Categories
વાચન સમૃદ્ધિ

ત્બિલિસિ (Tbilisi)

એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43´ ઉ. અ. તથા 44° 49´ પૂ. રે. પર કુરા નદીના બંને કાંઠે વસેલું છે. સોવિયેત સંઘના વિઘટન (1991) પછી જ્યૉર્જિયા સ્વતંત્ર પ્રજાસત્તાક બન્યું. આ નગરની કુલ વસ્તી 13,30,000 (2025, આશરે) હતી. તેના વાયવ્ય ખૂણે ગોરિ, નૈઋત્યે તેલાવિ તથા અગ્નિખૂણે રુસ્તાવિ નગરો આવેલાં છે. આઝરબૈજાન પ્રજાસત્તાકના પાટનગર બાકુથી તે નૈઋત્યમાં આશરે 435 કિમી.ના અંતરે છે. સમુદ્રની સપાટીથી તે 406થી 522 મી. ઊંચાઈ એ છે. નદીના કાંઠે તેનો પ્રલંબિત ભાગ 27 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે. ત્યાં વિદ્યુતશક્તિ પર ચાલતાં રેલ-એન્જિનો, એન્જિનિયરિંગને લગતી વસ્તુઓ, મશીનટૂલ્સ, સુતરાઉ કાપડ, ચામડાની વસ્તુઓ, પગરખાં, કાગળ, લાકડાનું રાચરચીલું, યંત્રો, તમાકુની બનાવટો, ધાતુની ચીજવસ્તુઓ, રેશમની વસ્તુઓ, ખનિજતેલની પેદાશોનાં તથા દારૂ ગાળવાનાં કારખાનાં વિકસ્યાં છે. પચરંગી વસ્તી ધરાવતું આ શહેર સડક તથા રેલવ્યવહારનું કેન્દ્ર હોવાથી તથા બાજુના જળવિદ્યુત મથકમાંથી તેને વીજળીનો પૂરતો પુરવઠો પ્રાપ્ત થતો હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રે તેણે હરણફાળ પ્રગતિ કરી છે.

ત્બિલિસિ શહેર

નગરમાં જ્યૉર્જિયા યુનિવર્સિટી(1918)નું મથક, જ્યૉર્જિયન અકાદમી ઑવ્ સાયન્સીઝ (1941), કલા અકાદમી, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિન તથા કૃષિ, વનવિજ્ઞાન, ઉદ્યોગો અને ટૅકનૉલૉજીને લગતી શિક્ષણસંસ્થાઓ આવેલી છે. ત્યાં પાંચમી સદીનું યહૂદીઓનું દેવળ, છઠ્ઠી સદીનું આન્ચિખાટિ દેવળ, તેરમી સદીનાં મેટેખિ દુર્ગ તથા દેવળ અને નદીના જમણા કાંઠા પર આવેલ ટેકરી પર પ્રાચીન કિલ્લો, આધુનિક સમયગાળામાં ઊભાં કરવામાં આવેલ વસ્તુસંગ્રહાલયો, ઉદ્યાનો, નાટ્ય તથા સંગીતગૃહો વગેરે પર્યટકો માટે આકર્ષણનાં સ્થળો ગણાય છે. ઇતિહાસ : ચોથી સદીથી છઠ્ઠી સદી દરમિયાન જ્યૉર્જિયાના શાસકોનું તે પાટનગર હતું. સાતમી, આઠમી તથા નવમી સદી દરમિયાન તેના પર પર્શિયનો, આરબો તથા ગ્રીકોનાં આક્રમણો થતાં રહ્યાં. 1387માં મૉંગોલવિજેતા તૈમુર લંગે તેના પર આધિપત્ય જમાવ્યું હતું. 1795માં પર્શિયન આક્રમણખોરોએ તેનો સંપૂર્ણ વિનાશ કર્યો હતો. 1801માં રશિયાના ઝાર શાસકોએ કૉકેસસ પર્વતમાળાના તેમના પ્રદેશના પાટનગર તરીકે તેની પસંદગી કરી. 1918–21 દરમિયાન જ્યૉર્જિયાના સ્વતંત્ર પ્રજાસત્તાકનું તથા 1991માં જ્યૉર્જિયા સ્વતંત્ર થયું ત્યારથી તે નવા પ્રજાસત્તાકનું પાટનગર છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

