Categories
વાચન સમૃદ્ધિ

મારી હારથી આનંદ

ફિલ્મોના મહાન અભિનેતા, સર્જક અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિને પાંત્રીસ જેટલી ટૂંકી સ્લેપસ્ટિક કૉમેડીમાં પોતાની અભિનયક્ષમતા દાખવી અને એમની કારકિર્દીનાં ત્રીસ વર્ષમાં એમણે કરેલી મોટા ભાગની કૉમેડી ફિલ્મોમાં રસ્તે રઝળતા રખડું(ટ્રમ્પ)નું રમૂજી પાત્ર ભજવ્યું અને તે સતત વિકસતું રહ્યું. લઘરવઘર વસ્ત્રપરિધાન, બહાદુરી સાથે ડરપોકપણાનું સંમિશ્રણ, જુસ્સાભર્યો સ્વતંત્ર મિજાજ, અસંગત ગણાતું વરણાગિયાપણું, નારીરક્ષક હોવાની લાક્ષણિકતા સાથે ડોકાઈ જતી નારીપીડનવૃત્તિ અને એ બધાની સાથે ચૅપ્લિનની આગવી હાજરબુદ્ધિ. એને પરિણામે આ પાત્ર અત્યંત સફળ થયું. આ પાત્રએ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એનાં ગીતો રચાવા લાગ્યાં. એની બાળરમતો યોજાતી અને રખડુની લાક્ષણિકતા ધરાવતી નાની નાની પ્રતિકૃતિ પૂતળા રૂપે એક ડૉલરમાં બજારમાં વેચાતી મળતી હતી. આ પાત્રની લાક્ષણિકતાએ સઘળા સાંસ્કૃતિક ભેદો ઓગાળી નાખ્યા હતા. આમ 1914માં ‘કિડ ઓટો રેસ ઇન વેનિસ’માં આપેલા રખડું વરણાગિયાના પ્રતીક પાત્રનો 1940માં ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મથી અંત આવ્યો. એક વાર ચાર્લી ચૅપ્લિનના આ રખડુ વરણાગિયાના પાત્રનું અનુકરણ કરવાની જર્મનીના એક શહેરમાં સ્પર્ધા યોજાઈ. જુદા જુદા અદાકારોએ આ રખડુ વરણાગિયાના અભિનયની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્પર્ધાનું બોર્ડ વાંચીને ચાર્લી ચૅપ્લિને પણ એમાં ભાગ લીધો અને એમણે ચાર્લી ચૅપ્લિન જેવા અભિનય કરતા અદાકારોની વચ્ચે ઝુકાવ્યું. સ્પર્ધાનું આંચકાજનક પરિણામ આવ્યું અને સાચા ચાર્લી ચૅપ્લિનનો નકલ કરવાની સ્પર્ધામાં પરાજય થયો ! એક બીજો અદાકાર આ સ્પર્ધા જીતી ગયો. ત્યારે ચૅપ્લિને કહ્યું, ‘મારા દેખાવ અને અભિનયની નકલ બધા કરી શકે, પરંતુ અભિનયના મારા અંદાજની અને મારી બુદ્ધિની નહીં. મને મારી હારથી આનંદ થયો, કારણ કે હું સાચો ચૅપ્લિન છું, બે નંબરી નહીં.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઝુબીન ગર્ગ

