Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ અલ્લારખાં

જ. ૨૯ એપ્રિલ, ૧૯૨૦ અ. ૩ ફેબ્રુઆરી, ૨૦૦૦

પ્રસિદ્ધ તબલાવાદક અને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં નિપુણ, ઉસ્તાદ અલ્લારખાંનો જન્મ પંજાબના ગુરદાસપુર જિલ્લાના રતનગઢમાં થયો હતો. પિતા હાશિમઅલીના ખેતીકામના વ્યવસાયમાં તેમનું મન લાગ્યું નહીં. બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે આકર્ષણ હતું. ૧૫ વર્ષની ઉંમરે તેઓ પઠાણકોટની એક નાટક કંપનીમાં જોડાયા. તે પછી તબલાવાદનની તાલીમ પ્રથમ પંજાબ ઘરાનાના લાહોરના કાદરબક્ષ પાસેથી અને ત્યારબાદ તેમના શાગિર્દ લાલમુહમ્મદ પાસેથી લીધી. થોડા સમય પછી પાછા ગુરદાસપુર આવી સંગીત-પાઠશાળા ખોલી. સાથે સાથે આકાશવાણીના લાહોર, દિલ્હી અને અન્ય કેન્દ્રો પર તબલાવાદન કરતા રહ્યા. મુંબઈ આવ્યા બાદ તેમણે ફિલ્મોમાં સંગીતનિર્દેશન કરવાનું શરૂ કર્યું. તેઓ એ. આર. કુરેશીના નામથી ફિલ્મોમાં સંગીતનિર્દેશન કરતા. ૧૯૪૩થી ૧૯૬૪ની વચ્ચે લગભગ ૨૩ ફિલ્મો માટે સંગીતનિર્દેશન કર્યું જેમાં ‘મા-બાપ’, ‘સબક’, ‘મદારી’, ‘આલમઆરા’, ‘જગ્ગા’ વગેરે જેવી હિંદી ફિલ્મોનો સમાવેશ થાય છે. પંજાબી ફિલ્મોએ પણ તેમને ખૂબ લોકપ્રિય બનાવ્યા. તેમણે દેશવિદેશમાં અનેક કાર્યક્રમો કર્યા. તેમણે વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર સાથે વિશ્વના ઘણા દેશોમાં તબલાસંગત કરી હતી. તબલાવાદન ઉપરાંત અલ્લારખાંએ ઠૂમરી અને ગઝલ જેવા ઉપશાસ્ત્રીય સંગીતમાં પણ કુશળતા પ્રાપ્ત કરી હતી. તેઓ મુંબઈ સંગીત વિદ્યાલય ચલાવતા હતા, જેમાં તબલાવાદનની તાલીમને ખૂબ મહત્ત્વ આપતા. ૧૯૫૮માં ભારતીય સાંસ્કૃતિક મંડળના સભ્ય તરીકે તેમણે વિદેશયાત્રા કરી હતી. ૧૯૬૦માં યુનેસ્કો દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહેફિલમાં તબલાવાદન પ્રસ્તુત કરીને ખૂબ પ્રશંસા અને ખ્યાતિ મેળવ્યાં હતાં. દૃઢ નિશ્ચય, કઠોર તાલીમ અને અનુશાસનને પરિણામે તેમણે તબલાવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જેને કારણે તેમની આ કલા દુનિયાભરમાં લોકપ્રિય બની અને આ કલા તથા વાદ્ય પ્રત્યે શ્રોતાઓનાં રુચિ અને સન્માન વધ્યાં. તેમને ૧૯૭૭માં પદ્મશ્રી પુરસ્કારથી અને ૧૯૮૨માં સંગીતનાટક અકાદમી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. તેમના પુત્ર ઝાકિરહુસેને તબલાવાદનમાં સમગ્ર દુનિયામાં અસાધારણ ખ્યાતિ મેળવી.

