Categories
વાચન સમૃદ્ધિ

જિનીવા

સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન ૪૬° ૧૨´ ઉ. અ. અને ૬° ૦૯´ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર ૧૮ ચોકિમી. તથા ઉપનગરો સાથેનો વિસ્તાર ૨૮૨ ચોકિમી. છે. તેની વસ્તી ૪,૨૭,૩૯૬ (૨૦૦૪) છે. મૂળે તે રોમન શહેર હતું. છઠ્ઠી સદીમાં રાજા ફ્રાંકે તે લઈ લીધા બાદ બારમી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યમાં ભેળવી દીધું.

જિનીવા વિશ્વવિદ્યાલય

સેન્ટ પીટરનું દેવળ

બે હજાર વર્ષ જૂના આ નગરનો ૧૯૪૫ પછી ઝડપભેર વિકાસ થયો છે. સ્વિટ્ઝર્લૅન્ડનાં મહત્ત્વનાં ઔદ્યોગિક નગરોમાં તેની ગણના થતી હોવા છતાં મૂળભૂત રીતે વ્યાપારી કેન્દ્ર તરીકે તે વિકાસ પામ્યું છે. વ્યાપારી પ્રતિષ્ઠાનો, બૅન્કો અને વીમા-કંપનીઓ જેવા આર્થિક ધોરણે સેવા પૂરી પાડતા એકમોનું નગરમાં ઝડપી વિસ્તરણ થયેલું હોવાથી ત્યાંનું અર્થતંત્ર ‘સેવા ઉદ્યોગ’ (service industry) પર નભે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ નગરના અર્થતંત્ર પર વર્ચસ્ ધરાવે છે તથા દેશમાં રોકાયેલ કુલ વિદેશી મૂડીરોકાણમાંથી લગભગ અડધોઅડધ મૂડીરોકાણ આ નગરમાં કેન્દ્રિત થયેલું છે. ઘઉં, સરસવ, રાયડો, ડેરીની બનાવટો તથા જુદા જુદા ઉચ્ચ પ્રકારના શરાબની ત્યાંની મુખ્ય સ્થાનિક પેદાશો ગણાય છે. નગરમાં યંત્રો, યંત્રના છૂટા ભાગ, સ્વચાલિત વાહનો, ઘડિયાળો, રસાયણો, ખાદ્ય પદાર્થો, વીજળીનાં સાધનો, સાઇકલો, સોનાચાંદીનાં ઘરેણાં અને હસ્તકલાના નમૂનાઓ બનાવતા ઉત્પાદન એકમો વિકસ્યા છે. નગરમાં સૌંદર્યથી ભરપૂર ઉદ્યાનો, વસ્તુસંગ્રહાલયો, નાટ્ય તથા સિનેમાગૃહો અને પ્રાણી તથા પક્ષી સંગ્રહાલયો આવેલાં છે. તેરમી સદીનું સેન્ટ પીટરનું દેવળ (cathedral), સોળમી સદીનું નગરગૃહ, અઢારમી સદીનું ન્યાયાલય, વીસમી સદીમાં નિર્માણ કરવામાં આવેલ રાષ્ટ્રસંઘ(League of Nations)નું મુખ્યાલય, વેધશાળા, વનસ્પતિ ઉદ્યાન તથા સંગ્રહાલય પર્યટકો માટેનાં વિશેષ આકર્ષણનાં સ્થળો છે. તેના પ્રણેતા જ્હૉન કૅલ્વિનના પ્રયાસોથી ૧૫૫૯માં નગરમાં જિનીવા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. આજે પણ આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય રાજકારણ, વનસ્પતિશાસ્ત્ર તથા શિક્ષણશાખાના અભ્યાસ અને સંશોધનનું મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. આલ્પ્સ અને જુરા પર્વતમાળાઓની વચ્ચે, પ્રાકૃતિક જળગ્રહણ ક્ષેત્રના કેન્દ્રમાં, ઊંચાણવાળા સ્થાન પર અપ્રતિમ સૃષ્ટિસૌંદર્ય વચ્ચે વિકસેલી આ નગરી ઘણી જાહેર અને ખાનગી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં મુખ્યાલયો ધરાવે છે. ૧૮૬૪માં આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસની તથા ૧૯૧૯માં રાષ્ટ્રસંઘનું યુરોપ ખંડનું મુખ્યાલય શરૂ કરવામાં આવ્યું. ઉપરાંત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ ચર્ચીસ તથા ઇન્ટરનૅશનલ બોર્ડ ઑવ્ એજ્યુકેશનની મુખ્ય કચેરીઓ પણ આ નગરમાં છે. અત્યાર સુધીની ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો આ નગરમાં યોજવામાં આવી હતી. દા.ત, ૧૯૫૪માં કોરિયા તથા ઇન્ડોચીન વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટેની પરિષદ તેમજ ૧૯૫૫માં શીતયુદ્ધનો અંત લાવવા માટે આયોજિત પરિષદ તેમજ ૧૯૬૨–૬૩માં નિ:શસ્ત્રીકરણ તથા અણુશસ્ત્રોના નિરીક્ષણ માટેની પરિષદ યોજવા માટે આ નગરની જ પસંદગી થઈ હતી. જિનીવા સરોવરના છેડા પર ઈ. પૂ. પ્રથમ સદીમાં ત્યાં સૌથી પહેલી વસાહત ઊભી કરવામાં આવી હતી. રુસ્સો અને વૉલ્ટેર જેવા વિચારકોના નિવાસસ્થાન તરીકે પણ આ નગરની ખ્યાતિમાં વધારો થયો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જિનીવા, પૃ. ૭૭૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

