જ. 14 જાન્યુઆરી, 1926 અ. 28 જુલાઈ, 2016

સામાજિક કાર્યકર્તા અને બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીનો જન્મ ઢાકામાં સાહિત્યપ્રેમી માતાપિતાને ત્યાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મનીષ ઘટક જાણીતા કવિ તથા નવલકથાકાર હતા અને માતા ધારત્રીદેવી લેખિકા તથા સામાજિક કાર્યકર હતાં. ભારતના ભાગલા બાદ તેઓ ભારતમાં પશ્ચિમ બંગાળમાં સ્થળાંતરિત થયાં. મહાશ્વેતાદેવીએ વિશ્વભારતી અને કલકત્તા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરીને અંગ્રેજી વિષયમાં કૉલેજમાં અધ્યાપકની તાલીમ લીધી હતી. તેઓ હિન્દી, ઊડિયા તથા સાંથાલી ભાષાનાં પણ જાણકાર હતાં. અભ્યાસ દરમિયાન તેઓ સમતાવાદી સામ્યતાવાદી વિચારધારા તરફ આકર્ષાઈ ગયાં હતાં. 1943માં બંગાળમાં દારુણ દુકાળ પડ્યો ત્યારે કૉલેજિયન મહાશ્વેતાદેવી સામ્યવાદી પક્ષનાં ગર્લ સ્ટુડન્ટ્સ ઍસોસિયેશનનાં આગેવાન બની ગયાં. તેઓએ રાહત કામગીરી બજાવી હતી. ગરીબી અને ભૂખમરો નિકટથી નિહાળી તેઓ માનવતાવાદી અને માર્કસવાદી બની ગયાં. 1947માં જાણીતા અભિનેતા-નાટ્યકાર બીજન ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યાં, પણ 1961માં છૂટાછેડા લીધા. 1965માં અસિત ગુપ્તા સાથે પુનર્લગ્ન કર્યાં. 1956માં તેમની સૌપ્રથમ ઐતિહાસિક નવલકથા ‘ઝાંસીની રાણી’ પ્રગટ થઈ. તેઓએ 42 નવલકથાઓ, 15 નવલિકાસંગ્રહો, બાળકો માટેનાં પાંચ પુસ્તકો તથા 30 જેટલાં પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. તેમની સૌથી પ્રખ્યાત કૃતિ ‘હજાર ચુરાશીર મા’ છે. તેના ઉપરથી હિંદી ચલચિત્ર ‘હજાર ચૌરાસી કી માં’ પણ બન્યું હતું. 1994માં આવેલી ‘રુદાલી’ ફિલ્મથી તેઓ વધુ જાણીતાં થયાં. જે તેમની નવલકથા ‘રુદાલી’ પરથી બનાવવામાં આવી હતી. તેમની કૃતિઓ હિંદી, ઊડિયા, તેલુગુ, મલયાળમ, કન્નડ, ગુજરાતી, મરાઠી તથા પંજાબી ભાષામાં ઉપરાંત અંગ્રેજી, ઇટાલિયન, જાપાની ભાષામાં અનૂદિત થઈ છે. તેઓએ આદિવાસી સમુદાયના હિત માટે ઝંડો ઉઠાવ્યો હતો. તેમના વિકાસ માટે તનતોડ મહેનત કરી હતી. બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આદિવાસી લોકોના સંઘર્ષો માટે સમર્પિત હતાં. તેમને મળેલાં સન્માનોમાં 1979માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1986માં પદ્મશ્રી, 1996માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ, 1997માં રોમન મેગ્સેસે ઍવૉર્ડ તથા 2006માં પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે.
અમલા પરીખ