Categories
વાચન સમૃદ્ધિ

વાચાળ જીભને બદલે શ્રવણસુખી કાન આપો

માણસ સામે ચાલીને પોતાની જાતને અળખામણી કે અણગમતી બનાવતો હોય છે. એ એટલો બધો અળખામણો બની જાય છે કે લોકો એનો ‘પીછો’ છોડાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એને ટાળવા માટે બહાનાં ઊભાં કરે છે અને એને જોતાં જ એક પ્રકારની ‘ઍલર્જી’ અનુભવે છે. આનું કારણ એ કે એ વ્યક્તિ બીજાની સાથે વાર્તાલાપ કરતી વખતે માત્ર પોતાની જાતને જોતો હોય છે. એ બીજાને મળે છે, ત્યારે એનો હેતુ શ્રોતા બનવાને બદલે વક્તા બનવાનો હોય છે. સામેની વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, તોપણ એ પોતાની કથા કહેતો રહે છે, બડાશ હાંકતો જાય છે અને અહંકારને પંપાળે છે. એ પોતાની જાતનું જ મહત્ત્વ કરતો રહે છે અને સામી વ્યક્તિને સ્થિતિસ્થાપક કે ફક્ત મૂક દર્શક માને છે. વાતચીત કરતી વખને જો સામેની વ્યક્તિને સમાદર આપવામાં નહીં આવે, તો એ વ્યક્તિને તમારો અહંકાર ખૂંચવા લાગશે. આને પરિણામે એ ઉપેક્ષા સેવતી બની જશે. સામેની વ્યક્તિને સન્માનપૂર્વક સાંભળવાની જે તૈયારી રાખે છે, એ જ એના સન્માનને પાત્ર બની શકે છે. સામી વ્યક્તિને જીભ આપવાને બદલે કાન આપવા જોઈએ. શ્રવણ એ પણ એક કલા છે અને જેમને શ્રવણની કલા મળે છે તે સામી વ્યક્તિનો સ્નેહ પામી શકે છે. પોતાની જ વાત ‘હાંકે રાખનાર’ની વાતમાં બીજાને રસ પડતો નથી. થોડી વાર સાંભળ્યા પછી બેધ્યાન બની જાય છે. શરમે કે વ્યવહારથી એને સાંભળે તોપણ બહેરો બની જાય છે. સામેની વ્યક્તિનો સ્નેહ મેળવવા માટે એના હૃદયની વાત જાણવી જરૂરી છે. એ વાત સાંભળીને તમે એના વિચાર, વર્તન અને વ્યક્તિત્વ સઘળાંનો તાગ પામી શકશો.

Categories
વાચન સમૃદ્ધિ

મેલ્વિલ ડીમેલો

જ. ૨૮ એપ્રિલ, ૧૯૧૩ અ. ૫ જૂન, ૧૯૮૯

સ્વતંત્ર ભારતમાં વિવિધ ઘટનાઓ પરના તેમના ઉચ્ચ ગુણવત્તાવાળા અહેવાલો અને ભાષ્યો માટે જેમને યાદ કરવામાં આવે છે તે મેલ્વિલ ડી’મેલો ઑલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલા ભારતીય રેડિયો પ્રસારણકર્તા હતા. ડી’મેલોનું શિક્ષણ શિમલાની બિશપ કોટન સ્કૂલ અને મસૂરીની સેન્ટ જ્યોર્જ કૉલેજમાં થયું હતું. તેમણે પંજાબ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ તરીકે પણ સેવા આપી હતી. મેલ્વિલ ડી’મેલોએ ૧૯૫૦થી ૧૯૭૧ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો સાથે કામ કર્યું હતું અને તેઓ ‘સ્ટાફ આર્ટિસ્ટ’ કૅટેગરીમાં આવતા હતા. તેમની નિવૃત્તિ પછી પણ તેમને બીજાં પાંચ વર્ષ માટે નિર્માતા (એમેરિટ્સ) તરીકે સેવારત રાખવામાં આવ્યા હતા. ૧૯૪૮માં ગાંધીનિર્વાણદિને ડી’મેલો બિરલા હાઉસથી રાજઘાટ ખાતે સ્મશાનસ્થળ સુધી મહાત્મા ગાંધીજીના પાર્થિવ દેહને લઈ જતી ટીમ સાથે ગયા હતા અને ઑલ ઇન્ડિયા રેડિયોની વાનમાંથી સમગ્ર ઘટનાની સાત કલાક સુધી સૌને ઝાંખી કરાવી હતી. જેને ભારતના રેડિયો પ્રસારણમાંનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે. ૧૯૫૨માં તેમને રાણી એલિઝાબેથના રાજ્યાભિષેક શોભાયાત્રાની કૉમેન્ટરી આપવા માટે બ્રિટિશ સરકારે પસંદ કર્યા હતા. તેમણે વર્ષો સુધી ભારતના પ્રજાસત્તાકદિનની પરેડમાં કૉમેન્ટેટર તરીકે સેવા આપી હતી. ભારત-પાકિસ્તાન હૉકી મૅચો પરની તેમની કૉમેન્ટરી આજે પણ યાદ કરવામાં આવે છે. બાંગ્લાદેશ યુદ્ધ અને ત્યારબાદ ભારતીય દળો દ્વારા તેની મુક્તિ પરના તેમના અહેવાલની હજારો રેડિયોશ્રોતાઓ આતુરતાથી રાહ જોતા જોવા મળતા હતા. મેલ્વિલ ડી’મેલોએ રમતગમત પર અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ધ સ્ટોરી ઑફ ધ ઑલિમ્પિક્સ’ વિશેષ ઉલ્લેખનીય છે. અન્ય પુસ્તકોમાં ‘રિચિંગ ફોર એક્સેલન્સ’ અને ‘ધ ગ્લૉરી ઍન્ડ ડેકે ઑફ ઇન્ડિયન સ્પૉર્ટ્સ’ ખાસ નોંધપાત્ર છે. મેલ્વિલ ડી’મેલોને ચૅકોસ્લોવાક રેડિયો ડૉક્યુમેન્ટરી પુરસ્કાર (૧૯૬૦), કૉમેન્ટરી પુરસ્કાર (૧૯૭૭), એશિયાડ જ્યોતિ ઍવૉર્ડ (૧૯૮૪) અને ૧૯૬૩માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.