Categories
વાચન સમૃદ્ધિ

તોરીનો (તુરિન)

ઇટાલીનો પ્રાન્ત તથા તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 08´ ઉ. અ. અને 7° 22´ પૂ. રે.. આ ઔદ્યોગિક શહેર આલ્પ્સ પર્વતની પૂર્વ બાજુએ આવેલાં પહોળાં અને ફળદ્રૂપ મેદાનોની વચ્ચે પાયમોન્ટ પ્રદેશમાં ‘પો’ નદીના કિનારે વસેલું છે. વિસ્તાર 130 ચોકિમી. મૂળ વસાહત તુરિનીએ વસાવી હતી. ઈ. સ. પૂ. 218માં કાર્થેનિયન આક્રમણકાર કૅનિબાલે તેનો નાશ કરેલો. ત્યાર પછી રોમન સમ્રાટ ઑગસ્ટસે 24 ખંડમાં લંબચોરસ ખૂણે ફરી બંધાવેલી. નગરની વસ્તી આશરે 8,47,287, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 22 લાખ (2022, આશરે) છે. 1950 અને 1960ની વચ્ચે દક્ષિણ ઇટાલીમાંથી સ્થળાંતર કરીને આવેલી વસ્તીને કારણે શહેરની વસ્તીનું પ્રમાણ વધ્યું છે. નગરમાં ઑટોમોબાઇલ, ઍરોપ્લેન, બૉલ-બેરિંગ, રબર, કાગળ, ધાતુ, રાસાયણિક, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોટૅકનિકલને લગતા ઉદ્યોગો ઉપરાંત ચૉકલેટ તથા દારૂ બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે.

તુરિન શહેર

આ નગરની ગણતરી દેશનાં સૌન્દર્યધામોમાં થાય છે. નગરમાં પો નદીના જમણા કિનારા પર ઉદ્યાનો તથા બગીચાઓ છે. નગરની જોડેની ટેકરી પર દેવળ છે. ઉપરાંત નગરમાં ઠેરઠેર સુંદર ઇમારતો અને ચોક છે. ‘તુરિનનું કફન’ એક દેવળમાં મૂકેલું છે. આ કફનમાં જિસસ ક્રાઇસ્ટનું શબ વીંટાળેલું હતું એવી લોકોની માન્યતા છે. ચોથી શતાબ્દીમાં રોમન સામ્રાજ્યની પડતી પછી આ શહેર લૉમ્બાર્ડ સામ્રાજ્યનું અંગ બનેલું. 1536થી 1567 સુધી ફ્રેન્ચોના કબજા દરમિયાન તુરિન ‘કૅપિટલ ઑવ્ ડચી ઑવ્ સેવોય’ બન્યું. આ શહેર 1720માં સારડેનિયન સામ્રાજ્યનું બન્યું અને ઓગણીસમી સદીમાં ઇટાલીનું રાજકીય અને બૌદ્ધિક કેન્દ્ર બન્યું. 1861થી 1865 સુધી યુનાઇટેડ ઇટાલીનું પાટનગર રહ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ભારે હવાઈ હુમલાનું નિશાન બનેલું. 1405માં લૂઈસ ઑવ્ સેવોય અકેઇઆએ યુનિવર્સિટી ઑવ્ તુરિનની સ્થાપના કરેલી. આ સિવાય અહીં તુરિન પૉલિટૅકનિક (1859), ધ ગેલેરિયા ડેલ એકૅડેમિયા આલ્બર્ટિના (1652), ધ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનાઇઝેશન સ્ટડીઝ (1935) વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. નગરમાં ઘણાં સમૃદ્ધ ગ્રંથાલયો પણ છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલી ધરાવતી પ્રખ્યાત બૌદ્ધ ગુફાઓ.

