Categories
વાચન સમૃદ્ધિ

તાઇપેઈ

ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ 1949થી તે એક સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે અસ્તિત્વ ધરાવે છે. 1950થી આ નગરનો ઝડપી વિકાસ થયો છે, તેથી તે સમગ્ર એશિયાનાં સૌથી વધુ વિકાસ પામતાં નગરો પૈકીનું એક છે. આ નગરનું મૂળ ક્ષેત્રફળ લગભગ 67 ચોકિમી. હતું, પણ 1967માં અહીં નગરપાલિકા સ્થપાતાં આ ટાપુના સમગ્ર ઉત્તર ભાગમાં આવેલાં કી-લંગ અને તાન-શુઈ બંદરો સહિત ઘણાં ગામડાં અને કસબાઓને આ શહેરી વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યાં હતાં, જેથી તેનું ક્ષેત્રફળ વધીને 272 ચોકિમી. જેટલું થયું. આ શહેરની વસ્તી 24,62,482 (મ્યુનિસિપાલિટી) 90,78,000 મહાનગર (2022) છે. વિશ્વમાં ગીચ વસ્તી ધરાવતાં નગરોમાં તેનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય સંગ્રહાલય, તાઇપેઈ

આ નગર વ્યાપાર, ઉદ્યોગ તથા વાહનવ્યવહાર જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં ટાપુનાં અન્ય નગરો કરતાં અગ્રેસર રહ્યું છે. અહીં દેશનાં અગત્યનાં સુતરાઉ કાપડનાં ઔદ્યોગિક એકમો આવેલાં છે. અહીં ખાસ કરીને વીજાણુ પુરજા અને ઉપકરણો, વિદ્યુત-યંત્રસામગ્રી અને ઉપકરણો, તાર, મોટરસાઇકલ, પ્લાસ્ટિક તથા રબરનો સરસામાન, વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરવામાં આવતી ચીજવસ્તુઓ, નૌકા તથા જહાજ-બાંધકામ, હસ્તકૌશલ્યની વિવિધ ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો વિકસ્યા છે. તે શંગ-શાન નામનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે. ત્યાં ઉત્તમ પ્રકારની જાહેર આરોગ્યવિષયક સેવાઓ ઉપલબ્ધ છે. નગરમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, તકનીકી અને વ્યવસાયલક્ષી શિક્ષણસંસ્થાઓ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ તથા નૅશનલ તાઇવાન યુનિવર્સિટી, નૅશનલ તાઇવાન નૉર્મલ યુનિવર્સિટી અને નૅશનલ ચેંગચી યુનિવર્સિટી આવેલી છે. નગરમાં અનેક જોવાલાયક સ્થળો છે. તે પૈકીનું રાષ્ટ્રીય સંગ્રહસ્થાન ખૂબ સમૃદ્ધ છે. તેમાં હસ્તકલાકારીગરી, ચિત્રકામ, ભરતકામ, ચિનાઈ માટીનાં વાસણો તથા બીજી અનેક પ્રકારની પ્રાચીન અમૂલ્ય ચીજવસ્તુઓના લગભગ છ લાખ જેટલા નમૂના છે. આ સિવાય નગરમાં સંખ્યાબંધ ખ્રિસ્તી દેવળો તેમજ તાઓ તથા બૌદ્ધમંદિરો છે. તાઇપેઈના મધ્ય ભાગથી આશરે 16 કિમી. દૂર પર્વતની તળેટીમાં ગરમ પાણીના ઝરા છે અને આશરે 11 કિમી. દૂર ગ્રીન સરોવર આવેલું છે, જ્યાં જલવિહાર તથા જલરમતોની સુવિધાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાઇપેઈ, પૃ. 751 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાઇપેઈ/)

