Categories
વાચન સમૃદ્ધિ

તત્કાળ પ્રતિભાવથી થતી

પરેશાની ————–

અમેરિકાના પ્રમુખ કુલીજ અને તેમનાં પત્ની અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ છોડીને  થોડા સમય માટે બીજે રહેવા ગયાં હતાં. પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં રંગરોગાનનું કામ ચાલતું હતું. બન્યું  એવું કે પ્રમુખને જરૂરી કામ આવી પડતાં  તેઓ તરત વ્હાઇટ હાઉસ પાછા ફર્યા. પ્રમુખના આગમનની જાણ થતાં વ્હાઇટ હાઉસમાં ધમાલ મચી ગઈ. હજી રંગરોગાન ચાલુ હતું, ફર્નિચર ખસેડ્યું હતું, પુસ્તકોના ઢગલા વચ્ચે પડ્યા હતા. આ બધું ગોઠવવું કઈ રીતે ? વ્હાઇટ હાઉસના કર્મચારીઓએ વિચાર્યું કે હવે સમય ઓછો છે, તેથી બધું આમતેમ ગોઠવી નાખો. ફરી પ્રમુખ જાય પછી વ્યવસ્થિત ગોઠવીશું. આમ પ્રમુખના ગ્રંથાલયનાં પુસ્તકો નોકર ગોઠવતો હતો, ત્યાં કૂતરો આવી ચડ્યો. નોકરના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે એક પુસ્તક ઊંચકીને કૂતરા તરફ ફેંક્યું. કૂતરો ભાગી ગયો, પણ પુસ્તક પડદા સાથે જોરથી અથડાયું અને પડદા પાછળથી કોઈની ચીસ સંભળાઈ. થોડી ક્ષણોમાં પ્રમુખ કુલીન માથું ઘસતા ઘસતા બહાર આવ્યા. એમણે નોકરને કહ્યું, ‘ઓહ ! બહુ ગરમી છે, ખરું ?’ આટલું બોલી પ્રમુખ શાંત રહ્યા નોકરને એની આવી ગેરવર્તણૂક માટે કશો ઠપકો ન આપ્યો. જાણે આખી ઘટનાને જ વીસરી ગયા. નોકરે પોતાની ભૂલનો પશ્ચાત્તાપ પ્રમુખ આગળ કર્યો.

સામાન્ય રીતે જીવનની ઘટમાળ એવી હોય છે કે એક આઘાત કે પ્રહાર થાય કે તરત જ એનો પ્રત્યાઘાત જન્મે. એક ઘટના બને કે તત્કાળ પ્રતિઘટનાનું ચક્ર ઘૂમવા લાગે. આવો તત્કાળ પ્રતિભાવ ઘણી વાર ભૂલભરેલો અને નુકસાનકારક હોય છે. ઘણી વાર વ્યક્તિનાં કટુ વચનો એના દુ:ખદ અનુભવોમાંથી પ્રગટ થતાં હોય છે. સામી વ્યક્તિ એ કટુ વચનોનો તત્કાળ પ્રત્યુત્તર આપે છે, પરંતુ એના પડદા પાછળ રહેલા દુ:ખદ અનુભવોનો એને ખ્યાલ હોતો નથી. એના વિષમ સંજોગોની એને જાણ હોતી નથી કે એ વ્યક્તિના માનસનો પરિચય હોતો નથી. કોઈ પણ ઘટનાને જોવી, વિચારવી, સમજવી અને પછી પ્રતિભાવ આપવો, એવું બને તો માનવસંબંધોનું માધુર્ય કેટલું બધું ટકી રહે ! સંસારમાં થતા મોટા ભાગના કલહ અને કંકાસનું કારણ પ્રતિભાવ કે પ્રત્યાઘાત છે. સામેની વ્યક્તિ કંઈ બોલે તે પહેલાં જ અન્ય વ્યક્તિ એ વિશેનો ફેંસલો સંભળાવી દે છે. હજી વાત પૂર્ણ થઈ હોય નહીં ત્યાં તો એનો જવાબ આપી દે છે. સંસારના ઘણા વિવાદોનું મૂળ આ પ્રત્યાઘાત છે. જો માનવી અન્ય વ્યક્તિનાં વચનોનો શાંતિથી વિચાર કરે તો એ એના પ્રત્યાઘાતની ઉગ્રતામાંથી ઊગરી જાય છે. જીવનની દુ:ખદ ઘટનાઓ સમયે તત્કાળ પ્રત્યાઘાત નહીં આપીને વ્યક્તિ સ્વસ્થતા મેળવી શકે છે અને એ ઘટનાના મર્મ સુધી પહોંચી શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત પુરોહિત