પં. શિવકુમાર શર્મા

જ. ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૧૦ મે, ૨૦૨૨

હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સૌપ્રથમ સંતૂરવાદ્ય પર વગાડનાર ભારતના મહાન સંતૂરવાદક પં. શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં ગાયક પિતા ઉમાદત્ત શર્માને ત્યાં થયો હતો. કુશળ ગાયક અને તબલાં તથા દિલરુબાના નિષ્ણાત પિતા પાસેથી માત્ર ૭ વર્ષની ઉંમરથી શિવકુમાર શર્માએ કંઠ્યસંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું અને રિયાઝ દ્વારા રાગ-રાગિણીઓનો પરિચય કરવા માંડ્યો. તેમણે તબલાં, સરોદ અને સિતારવાદનમાં પણ કુશળતા મેળવી, પરંતુ સંતૂરવાદ્ય પર વધારે રુચિ ધરાવનાર શર્માજીએ તેમનું સમગ્ર કૌશલ્ય સંતૂરવાદનમાં કેન્દ્રિત કર્યું. સંતૂરવાદ્ય મૂળ કાશ્મીરનું છે. પ્રાચીન વાદ્ય ‘શતતંત્રી વીણા’માં રહેલા ૧૦૦ તારમાં અનુરૂપ ફેરફારો કરીને તેમાં કુલ ૧૧૬ તાર લગાવીને પિતા-પુત્રએ હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સંતૂર જેવા લોકવાદ્યમાં ઝાલા, જોડ તથા ગતકારી અસરકારક રીતે વગાડી શકાય તે પ્રકારનું સક્ષમ બનાવ્યું. સંતૂરવાદનના તેમના રેડિયો ઉપર આપેલા કાર્યક્રમોમાં સંતૂરના મધુર સ્વરોએ ભારતના લોકોનાં દિલ જીતી લીધાં. ૧૯૫૫માં મુંબઈમાં સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં તેમના પ્રથમ જાહેર કાર્યક્રમને લોકોએ ખૂબ વખાણ્યો. પછીથી તેમના સંતૂરના સુમધુર સ્વરનો આસ્વાદ ભારતનાં નાનાંમોટાં શહેરો ઉપરાંત વિદેશોના લોકોને પણ માણવા મળ્યો. સૂર અને સ્વર પર મજબૂત પકડ ધરાવનાર પં. શિવકુમાર શર્માની સંતૂરના શ્રેષ્ઠતમ વાદક તરીકેની કીર્તિ ચોમેર વ્યાપી ગઈ. હિન્દી ફિલ્મો ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘સિલસિલા’, ‘લમ્હે’, ‘ડર’માં તેમનું મધુર સંતૂરવાદન લોકોને સાંભળવા મળ્યું. તેમના આલબમ ‘કૉલ ઑફ ધ વેલી’એ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી છે. સંતૂરવાદ્યને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવાનું સમગ્ર શ્રેય પં. શિવકુમારને ફાળે જાય છે. ફિલ્મ પુરસ્કારો ઉપરાંત ૧૯૮૬માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૯૧માં ‘પદ્મશ્રી’ અને ૨૦૦૧માં ‘પદ્મવિભૂષણ’ની પદવીઓથી તેઓ સન્માનિત થયા છે.

