Categories
વાચન સમૃદ્ધિ

ડુંગરપુર

રાજસ્થાનનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે દક્ષિણ અરવલ્લી પર્વતશ્રેણીમાં આવેલો છે. વગડાનો  પ્રદેશ હોવાથી તે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં ડુંગરપુર ઉપરાંત વાંસવાડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિલાલેખોમાં તેનો ઉલ્લેખ ‘વાગ્વર’ તરીકે કરવામાં આવ્યો છે. ભૌગોલિક સ્થાન : ૨૩° ૫૦´ ઉ. અ. અને ૭૩° ૪૩´ પૂ. રે.. જિલ્લાની પૂર્વમાં રાજ્યનો વાંસવાડા જિલ્લો, ઉત્તરમાં ઉદેપુર જિલ્લો તથા દક્ષિણ અને પશ્ચિમમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા આવેલા છે. તે સમુદ્ર સપાટીથી ૩૦૦થી ૪૦૦ મી. ઊંચાઈ ધરાવે છે. તેનો મોટા ભાગનો પ્રદેશ ડુંગરાળ છે, જોકે ડુંગરાઓ વચ્ચે સપાટ મેદાનો પણ આવેલાં છે. ભૂસ્તરવિજ્ઞાનની દૃષ્ટિએ આ વિસ્તાર પ્રીકેમ્બ્રિયન યુગનો ખડક પ્રદેશ છે. તેમાં આર્કિયન ગ્રૅનાઇટ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત સિલિકા, ક્વાર્ટઝાઇટ, સ્લેટ તથા ચૂનાના પથ્થરો પણ પ્રાપ્ત થાય છે. ડુંગરાઓની સરેરાશ ઊંચાઈ ૪૯૦ મી. જેટલી છે. જિલ્લાનો કુલ વિસ્તાર ૩,૭૭૦ ચોકિમી. તથા કુલ વસ્તી ૧૩,૮૮,૫૫૨ (૨૦૨૫) છે, જેમાં લગભગ ૭૦% લોકો અનુસૂચિત જનજાતિના છે. વસ્તીનો ગીચતાદર ચોકિમી. દીઠ ૨૩૨ છે. તે પ્રદેશમાં બે મુખ્ય નદીઓ છે : મહીસાગર (મહી) તથા સોમ. મહીસાગર નદી ડુંગરપુર અને વાંસવાડા જિલ્લાઓની સરહદ બનાવે છે. તેનો પટ ૧૦૦થી ૧૩૦ મી. પહોળો છે : ગાલિયાકોટથી આગળ તે ગુજરાતમાં પ્રવેશે છે. સોમ નદી મેવાડથી ડુંગરપુર જિલ્લામાં ઉત્તર-પૂર્વ તરફથી પ્રવેશે છે તથા આગળ જતાં તે મહીસાગર નદીને મળે છે. ઉપરાંત, જાખમ અને મોરન અન્ય નદીઓ છે. ઉનાળામાં જિલ્લાનું તાપમાન સરેરાશ ૪૪° સે. હોય છે. તે ૪૫° સે. સુધી જાય છે. શિયાળામાં તાપમાન ૨૦૦ સે. સુધી નીચે આવે છે. જિલ્લાનો સરેરાશ વાર્ષિક વરસાદ ૭૫૦ મિમી. થી ૧૦૦૦ મિમી. હોય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦%થી ૭૯% રહે છે.