જ. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૬ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૪

ભારતીય શાસ્ત્રીય સંગીતના ખૂબ જ પ્રતિભાસંપન્ન કલાકાર યશવંત પુરોહિતનો જન્મ ભાવનગર પાસે પરવાળા ગામમાં થયો હતો. પિતા ચિમનલાલ પુરોહિત પણ ભાવનગરના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ હતા. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પ્રસંગોપાત્ત ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. પંડિત શંકરરાવ વ્યાસ તથા પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સઘન સંગીતતાલીમ મેળવીને ગ્વાલિયર ઘરાનાની ગાયકીનો ગહન અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈ વસવાટ દરમિયાન તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે સંગીતની ઉચ્ચ તાલીમ લીધી. તે પછી કિરાના ઘરાનાના બાલકૃષ્ણ કપિલેશ્વરી બુવા પાસે સંગીતની આરાધના કરી કિરાના ઘરાનાની ગાયકીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વચ્ચે પિતાના અવસાનથી સંગીતસાધનામાં રુકાવટ આવી, પરંતુ ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજીએ એમની શક્તિ પિછાની તેમને માસિક રૂ. ૨૫/-ની શિષ્યવૃત્તિ આપી, સાનુકૂળતા કરી આપી. તેમને શંકર અને કેદાર રાગ અતિપ્રિય હતા. ખ્યાલ ગાયકી તેમની ગાયનકલાનું મુખ્ય અંગ હતી. ઠૂમરી ગાયકીમાં પણ તેમનું કૌશલ્ય હતું. તેમનો અવાજ મીઠો હતો અને તેમની  ગાયકીમાં મધુર તાલ, સ્વર, શબ્દ, રસ તથા ભાવની અનેરી મિલાવટ હતી. કિરાના ઘરાનામાં અલ્પ પ્રચલિત એવા છાયાનટ, બિહાગ વગેરે જેવા રાગો ઉપર એમનું પ્રભુત્વ હતું. સંગીતક્ષેત્રમાં ઘણી વાર જોવા મળતી વાડાબંધીથી તેઓ દૂર રહી બીજી સંગીતશૈલીઓ અને ઘરાના પ્રત્યે પણ આદર રાખતા. ‘રસરંગ’ના ઉપનામે એમણે ‘મધુબંસરી માન મનાવત’, ‘આંગનમેં’ વગેરે કેટલીક સુંદર રચનાઓ પણ રચી છે. તેમના સંગીતના કાર્યક્રમો ભારતનાં તમામ આકાશવાણી કેન્દ્રો પરથી પ્રસારિત થયા હતા. ભાવનગરના મહારાજાએ તેમની સ્મૃતિમાં તેમના નામે એક શિષ્યવૃત્તિની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપક્રમે ભાવનગર ખાતે બંધાયેલા નાટ્યગૃહનું ‘યશવંત પુરોહિત નાટ્યગૃહ’ એવું નામાભિધાન કરી તેમની સ્મૃતિને કાયમી અંજલિ આપી છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શેષનાગ

પૌરાણિક કલ્પના પ્રમાણે જેણે બ્રહ્માંડ પોતાના મસ્તક પર ધારણ કર્યું છે તે નાગ.