Categories
વાચન સમૃદ્ધિ

ફિલિપ વૉરન ઍન્ડરસન

જ. 13 ડિસેમ્બર, 1923 અ. 29 માર્ચ, 2020

અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ફિલિપ ઍન્ડરસનનો જન્મ ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.માં થયો હતો. તેમના પિતા હેરી વૉરન ઍન્ડરસન ઇલિનૉય વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર હતા. 1940માં અર્બાનાની શાળામાં અભ્યાસ કર્યો. માઇલ્સ હાર્ટલે નામના ગણિતશિક્ષકના પ્રોત્સાહનથી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ છાત્રવૃત્તિ અંતર્ગત અધ્યયન માટે પ્રવેશ મેળવ્યો. 1943માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ સુધી નૌસેના અનુસંધાન પ્રયોગશાળામાં ઍન્ટેના બનાવવાની કામગીરી કરી. યુદ્ધ બાદ ભૌતિકશાસ્ત્રના વધુ અભ્યાસ માટે હાર્વર્ડ આવી ગયા. 1947માં એમ.એ. અને 1949માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. એ વર્ષમાં જ તેઓ બેલ ટેલિફોન લૅબોરેટરીઝમાં જોડાયા. 1975થી બેલ અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેઓ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. તેમણે ભૌતિકશાસ્ત્રમાં અનેક સંશોધનો કર્યાં છે. ઉચ્ચ ઇલેક્ટ્રૉનિક પરિપથિકી(advanced electronic circuitry)માં તેમણે અત્યંત મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમનાં લખાણોમાં કેટલાક યાદૃચ્છિક જાલિકા(random lattices)માં પ્રસરણ(diffusion)નો અભાવ (1985) અને ઘન વિશેના ખ્યાલ(concepts of solids)નો સમાવેશ થાય છે. તેઓ જાપાની સંસ્કૃતિમાં પણ રુચિ ધરાવતા હતા. જાપાની બોર્ડ ગેઇમ ‘ગો’ના તેઓ નિષ્ણાત હતા. કમ્પ્યૂટરમાં બિનખર્ચાળ ઇલેક્ટ્રૉનિક સ્વિચિંગ અને સ્મૃતિતંત્ર(memory)નાં સાધનોના વિકાસને શક્ય બનાવતા ઘનઅવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં તેમના સંશોધન બદલ તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. 1977માં આ નોબેલ પારિતોષિક તેમને જ્હૉન વાન વ્લેક અને સર નેવિલ એફ મોટ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રતિકૂળતા સાથે દોસ્તી

યુવાવસ્થામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થનારા રિચર્ડ એટનબરોના મનમાં ગાંધીજી પર એક ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો. પોતાના આ વિચારને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન આદર્યો. મહાત્મા ગાંધીજીના જીવન પર ચલચિત્રનું નિર્માણ કરવા માટે અભ્યાસ, આયોજન, પાત્રવરણી, સેટિંગ્સ જેવી બાબતોમાં ઝીણવટ દાખવી. આ ફિલ્મનિર્માણમાં ખાસ્સાં વીસ વર્ષ વીતી ગયાં. આને માટે પચાસ વખત ભારતનો પ્રવાસ ખેડવો પડ્યો. પૈસા ખૂટ્યા ત્યારે ઇંદિરા ગાંધીને સ્ક્રિપ્ટ મોકલી અને એમણે પાંચ કરોડ રૂપિયાની મદદ અપાવી. આટલો બધો પુરુષાર્થ કરવા છતાં વાંકદેખુઓ રિચર્ડ એટનબરોને સવાલ પૂછતા હતા કે, ‘જે વ્યક્તિએ આખું જીવન સાદાઈથી ગાળ્યું, એવા ગાંધીને માટે આટલી મોંઘી ફિલ્મ બનાવાય ખરી ?’ પરંતુ રિચર્ડ એટનબરો ફિલ્મની કોઈ પણ બાબતમાં સમાધાન કરવા ચાહતા નહોતા. એમને માટે પૈસાની ગણતરી મહત્ત્વની ન હતી, પણ મહાત્મા ગાંધીજીનો સંદેશ જનહૃદય સુધી પહોંચે, તે મહત્ત્વનું હતું. ‘ગાંધી’ ફિલ્મ સમયે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલા રિચર્ડ એટનબરો કહેતા કે એમનું આખું જીવન જ પ્રતિકૂળતાઓ વચ્ચે વીત્યું છે. આ ફિલ્મ પહેલાંનું એમનું જીવન પ્રતિકૂળતાઓથી ઘેરાયેલું રહ્યું હતું. આથી મુશ્કેલીઓ એમને મૂંઝવી શકતી નહોતી. આ સંદર્ભમાં તેઓ 1945માં અભિનેત્રી શિલા સીમ સાથે કરેલા લગ્નના પ્રસંગની વાત કરતાં કહેતા, ‘એ લગ્નના દિવસે હું જ્યારે લગ્ન અંગેની પ્રતિજ્ઞા બોલતો હતો, ત્યારે પાછળ બૉમ્બ-ધડાકા થતા હતા. અને એના મોટા અવાજોને કારણે હું જોરથી બૂમ પાડીને મારી પત્નીને કહેતો હતો, ‘હું તને પત્નીના રૂપે કબૂલ કરું છું.’ ‘જ્યારે લગ્નના સમયે આવી મુશ્કેલીઓ આવે ત્યારે સામાન્ય જીવનમાં તો આવે જ ને !’ એમ કહીને રિચર્ડ એટનબરો પ્રતિકૂળતાઓને પાછી ધકેલી દેતા હતા.