Categories
વાચન સમૃદ્ધિ

લવકુમાર ખાચર

જ. 24 ફેબ્રુઆરી, 1930 અ. 2 માર્ચ, 2015

પ્રકૃતિ સંરક્ષણ માટે કાર્ય કરનાર પક્ષીશાસ્ત્રી લવકુમાર ખાચરનો જન્મ જસદણમાં ભૂતપૂર્વ રાજવી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ હિંગોળગઢના પ્રાકૃતિક વાતાવરણમાં વીત્યું હતું. રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ  મેળવી સેન્ટ લુઇસ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી બી.એસસી. કર્યું. તેમણે 1956માં રાજકુમાર કૉલેજમાં અધ્યાપન કર્યું હતું. તેમણે યુવાનો પ્રકૃતિસંરક્ષણમાં જોડાય એ માટે પ્રયત્નો કર્યા. તેમણે નેચરક્લબ અને કૅમ્પિંગની શરૂઆત કરી. તેઓ બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (BNHS) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF), ભારત સાથે જોડાયેલા હતા. તેમને વન્યજીવનના શિક્ષણ માટે WWF તરફથી અનુદાન પ્રાપ્ત થયું હતું. તેમણે 1984માં નેચર ડિસ્ક્વરી સેન્ટરના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદના સુંદરવનના વિકાસમાં તેમનો ફાળો રહ્યો હતો. તેમણે કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેમણે ગીરના અભયારણ્યમાં વન્યજીવનના સંરક્ષણ માટે કાર્ય કર્યું હતું. ગ્રેટ હિમાલયન નૅશનલ પાર્ક અને ધ મરીન નૅશનલ પાર્ક એમ બે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. તેમણે બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી જેવી અન્ય સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગીરના જંગલમાં સર્વેક્ષણો કરી પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું. યુવાનો અને સાહસિકો માટે આઉટડોર સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ‘બેક ટુ નેચર’ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ‘હીંગોળગઢ નેચર કન્ઝર્વેશન એજ્યુકેશન સેન્ચ્યુરી’ના સ્થાપક હતા તેમજ દિલ્હી બર્ડ ક્લબના સભ્ય હતા. તેમણે કે. એસ. ધર્મકુમારસિંહજી સાથે ‘સિક્સ્ટી ઇન્ડિયન બર્ડઝ’ પુસ્તક લખ્યું હતું. WWF – ભારત માટે નેચર કૅમ્પ શરૂ કરવા અને વિકસાવવા માટે પ્રિન્સ ફિલિપ તરફથી તેમને પ્રમાણપત્ર મળ્યું હતું. 2004માં તેમને વેણુ મેનન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, દિલ્હી બર્ડ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને સલીમ અલી – લોક વાન થો લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અખાત્રીજ

વૈશાખ સુદ ત્રીજની પવિત્ર મનાતી તિથિ – અક્ષયતૃતીયા.

અખાત્રીજને વણજોયું શુભ મુહૂર્ત લેખવામાં આવે છે; તેથી તે દિવસે કોઈ પણ નવું કાર્ય શરૂ કરાય તો તેમાં ફતેહ મળે તેવી શ્રદ્ધા લોકોમાં વ્યાપકપણે જોવા મળે છે. ‘અક્ષય’ એટલે ‘જેનો ક્ષય ન થાય તે’. આથી આ દિવસે શરૂ કરેલ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે એવી માન્યતા છે. તે દિવસે કરેલ દાન લેખે લાગે છે. તે દિવસે અનેક લોકો ‘પોતાની સમૃદ્ધિ વધશે’ તેવી ભાવનાથી સોનું કે તેનાં ઘરેણાં ખરીદે છે. અખાત્રીજને દિવસે જો રોહિણી નક્ષત્ર અને સોમવાર હોય તો તે વધુ શુભ ગણાય છે. આ દિવસે ઘણાં નવયુગલો લગ્નગ્રંથિથી બંધાય છે. હિંદુ અને જૈન કૅલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હોય છે; તેથી તેમાં ક્યારેક કોઈ તિથિનો ક્ષય તો કોઈની વૃદ્ધિ પણ થાય છે; પરંતુ ‘અક્ષયતૃતીયા’ માટે વૈશાખ સુદ ત્રીજનો દિવસ નિયત જ રહે છે.

