Categories
વાચન સમૃદ્ધિ

બાબા આમટે

જ. ૨૬ ડિસેમ્બર, ૧૯૧૪ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૦૮

ડૉ.  મુરલીધર દેવીદાસ આમટે ભારતના સન્માનિત સમાજસેવક, ચિંતક, કવિ, રક્તપિત્તના રોગીઓની સારવાર માટે આશ્રમો સ્થાપનાર જગતભરમાં વિખ્યાત વ્યક્તિ હતા. મહારાષ્ટ્રમાં વર્ધા  જિલ્લાના હિંગણઘાટ ગામમાં તેઓનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ નાગપુરમાં અભ્યાસ કરી બી.એ. અને એલઅલ.બી.ની ડિગ્રીઓ હાંસલ કરી વકીલ બન્યા હતા. ગાંધીજી અને વિનોબાજીથી પ્રભાવિત થયેલા આમટેએ ગામડાંમાં અભાવમાં રહેતા લોકોની મૂળ સમસ્યા સમજવાનો પ્રયાસ કર્યો. વરોરા ગામના ઉકરડા પાસે પડેલા રક્તપિત્તના રોગીને જોઈ તેમના જીવનમાં પરિવર્તન આવી ગયું. મનુષ્યદેહની આવી દુર્દશા જોઈ તેમનું હૃદય દ્રવી ગયું, તેઓએ તેમની સારવાર કરવાનું નક્કી કર્યું. મહારાષ્ટ્રના વરોરા ગામની  બહાર પત્ની સાધનાતાઈ, બે પુત્રો – પ્રકાશ અને વિકાસ સાથે તેઓએ તે ઉજ્જડ જમીનમાં ખેતી કરવાનું તથા રક્તપિત્તના દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૧માં વિનોબા ભાવેના હસ્તે ત્યાં જ આનંદવન નામની સંસ્થાનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું. આનંદવનમાં બે હજારથી વધારે રક્તપિત્તના દર્દીઓ અને અપંગો ખેતી, દુગ્ધવ્યવસાય અને નાનામોટા અનેક ઉદ્યોગો દ્વારા રોજી મેળવી સ્વમાનભેર જીવે છે. ૧૯૭૪માં બાબા આમટેએ ચંદ્રપુરના દંડકારણ્યમાં આદિવાસી લોકોની સેવા માટે ‘લોકબિરાદરી’ નામની સંસ્થા સ્થાપી, નિશાળો, દવાખાનાં અને ઉદ્યોગકેન્દ્રો સ્થાપ્યાં. પંજાબમાં ત્રાસવાદીઓની હિંસક ઘટનાઓથી વ્યથિત થઈ બાબા આમટેએ ૧૯૮૫માં એકતાનો સંદેશો ફેલાવા યુવક-યુવતીઓ સાથે  કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો’ સાઇકલયાત્રાની રાહબરી લીધી. તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. રાષ્ટ્રભૂષણ, જમનાલાલ બજાજ પુરસ્કાર, ડેનિયન ડટ્ટન પુરસ્કાર, મેગ્સેસે પુરસ્કાર, રાષ્ટ્રસંઘ શાંતિ પુરસ્કાર અને પદ્મવિભૂષણ અલંકરણથી સન્માનવામાં આવ્યા છે. ભારત સરકારે ૨૦૧૪માં બાબા આમટેના સન્માનમાં સ્ટૅમ્પ બહાર પાડી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

