Categories
વાચન સમૃદ્ધિ

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માં આવેલી સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સંશોધન-સંસ્થા.

એક અંગ્રેજ વૈજ્ઞાનિક જેમ્સ સ્મિથસન, જેઓ ૧૮૨૯માં અવસાન પામ્યા. તેમણે પોતાની મિલકત પોતાના સ્વજન હેન્રી જેમ્સ હંગરફૉર્ડને આપેલી. ૧૮૩૫માં આ હેન્રી પણ અવસાન પામ્યા. આથી જેમ્સ સ્મિથસનના વિલ પ્રમાણે બધી મિલકત અમેરિકાને વૉશિંગ્ટનમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન બનાવવા માટે આપવામાં આવી. આમ અમેરિકન સંસદે ૧૮૩૮માં તેનો આરંભ કર્યો. ત્યારબાદ ૧૮૪૬માં તેની સ્થાપના વૉશિંગ્ટન ડી.સી.માં એક ભવનમાં કરવામાં આવી. શરૂઆતમાં ભવનમાં કેવળ સંગ્રહાલય હતું. આજે તે શિક્ષણ, મનોરંજન અને સંશોધનનું વિરાટ ક્ષેત્ર છે. ઓગણીસ મ્યુઝિયમ અને ગૅલરીઓ તથા ધ નૅશનલ ઝૂઓલૉજિકલ પાર્ક સ્મિથસોનિયનના વહીવટ હેઠળ છે. તેમાંનાં અગિયાર મ્યુઝિયમો ધ નૅશનલ મૉલમાં અને બાકીનાં બીજાં વૉશિંગ્ટન ડી.સી. ન્યૂયૉર્ક સિટી અને ચેન્ટિલી(વર્જિનિયા)માં આવેલાં છે.

સ્મિથસોનિયન મ્યુઝિયમની અંદરનું પ્રદર્શન

આ ઉપરાંત બીજાં ૩૯ રાજ્યોમાં આવેલાં ૧૬૮ મ્યુઝિયમો પણ સ્મિથસોનિયન સાથે સંકળાયેલાં છે. વળી આ સંસ્થાનાં હરતાં-ફરતાં પ્રદર્શનો પણ મોટી સંખ્યામાં છે. ૨૦૦૮માં આવાં અઠ્ઠાવન પ્રદર્શનો આખા દેશમાં ૫૧૦ જગ્યાએ રજૂ કરવામાં આવેલાં. સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટના વહીવટ હેઠળનું ધ કૂપર હ્યૂઇટ મ્યુઝિયમ સુશોભનાત્મક કલા અને ડિઝાઇનનો વિશ્વનો એક વિશાળ સંગ્રહ ધરાવે છે. ધ મેટ્રૉપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ વિશ્વનું એક અગ્રણી મ્યુઝિયમ લેખાય છે. તેમાં વિશ્વની કલાના પ્રત્યેક ક્ષેત્રની મહત્ત્વની નમૂનારૂપ કૃતિઓનો સંગ્રહ છે. ધ મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં આધુનિક યુરોપિયન અને અમેરિકન કલાની કૃતિઓનો વિશ્વનો સૌથી વિશાળ ભંડાર છે. વ્હિટની મ્યુઝિયમ ઑવ્ અમેરિકન આર્ટના કલાસંગ્રહમાં ઓગણીસમી સદીની કૃતિઓથી માંડીને અતિ આધુનિક અગ્રેસરોની કૃતિઓનું વૈવિધ્ય છે. ધ હિરશૉન મ્યુઝિયમ ઍન્ડ ધ સ્કલ્પ્ચર ગાર્ડનમાં ઓગણીસમી અને વીસમી સદીની કૃતિઓનો નોંધપાત્ર સંગ્રહ છે. તેમાં મુખ્યત્વે શિલ્પકૃતિઓ પર વિશેષ ઝોક છે. અહીં શિલ્પો ખુલ્લી જગ્યામાં પ્રદર્શિત કરાયાં છે. ધ ફ્રિક કલેક્શનમાં ૧૪મીથી ૧૯મી સદીનાં યુરોપિયન ચિત્રોનો સંગ્રહ છે. ધ ગુગનહાઈમ મ્યુઝિયમમાં ઓગણીસમી અને વીસમી સદીની કલાનો સંગ્રહ છે. ધ નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટમાં યુરોપિયન ચિત્રો અને શિલ્પોનો વિશાળ ભંડાર છે. સ્મિથસોનિયનના ઐતિહાસિક સંગ્રહાલયમાં અમેરિકાના પ્રેસિડેન્ટોની પત્નીઓએ પહેરેલાં વસ્ત્રો, પ્રેસિડેન્ટ લિંકને પહેરેલી સ્ટૉવ પાઇપ હેટ, અમેરિકનો ૧૮૧૨ના વિશ્વયુદ્ધ દરમિયાન ફૉર્ટ મેક્હેન્રી પર લહેરાવામાં આવેલો રાષ્ટ્રવજ, ઍલેક્ઝાંડર ગ્રેહામ બેલે શોધેલો સૌથી પહેલો ટેલિફોન, રાઇટ બ્રધર્સે ઉડાવેલું સૌથી પહેલું વિમાન અને રહસ્યમય એવો હોપ-ડાઇમન્ડ વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન, પૃ. 87)