દેવસોમનાથનું મંદિર

એક જમાનામાં આ વિસ્તાર વનપ્રદેશ હતો; પરંતુ હવે મોટા ભાગનાં જંગલો નષ્ટ થઈ ગયાં છે. જે થોડાંક જંગલો બાકી છે તેમાં સાગ, મહુડા, માલબેરી, ખજૂર, ગુલર, સાલર, તેંદુ, બેહેડો અને ટીમરુનાં વૃક્ષો છે. ઉપરાંત, જંગલોમાંથી કાથો, ગુંદર અને મધ પ્રાપ્ત થાય છે. બીડી બનાવવાનાં પાન પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જિલ્લાની કુલ જમીનમાંથી ૧,૨૪,૧૮૭ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. શિયાળુ પાકમાં ઘઉં, જવ, ચણા, ધાણા, જીરું અને કપાસ પેદા થાય છે; જ્યારે ઉનાળુ પાકમાં મકાઈ, ડાંગર, મગફળી, શેરડી અને તેલીબિયાંના પાક લેવાય છે. કૂવાઓ તથા તળાવમાંથી સિંચાઈનું પાણી મેળવવામાં આવે છે. મહીસાગર પર બંધાયેલ બંધમાંથી ડુંગરપુર સુધી પાણી પહોંચાડવા માટે સાઇફન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. હિંમતનગરથી ઉદેપુર સુધીની રેલલાઇન આ જિલ્લાના પશ્ચિમ છેડેથી રતનપુરમાં પ્રવેશ કરી ડુંગરપુરમાંથી પસાર થાય છે. ડુંગરપુરથી ૨૪ કિમી. અંતરે બારમી સદીનું દેવસોમનાથનું મંદિર સંપૂર્ણ આરસપહાણનું બનેલું છે. તેનું ગર્ભગૃહ આઠ વિશાળ થાંભલા પર બાંધેલું છે.

શંકરલાલ ત્રિવેદી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮, ડુંગરપુર, પૃ. ૫૪૮, અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડુંગરપુર/)

Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યાસાગર આચાર્ય

જ. ૧૦ ઑક્ટોબર, ૧૯૪૬ અ. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪

એક પ્રભાવશાળી ભારતીય દિગંબર જૈન આચાર્ય. કન્નડભાષી જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ મલ્લપ્પા હતું. પિતા પછીથી મુનિ મલ્લિસાગર બનેલા. માતાનું નામ શ્રીમતી. સમય જતાં તેઓ આર્યિકા સમયમતિ બન્યાં હતાં. બાળપણનું નામ વિદ્યાધર હતું. ૧૯૬૮માં તેમને ૨૨ વર્ષની ઉંમરે અજમેરમાં આચાર્ય જ્ઞાનસાગરે દિગંબર સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેઓ આચાર્ય શાંતિસાગરના વંશના હતા. તેમનાં માતા, પિતા, બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તેમના ભાઈઓ પણ તેમના અનુસરણમાં આવ્યા અને તેમને પણ દીક્ષા આપવામાં આવી. આચાર્ય વિદ્યાસાગરે દિગંબર જૈન ધર્મમાં શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પુનરુત્થાનનું કાર્ય કરેલું. તેઓ નાનાં ભાઈ-બહેનોને ધર્મના સિદ્ધાંતો શીખવતા. ૧૯૭૨માં તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું. તેઓ વિહાર કરતા હોય ત્યારે સંઘનું નેતૃત્વ કરતા હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષાના જાણકાર હતા. તેમના લખેલા ગ્રંથોમાં મુખ્યત્વે ‘નર્મદા કા નરમ કંકર’, ‘ડૂબા મત લગાઓ ડૂબકી’, ‘તોતા રોતા ક્યોં ?’, ‘મૂક માટી’ આદિ કાવ્યરચનાઓ; ‘ગરુવાણી’, ‘પ્રવચન પારિજાત’, ‘પ્રવચન પ્રમેય’ તેમનાં પ્રવચનસંગ્રહનાં પુસ્તકો છે. તેમના શિષ્ય મુનિશ્રી ક્ષમાસાગરજીએ એમની જીવનકથા ‘આત્માન્વેષી’ નામે લખી છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. મુનિ પ્રણમ્યાસાગરજીએ તેમના જીવન પર ‘અનાસક્ત મહાયોગી’ નામે કાવ્યની રચના કરી છે. આચાર્ય વિદ્યાસાગરે પ્રતિભાસ્થલી ખાતે જ્ઞાનોદય વિદ્યાપીઠ નામે છોકરીઓ માટે શાળા ખોલી હતી. ૨૦૧૮માં તેમની દીક્ષાને પચાસ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી નિમિત્તે અજમેર, રેવા, શ્રવણબેલગોલા અને અન્ય સ્થળોએ સ્મારક સ્તંભો બનાવવામાં આવ્યા છે. તેઓ અભ્યાસ કરવા માટે સદાય ઉત્સુક રહેતા અને જ્યારે પણ સમય મળે ત્યારે ચિત્રકામ કરતા હતા. તેમને અનાસક્ત યોગી, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, સંત શિરોમણિ કહેવામાં આવે છે