જે રીતે ગણિતમાં ‘શેષ’નો અર્થ કોઈ રકમનો ભાગાકાર કરતાં છેવટે જે વધે તે, તે રીતે જ્યારે બધું નાશ પામતાં જે છેવટે રહે તેનું પ્રતીક મનાય છે શેષનાગ. તેનાં ‘અનંત’, ‘આદિશેષ’, ‘સંકર્ષણ’ જેવાં અનેક નામો છે. મહાભારત પ્રમાણે કશ્યપથી કદ્રુના પેટે જન્મેલા હજારો નાગમાં સૌથી મોટો તે શેષનાગ. વાસુકિ, ઐરાવત અને તક્ષક શેષનાગના ભાઈઓ છે. કેટલાક નાગ તો ક્રૂર અને અન્યને હાનિ પહોંચાડે તેવા પણ ખરા. શેષનાગ તો તેનાં ભાઈઓ તથા માતાને છોડી ખૂબ તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરે છે અને તેમની પાસેથી તે પોતાના મન પર કાબૂ રાખી શકાય એવી શક્તિનું વરદાન માગે છે. બ્રહ્મા તેની માગણી સ્વીકારે છે અને તેને અસ્થિર પૃથ્વીને તેની સહસ્ર ફેણ પર ધારણ કરી સ્થિરતા આપવા કહે છે. ત્યારથી આજ સુધી શેષનાગે પૃથ્વીને પોતાની ફણા પર ધારણ કરી છે. તે પાતાળમાં વસે છે.

ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે

શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે ‘નાગોમાં હું અનંત નાગ છું.’ શેષનાગ ભગવાન વિષ્ણુની તામસિક શક્તિ ગણાય છે અને તે વિષ્ણુની રક્ષા કરે છે. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે, તેથી વિષ્ણુ ‘શેષશાયી’ પણ કહેવાય છે. શેષનાગ બ્રહ્માંડના સર્જન પહેલાં પણ હતો. કલ્પને અંતે શેષનાગ ઝેરી અગ્નિ ઓકે છે. અગિયાર રુદ્રોનું સર્જન કરી તેના દ્વારા બ્રહ્માંડનો નાશ કરે છે. જ્યારે જ્યારે પૃથ્વી પર શ્રીવિષ્ણુ અવતાર લે છે ત્યારે ત્યારે તેની રક્ષા માટે શેષનાગ અવતાર લે છે. એ રીતે રામાવતારમાં લક્ષ્મણના રૂપે અને કૃષ્ણાવતારમાં બલરામના રૂપે તેણે જન્મ ધારણ કર્યો હતો. વ્યાકરણકાર પતંજલિ પણ શેષનાગનો અવતાર ગણાય છે. કલિયુગમાં રામાનુજ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનુજાચાર્યને પણ શેષાવતાર માનવામાં આવ્યા છે. શેષનાગે તેની હજાર ફેણ પર પૃથ્વી ધારણ કરી હોઈ જ્યારે તે બગાસું ખાય છે ત્યારે ધરતી ધ્રૂજે છે. આવી ધરતીકંપ અંગેની પૌરાણિક માન્યતા પ્રચલિત છે. શ્રીકૃષ્ણના જન્મ પછી કંસના ભયથી વાસુદેવ તેમને નંદરાયના ત્યાં મૂકવા જાય છે, ત્યારે જમુના નદી ઓળંગતી વેળાએ મુશળધાર વરસાદથી બાલકૃષ્ણનું રક્ષણ કરવા શેષનાગ જ તેમના પર છત્ર ધારણ કરીને ચાલ્યો હતો. દક્ષિણ ભારતમાં આવેલા શહેરનું ‘તિરુવનંતપુરમ્’ (જૂનું ત્રિવેન્દ્રમ) નામ ‘અનંત’ પરથી પડ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી