Categories
વાચન સમૃદ્ધિ

ઝારખંડ

ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય.

ભૌગોલિક સ્થાન : તે ૨૩ ૩૫´ ઉ. અ. અને ૮૫ ૩૩´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ ૩૮૦ કિમી. અને પહોળાઈ ૪૬૩ કિમી. છે. વિસ્તાર ૭૯,૭૧૬ ચો.કિમી. છે. આ જિલ્લાની કુલ વસ્તી આશરે (૨૦૨૪ મુજબ) ૪,૧૦,૭૦,૦૦૦ છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર પારસનાથ (૧૩૮૨ મી.) છે. આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ રાજ્યની આબોહવા વૈવિધ્યસભર છે. ઉત્તરના ભાગમાં ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય, અગ્નિ ભાગમાં સૂકી અનુભવાય છે. ઉનાળાની ઋતુનો સમયગાળો મધ્ય એપ્રિલથી મધ્ય જૂન ગણાય છે. મે માસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું રહે છે. જૈવવિવિધતાની દૃષ્ટિએ આ રાજ્ય સમૃદ્ધ છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે છે. આ જંગલોમાં સાલ, સીસમ, ખેર, પલાસ, ટીમરું, કુસુમ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંનાં વૃક્ષોની ઊંચાઈ ૩૦થી ૪૫ મીટર સુધી હોય છે. અહીં ગીચ જંગલોનો વિસ્તાર આશરે ૧૨,૫૦૭ ચો.કિમી. અને પાંખાં જંગલો હેઠળનો વિસ્તાર આશરે ૧૦,૪૭૦ ચો.કિમી. છે. ખેતી પણ આ રાજ્યના અર્થતંત્રમાં આગવો ફાળો આપે છે. અહીં અનેક પ્રકારના ખેતીકીય પાકો મેળવાય છે. જેમાં ડાંગર, ઘઉં, મકાઈ, કઠોળ, રાગી જેવા ધાન્ય પાકો તેમજ શેરડી, કપાસ, તમાકુ જેવા રોકડિયા પાકોની ખેતી પણ લેવાય છે. ફળોમાં પપૈયાં, કેળાં, સ્ટ્રોબેરી, કેરી વગેરેની ખેતી લેવાય છે. અહીંનાં જંગલોમાં ૯૭ જેટલી પ્રજાતિનાં વૃક્ષો અને છોડવા આવેલાં છે જ્યારે કાંટાળી અને ઔષધિવાળી વનસ્પતિની ૪૬ પ્રજાતિ શોધાઈ છે. ૨૫ પ્રકારના વેલા અને ૧૭ પ્રકારના ઘાસ-વાંસ છે. જ્યારે ૩૯ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, ૮ પ્રકારના સાપ, ૪ પ્રકારની ઘો, ૨૧ પ્રકારનાં પતંગિયાં, કીડા, મંકોડા અને ૧૭૦ પ્રકારનાં પક્ષીઓ વસે છે. જેમાં ‘પાલામઉ વાઘ અભયારણ્ય’ અને ‘દાલમા વન્યજીવ અભયારણ્ય’ મુખ્ય છે. રાંચી પાસે ‘મુટા મગર સંવર્ધન કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવી છે.

ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ(TISCO)નું કારખાનું

અર્થતંત્ર : આ રાજ્યે ખનિજોની વિવિધતા અને જથ્થાની દૃષ્ટિએ ભારતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લોહઅયસ્ક અને કોલસાના વિપુલ અનામત જથ્થાને કારણે જમશેદપુર, ધનબાદ, બોકારો અને રાંચીમાં મહત્ત્વના ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. જમશેદપુરમાં ખાનગી ક્ષેત્રનું જાણીતું ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ(TISCO)નું કારખાનું કાર્યરત છે. પરિવહન – પ્રવાસન : આ રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્યના ધોરી માર્ગોનું ગીચ જાળું પથરાયેલું છે. રેલમાર્ગોની પણ સુવિધા આ રાજ્ય ધરાવે છે. આ રાજ્યનું સૌથી મોટું આંતરદેશીય હવાઈ મથક ‘બીરસા મુન્ડા’ છે. જે દિલ્હી, કૉલકાતા, બૅંગાલુરુ, મુંબઈ, હૈદરાબાદ વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. ઝારખંડ જળધોધ, ડુંગરો અને પવિત્ર ધાર્મિક સ્થાનો માટે જાણીતું છે. ઈટખોરી જે હિન્દુઓનું, બૌદ્ધોનું અને જૈનોનું પવિત્ર સ્થળ મનાય છે. અહીં અનેક નાનામોટા જળધોધ આવેલા છે. જેમાં જ્હોના ધોધ, હુન્ડરુ ધોધ, દસ્સામ ધોધ, પેરવાગહાગહા (perwaghagh) ધોધ વધુ મહત્ત્વના લેખાય છે. જેમાં બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન, ડાલ્ફા વન્યજીવ અભયારણ્ય જોવા પ્રવાસીઓ વધુ આકર્ષાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝારખંડ, પૃ. 134)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