ભારતીય ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત અજંતાની ગુફાઓમાં મળી આવેલાં ચિત્રોથી થાય છે એમ કહી શકાય. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી ૧૦૩ કિમી. અને જલગાંવ રેલવે-સ્ટેશનથી ૫૫ કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતાની ગુફાઓ બૌદ્ધોને લગતી છે. ‘અજંઠા’ નામના ગામ પાસે આ ગુફાઓ હોઈ એ નામે તે જાણીતી થઈ છે. બાઘોરા નદીના વહેળાની સામે પર્વતને કંડારીને અર્ધચંદ્રાકારે ૨૯ જેટલી ગુફાઓને કોતરી કાઢવામાં આવી છે. આ ગુફાઓ વર્ષો સુધી ઝાડીઝાંખરાંને કારણે ઢંકાયેલી અને અવાવરું રહી; પરંતુ આ ગુફાઓ શોધવાનું શ્રેય ઈ. સ. ૧૮૧૯માં મદ્રાસ સેનાના જનરલ જેમ્સને ફાળે જાય છે. તેમને અને તેમના સાથી સૈનિકોને આ ગુફાઓ અકસ્માતે જ મળી ગઈ હતી. આ ગુફાઓમાંથી ૧થી ૧૮ નંબરની ગુફાઓ દક્ષિણાભિમુખી અને બાકીની પૂર્વાભિમુખી છે. તેમાં ૯, ૧૦, ૧૯ અને ૨૬ નંબરની ગુફાઓ ચૈત્ય મંદિરરૂપ છે. અજંતાની બધી જ ગુફાઓમાં બૌદ્ધ પરંપરાની કળા જોવા મળે છે. તે ઈ. સ. પૂ. ૨૦૦થી ઈ. સ. ૬૫૦ દરમિયાન ત્રણ તબક્કે કંડારાયેલી છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલીનો અહીં ૮૦૦ વર્ષનો ઇતિહાસ રજૂ થયો છે. દૃશ્યકલાનાં ત્રણ સ્વરૂપ – સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાનો અહીં ત્રિવેણીસંગમ થયો છે. આ ગુફાઓમાંથી નં. ૧, ૨, ૧૬ અને ૧૭મી ગુફામાંનાં ચિત્રો ઉત્તમ ગણાય છે, જેમાંનાં ઘણાં જળવાઈ રહ્યાં છે. આ ગુફાઓમાં ભગવાન બુદ્ધના વિવિધ જીવન-પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગુફા નં. ૧નું બોધિસત્ત્વ(પદ્મપાણિ)નું ચિત્ર સર્વોત્તમ છે. હાથમાં નીલકમલ ધારણ કરીને ત્રિભંગમાં ઊભેલા બોધિસત્ત્વના મુખારવિંદ પર ચિંતન, મનોમંથન અને કરુણાના ભાવો અદ્ભુત રીતે અભિવ્યક્ત થયા છે. અજંતાની ગુફાનાં ચિત્રોની વિશેષતા એ છે કે ૮૦૦ વર્ષ સુધી આ ચિત્રકામ થયું હોવા છતાં તેના આલેખનમાં એકસૂત્રતા સચવાઈ છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળે આ ચિત્રોની પ્રતિકૃતિ કરીને તેનો ‘અજંતાના કલામંડપો’ નામે સંગ્રહ આપ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અજંતાની ગુફાઓ, પૃ. 14)

Categories
વાચન સમૃદ્ધિ

તેહરી ગઢવાલ

ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. તે 30° 38´ ઉ. અ. અને 78° 48´ પૂ. રે.ની  આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા છે. હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર આ જિલ્લો આવેલો છે. જેનો દક્ષિણનો ઢોળાવ પ્રમાણમાં તીવ્ર છે. આશરે 600 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે અહીંની લાક્ષણિકતા છે. જેને પશ્ચિમમાં ‘દૂન’ અને પૂર્વમાં ‘દ્વાર’ કહે છે. અહીં આવેલી ટેકરીઓ સ્થાનિક નામથી ઓળખાય છે. જેમ કે ઉત્તરાખંડમાં આવેલી શ્રેણી ‘ડુંડવા શ્રેણી’ તરીકે ઓળખાય છે. ઉત્તરે આવેલી હિમાલય પર્વતશ્રેણીથી હેઠવાસ તરફ જતી મોટા ભાગની નદીઓએ આ શ્રેણીને કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. ભાગીરથી અને અલકનંદા નદીઓ આ જિલ્લામાંથી વહે છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં 6600 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી હિમનદી છે. જ્યાંથી ઉદ્ગમ પામતી નદી તે ભાગીરથી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગ પાસે અલકનંદાનો સંગમ થાય છે. જ્યાં સૂરકન્ડા દેવીનું મંદિર આવેલું છે. અહીં ઘનાઉલ્ટી (Dhanaulti) પર્વત આવેલો છે. નાગ ટીબ્બા અને તેહરી બંધ પાસેથી હિમાલયનાં દર્શન થાય છે.

તેહરી બંધ

અહીં ભેજવાળાં પાનખર જંગલો આવેલાં છે. મોટે ભાગે અહીં આર્દ્રતાનું પ્રમાણ 60%થી 80% ટકા જોવા મળે છે. આ જંગલોમાં પાઇન, ઓક, ફર, દેવદાર, પોપ્લર, ચેસ્ટનટ, ચીડ, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જિલ્લાના 68% ભૂમિવિસ્તારમાં જંગલો, ઘાસ અને ઝાડીઝાંખરાં છવાયેલાં છે. આ જંગલોમાં ઘાસ વધુ હોવાથી ઘાસ ઉપર નભનારાં પ્રાણીઓ જેમાં સાબર, ચિત્તલ, હરણ, ઘેટાં, બકરાં જ્યારે માંસાહારી પ્રાણીઓ વાઘ, દીપડા, જંગલી બિલાડી વગેરે છે. અહીં જમીનમાં કાંકરા, પથ્થર વધુ હોય છે તેથી એની ફળદ્રુપતા ઓછી હોય છે. જમીનનો રંગ પ્રમાણમાં કથ્થઈ હોય છે. જિલ્લાના નદીકિનારાના વિસ્તારમાં પગથિયાંવાળાં ખેતરોમાં ખેતી થાય છે. મોટે ભાગે ડાંગર, જવ, ઘઉં, તેલીબિયાં, ફળફળાદિ અને શાકભાજી જ્યારે કઠોળમાં ચણા, મસૂર, સોયાબીન, રાઈ અને આદું-મરચા, વટાણાની ખેતી લેવાય છે. આ જિલ્લાનો વિસ્તાર 4,080 ચો.કિમી. છે, વસ્તી આશરે 6,35,000 (2025 મુજબ) છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, તેહરી ગઢવાલ, પૃ. 17 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેહરી ગઢવાલ/)