Categories
વાચન સમૃદ્ધિ

હડપ્પા

સિંધુ સંસ્કૃતિનું એક નગર.

હડપ્પામાંના ખોદકામમાંથી પ્રાપ્ત વિભિન્ન પુરાવશેષોની વિશ્વનાં અન્ય સ્થળોએથી મળેલા સમકાલીન સંસ્કૃતિઓના અવશેષો સાથે તુલના કરતાં આ સ્થળ ઈ. સ. પૂર્વે ૨૫૦૦થી ૧૫૦૦ના સમયગાળાનું મનાય છે. ઈ. સ. પૂર્વે ૨૪૦૦માં સિંધ અને પંજાબમાં આ સંસ્કૃતિ પૂર્ણપણે વિકસી હતી. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર નજીક, સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે.

સિંધુ સંસ્કૃતિનો એક નગર-અવશેષ – હડપ્પા

ઈ. સ. ૧૮૨૬માં ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો હતો. ઈ. સ. ૧૮૫૩ અને ૧૮૫૬માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીં સ્થળ-તપાસ કરી. અહીંથી એકશૃંગી પશુ અને ચિત્રાત્મક લિપિથી અંકિત કેટલીક મુદ્રાઓ (seals) મળી આવી. ત્યારબાદ ૧૮૫૬માં કરાંચીથી લાહોર જનારી રેલલાઇનના પાટા પાથરવા માટે જ્યારે ખોદકામ ચાલુ કરાયું ત્યારે આ પુરાતન સ્થળ અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ. ૧૯૨૧માં દયારામ સાહની દ્વારા જ્હૉન માર્શલના નિર્દેશનમાં અહીં વિધિવત્ ઉત્ખનન કરાયું. તે ચાર વર્ષ ચાલ્યું. દયારામ સાહની પછી માધો સ્વરૂપ વત્સે અહીં વિસ્તૃત ઉત્ખનન કર્યું. તે કાર્ય આઠ વર્ષ ચાલ્યું. ૧૯૪૯માં મોર્ટીમર વ્હીલરે હડપ્પાના પશ્ચિમી દુર્ગના ટિમ્બાનું ઉત્ખનન કર્યું. હડપ્પાના અવશેષો પરથી એવું લાગે છે કે એ વ્યવસ્થિત રીતે બંધાયેલું નગર હતું. એના રસ્તા ઉત્તરથી દક્ષિણ તરફ જતા હતા. મકાનો હારબંધ બંધાયેલાં હતાં. આવાસીય મકાનોના ઓટલા ઊંચા હતા અને દરેક ઘર કૂવો, ગટર વગેરેની સગવડ ધરાવતું હતું. બારી, બારણાં રસ્તા પર નહિ, પરંતુ ઘરની અંદરના ભાગમાં મૂકવામાં  આવતાં. ત્રણ સીડીઓની ઉપલબ્ધિ એકથી વધુ માળવાળાં મકાનો હોવાનું પુરવાર કરે છે. મકાનોના બાંધકામમાં પાકી ઈંટોનો વપરાશ થતો હતો. દુર્ગક્ષેત્ર રક્ષણાત્મક દીવાલ(કોટ)થી ઘેરાયેલું હતું. તેનું પ્રમુખ દ્વાર ઉત્તર દિશામાં અને બીજું દ્વાર દક્ષિણ તરફ આવેલું હતું. સમલંબ ચતુર્ભુજ આકાર ધરાવતા દુર્ગની લંબાઈ ઉત્તર-દક્ષિણ ૪૨૦ મી. અને પૂર્વપશ્ચિમ પહોળાઈ ૧૯૬ મી. હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હડપ્પા, પૃ. 109)

Categories
વાચન સમૃદ્ધિ

નાયક જદુનાથસિંહ રાઠોડ

જ. 21 નવેમ્બર, 1916 અ. 6 ફેબ્રુઆરી, 1948

વીર યોદ્ધા જદુનાથસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના ખજૂરી ગામે થયો હતો. પિતા બીરબલસિંહ અને માતા યમુના કંવર. ગામની શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડ્યો અને ખેતીના કામમાં લાગ્યા. તેમને કસરત અને કુસ્તીનો ભારે શોખ હતો. તેઓ નિયમિત વ્યાયામ કરતા અને દિવસમાં ત્રણ વખત દૂધ પીતા. નબળી આર્થિક સ્થિતિને કારણે ભાભીએ દૂધ બાબતમાં મહેણું મારતાં તેમણે ઘરનો ત્યાગ કર્યો અને બ્રિટિશ હિંદની સેનામાં જોડાયા. લશ્કરી તાલીમ મેળવી 21 નવેમ્બર, 1941ના રોજ બ્રિટિશ હિંદ સેનાની 7મી રાજપૂત રેજિમેન્ટમાં જોડાયા. 1942માં બર્માના અરાકનમાં જાપાન વિરુદ્ધ યુદ્ધમાં તેઓ બહાદુરીપૂર્વક લડ્યા. આઝાદી પછી પહેલી રાજપૂત રેજિમેન્ટમાં નાયક બન્યા.