લક્ષ્મીજીનો સિક્કો, ખેડૂતો અખાત્રીજે નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે.

પુરાણોમાં અખાત્રીજનો વિવિધ સંદર્ભોમાં ઉલ્લેખ છે. આ શુભ દિવસે વેદવ્યાસે ગણપતિ પાસે મહાભારત જેવો પવિત્ર ગ્રંથ લખાવવાની શરૂઆત કરી હતી. દ્રૌપદીનું ચીર-હરણ, યુધિષ્ઠિરને થયેલ અક્ષયપાત્રની પ્રાપ્તિ અને દ્વારિકામાં સુદામા-કૃષ્ણનું મિલન અને તે પછી તાંદુલ આરોગ્યા બાદ કૃષ્ણ દ્વારા સુદામાની ગરીબાઈનું નિવારણ – આ બધા પ્રસંગો પણ આજ દિવસે બન્યાનું નોંધાયું છે. ખેડૂતો અખાત્રીજે નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે. વળી વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની તથા દેવી અન્નપૂર્ણાની જન્મજયંતી આ દિવસે આવે છે. શંકર ભગવાનની કૃપાથી કુબેર અખાત્રીજના દિવસથી દેવોનો ખજાનચી બન્યો હતો. આથી કુબેરના, લક્ષ્મીયંત્રના પૂજનનું આ દિવસે મહત્ત્વ છે. પવિત્ર ગંગા નદીનું સ્વર્ગમાંથી અવતરણ પણ આ દિવસે થયું હતું. ત્રેતાયુગનો પ્રારંભ પણ આ દિવસથી થયો હતો. ચારધામની યાત્રા પણ દર વર્ષે આ દિવસથી શરૂ કરાતી હોય છે.

અખાત્રીજથી રથયાત્રાના રથ બનાવવાનું કામ પણ શરૂ થાય છે. બંગાળમાં આ દિવસે ગણેશ અને લક્ષ્મીદેવીની પૂજા કરી નવા ચોપડા લખવાની શરૂઆત કરાય છે. આ દિવસે ખેડૂતો (જેમ કે, ઓડિશાના, જાટ જાતિના વગેરે) ખેતીની શરૂઆત કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અખાત્રીજ, પૃ. 8)

Categories
વાચન સમૃદ્ધિ

રાધારમણ મિત્ર

જ. 23 ફેબ્રુઆરી, 1897 અ. 7 ફેબ્રુઆરી, 1992

બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર રાધારમણ મિત્રનો જન્મ કૉલકાતામાં મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. 1913માં તેઓ કૉલકાતાની હિન્દુ સ્કૂલમાંથી મૅટ્રિક થયા. 1915માં તેમણે ઇન્ટરમીડિયેટની પરીક્ષા ગોલ્ડ મેડલ સાથે પાસ કરી. 1917માં તેમણે સેન્ટ પાઉલસ કેથીડ્રલ મિશન કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું હતું. કૉલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા બાદ ઉત્તરપ્રદેશમાં ઓટાવા ખાતે શિક્ષક થયા પછી  ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા. તેમાં પકડાયા, જેલવાસ ભોગવ્યો. જેલમુક્તિ બાદ કેટલાંક વર્ષો સુધી અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે કામ કર્યું. પાછળથી તેઓ ક્રાંતિકારી રાજકારણમાં જોડાયા. 1923માં મેરઠ કાવતરા કેસમાં અન્ય ક્રાંતિકારીઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી. પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા. ત્યારબાદ 1938માં તેઓ ભારતના સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ કૉલકાતા શહેરના પ્રાચીન અવશેષોના સંશોધનમાં સતત પ્રવૃત્ત રહેલા. તેમના ‘કાલિકાતા દર્પણ’ (1-2) નામના સંશોધનગ્રંથ બદલ તેમને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમની અન્ય કૃતિઓમાં ‘Bangalar Tin Manishi’, લાલબિહારી ડેને લગતું પુસ્તક ‘Kalikatay Vidyasagar’ ‘David Hare : His Life and works’ છે. આ ઉપરાંત તેમની પાસેથી વિવિધ વિષયોના નિબંધોનો સંગ્રહ પણ મળ્યો છે.