Categories
વાચન સમૃદ્ધિ

નારીનું સન્માન

ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટને અતિ મહત્ત્વાકાંક્ષી અને સત્તાલોભી તરીકે વર્ણવવામાં આવ્યો છે; પરંતુ એનાં કાર્યો જોતાં એમ લાગે કે એ કુશળ વહીવટકર્તા, પ્રજામાં શાંતિ સ્થાપનારો અને રાષ્ટ્રને માટે યોગ્ય શાસનવ્યવસ્થા કરનારો હતો. ફ્રાન્સને ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતા વહીવટી એકમોમાં વિભાજિત કર્યું. સૌથી વિશેષ તો ન્યાયાધીશોની ચૂંટણી કરવાની પ્રથા બંધ કરીને ન્યાયાધીશોની સુરક્ષિતતા અને તાટસ્થ્ય જળવાઈ રહે, તે માટે નિયુક્તિની પ્રથા અમલમાં મૂકી. આ ઉપરાંત શિક્ષણ, અર્થતંત્ર અને લશ્કરી તંત્રના ક્ષેત્રે સુધારાઓ કરીને રાજ્યની સંસ્થાને મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો. એણે વિજય મેળવ્યા હતા તેવા પ્રદેશોમાંથી પણ સામંતશાહીને નાબૂદ કરી હતી. પરાજિત દેશોમાં પણ એણે બંધારણ અને નાગરિક કાનૂનસંહિતા પણ દાખલ કરી હતી અને એ રીતે પરાજિત દેશોના વહીવટી તંત્રને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો. આવા સમ્રાટ નેપોલિયને ફ્રાંસની પ્રજામાં નવો પ્રાણ ફૂંક્યો અને ફ્રાંસની સ્ત્રીઓને શક્તિ અને સંસ્કારના પ્રતીક તરીકે એણે સન્માન આપ્યું. સમ્રાટ નેપોલિયનના મહેલમાં એક ભવ્ય સ્નાનગૃહ તૈયાર થતું હતું અને આવા સમર્થ વિજેતા સમ્રાટના સ્નાનગૃહમાં દીવાલો પર ચિત્રકારોએ સુંદર ચિત્રકૃતિઓ અંકિત કરી. સ્નાનગૃહનું કાર્ય પૂર્ણ થયા પછી સમ્રાટ નેપોલિયન સ્નાન કરવા માટે ગયો, ત્યારે એની નજર દીવાલો પરનાં ચિત્રો પર પડી. એણે જોયું તો એના પર કામોત્તેજના જગાવે તેવી સુંદરીઓનાં કલામય ચિત્રો આલેખ્યાં હતાં. આવાં ચિત્રો જોતાં જ નેપોલિયન સ્નાનગૃહમાંથી બહાર આવ્યો અને રાષ્ટ્રના અધિકારીઓને બોલાવીને કઠોર ઉપાલંભ આપતાં કહ્યું, ‘સ્ત્રીઓનું સન્માન કરવું ઘટે, એને બદલે અહીં તો ચિત્રકારોએ વિલાસપૂર્ણ કામુક ચિત્ર દોરીને સ્ત્રીઓનું અપમાન કર્યું છે. કોઈ સેનાની કે સમ્રાટ સ્ત્રીઓનું આવું અપમાન સાંખી શકે નહીં, કારણ કે જે દેશ સ્ત્રીઓને વિલાસનું સાધન માને છે, તે દેશનો વિનાશ થાય છે.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ભૂલાભાઈ દેસાઈ

જ. ૧૩ ઑક્ટોબર, ૧૮૭૭ અ. ૬ મે, ૧૯૪૬

વિદ્વાન વકીલ અને સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈનો જન્મ અનાવિલ પરિવારમાં થયો હતો. પિતા જીવણજી અને માતા રમાબાઈ. તેમણે શાળેય શિક્ષણ વલસાડની અવાબાઈ હાઈસ્કૂલ અને મુંબઈની ભરડા હાઈસ્કૂલમાં મેળવ્યું. ૧૮૯૫માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ સ્થાને પાસ કરી. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવી વર્ડ્ઝવર્થ પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી. અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. નોકરી દરમિયાન એલએલ.બી. થયા. ૧૯૦૫માં મુંબઈમાં વકીલાત શરૂ કરી. ૧૯૧૬માં તેઓ હોમરૂલ લીગમાં જોડાયા. થોડાં વર્ષો લિબરલ પાર્ટીના સભ્ય પણ રહ્યા. ૧૯૨૮માં ભારતમાં બંધારણીય સુધારાઓ માટેના સાયમન કમિશનનો તેમણે વિરોધ કર્યો. બારડોલી સત્યાગ્રહ પછી સરકારે નીમેલા તપાસપંચ સમક્ષ તેમણે ખેડૂતોના કેસનું પ્રતિનિધિત્વ કરી જોરદાર રજૂઆત કરી જેથી ખેડૂતોને લાભ થયો. તેઓ ૧૯૩૦માં કૉંગ્રેસમાં જોડાયા. વિલાયતી માલના બહિષ્કાર માટે મુંબઈ સ્વદેશી સભાની સ્થાપના કરી. સરકારે ૨૫ જુલાઈ, ૧૯૩૨ના રોજ તેમની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. ૧૯૩૪-૩૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય બન્યા. તેઓ કેન્દ્રની ધારાસભામાં ચૂંટાયા. બીજા વિશ્વયુદ્ધમાં ભારત અને ભારતીય સૈનિકોના સમાવેશનો તેમણે વિરોધ કર્યો. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો, આથી તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેમને દસ મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૫માં વચગાળાની સરકારની રચના માટે તેમણે મુસ્લિમ લીગના લિયાકત અલીખાન સાથે વાટાઘાટો કરી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજના શાહ નવાઝખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરુબક્ષસિંહ ધિલ્લોન પર રાજદ્રોહના કેસમાં તેમણે બચાવપક્ષના વકીલ તરીકે અભ્યાસપૂર્ણ દલીલો કરી હતી. મોતીલાલ સેતલવાડે તેમનું જીવનચરિત્ર લખ્યું છે. મુંબઈમાં તેમના નામે રોડનું નામાભિકરણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