નલિની દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

એવરેસ્ટ, તને હરાવીશ

વિખ્યાત પર્વતારોહક સર ઍડમન્ડ હિલેરી(૧૯૧૯થી ૨૦૦૮)એ યુરોપના આલ્પ્સ પર્વતનાં અનેક શિખરો પર આરોહણો કર્યા પછી હિમાલયનાં અગિયાર જેટલાં શિખરો સર કર્યાં. એ પછી એમણે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર દૃષ્ટિ ઠેરવી. ૧૯૨૦થી ૧૯૫૨ વચ્ચે એવરેસ્ટ વિજય માટે સાત આરોહણો થયાં હતાં; પરંતુ બધાં જ નિષ્ફળ ગયાં હતાં. ૧૯૨૪માં તો વિખ્યાત પર્વતારોહક જ્યોર્જ લહ્ મેલોરીએ એવરેસ્ટ આરોહણમાં પોતાનો પ્રાણ ગુમાવ્યો હતો. ૧૯૫૧ અને ૧૯૫૨માં હિલેરીએ એવરેસ્ટનો સર્વે કર્યો અને પોતાના નિષ્ફળ અભિયાન પછી થોડાં અઠવાડિયાં બાદ ઍડમન્ડ હિલેરીને ઇંગ્લૅન્ડની એક સંસ્થાએ વક્તવ્ય માટે બોલાવ્યા. મંચ પરથી ચાલીને એ સ્ટેજ પર બેઠા, ત્યારે એમણે પાછળ રહેલું માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર જોયું. એ જોઈને વિખ્યાત પર્વતારોહક અને માનવતાવાદી હિલેરી બોલી ઊઠ્યા, ‘માઉન્ટ એવરેસ્ટ ! તમે મને પહેલી વખત પરાજિત કર્યો છે, પણ હવે પછી હું તમને પરાજિત કરીશ. કારણ કે તમે જેટલા વિકસવાના હતા એટલા વિકસી ગયા છો, જ્યારે હું હજી વિકસી રહ્યો છું.’ આ ઘટનાના બરાબર એક વર્ષ બાદ ૧૯૫૩ની ૨૯મી મેએ સવારે ૧૧.૩૦ વાગ્યે હિલેરી અને તેનિંસગે દરિયાની સપાટીથી ૨૯૦૨૮ ફૂટ ઊંચા આ શિખર પર વિજય હાંસલ કર્યો અને અનેક સાહસભર્યાં આરોહણો અને પ્રવાસો કરનાર હિલેરીએ પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો. ૧૯૯૨માં ન્યૂઝીલૅન્ડની પાંચ ડૉલરની ચલણી નોટ પર આ સાહસવીરની છબી અંકિત કરવામાં આવી. આવું બહુમાન મેળવનાર તે પહેલો ન્યૂઝીલૅન્ડવાસી છે. ‘હિમાલયન ટૂર્સ’ દ્વારા શેરપાઓની સુખાકારીનો પ્રયત્ન કરનાર હિલેરીને નેપાળ સરકારે માનદ નાગરિકત્વ આપ્યું હતું.

કુમારપાળ દેસાઈ