સજીવ-નિર્જીવ


ચૈતન્યવાળા, પ્રાણવંત અને ચૈતન્ય વગરના (જડ) પદાર્થો કે અવશેષો અથવા એવી વસ્તુઓ.

પૃથ્વી પર જાતભાતની સજીવ તથા નિર્જીવ વસ્તુઓ આવેલી છે. તેની બહુવિધ સૃષ્ટિ છે. તેમાં મનુષ્યથી માંડીને અમીબા જેવા સૂક્ષ્મજીવો, વિવિધ વનસ્પતિઓ તથા સાઇકલ, બૉલ, ખુરશી, ટેબલ, પહાડ, પથ્થર, નદી જેવી નિર્જીવ વસ્તુઓ આવેલી છે. ક્યારેક સજીવ અને નિર્જીવ વચ્ચે ભેદ પાડવો સહેલો હોય તો ક્યારેક અઘરો પણ હોય. અમુક ગુણધર્મો અને લાક્ષણિકતાઓ વડે તે વચ્ચેનો ભેદ પારખી શકાય છે.  સજીવ પદાર્થો તેના નામ પ્રમાણે ચૈતન્ય ધરાવતા – જીવંત હોય છે. તેઓ કોષના બનેલા હોય છે. તેઓ વૃદ્ધિ પામે, પ્રચલન કરી શકે, પ્રજોત્પત્તિ કરી શકે, સંવેદના અનુભવી શકે જેવા ગુણધર્મો ધરાવે છે. તેમની ઉત્ક્રાંતિ પણ થાય છે. રોજિંદાં કાર્યો કરવા માટે તેઓને શક્તિની જરૂર હોય છે. નિર્જીવ વસ્તુઓ બે પ્રકારની હોય છે : કુદરતી તથા માનવસર્જિત. જે નિર્જીવો છે તેઓની વૃદ્ધિ થતી નથી. તેઓ શ્વાસ નથી લેતા અને પ્રચલન નથી કરતા. તેઓ પોતાના જેવા બીજા પદાર્થ ઉત્પન્ન કરી શકતા નથી. તેમની ઉત્ક્રાંતિ પણ થતી નથી. નિર્જીવ વસ્તુઓ અણુના સૂક્ષ્મ કણોની બનેલી હોય છે.

(સજીવ) અમીબા      

  નિર્જીવ ખુરશી             

પૃથ્વી પર આશરે ૨૦ લાખથી વધારે વિવિધ જાતિઓનાં પ્રાણીઓ આવેલાં છે. વિવિધ જાતની આશરે ૨,૦૦,૦૦૦ વનસ્પતિઓ આવેલી છે. નરી આંખે ન દેખાય તેવા સૂક્ષ્મજીવોથી માંડી બ્લૂ વહેલ જેવાં વિશાળકાય પ્રાણીઓ આવેલાં છે. તેઓ પૃથ્વી પર આવેલાં જાતભાતનાં રહેઠાણોમાં વસે છે. વળી તેઓ વિવિધ પર્યાવરણ પ્રમાણે અનુકૂલન સાધે છે. તેઓની જીવન જીવવાની રીતમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. પ્રાણીઓ પ્રાણવાયુનું શ્વસન કરીને ખોરાકમાંથી શક્તિ મેળવે છે. વનસ્પતિ પ્રકાશ-સંશ્લેષણ ક્રિયા વડે ખોરાકનું નિર્માણ કરે છે. સજીવોને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે ખોરાકની જરૂર પડે છે. નિર્જીવને કોઈ પ્રવૃત્તિ હોતી નથી માટે તેને ખોરાકની જરૂર પડતી નથી. સજીવો વૃદ્ધિ પામે છે. પોતાના જેવા બીજા જીવો ઉત્પન્ન કરે છે. અમુક મર્યાદિત સમય પછી સજીવને મૃત્યુ નિશ્ચિત હોય છે. નિર્જીવ વસ્તુની વૃદ્ધિ થતી નથી, તેના જેવો બીજો પદાર્થ તે ઉત્પન્ન કરી શકતી નથી. તેને મૃત્યુ પણ આવતું નથી. સજીવો પ્રચલન કરે છે. નિર્જીવને પ્રચલન કરવાની જરૂર પડતી નથી. તે એક જ ઠેકાણે સ્થિર રહે છે. આમ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ સામાન્ય રીતે સહેલાઈથી પાડી શકાય છે. આમ છતાં જીવશાસ્ત્રીઓ ‘જીવન એટલે શું ?’– તેની સંપૂર્ણ કહેવાય તેવી વ્યાખ્યા આપી શકતા નથી. પૃથ્વી  પર જીવન કેવી રીતે શરૂ થયું ? પૃથ્વી સિવાય બીજી કોઈ જગ્યાએ બ્રહ્માંડમાં જીવન હશે ? – આવા આવા પ્રશ્નોના જવાબ જીવશાસ્ત્રીઓને મૂંઝવે છે. ક્યારેક સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા પણ સૂક્ષ્મ થઈ જાય છે; દા.ત., વાઇરસ નિષ્ક્રિય હોય છે, પણ જ્યારે કોઈ જીવંત કોષની અંદર પ્રવેશે છે, ત્યારે જ તે સક્રિય થાય છે અને તેના જેવી અનેક પ્રતિકૃતિઓ સર્જે છે. આવાં ઘણાંબધાં રહસ્યો સજીવ-નિર્જીવ (ચરાચર) સૃષ્ટિમાં જોવા મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

જિન્દ


આઝાદી પૂર્વેનું પંજાબમાં આવેલું દેશી રાજ્ય અને હાલ હરિયાણા રાજ્યનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : ૨૯ ૧૯´ ઉ. અ. ૭૬ ૧૯´ પૂ. રે.. તે દિલ્હીથી અગ્નિખૂણે ૧૧૦ કિમી. દૂર છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૭૦૨ ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, ઉત્તર દિશાએ પંજાબ રાજ્ય, પશ્ચિમ દિશાએ હિસાર જિલ્લો અને દક્ષિણ તરફ રોહતક જિલ્લો આવેલા છે. આ જિલ્લો સમુદ્રથી ઘણા અંતરે આવેલો હોવાથી આબોહવા વિષમ છે. અહીં ગરમી અને ઠંડી બંને સખત પ્રમાણમાં પડે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો છે, જ્યારે મે માસમાં ગરમી વધારે પડે છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કે જુલાઈના પ્રારંભમાં વરસાદ શરૂ થાય છે. સમગ્ર સીઝનનો ૫૦% વરસાદ જુલાઈમાં પડે છે. વરસાદનું પ્રમાણ ૪૫૦ મિમી. આસપાસ છે. જિન્દમાં સરહિંદ નહેરથી સિંચાઈ થાય છે. જિલ્લામાં ઘઉં, ચણા, શેરડી અને કપાસ મુખ્ય પાક છે. તેલીબિયાં, ડાંગર, મકાઈ વગેરે અન્ય પાકો છે. આઝાદી પછી સિંચાઈની સગવડ વધતાં ખેતીનું ઉત્પાદન વધ્યું છે. ઘઉં અને ચણા શિયાળુ પાક છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. કપાસના પાકને લીધે જિન્દમાં કપાસ લોઢવાનાં કેટલાંક જિન છે. જિન્દના મોટા ભાગની વસ્તી હિંદુ છે. દેશી રાજ્યમાં આવેલ સંગરૂર તાલુકામાં શીખ વસ્તી છે. જિન્દના રાજવી શીખ હતા. 2025માં જિન્દની વસ્તી આશરે 15,10,000 છે. અહીં વૈદિક કાળમાં ભરત વંશનું રાજ્ય હતું. મહાભારત પ્રમાણે પાંડવોએ અહીં મંદિર બંધાવ્યું હતું. તેની આસપાસ જૈન્તપુરી શહેર દિલ્હી સાથે રેલવે અને પાકા રસ્તા દ્વારા જોડાયેલું છે. બીજી રેલવે પૂર્વમાં પાણીપત તરફ જાય છે. અહીં અનાજનું પીઠું છે. ગ્રામીણ વિસ્તારમાંથી ખેતીના પાકો વેચાવા આવે છે. કપાસ લોઢવાનાં જિન ઉપરાંત અનાજ ઉપર પ્રક્રિયા કરીને ખાદ્ય-ઉદ્યોગ વિકસાવાયો છે. હૅન્ડલૂમ ઉપર કાપડ થાય છે. જિન્દ શહેરમાં કુરુક્ષેત્ર સાથે જોડાયેલી ત્રણ કૉલેજો છે. જૂના વખતનો કિલ્લો જોવાલાયક છે.

જયન્તી દેવી મંદિર, જિંદ

ઇતિહાસ : ૧૭૫૫માં મુઘલો પાસેથી બે જિલ્લાઓ જીતી લઈને સુખચેને જિન્દના દેશી રાજ્યની સ્થાપના કરી હતી. તેના અનુગામી અને પરાક્રમી પુત્ર ગજપતસિંહે ૧૭૬૬માં જિન્દને તેના રાજ્યની રાજધાની બનાવી હતી. આ રાજ્ય મુઘલોનું ખંડિયું રાજ્ય હતું. મુઘલ શહેનશાહે જિન્દના શાસકને રાજાનો ઇલકાબ આપ્યો હતો. ૧૭૭૫માં જિન્દનો કિલ્લો બંધાયો હતો. મુઘલ સત્તા નબળી પડતાં જિન્દનું રાજ્ય સ્વતંત્ર થઈ ગયું હતું. ગજપતસિંહ પછી ભાગસિંહ ૧૭૮૧માં ગાદીએ બેઠો હતો. તેના શાસન દરમિયાન જિન્દ રાજ્યે અંગ્રેજો સાથે મૈત્રીસંબંધ બાંધ્યો હતો. ૧૮૩૭માં અંગ્રેજોએ જિન્દ રાજ્યનો થોડો પ્રદેશ પડાવી લીધો હતો. ૧૮૪૭માં સતી, ગુલામી અને ભ્રૂણહત્યા ઉપર રાજ્યે પ્રતિબંધ મૂક્યો હતો. રાજા રઘુવીરસિંહે (૧૮૬૪–૮૭) તેના રાજ્યમાં સુધારા દાખલ કર્યા હતા. તેણે સંગરૂરમાં તેની રાજધાની ફેરવી હતી. ૧૮૫૭ના સ્વાતંત્ર્યયુદ્ધ વખતે જિન્દ રાજ્યે અંગ્રેજોને મદદ કરી હતી. આ સિવાય અફઘાન વિગ્રહ અને ૧૯૧૪ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પણ જર્મની વિરુદ્ધ ઇંગ્લૅન્ડને તેણે મદદ કરી હતી. છેલ્લા શાસક રાજવીરસિંહ ૧૯૪૮માં ગાદીએ આવ્યા અને આ જ વરસે આ રાજ્યનું પેપ્સુ (પતિયાળા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન – PEPSU) રાજ્ય સાથે, ૧ નવેમ્બર, ૧૯૫૬થી પંજાબ સાથે અને ૧૯૬૬માં હરિયાણા સાથે જોડાણ થયું છે. આઝાદી પૂર્વે આ રાજ્યમાં ૭ શહેરો અને ૪૩૯ ગામડાં હતાં. રાજા, દીવાન અને બે મંત્રીઓની સહાયથી રાજ્યનો વહીવટ ચાલતો હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

સજીવ ખેતી


સજીવો અને સેન્દ્રિય દ્રવ્યોની મદદથી થતી ખેતી.

આ ખેતીને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણમિત્ર’, ‘પ્રકૃતિમિત્ર’ કે ‘બિનરાસાયણિક’ ખેતી પણ કહે છે. તે અપ્રાકૃતિક અને પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી છે. સજીવ ખેતીનાં નોંધપાત્ર પાસાં નીચે પ્રમાણે છે : (૧) ખેતી સંબંધિત જમીન, પાણી, હવા અને પ્રકાશની પ્રાપ્તિ, રક્ષણ અને શુદ્ધતાનું સમતોલ આયોજન; (૨) સ્થળ, સમય અને આબોહવાને અનુરૂપ પાકની પસંદગી; (૩)પ્રાકૃતિક (કુદરતી) બિયારણની પ્રાપ્તિ અને જાળવણી; (૪) એક વારાની વાવણીમાં યોગ્ય પાકોનું સંયોજન; (૫) ખેતીને પોષતા સજીવોનું પાલન; (૬) પાકનું પોષણ અને આરોગ્યરક્ષણ; (૭) યંત્રોના ઉપયોગમાં વિવેક; (૮) વિવેકી નીંદણ-નિયમન; (૯) ઉતારેલા પાકોની યોગ્ય સંચય-વ્યવસ્થા; (૧૦) ખેડૂત અને ખેતીની સામાજિક-આર્થિક સુરક્ષાને અનુરૂપ સામુદાયિક આયોજન અને (૧૧) સિદ્ધ થયેલ કૃષિજ્ઞાનની વ્યાપક આપ-લે અને તેનો ઉપયોગ.

સજીવ ખેતી

આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થાય છે. જમીન બગડે છે અને જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુઓ નાશ પામે છે. ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે અને પાકના વધુ ઉત્પાદન માટે સંકલિત પાક-પોષણ-વ્યવસ્થા અપનાવવી જરૂરી છે. તેમાં છાણિયું ખાતર, કંપોસ્ટ, વર્મી કંપોસ્ટ કે ખોળ જેવાં સેન્દ્રિય ખાતરોનો અને જૈવ-ખાતરોનો વપરાશ, યોગ્ય પાક-ફેરબદલી તથા પાક-અવશેષોનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરોમાં અળસિયાંનું ખાતર ઉત્તમ છે. અળસિયાં જમીનને સમૃદ્ધ બનાવે છે. તે ધરતીમાં વારંવાર ઉપર-નીચે આવનજાવન તથા મળોત્સર્જન દ્વારા ભૂમિખેડ કરે છે. તેની દાણાદાર ભૂખરી હગાર પોટાશ, ફૉસ્ફરસ, નાઇટ્રોજન વગેરેથી સમૃદ્ધ ખાતર આપવાનું કામ કરે છે. અળસિયાંનું ખાતર ખેતીપાકો, શાકભાજી, રોકડિયા પાકો, બાગાયતી પાકો તથા ફૂલ-છોડ માટે ઉપયોગી છે. આ ઉપરાંત કેટલાંક ઉપયોગી યોગ્ય જૈવિક ખાતરોનો ખેતીમાં વપરાશ કરવાથી ઊંચી કિંમતનાં રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડીને જમીનની ઉત્પાદક્તા અને ફળદ્રૂપતા જાળવી શકાય છે. ખેતરના દરેક સ્થાને પાકની ફેરબદલીનું આયોજન કરવાથી જે તે પાકના હાનિકારક વિશિષ્ટ કીટકોનો વધારો થતો અટકે છે અને જમીનમાંથી અમુક જ ખનિજોનું વધારે પડતું શોષણ પણ અટકે છે. મગ, ચોળા, વાલ જેવા કઠોળ પાકો નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ જેવાં પોષક ખનિજોનો તેમના મૂળ પર આવેલી ગાંઠોમાં સંચય કરી જમીનની ફળદ્રૂપતાની જાળવણી કરે છે. આજે વિશ્વમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેની ઝેરી અસરોને કારણે આરોગ્યને નુકસાન થતું અટકાવવા સજીવ ખેતીને અપનાવવામાં આવી રહી છે. આરોગ્ય પ્રત્યેની વધતી જતી લોકજાગૃતિને પગલે સજીવ ખેતી પ્રત્યે ખેડૂતોનો લગાવ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ આજે અંદાજે પાંચ હજાર હૅક્ટર જમીનમાં સજીવ ખેતી થઈ રહી છે. છસ્સોથી વધુ ખેડૂતો સજીવ ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં વર્ષે સજીવ ખેતીનું રૂ. દસ કરોડથી વધુ ઉત્પાદન થાય છે. અમદાવાદ જેવા શહેરમાં પણ સજીવ ખેતીની નીપજોનાં વેચાણકેન્દ્રો શરૂ થયાં છે અને સજીવ ખેતીને લગતા મેળા ભરાતા થયા છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, મિઝોરમ, મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્યસરકારોએ સજીવ ખેતીની નીતિ અમલી બનાવી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