મણિભાઈ ભીમભાઈ દેસાઈ

જ. ૨૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૪ નવેમ્બર, ૧૯૯૩

ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની મણિભાઈનો જન્મ સૂરત જિલ્લાના કોસમાડા ગામે થયો હતો. મૅટ્રિક થયા બાદ ૧૯૩૮માં સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા. ગાંધીજીના પ્રભાવથી છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી ભાંગફોડ-પ્રવૃત્તિમાં ભાગ લીધો, તે બદલ જેલવાસ ભોગવ્યો. ૧૯૪૪માં જેલમાંથી મુક્ત થયા બાદ ૧૯૪૫માં બી.એસસી. થયા અને ગાંધીજીની સલાહ અનુસાર રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉરુળીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપ્યું. સેવા ખાતર અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારપછી ગ્રામવિસ્તારમાં અનેક યોજનાઓ આરંભી. તેઓએ ખાંડનું સહકારી કારખાનું અને સહકારી કૃષિ મંડળીની સ્થાપના કરી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જલવિતરણ યોજના શરૂ કરી. તેમણે એક ગૌશાળાની સ્થાપના કરી. દક્ષિણ ગુજરાતમાં તેઓએ આદિવાસીઓના વિકાસ માટે વાંસદામાં આમ્રકુંજ, મહિલાઓની ઉન્નતિ માટે કુટુંબનિયોજન અને સાક્ષરતા સહિત વિવિધ યોજનાઓ કરી. ‘ધ ભારતીય ઍગ્રો-ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન’ના નેજા હેઠળ પશુસંવર્ધન, પશુસ્વાસ્થ્ય રસી ઉત્પાદન, ઘાસચારો, પાણી-જમીન સંરક્ષણ જેવી યોજનાઓ કરી. ગાયોના શરીરની સંપૂર્ણ રચનાનો અભ્યાસ કરી ગાયોના ધન્વંતરિ બન્યા. તેઓને ૧૯૬૮માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી, ૧૯૭૭માં મહારાષ્ટ્ર ફુલે કૃષિ વિદ્યાપીઠ તરફથી ડૉ. ઑવ્ સાયન્સ, ૧૯૮૨માં ફિલિપાઇન્સ તરફથી ‘રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ’ તથા ગાંધીજીની વિચારસરણી અનુસાર ગ્રામસેવા માટે ‘જી. જે. વાટુમલ મેમોરિયલ ઍવૉર્ડ’, ૧૯૮૩માં ‘જમનાલાલ બજાજ ઍવૉર્ડ’, ૧૯૮૪માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ‘ડૉક્ટર ઑવ્ લિટરેચરની ઉપાધિ આ ઉપરાંત ૧૯૮૯માં ‘વિશ્વગુર્જરી નૅશનલ ઍવૉર્ડ’ વગેરે સન્માનો પ્રાપ્ત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

તું યાદ કરજે !

વારંવાર ભૂકંપગ્રસ્ત બનતા જાપાનમાં આવેલા એક ભયાનક ભૂકંપથી સર્જાયેલી તબાહીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આવેલી ટુકડીનો અગ્રણી ધરાશાયી થયેલા મકાનમાં પહોંચ્યો. એણે જોયું તો તૂટી પડેલા મકાનના કાટમાળની નીચે એક સ્ત્રીનો મૃતદેહ પડ્યો હતો. જાણે પ્રાર્થનાની મુદ્રામાં હોય તેમ શરીરને ઘૂંટણથી આગળ ઝુકાવીને પડેલી હતી. જાણે કોઈ વસ્તુને એણે હૃદયસરસી ચાંપી ન હોય ! ખંડેર બનેલા મકાનની ઈંટોના મારથી એની કમર અને એના માથા પર જીવલેણ ઈજા પહોંચી હતી. એનું શરીર તદ્દન ઠંડું પડી ગયું હતું. સહુને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી ઉપરથી પડેલા મકાનની ઈંટોને કારણે મૃત્યુ પામી છે. બચાવ-ટુકડી આગળ વધી, પરંતુ એની આગેવાની સંભાળનારના મનમાં એક વિચાર આવ્યો કે આ સ્ત્રી ઘૂંટણિયે વળીને કેમ પડી હશે ? શું કશું શોધવા પ્રયત્ન કરતી હશે કે પછી એના હાથમાં કશુંક રાખીને પોતાનો જીવ બચાવવા એને વળગી પડી હશે ? ટુકડીનો આગેવાન પાછો આવ્યો અને એણે એ સ્ત્રીના મૃતદેહની નીચેથી તપાસ કરવાનો પ્રયત્ન કરતાં એ બોલી ઊઠ્યો, ‘અરે, અહીં એક બાળક છે !’ એનો અવાજ સાંભળી આખી ટુકડી પાછી આવી અને સ્ત્રીની આસપાસ પડેલા કાટમાળને ખસેડીને જોયું તો કામળીમાં વીંટાળેલું ત્રણ મહિનાનું એક બાળક એ સ્ત્રીના મૃતદેહની નીચેથી મળી આવ્યું. બધાને ખ્યાલ આવ્યો કે નક્કી માતાએ ઉપરથી થતા ચીજવસ્તુઓ અને ઈંટોના વરસાદથી બચાવવા માટે પોતાના બાળકને આમ કામળીમાં વીંટાળીને છાતીસરસો ચાંપીને ઘૂંટણભેર ઊભી રહી હશે. પોતાના શરીરને ઢાલ બનાવીને પોતાના સંતાનને બચાવવા પ્રયત્ન કરતી હશે. ટીમના આગેવાને કામળીમાં વીંટાળેલા બાળકને ઉપાડ્યું, તો એ બાળક નિરાંતે ઊંઘતું હતું. ડૉક્ટરે તરત જ બાળકની સારવાર શરૂ કરી. કામળી કાઢીને જોયું તો બાળકની પાસે એક સેલફોન પડેલો હતો. એ ફોનના સ્ક્રીન પર લખ્યું હતું. ‘જો તું બચી જાય, તો યાદ રાખજે કે તારી માતા તને ખૂબ ચાહતી હતી.’ મોબાઇલ પરનો સંદેશો વાંચી ટુકડીના સભ્યોની આંખો આંસુથી છલકાઈ ગઈ.