માઇકેલૅન્જેલો

જ. 6 માર્ચ, 1475 અ. 18 ફેબ્રુઆરી, 1564

યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. તેમનું સ્થાન રેનેસાં કાળના કલાના ટોચના ત્રણ કલાકારોમાં – લિયૉનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે છે. તેમના પિતાનું નામ લોદોવિકો દ લિયૉનાર્દો બઓનરાતી સિમોની અને માતાનું નામ ફાન્ચેસકા હતું. તેઓ જ્યાં જન્મ્યા એ નગરનું નામ બદલીને હવે ‘કૅપ્રિસ માઇકેલૅન્જો’ કરવામાં આવ્યું છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા. ઈ. સ. 1475માં તેઓ ફ્લૉરેન્સમાં વસ્યા હતા. ઈ. સ. 1488માં તેઓ ચિત્રકાર ડોમેનિકો ઘીર્લાન્દાયોના શિષ્ય બન્યા, પરંતુ શિલ્પ પ્રત્યેના લગાવને કારણે તેઓ શિલ્પી બૅર્ટોલ્દો દ જિયોવાનીના શિષ્ય બન્યા. તેઓ ફ્લૉરેન્સના ધનાઢ્ય મૅડિચી કુટુંબના ઘરમાં જ રહ્યા. ‘મેડોના ઑવ્ ધ સ્ટેર્સ’ અને ‘બેટલ ઑવ્ ધ સેન્ટૉર્સ’ નામનાં શિલ્પો આ સમયની તેમની મહત્ત્વની કૃતિઓ ગણાય છે. તેમનાં બીજાં અગત્યનાં શિલ્પોમાં ‘સ્લીપિંગ ક્યૂપિડ’, ‘પિપેતા’, ‘ડેવિડ’ વગેરે છે. રોમમાં સિસ્ટાઇન ચેપલની છત ચીતરવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો. આ કામ તેઓએ એકલે હાથે ચાર વર્ષે પૂરું કર્યું. તેઓ લશ્કરના મૅજિસ્ટ્રેટ તથા ફ્લૉરેન્સના ગવર્નર નિમાયા. 1535ની સાલમાં તેઓને રોમના પોપ ત્રીજાએ વૅટિકેનના સત્તાવાર શિલ્પી, ચિત્રકાર અને સ્થપતિ તરીકે નીમ્યા. તેમણે ચેપલની છત ઉપર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ (ફ્રેસ્કો) ચીતર્યું. જીવનના અંતકાળમાં સ્થાપત્ય તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું. જીવનના અંતકાળે શિલ્પો ‘ડિસેન્ટ ફ્રોમ ધ ક્રૉસ’, ‘પેલેસ્ટ્રિના પિયેતા’ અને ‘રોન્દેનિની પિયત’ શિલ્પ ખૂબ ધ્યાનાકર્ષક બન્યાં છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમનાં કાવ્યો ‘આધ્યાત્મિક આત્મકથા’ના નામે પ્રસિદ્ધિ પામ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

સમયપાલનનું મહત્ત્વ

અમેરિકાના સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિ દરમિયાન લશ્કરના સરસેનાધિપતિ, અમેરિકાના પ્રથમ પ્રમુખ અને અમેરિકાના રાષ્ટ્રપિતા એવા જ્યોર્જ વૉશિંગ્ટને એક વાર લંચ માટે કેટલાક મહેમાનોને નિમંત્રણ આપ્યું હતું. એ મહેમાનો સાથેનો ભોજનસમારંભ પૂરો થયા બાદ એમણે સેનાના કમાન્ડરો સાથે એક જરૂરી મિટિંગ ગોઠવી હતી. જ્યોર્જ વૉશિંગ્ટનના સમયપાલનની ચુસ્તતાનો એમના નોકર-ચાકરોને બરાબર પરિચય હોવાથી ભોજનનો સમય થતાં જ એમણે પ્રમુખને જાણ કરી કે ભોજનની સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ હજુ સુધી મહેમાનો આવ્યા નથી. જ્યોર્જ વૉશિંગ્ટન ભોજનખંડમાં આવ્યા અને બોલ્યા, ‘બાકીની બધી પ્લેટ ઉઠાવી લો. હું એકલો જ ભોજન કરીશ.’ મહેમાનોની પ્રતીક્ષા કર્યા વિના એમણે ભોજન કરવાનું શરૂ કર્યું. લગભગ અડધું ભોજન પતાવી દીધું હતું, ત્યારે મહેમાનો આવ્યા અને ભોજનના ટેબલ પર એમની પ્લેટ મૂકવામાં આવી. એટલામાં જ્યોર્જ વૉશિંગ્ટન પોતાનું ભોજન પતાવીને ઊભા થયા અને મહેમાનોની વિદાય લઈને કમાન્ડરોની બેઠકમાં સામેલ થયા. બન્યું એવું કે આ બેઠકમાં એ આવ્યા ત્યારે જાણ થઈ કે અમેરિકાના એક ભાગમાં ભયંકર વિદ્રોહ થયો છે. એમણે તરત જ આ વિદ્રોહનો સામનો કરવા માટે આવશ્યક બાબતોના હુકમો આપ્યા. એનાં બધાં પાસાં પર વિચાર કર્યો અને કઈ રીતે આગળ વધવું એનું આયોજન કર્યું. આ બધું સમયસર થવાથી ઘણી માનવખુવારી ઘટી ગઈ અને સંપત્તિને પણ ઓછું નુકસાન થયું. થોડા સમય બાદ આ વાતની જાણ એ દિવસે ભોજન સમારંભમાં વિલંબથી આવેલા મહેમાનોને થઈ, ત્યારે એમને આત્મગ્લાનિનો અનુભવ થયો. એમને સમજાયું કે પ્રત્યેક કાર્ય સમયસર કરવાથી જાનમાલની કેટલી મોટી ખુવારીમાંથી બચી જવાય છે અને જીવનમાં વ્યવસ્થિત રહીને કાર્ય સિદ્ધ થાય છે. આ વિચાર સાથે તેઓ ફરી રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગ્ટનના ઘેર આવ્યા અને એમણે એ દિવસે થયેલી ભૂલ બદલ ક્ષમાયાચના કરી, ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું, ‘આમાં ક્ષમાની કોઈ વાત જ નથી. જેને પોતાના જીવનની વ્યવસ્થા તેમજ પરિવાર, સમાજ અને દેશની ઉન્નતિનો ખ્યાલ રાખવો હોય, એણે સમયનું કડક પાલન કરવું જ જોઈએ.’