પ્રીતિ ચોકસી

Categories
વાચન સમૃદ્ધિ

મીઠાનો ગાંગડો મને પાછો

આપ ================

ગૌતમ ગોત્રના અરુણિ ઋષિના પુત્ર અને ધૌમ્ય ઋષિના શિષ્ય ઉદ્દાલક ઋષિ સમક્ષ એમના જ્યેષ્ઠ પુત્ર શ્વેતકેતુએ અતિ ગહન અને મહત્ત્વપૂર્ણ જિજ્ઞાસા પ્રગટ કરી. અત્યાર સુધી શ્વેતકેતુએ આત્મા સંબંધી ઘણા વિચારો અને ચર્ચાઓ સાંભળ્યાં હતાં. એ પોતાનું શરીર પ્રત્યક્ષ જોઈ શકતો હતો, કિંતુ એનો આત્મા અગોચર હતો. એના મનમાં વારંવાર શંકા જાગતી કે આ બધા આત્મનિષ્ઠ પુરુષો આત્માની ચર્ચા-વિચારણા કરે છે, પણ તે હવામાં બાચકાં ભરવા જેવી તો નહીં હોય ને ! શ્વેતકેતુએ પોતાના આત્મા વિશેનો સંશય પ્રગટ કર્યો. એના પિતા અને મહાન ઋષિ ઉદ્દાલકે એને મીઠાનો એક નાનો ગાંગડો લઈ આવવાનું કહ્યું. એ ગાંગડો ઋષિએ પાણીથી ભરેલા પાત્રમાં નાખવા કહ્યું. બીજા દિવસે ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું કે પેલું પાણી ભરેલું પાત્ર લાવ અને મેં આપેલો મીઠાનો ગાંગડો પાછો આપ. શ્વેતકેતુએ કહ્યું, ‘મીઠાનો એ ગાંગડો પાણીમાં નાખી દીધો છે. મીઠાનું કોઈ અલાયદું અસ્તિત્વ રહ્યું નથી. હવે તમને કેવી રીતે પાછો આપું ?’ વેદ-વેદાંગના પારંગત ઉદ્દાલક ઋષિએ કહ્યું, ‘કશો વાંધો નહીં. આ પાત્રમાં જે પાણી છે તેના ઉપરના ભાગમાંથી પાણી લઈને એક ઘૂંટડો પી જા. પછી એના સ્વાદ વિશે મને કહેજે.’ શ્વેતકેતુ ઉપરનું પાણી પી ગયો અને કહ્યું કે આ તો મીઠાનું અત્યંત ખારું પાણી છે. આથી પિતાએ કહ્યું, ‘શ્વેતકેતુ, આ પાત્રમાંથી ઉપરનું પાણી કાઢી નાખ અને વચ્ચેનું પાણી પી જા. શ્વેતકેતુએ પિતાની આજ્ઞા માથે ચઢાવી અને મધ્યભાગનું પાણી પીધું, તો એ પણ ખૂબ ખારું હતું. ઉદ્દાલક ઋષિએ ફરી કહ્યું, ‘ખેર, આ પાત્રમાં રહેલા પાણીના ઉપરના ભાગમાં ખારાશ છે, વચ્ચે ખારાશ છે. હવે એકદમ નીચે રહેલું પાણી પીઓ.’ શ્વેતકેતુએ પાત્રની સાવ નીચે રહેલા પાણીને લઈને પીવાનો પ્રયત્ન કર્યો અને બોલી ઊઠ્યો, ‘અરે, આ તો ખૂબ ખારું છે. આ સાંભળી ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘પ્રિય પુત્ર, આ બધું જ મીઠાના ગાંગડા જેવું છે. હવે તને તારી વાત સમજાશે. પાણીમાં મીઠું ઓગળી ગયું છે. મીઠું નજરે ચઢતું નથી, કિંતુ ઉપર, વચ્ચે કે નીચે – સર્વત્ર એની ખારાશ અનુભવવા મળે છે. બસ, આવી જ વાત છે આત્માની. એ શરીરમાં સતત રમણ કરતો હોય છે, છતાં આપણે તેમને જોઈ શકતા નથી.’ એ દિવસે શ્વેતકેતુને શરીર અને આત્માના ભેદની ઓળખ મળી.

માનવી જીવનભર પ્રયાસ કરે, તોપણ દેહ-આત્માના ભેદને પામી શકતો નથી. માનવજીવનનો પરમ હેતુ જ એના ભેદને પારખવાનો-પામવાનો છે !

કુમારપાળ દેસાઈ