Categories
વાચન સમૃદ્ધિ

ચુન્ની ગોસ્વામી

જ. ૧૫ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૩૦ એપ્રિલ, ૨૦૨૦

ફૂટબૉલના સારા ખેલાડી તથા પ્રથમ શ્રેણીનું ક્રિકેટ રમનાર ભારતીય ખેલાડીનું અસલ નામ સુબિમલ ગોસ્વામી હતું. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. તેઓ નાના હતા ત્યારે મિત્રોને ફૂટબૉલ રમતા જોઈને તેમને પણ ફૂટબૉલ રમવાની પ્રેરણા મળી. તેઓની રમતથી પ્રભાવિત મોહન બાગાનના (કૉલકાતાની સ્પૉર્ટ્સ ક્લબ) અધિકારીઓએ જ્યારે ચુન્ની ૧૬ વર્ષના થયા ત્યારે ૧૯૫૪માં ટીમ માટે પસંદ કર્યા અને ચુન્નીએ લીગ મૅચમાં રમવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તેઓ ટીમના કૅપ્ટન તરીકે પસંદ થયા. ભારતમાં યોજાતી બધા પ્રકારની ટુર્નામેન્ટમાં તેમણે મોહન બાગાનને વિજય અપાવ્યો હતો. ૧૯૫૫થી તેઓએ નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૧૯૬૦માં બંગાળની ટીમના કૅપ્ટન બન્યા હતા. ૧૯૬૦માં રોમ ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડી તરીકે પસંદગી પામ્યા હતા. ત્યારબાદ ૧૯૫૮માં ટોકિયોના એશિયન રમતોત્સવમાં ભારતીય ટીમ તરફથી તેઓ રમ્યા હતા. ત્યારબાદ ઑલ ઇન્ડિયા કમ્બાઇન્ડ યુનિવર્સિટી ફૂટબૉલ ટીમના કૅપ્ટન બનીને કાબુલમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સેઇડમાં તથા ૧૯૬૨માં ચુન્નીની ભારતીય ટીમના કૅપ્ટન તરીકે પસંદગી થઈ અને ૮૦ જેટલી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ મૅચોમાં ૫૦૦ કરતાં વધારે ગોલ કરવાનું બહુમાન તેમણે મેળવ્યું હતું. ૧૯૬૨ અને ૧૯૬૪માં ચુન્નીને એશિયાના સર્વશ્રેષ્ઠ ફૉર્વર્ડ ખેલાડી જાહેર કરાયા હતા. ચુન્ની ક્રિકેટ પણ સારું રમતા હતા. બંગાળની ક્રિકેટ ટીમમાંથી તેને રણજી ટ્રૉફી મૅચ અને પૂર્વ અને મધ્ય ઝોનની ક્રિકેટ ઇલેવનમાં પસંદ કરાયા હતા. ચુન્નીને ૧૯૬૩માં અર્જુન ઍવૉર્ડ, એશિયાઈ રમતોત્સવમાં ભારતીય ફૂટબૉલ ટીમે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૯૮૩માં પદ્મશ્રી પુરસ્કાર, ૨૦૦૬માં મોહન બાગાન રત્ન મળ્યો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અઘરી વાણી એ પંડિતાઈનું

મિથ્યા પ્રદર્શન છે ——————

વિભૂતિઓ અને સંતોની વાણી કેટલી સરળ અને સાહજિક હોય છે ! રામની કથા હોય, મહાવીરની વાણી હોય કે બુદ્ધનું પ્રવચન યા ઈશુ  ખ્રિસ્તનો ઉપદેશ હોય, એને સમજવા માટે કોઈ વિદ્વત્તાની જરૂર પડતી નથી. નરસિંહની કવિતા, મીરાંની ભાવના, તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ કે આનંદઘનનાં પદ વાંચો અને હૈયાસોંસરાં ઊતરી જાય. એના શબ્દોમાં પરમ તત્ત્વજ્ઞાન હોય છે, પરંતુ એ તત્ત્વજ્ઞાન વ્યક્તિને સરળતાથી સમજાય તેવું હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થતું હોય છે. એની આસપાસ કોઈ આવરણ હોતું નથી કે જે આવરણને ભેદવા માટે પંડિતાઈની જરૂર પડે, પણ ક્યાંક પાંડિત્ય-પ્રદર્શન માટે આવી સરળતાને બદલે આડંબરને અપનાવીને ડોળભર્યું આલેખન કરવામાં આવે છે. એ પંડિત એવી વાણી બોલશે કે જે શ્રોતાઓ સમજી શકે નહીં. એને વધુ ને વધુ કઠિન બનાવવા માટે એ અજાણ્યા અને અઘરા શબ્દો પસંદ કરશે. ક્યારેક તો પારિભાષિક શબ્દોની ભરમાર આપીને શ્રોતા કે વાચકને  માટે એ વધુ  કપરું બનાવશે.  આથી પણ આગળ વધીને એ એવી તર્કજાળ રચશે કે સામેની વ્યક્તિ એમાં ગૂંચવાઈ જાય. એ પોતાની વાતને વધુ ને વધુ અઘરી બનાવીને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે એ જેટલી અઘરી વાણી બોલે, આડંબરયુક્ત શબ્દો પ્રયોજે, પરિભાષાનો વરસાદ વરસાવે, એટલો મોટો પંડિત ગણાય છે. પણ આવી પંડિતાઈ એ પંડિતને કે એના શ્રોતાઓને ક્યારેય લાભદાયી કે ફળદાયી બનતી નથી. અંતરની ગહન અનુભૂતિ અને માનવજીવનના મર્મોને પારખતી દૃષ્ટિને કારણે વિભૂતિઓની વાણીમાં શબ્દોનું સૌંદર્ય હોય છે, પણ ભાષાનો ભભકભર્યો શણગાર હોતો નથી. સરળતાના સૌંદર્યનો અનુભવ કરવો હોય તો તે સંતોની  વાણીમાં મળી શકે, જે જીવનના ધરાતલમાંથી પ્રગટી  છે અને માનવીના હૃદયના ધરાતલને સ્પર્શે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