6 ફેબ્રુઆરી, 1948ના રોજ સવારે 6:40 કલાકે પાકિસ્તાની સેનાએ તૈનધાર ટેકરી પર હુમલો કર્યો, જે અસફળ રહ્યો. પાકિસ્તાની સૈન્યએ ટેકરીની ડાબી બાજુએથી હુમલો કર્યો. સામસામે ગોળીબાર થયા, જેમાં આપણા ચાર જવાનો ઘાયલ થયા. હુમલો અસફળ રહ્યો આથી પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો. આ હુમલામાં આપણા બીજા બે જવાનો ઘવાયા. જદુનાથસિંહ ચોકી છોડીને મશીનગન લઈને દુશ્મન સેના તરફ ગયા. ગોળીઓ ખૂટી પડતાં હૅન્ડગ્રેનેડ્સથી હુમલો કર્યો અને દુશ્મનોને હરાવ્યા. ટુકડીના નવ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થતાં ચોકીની જવાબદારી જદુનાથસિંહ પર આવી. જદુનાથસિંહને જમણા ખભા અને જમણા પગમાં ગોળી વાગી. પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો. તેણે મશીનગન લઈને ચોકીની બહાર આવી ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનની ગોળી તેમની છાતી પર વાગી છતાંય લડતા રહ્યા. દારૂગોળો ખૂટી પડતાં દુશ્મનોની પાસે જઈ હાથોહાથની લડાઈ કરી. એક દુશ્મનની તલવાર લઈ ઘણાને ઘાયલ કર્યા અને માર્યા. વળી દુશ્મનની મશીનગન હાથમાં આવતાં ગોળીઓનો વરસાદ વરસાવ્યો. ઘાયલ દુશ્મનો મેદાન છોડીને ભાગ્યા. અચાનક બે ગોળીઓ આવી અને ખોપરીમાં અને ફેફસાંમાં વાગી. આઠ ગોળીઓથી વીંધાયેલા બહાદુર જવાને પ્રાણ ત્યાગ્યા. છેલ્લા શ્વાસ સુધી દુશ્મનો સાથે લડતા રહી અપ્રતિમ પરાક્રમ કરવા બદલ 1950માં ભારત સરકારે પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરી તેમને સન્માનિત કર્યા.

Categories
વાચન સમૃદ્ધિ

વિષાદયોગનો મર્મ

‘હું જાણું છું કે મારા જીવનની શ્રેષ્ઠતમ નિધિ તમે છો. એવું કોઈ ધન નથી કે જે તમારા સમાન હોય. આમ છતાં મારું ઘર ભંગાર વસ્તુઓથી ભરેલું છે, એને હું ફેંકી શકતો નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ પંક્તિઓ માનવહૃદયમાં વસતા મોહના આકર્ષણને દર્શાવે છે. એ મોહ માણસને ઘેરી લે છે. એના આત્મા પર એક એવું કાળું ઘનઘોર વાદળ છવાઈ જાય છે કે જેનાથી એનો આત્મસૂર્ય ઢંકાઈ જાય છે. એ મોહ માનવીને વાસ્તવિક પરિસ્થિતિથી અળગો કરી દે છે અને એ આંખો બંધ કરીને એની પાછળ સતત દોડે છે. એથીયે વિશેષ તો એ મોહને કારણે પરિસ્થિતિનો સાચો તાગ મેળવી શકતો નથી. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદને આપણે ઘટના રૂપે જોઈએ છીએ. ક્યારેક અર્જુનના વિષાદયોગની વાત કરીએ છીએ, પરંતુ એ ઘટનાની ભીતરમાં છુપાયેલા ભાવને જાણવો પડે. અર્જુન વીર છે, બુદ્ધિશાળી છે, કુશળ ધનુર્ધર છે અને છતાં એ કપરી વેળાએ મોહગ્રસ્ત બને છે. શું અર્જુનને ખબર નહોતી કે એને આ કૌરવો સાથે યુદ્ધ કરવાનું છે ? પાંડવોનો નાશ કરવા માટેની, કૌરવોનાં કેટલાંય ષડયંત્રોની એને પૂરેપૂરી જાણ હતી અને આમ છતાં યુદ્ધ સમયે મોહ જાગે છે. એ મોહ પર માનવીએ વિજય મેળવવો જોઈએ. ઘોડો તોફાની બને, તો તેના પરનો સવાર લગામ છોડી દેતો નથી, પણ ઘોડાને વશ કરવા પ્રયત્ન કરે છે. આ ઘટનાનો મર્મ એ છે કે આપણે મક્કમ મને નિર્ણય કર્યો હોય, પરંતુ જ્યારે એ પ્રમાણે કાર્ય કરીએ, ત્યારે મુશ્કેલી આવે છે અને તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે, ‘તારી મોહગ્રસ્તતામાં તને તારું શુભ દેખાતું નથી.’ આનો અર્થ એટલો જ કે બુદ્ધિથી નિર્ણય કરવો એ એક વાત છે અને એથીયે વિશેષ મહત્ત્વનું તો એ નિર્ણયને કાર્યાન્વિત કરવાનું છે.