Categories
વાચન સમૃદ્ધિ

હમ્પી

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું ઐતિહાસિક નગર. હમ્પી વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોના સ્થળ તરીકે પ્રખ્યાત છે. તે હાલના કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસટેપ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ, તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. ઈ. સ. ૧૩૩૬માં હરિહર (પ્રથમ) અને બુક્કારાયે તેની સ્થાપના કરી હતી. પાંચસો વર્ષ પૂર્વે હમ્પી વિજયનગર મહારાજ્યની રાજધાની હતું. ૨૦૦ વર્ષ કરતાં વધારે સમયમાં હિંદુ વંશના ત્રણ પેઢીઓના રાજાઓએ અહીંથી શાસન કર્યું હતું. કૃષ્ણદેવરાય(૧૫૦૯થી ૧૫૨૯)ના શાસનનો સમય હમ્પી માટે સુવર્ણયુગ હતો. તેના સમયમાં અહીં પ્રસિદ્ધ મંદિરો બંધાયાં હતાં. ત્યારબાદ અચ્યુતરાય(૧૫૨૯–૧૫૪૨)નો સમય પણ ઉત્તમ હતો. ઈ. સ. ૧૫૬૫માં તાલિકોટાના યુદ્ધમાં બહમની સુલતાનોના સંઘે, વિજયનગરના અંતિમ રાજા રામરાયને હરાવ્યો. સુલતાનોએ હમ્પી નગરને લૂંટીને ખેદાનમેદાન કરી મૂક્યું. હાલમાં અહીં માત્ર વિજયનગર સામ્રાજ્યની જાહોજલાલી, ભવ્યતા ને કળારસિકતા દર્શાવતાં સ્થાપત્યોના ભગ્નાવશેષો જોવા મળે છે.

વિઠ્ઠલમંદિર, હમ્પી

અવશેષો જોતાં એટલું પુરવાર થાય છે કે આ નગરનું સ્થાન ઉત્તમ હતું. આસપાસ ઊંચી શિલાઓની સુરક્ષા હતી. કેન્દ્રનો નાગરિક વિસ્તાર નહેર વડે રક્ષિત હતો. આ નહેર આજે પણ પાણી પૂરું પાડે છે. અહીં આવેલાં મંદિરોમાં વિઠ્ઠલમંદિર, હજારારામમંદિર, વિરુપાક્ષમંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે તત્કાલીન સ્થાપત્યકળાનાં ઉત્તમ ઉદાહરણો છે. વિઠ્ઠલમંદિર સૌથી વધુ અલંકૃત છે. તેનું નિર્માણ કૃષ્ણદેવરાય(દ્વિતીય)ના સમયમાં શરૂ થયું હતું ને અચ્યુતરાયના શાસનકાળમાં પણ ચાલુ રહ્યું હતું. ૧૫૨.૪૦ x ૪૧.૧૫ મી.ની સમકોણ ચતુર્ભુજાકાર દીવાલોથી તે રક્ષિત છે. આની અંદર સ્તંભોની ત્રણ હારથી યુક્ત આચ્છાદિત માર્ગ છે. સમગ્ર મંદિરની નિર્માણયોજના અસાધારણ છે. પ્રસ્તુત મંદિરમાં વિઠ્ઠલ-સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજે છે. કૃષ્ણદેવરાય દ્વારા નિર્મિત (ઈ. સ. ૧૫૧૩) હજારારામમંદિર વિઠ્ઠલમંદિરનું સમકાલીન છે. આ મંદિર રાજપરિવારની પૂજા માટે હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હમ્પી, પૃ. 111)

Categories
વાચન સમૃદ્ધિ

તકલામાકાન

ચીનની વાયવ્ય દિશાએ સિંક્યાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39O ઉ. અ. અને 83O પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે છે જે લોપનારના ખારા સરોવરમાં સમાઈ જાય છે. રણની સપાટી ઉપર ચમકતી રેતી છે. રેતીના ઢૂવા વાતા પવનને લીધે ખૂબ ગતિથી સરકતા રહે છે. તારીમ ઉપરાંત ત્યાં કાશ્ગર, હોનાન અને કરકન નદીઓ છે. ઝરણાંએ ખેંચી લાવેલા નિક્ષેપથી વાયવ્ય અને નૈર્ઋત્ય ભાગમાં રણદ્વીપો બનેલા છે.

તકલામાકાનનું રણ : વેરાન અને રેતાળ સૂકી ભૂમિનો પ્રદેશ

અહીંની આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો સખત હોય છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 38O સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન 9O સે. થઈ જાય છે. ઉનાળામાં વધુમાં વધુ તાપમાન 45O–48O સે. રહે છે. આ રણ પર્વતોથી ઘેરાયેલું હોય છે. તેથી ચોમાસાના ભેજવાળા પવનો અંદરના ભાગ સુધી પહોંચતા નથી. વચ્ચેનો ભાગ નિર્જન અને સાવ સૂકો છે. ક્યારેક વરસાદનાં ઝાપટાં પડે ત્યારે ટમારિસ્ક ઘાસ ઊગી નીકળે છે. રણદ્વીપમાં જ્યાં પાણીની સગવડ હોય છે ત્યાં અનાજ, ચણા, કપાસ તથા બી વિનાની દ્રાક્ષ ઊગે છે. રણદ્વીપની જમીન ફળદ્રૂપ છે. આ પ્રદેશમાં હરણ, જંગલી ભુંડ, વરુ અને શિયાળ વગેરે પ્રાણીઓ છે. પાળેલાં પ્રાણીઓમાં ઊંટ અને ઘોડા, બકરાં અને ઘેટાં છે. લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. રણદ્વીપો સિવાય અન્યત્ર ખેતી થતી નથી. લોકો તુર્ક જાતિના છે. ચીનથી ભારત આવવાનો ‘સિલ્ક રૂટ’ આ પ્રદેશમાંથી પસાર થાય છે. ઇટાલિયન પ્રવાસી માર્કોપોલોએ કાશ્ગર અને હોનાનની મુલાકાત લીધી હતી. તારીમ ખીણના પ્રદેશમાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. ઇસ્લામના આગમન પૂર્વે અહીં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી. આ પ્રદેશમાંથી ચાંદીના જેવી ખનિજો મળી આવવાની શક્યતા છે. રણદ્વીપોમાં વસ્તી પાંખી છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

હડપ્પા

સિંધુ સંસ્કૃતિનું એક નગર.

હડપ્પામાંના ખોદકામમાંથી પ્રાપ્ત વિભિન્ન પુરાવશેષોની વિશ્વનાં અન્ય સ્થળોએથી મળેલા સમકાલીન સંસ્કૃતિઓના અવશેષો સાથે તુલના કરતાં આ સ્થળ ઈ. સ. પૂર્વે ૨૫૦૦થી ૧૫૦૦ના સમયગાળાનું મનાય છે. ઈ. સ. પૂર્વે ૨૪૦૦માં સિંધ અને પંજાબમાં આ સંસ્કૃતિ પૂર્ણપણે વિકસી હતી. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર નજીક, સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે.

સિંધુ સંસ્કૃતિનો એક નગર-અવશેષ – હડપ્પા

ઈ. સ. ૧૮૨૬માં ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો હતો. ઈ. સ. ૧૮૫૩ અને ૧૮૫૬માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીં સ્થળ-તપાસ કરી. અહીંથી એકશૃંગી પશુ અને ચિત્રાત્મક લિપિથી અંકિત કેટલીક મુદ્રાઓ (seals) મળી આવી. ત્યારબાદ ૧૮૫૬માં કરાંચીથી લાહોર જનારી રેલલાઇનના પાટા પાથરવા માટે જ્યારે ખોદકામ ચાલુ કરાયું ત્યારે આ પુરાતન સ્થળ અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ. ૧૯૨૧માં દયારામ સાહની દ્વારા જ્હૉન માર્શલના નિર્દેશનમાં અહીં વિધિવત્ ઉત્ખનન કરાયું. તે ચાર વર્ષ ચાલ્યું. દયારામ સાહની પછી માધો સ્વરૂપ વત્સે અહીં વિસ્તૃત ઉત્ખનન કર્યું. તે કાર્ય આઠ વર્ષ ચાલ્યું. ૧૯૪૯માં મોર્ટીમર વ્હીલરે હડપ્પાના પશ્ચિમી દુર્ગના ટિમ્બાનું ઉત્ખનન કર્યું. હડપ્પાના અવશેષો પરથી એવું લાગે છે કે એ વ્યવસ્થિત રીતે બંધાયેલું નગર હતું. એના રસ્તા ઉત્તરથી દક્ષિણ તરફ જતા હતા. મકાનો હારબંધ બંધાયેલાં હતાં. આવાસીય મકાનોના ઓટલા ઊંચા હતા અને દરેક ઘર કૂવો, ગટર વગેરેની સગવડ ધરાવતું હતું. બારી, બારણાં રસ્તા પર નહિ, પરંતુ ઘરની અંદરના ભાગમાં મૂકવામાં  આવતાં. ત્રણ સીડીઓની ઉપલબ્ધિ એકથી વધુ માળવાળાં મકાનો હોવાનું પુરવાર કરે છે. મકાનોના બાંધકામમાં પાકી ઈંટોનો વપરાશ થતો હતો. દુર્ગક્ષેત્ર રક્ષણાત્મક દીવાલ(કોટ)થી ઘેરાયેલું હતું. તેનું પ્રમુખ દ્વાર ઉત્તર દિશામાં અને બીજું દ્વાર દક્ષિણ તરફ આવેલું હતું. સમલંબ ચતુર્ભુજ આકાર ધરાવતા દુર્ગની લંબાઈ ઉત્તર-દક્ષિણ ૪૨૦ મી. અને પૂર્વપશ્ચિમ પહોળાઈ ૧૯૬ મી. હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હડપ્પા, પૃ. 109)