વિનોદ જશવંતલાલ ભટ્ટ

જ. ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૨૩ મે, ૨૦૧૮

ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટનો જન્મ દહેગામ તાલુકાના નાંદોલમાં થયો હતો. ૧૯૬૪માં એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ વીસેક વર્ષ વેચાણવેરાના અને ત્યાર બાદ આવકવેરાના સલાહકાર તરીકે સેવા આપી. ૧૯૯૭થી નિવૃત્તિ લઈ સાહિત્યસર્જનને લગતી પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. તેમણે ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) એ પુસ્તકથી લેખનકાર્યનો આરંભ કર્યો. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’, ‘ઇદમ્ તૃતીયમ્’, ‘ઇદમ્ ચતુર્થમ્’ વગેરેથી તેમની સર્જક પ્રતિભાનો પરિચય થયો. ‘વિનોદની નજરે’ એ ગુજરાતી હાસ્યસાહિત્યનું અનોખું પુસ્તક છે. ‘અને હવે ઇતિ-હાસ’, ‘ગ્રંથની ગરબડ’, ‘અથથી ઇતિ’, ‘પ્રભુને ગમ્યું તે ખરું’ વગેરે તેમનાં વિશિષ્ટ પુસ્તકો છે. અમદાવાદ શહેરનો વિનોદી શૈલીમાં પરિચય કરાવતું પુસ્તક ‘અમદાવાદ એટલે અમદાવાદ’ નોંધનીય છે. ‘એવા રે અમે એવા’ (૧૯૯૯) એ એમની આત્મકથા છે જે ગુજરાતી આત્મકથા સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના અને વિદેશના સુપ્રસિદ્ધ સાહિત્યકારોનો હળવી શૈલીમાં પરિચય કરાવતી અનેક પુસ્તિકાઓ લખી છે. તેમણે પોતાની ચરિત્રલેખનની કુશળતાનો પણ પરિચય આપ્યો. સાહિત્યિક પત્રકારત્વક્ષેત્રે તેમણે ઘણું કામ કર્યું છે. ‘સંદેશ’ની રવિવારની પૂર્તિમાં ૩૨ વર્ષ સુધી તેમની ‘ઇદમ્ તૃતીયમ્’ કટાર પ્રગટ થઈ. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ‘મગનું નામ મરી’ કટાર લખી. કટોકટી દરમિયાન પણ તેમણે નિર્ભયતાપૂર્વક કટારલેખન કર્યું હતું. ‘હાસ્ય મારો પ્રથમ પ્રેમ છે’ કહેનારા આ લેખકે સંપાદનક્ષેત્રે અગત્યનું કામ કર્યું છે. જુદા જુદા લેખકોની હાસ્યરસની રચનાઓનાં તેમણે સંપાદન કર્યાં છે. તટસ્થ નિરીક્ષણ અને માર્મિક, વેધક કટાક્ષને કારણે તેમના લેખો ખૂબ નોંધપાત્ર બન્યા. ‘વિનોદવિમર્શ’ પૂર્વ-પશ્ચિમમાં થયેલી વિચારણાનો અભ્યાસ કરી લખાયેલું હાસ્યમીમાંસાનું પુસ્તક છે. આ દ્વારા તેમણે સૌને પોતાની વિવેચનશક્તિથી પરિચિત કર્યા. વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્ય પરિષદનું  પ્રમુખપદ (૧૯૯૫) પણ શોભાવ્યું હતું. હાસ્ય સાહિત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૮૯), જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તથા કુમાર ચંદ્રક (૧૯૭૬)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