Categories
વાચન સમૃદ્ધિ

મણિલાલ ગાંધી

જ. ૨૮ ઑક્ટોબર,૧૮૯૨ અ. ૫ એપ્રિલ, ૧૯૫૬

ગાંધીજીના પુત્ર, સ્વાતંત્ર્યસેનાની અને પત્રકાર-સંપાદક મણિલાલ ગાંધીનો જન્મ રાજકોટમાં થયો હતો. જન્મભૂમિ ભારત, પરંતુ કર્મભૂમિ દક્ષિણ આફ્રિકા રહ્યું. તેઓ શરૂઆતનાં વર્ષો રાજકોટમાં રહ્યા. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પરિવાર સાથે તેઓ પણ ગયા. ગાંધીજી ઔપચારિક શિક્ષણમાં માનતા ન હતા, આથી મણિલાલનું શિક્ષણ ઘરે જ થયું. તેઓ ફોનિક્સ સેટલમેન્ટ અને ટૉલ્સ્ટૉય ફાર્મમાં રહ્યા.  તેઓ નાનપણથી ફોનિક્સમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરવાનું શીખ્યા. તેઓ ૧૯૧૦માં સત્યાગ્રહમાં જોડાયા અને ૧૯૧૩ સુધીમાં ચાર વખત જેલવાસ ભોગવ્યો. તેમણે ફોનિક્સમાં ખેતીકામ, વૃક્ષો અને બીમાર લોકોની સંભાળ લેવાનું કામ કર્યું. જેલવાસ દરમિયાન જેલની સ્થિતિ સુધારવા માટે ભૂખહડતાળ કરી હતી. ભારતમાં આવીને અમદાવાદમાં ગાંધીજી માટે આશ્રમ શોધવામાં મદદ કરી અને ખાદીના ઉત્પાદનનું કાર્ય શીખ્યા. ‘ઇન્ડિયન ઓપિનિયન’ સંભાળવા માટે ૧૯૧૭માં દક્ષિણ આફ્રિકા ગયા. એક પણ રૂપિયાનું મહેનતાણું લીધા વગર તેમણે સંપાદક તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્ય કર્યું. તેમણે ૧૯૨૭માં કિશોરલાલ મશરૂવાળાની ભત્રીજી સુશીલા સાથે લગ્ન કર્યાં. તેઓ ૧૯૨૯માં ભારત આવ્યા અને સ્વતંત્રતાઆંદોલનમાં જોડાયા. ૧૯૩૦ની દાંડીકૂચમાં ગાંધીજી સાથે જનારા ૭૮ સત્યાગ્રહીઓમાંના એક તેઓ હતા. તેમણે ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો આથી દસ મહિનાની જેલની સજા ભોગવી હતી. તેઓ ફરી દક્ષિણ આફ્રિકા ગયા. તેઓ નિષ્ક્રિય પ્રતિકાર સંઘર્ષમાં જોડાયા અને ૨૩ દિવસ જેલમાં રહ્યા. તેમણે એશિયાટિક લૅન્ડ ટેન્યર (Ghetto) ઍક્ટ વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ૧૯૪૮માં ટ્રાન્સવાલ સરહદપાર કૂચ કરનારાઓનું નેતૃત્વ કર્યું. ૧૯૫૧માં તેમણે રંગભેદ કાયદાઓ સામે વિરોધ કરવા વ્યક્તિગત ઝુંબેશ શરૂ કરી. તેમણે આજીવન અહિંસા અને સત્યાગ્રહના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ઓગળી જઈએ તો જ આનંદપ્રાપ્તિ

રસ્તા પર ચાલતો માનવી ખરેખર રસ્તા પર ચાલે છે ખરો ? એના પગ એ માર્ગ પર આગળ ચાલવાની ક્રિયા કરતા હોય છે, પરંતુ માત્ર પગ જ ચાલતા હોય છે. આખો માનવી ચાલતો હોતો નથી. ચાલતી વખતે જરા, એને જોશો તો એ મનથી કશુંક વિચારતો હોય છે. એ વિચારને  આધારે ચાલવાની સાથે હાથ વીંઝતો હોય છે અને હોઠ ફફડાવતો હોય છે. ચાલતી વખતની માણસની ચેષ્ટા એના અંદરના વિચારની ચાડી ખાતી હોય છે. એનું રસ્તા પરનું ચાલવું એ માત્ર બાહ્ય ક્રિયા છે. એની અંદર-ભીતરમાં બીજું ઘણું જ ચાલતું હોય છે. ભોજન કરવા બેઠેલી વ્યક્તિને જરા ઝીણવટથી જોશો તો એ કોળિયા ખાતી હોય છે, પણ એનું મન તો કોળિયામાં કે ભોજનમાં હોતું નથી. માત્ર ભોજનના સ્વાદની પરીક્ષા કરવા માટે એ જ્યારે પ્રયાસ કરે છે, એટલી જ ક્ષણ એનું મન ભોજનમાં રત હોય છે. બાકીનો બધો સમય એ મોંમાં કોળિયો મૂકતી હોય છે, પણ યંત્રવત્ રીતે. એનું મન સાવ જુદી જ બાબત વિચારતું હોય છે. આ રીતે માણસને ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે છે કે જે કંઈ કરે છે તે ઉપર-ઉપરનું છે, ક્રિયામાત્ર છે. એનો આ દ્વિમુખી ભાવ એને ચાલવાનો આનંદ કે ભોજનની મજા આપતો નથી. એનું વ્યક્તિત્વ વિચ્છિન્ન રહે છે અને તેથી એ એકાગ્રતા સાધી શકતો નથી. પરિણામે એ ભોજન કરે છે ત્યારે એને દુકાનના વિચારો આવે છે અને દુકાને જાય છે ત્યારે ભોજનના વિચારો સતાવે છે. જે કાર્ય કરે તેમાં ડૂબી જતો નથી તેથી એના આનંદથી વંચિત રહે છે. ઘરમાં કે બહાર વ્યવસાયમાં કે અધ્યાત્મમાં સઘળે આ એકલક્ષિતા ફળદાયી બનતી હોય છે. જે ડૂબી જાય છે તે જ એકલક્ષિતા કેળવી શકે છે.