જ. 18 નવેમ્બર, 1972 અ. 19 સપ્ટેમ્બર, 2025

ભારતીય સંગીતકાર, ગાયક, ગીતકાર, વાદ્યવાદક, કવિ, અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મનિર્માતા તરીકે જાણીતા ઝુબીન ગર્ગ મુખ્યત્વે અસમીઝ, બંગાળી અને હિન્દી ફિલ્મ અને સંગીતક્ષેત્રે કામ કરતા હતા. તેમણે 40 અન્ય ભાષા અને બોલીઓમાં પણ ગીત ગાયાં હતાં. ગર્ગે ત્રણ વર્ષની વયથી ગાવાનું શરૂ કર્યું હતું. તેમનાં પ્રથમ ગુરુ તેમની માતા હતાં. તેમણે પંડિત રોબિન બેનર્જી પાસેથી 11 વર્ષ સુધી તબલાં વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. ગુરુ રમણી રાયે તેમને અસમીઝ લોકસંગીતનો પરિચય કરાવ્યો હતો. શાળાના દિવસોથી જ તેમણે ગીતો લખવાનું શરૂ કર્યું હતું. ઝુબીન ગર્ગે 1992માં અસમીઝ સોલો આલબમ ‘અનામિકા’ સાથે એમ. કે. પ્રોડક્શનના બૅનર હેઠળ પ્રવેશ કર્યો અને તે જ વર્ષે તેમણે યુવા મહોત્સવમાં તેમના વેસ્ટર્ન સોલો પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1995માં તેમનું પ્રથમ બિહુ આલબમ ‘ઉજાન પિરિતી’ રિલીઝ થયું હતું જે વ્યાપારિક રીતે સફળ રહ્યું હતું. 1990ના મધ્યમાં તેઓ મુંબઈ બોલિવુડના સંગીતઉદ્યોગમાં કામ કરવા ગયા, જ્યાં તેમનું પ્રથમ ઇન્ડિપોપ સોલો આલબમ ‘ચાંદની’ રિલીઝ થયું હતું અને ત્યારબાદ તેમણે હિન્દી આલબમ અને રિમિક્સ જેવાં કે ‘ચંદા’ (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-1 (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-2 અને 3 (1997), ‘જલવા’ (1998), ‘યૂં હી કભી’ (1998), ‘જાદુ’ (1999) અને ‘સ્પર્શ’ (2000) અને અન્ય આલબમ રેકૉર્ડ કર્યાં હતાં. ઝુબીન ગર્ગને બોલિવુડમાં તેમની સૌથી મોટી સફળતા મૂવી ‘ગેંગસ્ટર’માંથી મળી હતી જ્યાં તેમણે ‘યા અલી’ ગીત ગાયું હતું. ગર્ગનું સંગીત આત્માથી ભરેલું અને તેમનું કાર્ય લોકથી પોપ સુધી વિસ્તરેલું હતું. તેમના સંગીતમાં રોમૅન્ટિક અને ભક્તિમયથી માંડી બિહુ અને આધુનિક ગીતો સુધીની વિવિધતા જોવા મળે છે. સંગીત ઉપરાંત તેમણે અનેક અસમીઝ ફિલ્મ લખી, નિર્દેશિત અને અભિનીત કરી હતી. પરંપરાગત ગીત અને નૃત્ય વાર્તાઓને બદલે તેમણે વાસ્તવિક અને રાજકીય થીમ્સ વધુ પસંદ કરી હતી. આ ઉપરાંત તેઓ તેમનાં બોલ્ડ અને સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા હતા. ઝુબીન ગર્ગને 1996માં તેમના આલબમ ‘ચાંદની રાત’ માટે ચૅનલ વી મ્યુઝિક ઍવૉર્ડથી અને 2011માં અસમ કન્વેન્શન ઑફ બુક, ઇલિનિયોસ, યુ.એસ. દ્વારા વર્ષના મહેમાન કલાકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 27 મે, 2024ના રોજ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, મેઘાલય દ્વારા માનદ ડૉક્ટર ઑફ લિટરેચર ડી.લિટ્.ની ડિગ્રી આપવામાં આવી હતી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

સ્વામિનારાયણ સંપ્રદાય

સહજાનંદ સ્વામીએ સ્થાપેલો સંપ્રદાય.

સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસેના લોજ ગામમાં ઉદ્ધવના અવતાર મનાતા સ્વામી રામાનંદ પાસે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લઈ નીલકંઠ બ્રહ્મચારી સ્વામી સહજાનંદ બન્યા. સ્વામી રામાનંદે પોતાના અવસાન પહેલાં પોતાના અનુયાયીમંડળના આચાર્યપદે સ્વામી સહજાનંદને સ્થાપ્યા. ગુરુ રામાનંદ સ્વામીના અવસાન બાદ ચૌદમા દિવસે સહજાનંદ સ્વામીએ વૈદિક તત્ત્વજ્ઞાનના સાર રૂપે ‘સ્વામિનારાયણ’નો મંત્ર આપ્યો. એ જ મંત્રથી તેઓ ‘ભગવાન સ્વામિનારાયણ’ તરીકે ઓળખાયા અને આ ઉદ્ધવ સંપ્રદાય વખત જતાં ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ના નામે ઓળખાયો.

સ્વામિનારાયણ મંદિર, મૂળી

ઈ. સ. ૧૮૦૧માં શ્રી સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ-સુધારણાની પ્રવૃત્તિ આરંભી અને આ પ્રવૃત્તિએ થોડાં જ વર્ષોમાં સ્વામિનારાયણ સંપ્રદાયને વ્યાપક સ્વીકૃતિ અપાવી. સહજાનંદ સ્વામી સંયમના ચુસ્ત આગ્રહી હતા, તેથી વૈષ્ણવ સંપ્રદાયમાં જે વિલાસિતાનાં તત્ત્વોએ પ્રવેશ કરવા માંડ્યો હતો તેને દૂર કરી ધર્મમાં સદાચારને પ્રાધાન્ય આપ્યું. એમણે યજ્ઞોને અહિંસક બનાવ્યા; એ સમયની અરાજક સ્થિતિનો લાભ ઉઠાવતી ધાડ અને ચોરીનો ધંધો કરતી કાઠી અને કોળી જેવી કોમોને શાંત, પ્રામાણિક, મહેનતુ અને ધર્મનિષ્ઠ બનાવી; લોકોનાં અફીણ, દારૂ ને તમાકુનાં વ્યસન છોડાવ્યાં; રાજપૂતો ને કાઠીઓનો દીકરીને દૂધ-પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો; સતી થવાના ચાલને પોતાની અસંમતિ આપી; વિધવાઓને ભગવાનને પતિ માની તેની ભક્તિ કરવાનો માર્ગ ચીંધી વૈધવ્યને ધર્મપરાયણ અને હેતુલક્ષી બનાવ્યું. આમ તળગુજરાત અને કાઠિયાવાડના લોકોમાં વિચારશુદ્ધિ, આચારશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિનો ખાસ આગ્રહ રાખતા આ સંપ્રદાયે સનાતન ધર્મનું એક આગવું સ્થાન મેળવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની દાર્શનિક વિચારધારા રામાનુજદર્શન(શ્રીસંપ્રદાય)થી પ્રભાવિત છે; તેથી અહીં પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ – એમ પાંચ અનાદિ તત્ત્વોનો નિર્દેશ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ માયાથી પર છે. જીવ અને ઈશ્વર બ્રહ્મ સાથે એકતા કરી માયાથી પર થઈ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. સંપ્રદાયમાં શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલા સદાચારને ધર્મ ગણવામાં આવે છે, આથી સંપ્રદાયના ત્યાગી વર્ગને પંચવર્તમાન – નિષ્કામ, નિ:સ્નેહ, નિ:સ્વાદ, નિર્માન અને નિર્લોભ – આ પાંચ વ્રતો પાળવાનાં હોય છે. આ ઉપરાંત દરેક ત્યાગી-ગૃહસ્થી સત્સંગીએ લસણ-ડુંગળીનો ત્યાગ પણ કરવાનો હોય છે.

રાજશ્રી મહાદેવિયા

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વામિનારાયણ સંપ્રદાય, પૃ. 98)