એક આંખમાં સંતોષ, બીજી

આંખે પ્રગતિ ! ————-

જીવનના ઉત્સાહને માણવા માટે એક આંખમાં સંતોષને વસાવો અને બીજી આંખમાં પ્રગતિને રાખો. એક નજર સંતોષ પર હશે, તો જે પામ્યા હોઈએ તેનો આનંદ મળશે. જે મેળવ્યું એની મજા પડશે. જે ‘છે તેનો સંતોષ હશે. વ્યક્તિ પાસે સ્કૂટર હશે, તો સ્કૂટર ધરાવવાનો સંતોષ એના મનમાં રહેશે. મોટર નહીં હોવાના અભાવના અજંપાથી એ પીડાતી નહીં હોય. જીવનની ઘણી વેદનાઓ પ્રાપ્તિની ઉપેક્ષા અને અપ્રાપ્તિની મહેચ્છાથી સર્જાતી હોય છે. એ વ્યક્તિ સ્કૂટર પર ઘૂમવાની મજા માણી શકશે નહીં, કારણ કે બીજાની મોટર એના હૈયામાં સદાય આગ ઝરતી રાખશે. જીવન આખું બેચેની કે હતાશામાં જશે અને ધીરે ધીરે જીવનમાં સદાને માટે જે મેળવ્યું હોય, તે ભુલાતું જાય છે અને જે નથી તે ચિત્ત પર સવાર થઈને બેસી જાય છે. વ્યક્તિએ બીજી આંખ પ્રગતિ પર ઠેરવવી જોઈએ અને એને માટે પુરુષાર્થથી સદાય પ્રગતિનો પડકાર ઝીલવો જોઈએ. એ સંતોષની પલાંઠી જરૂર વાળશે, પરંતુ એ આસને બેસીને પ્રગતિ માટેના પુરુષાર્થનો વિચાર કરશે. વધુ સિદ્ધિ મેળવનારી વ્યક્તિઓ કે વિભૂતિઓ પાસેથી પ્રેરણા લેશે. વિભૂતિઓ માત્ર પૂજા, અર્ચના કે પ્રતિમા ખડી કરવા માટે નથી. એમનો હેતુ તો આપણને જીવનમાં પ્રગતિ માટે પ્રેરણાપીયૂષ પાવાનો છે. વિચારકો, વિજ્ઞાનીઓ અને કલાકારોના જીવનમાંથી પ્રેરણા પામીને પ્રગતિ કરવી જોઈએ. મનમાં સંતોષ સાથે હાથમાં પ્રગતિ રાખવી જોઈએ. આવું ન થાય તો સંતોષ, પ્રમાદ કે નિષ્ક્રિયતામાં પરિવર્તન થઈ જાય છે. પ્રાપ્તિ અંગે સંતોષ અને પ્રાપ્ત કરવાનું છે, તેમને માટે પ્રગતિ બંનેનું સમતોલન સાધવું જોઈએ.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પં. મદનમોહન માલવીય

જ. ૨૫ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૧૨ નવેમ્બર, ૧૯૪૬

મહાન દેશભક્ત, બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર મદનમોહન માલવીયનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. પિતા વ્રજનાથ અને માતા મૂનાદેવી. બાળપણથી જ તેઓ સંસ્કૃતના શ્લોકો શીખવા માંડ્યા હતા. બારમે વર્ષે તો સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. સ્નાતક થયા બાદ સૌપ્રથમ તેમણે શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદૃ ‘હિન્દુસ્તાન’ નામના હિંદી સાપ્તાહિકના તંત્રી બન્યા. બે વર્ષ બાદ તેને દૈનિક બનાવ્યું. ‘ઇન્ડિયન યુનિયન સાપ્તાહિક’ના પણ તંત્રી બન્યા. ૧૮૯૧માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી અને ૧૮૯૩થી વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. તેઓ ઉત્તમ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચાર વાર તેમની વરણી થઈ હતી. ૧૯૦૬માં હિંદુ મહાસભાની સ્થાપના કરવામાં સહકાર આપ્યો. ૧૯૦૯માં વકીલાત છોડી દીધી, તે છતાં પણ ચૌરીચૌરાના બનાવમાં ભાગ લેનારામાંથી ૧૫૩ વ્યક્તિઓને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરાવવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો. લોકોમાં જાગૃતિ આણવા માટે તથા સમાજની સેવા કરવાના હેતુથી હિંદી ભાષામાં ‘અભ્યુદય’ નામનું સાપ્તાહિક, હિંદી માસિકો અને અંગ્રેજી દૈનિક ‘લીડર’ શરૂ કર્યાં. દેશના ઔદ્યોગિક વિકાસમાં પણ તેમણે ઊંડો રસ લીધો હતો. ૧૯૧૮માં રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશન સમયે ‘સત્યમેવ જયતે’ સૂત્ર આપ્યું. હરિદ્વારમાં હરકી પૌડીના ઘાટ પર ગંગામૈયાની આરતીની શરૂઆત તેમણે કરાવેલી. ૧૯૨૪થી તેઓ કેન્દ્રની ધારાસભાના સભ્ય હતા. ૧૯૨૦માં રાજીનામું આપી, ગાંધીજીએ શરૂ કરેલી સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના માટે તેમણે અથાગ પરિશ્રમ અને અવિરત પુરુષાર્થ કરી વિપુલ ધનરાશિ એકત્રિત કરી. ૧૯૧૯થી ૧૯૩૮ સુધી આ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે કાર્યરત રહ્યા. તેમણે હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે ઘણું કામ કર્યું. તેઓ મહિલા ઉત્કર્ષના અને આંતરજ્ઞાતીય લગ્નોના હિમાયતી હતા. તેમનું અંગત જીવન શુદ્ધ, સાદગીમય અને પવિત્ર હતું.૧૯૬૧ અને ૨૦૧૧માં એમ બે વાર ભારતીય ટપાલખાતાએ તેમની ટિકિટો બહાર પાડેલી. ૨૦૧૪માં તેમને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