સ્પીકર (અયક્ષ)

પ્રત્યેક ધારાસભા કે વિધાનસભા-ગૃહના સંચાલક મુખ્ય પદાધિકારી –અધ્યક્ષ. ભારતમાં સંસદનાં ગૃહો તેમ જ રાજ્યોનાં ધારાગૃહોના મુખ્ય સંચાલનના વ્યવસ્થાપનની જવાબદારી તેઓ અદા કરે છે. સ્પીકર(અધ્યક્ષ)-પદનો ઉદગમ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ઈ. સ. ૧૩૭૭માં થયો હતો. ટૉમસ હંગરફર્ડ આમસભાના પ્રથમ સ્પીકર થયા. તે ‘સ્પીકર’ કહેવાયા, કારણ કે સૈકાઓ પહેલાં તે રાજા પાસે જતા અને રાજાનો સંદેશો ગૃહના સભ્યોને કહેતા તેમ ગૃહના નિર્ણયની જાણ તેઓ રાજાને કરતા.

ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર,  લોકસભા-ગૃહ, દિલ્હી

લોકસભા કે વિધાનસભાના ૩ સ્તંભો મનાય છે : ૧. સ્પીકર (અયક્ષ), ૨. વડાપ્રધાન/મુખ્યપ્રધાન અને ૩. વિરોધપક્ષના નેતા. સ્પીકરનું સ્થાન વિશિષ્ટ જવાબદારીવાળું હોય છે. તેની ગેરહાજરીમાં ધારાગૃહનું સંચાલન કરનાર ઉપાધ્યક્ષ કહેવાય છે. ધારાસભા પોતાના સભ્યોમાંથી બહુમતીના ધોરણે અધ્યક્ષ તેમ જ ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. બંને સ્થાનની મુદત જે તે ધારાગૃહની મુદત પર્યંતની હોય છે. એક પ્રણાલી અનુસાર જો સ્પીકરના હોદ્દાધારી પદાધિકારી નવી ચૂંટણી વખતે ઉમેદવારી કરે તો તેની સામે અન્ય કોઈ પક્ષ ઉમેદવાર ઊભા રાખતા નથી અને તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે સ્પીકરે (અધ્યક્ષે) પોતાનું પદ ખાલી કરવાનું રહેતું નથી. નવી લોકસભા કે વિધાનસભાનું પ્રથમ સત્ર આરંભાય ત્યાં સુધી સ્પીકરનું પદ ચાલુ રહે છે; તેમ છતાં સ્પીકરને રાજીનામું આપવું હોય તો તે ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે સ્પીકરને રાજીનામું આપી છૂટા થઈ શકે છે. લોકસભા કે રાજ્યોમાં વિધાનસભાના સ્પીકર કે ઉપાધ્યક્ષને તેમના સ્થાનેથી દૂર કરવાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર થાય તો દૂર કરી શકાય છે. સ્પીકરની મુખ્ય ફરજ ગૃહનું સંચાલન કરવાની છે. આ સંચાલન દેશના બંધારણ, રાજ્યની વિધાનસભાના નિયમો તેમ જ સંસદીય પ્રણાલી મુજબ કરવાનું હોય છે. તેઓ ગૃહના વડા છે, પ્રથમ પ્રતિનિધિ છે તે સાથે તેના સેવક છે. ગૃહમાં વ્યવસ્થા જાળવવી તે તેમનું કર્તવ્ય છે. અંદાજપત્ર, વિધેયકોની ચર્ચા, તેમની મંજૂરી-નામંજૂરી, મત લેવા તેમ જ પ્રસ્તાવોની રજૂઆત તથા ચર્ચા – આ બધું તેમના નિયંત્રણ હેઠળ રહે છે. ભારતમાં લોકસભાના પ્રથમ સ્પીકર શ્રી ગણેશ વાસુદેવ માવળંકર હતા. સ્પીકર-પદની ગરિમા, માનમરતબો જળવાય તે જોવાની રાજ્યની, પ્રજાની તેમ જ પ્રત્યેક ગૃહના સભ્યની ફરજ છે.

અમલા પરીખ

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્પીકર (અધ્યક્ષ), પૃ. ૮૦)