફ્યૂશિયસ મિતભાષી અને મન, વચન અને કર્મમાં એકતા ધરાવતા હતા, એથીય વિશેષ ઈશ્વર કે પરલોક જેવી પરોક્ષ વસ્તુઓની પાછળ પડવાને બદલે આ લોકને સુધારીએ તેમ કહેતા. આ ભૂમિ પર સદાચાર દ્વારા નંદનવન વસાવીએ એ એમનું સૂત્ર હતું.

કૉન્ફ્યૂશિયસ એક વાર પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે એમને કાને કોઈ આક્રંદ કરતી સ્ત્રીનો અવાજ પડ્યો. કૉન્ફ્યૂશિયસે એક શિષ્યને તપાસ કરવા માટે એ સ્ત્રીની પાસે મોકલ્યા ત્યારે તે સ્ત્રીએ કહ્યું,

‘આ જંગલમાં વાઘે આતંક મચાવી દીધો છે. થોડા દિવસ પહેલાં મારા સસરાને વાઘે ફાડી ખાધા અને એ પછી મારા પતિને પણ વાઘે ફાડી ખાધા.’

શિષ્યે ગુરુ કૉન્ફ્યૂશિયસને આ વાત કરી, ત્યારે કૉન્ફ્યૂશિયસે એ સ્ત્રીને કહ્યું, ‘આટલા બધા ભય અને દુ:ખમાં જીવો છો શા માટે ? એના કરતાં બીજી જગાએ રહેવા કેમ જતાં રહેતાં નથી ?’

આ સાંભળીને સ્ત્રીએ કહ્યું, ‘આપની વાત સાચી છે, પરંતુ અહીંનો રાજા અત્યંત દયાળુ છે, સહેજે જુલમી નથી, રાજના કર્મચારીઓ પ્રામાણિક છે, સહેજે લાંચિયા નથી. અહીંના વેપારીઓ બમણા ભાવે કશું વેચતા નથી, આથી વાઘનો ભય હોવા છતાં મને અહીં રહેવું ગમે છે.

કૉન્ફ્યૂશિયસે પોતાના શિષ્યો તરફ ફરીને કહ્યું, ‘કેવી સમજવા જેવી વાત છે. માણસો જુલ્મી રાજા અને ભ્રષ્ટાચારી અમલદારોને વાઘ કરતાંય ખતરનાક ગણે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

સુચિત્રા સેન

જ. ૬ એપ્રિલ, ૧૯૩૫ અ. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪

‘મહાનાયિકા’નું બિરુદ મેળવનાર સુચિત્રા સેનનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. તેમનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. પિતા કરુણામય દાસગુપ્તા અને માતા ઇન્દિરા દેવી. તેમનો ઉછેર પટણામાં તેમના મોસાળમાં થયો હતો. નાની વયે જ તેમનાં લગ્ન દીબાનાથ સેન સાથે થયાં હતાં. સુચિત્રા પરણીને સાસરે ગયાં તે પછી તેમના સસરા અને પતિએ તેમની પ્રતિભા પારખી, તેમને અભિનય માટે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કરી દીધું. પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી એક માન્યતા તેમણે તોડી નાખી હતી. બંગાળી ચિત્રોના લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. તેમણે અભિનય આપેલી ૬૦ ફિલ્મોમાં ૩૦ ફિલ્મો તેમણે ઉત્તમકુમાર સાથે કરી હતી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ તેમણે મેળવી હતી. બધાં ચિત્રોમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વને કારણે તેમની ભૂમિકાઓ મહત્ત્વની બની રહી હતી. તેમણે ‘દેવદાસ’, ‘મમતા’ અને ‘આંધી’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ દમદાર અભિનય આપ્યો હતો.

સુચિત્રાના પતિ દીબાનાથનું ૧૯૬૯માં એક અકસ્માતમાં અવસાન થયું હતું. જોકે કાનૂની રીતે તે પહેલાં જ બંને છૂટાં પડી ગયાં હતાં. ૧૯૭૮ના અરસામાં તેમનું ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ એકાએક જ માયા સંકેલી લીધી હતી. તેમણે જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું. અભિનયમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં પારિતોષિક મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાં હતાં. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘કજરી’, ‘સદાનંદેર જોલા’, ‘ઓરા થાકે ઓધારે’, ‘ગૃહપ્રવેશ’, ‘અગ્નિપરીક્ષા’, ‘દેવદાસ’, ‘ભાલોબાસા’, ‘સાગરિકા’, ‘દીપ જ્વલે જાય’, ‘સાત પાકે બાંધા’, ‘મમતા’, ‘આલો અમાર આલો’, ‘આંધી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમને મળેલા પુરસ્કારોમાં ૧૯૭૨માં ‘પદ્મશ્રી’, ૨૦૧૨માં ‘બાન્ગા વિભૂષણ’, ૨૦૦૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ(જે તેમણે સ્વીકાર્યો ન હતો)નો સમાવેશ થાય છે.