જિનીવા સમજૂતી


(Geneva Conventions)

યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના ૨ સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે ૨૬ ઑક્ટોબર, ૧૮૬૩ના રોજ જિનીવા ખાતે મળેલી ૧૪ રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન ઘવાયેલા તથા બીમાર પડેલા સૈનિકોની યાતના અને વેદના ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે શિષ્ટાચારના કેટલાક નિયમોને સ્વીકૃતિ આપવાનો હતો. જૂન ૧૮૫૯ની ફ્રાંસ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સૉલ્ફારિનો ખાતેની લડાઈ દરમિયાન કમકમાટી ઉપજાવે તેવાં ભીષણ દૃશ્યો જોઈને ડૉક્ટર હેન્રીનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. મૉનિયરની મદદથી તેમણે એક સંગઠન ઊભું કરી ઍમ્બુલન્સ વાહનો તથા ઘવાયેલા સૈનિકોની સારવારનાં સ્થળો પરસ્પર હુમલાથી મુક્ત રાખવામાં આવે તે માટે ઝુંબેશ શરૂ કરી હતી. ૨૨ ઑગસ્ટ, ૧૮૬૪ના રોજ યોજાયેલ ૧૨ રાષ્ટ્રોના સંમેલનમાં થયેલી સમજૂતી જિનીવા સમજૂતી તરીકે ઓળખાય છે. નેધરલૅન્ડના હેગ નગરમાં ૧૮૯૯ તથા ૧૯૦૭માં યોજાયેલી ૨ પરિષદો હેગની શાંતિ પરિષદો તરીકે જાણીતી થઈ હતી. પ્રથમ પરિષદમાં યુદ્ધ અંગેની આચારસંહિતા નિર્ધારિત કરવામાં આવી હતી, જ્યારે બીજી પરિષદમાં ૨ રચનાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં : (૧) આંતરરાષ્ટ્રીય વિવાદોનો શાંતિપૂર્ણ નિકાલ થાય તે માટેની સમજૂતી અંગે પુનર્વિચારણા; (૨) કરારગત દેવાની વસૂલાત માટે બળપ્રયોગ કરવા પર મુકાયેલી મર્યાદાનું પાલન કરવા સારુ નવી સમજૂતી.

જિનીવા સમજૂતી

જિનીવા સમજૂતીની મુખ્ય કલમો નીચે મુજબ છે : (૧) યુદ્ધસમયમાં ક્ષેત્રીય તથા મુખ્ય હૉસ્પિટલોની અને બીમાર તથા ઘવાયેલા સૈનિકોની હેરફેર કરતાં ઍમ્બુલન્સ વાહનોની તે કાર્યવાહી દરમિયાન નિષ્પક્ષતા સંપૂર્ણપણે માન્ય રાખવી જોઈએ. (૨) જાહેર સુખાકારી માટેના કર્મચારીઓ સહિતનાં તમામ તબીબી કર્મચારીગણ ને સ્વયંસેવકો, પરિચારિકાઓ તથા ઈજાગ્રસ્તોને મદદ કરતા દેશના નાગરિકો અને યુદ્ધક્ષેત્રના તથા હૉસ્પિટલમાંના ઈજાગ્રસ્તોને દુશ્મન લેખવા જોઈએ નહિ અને તેમને તેમનાં અંગત સાધનો તથા ઍમ્બુલન્સ વાહનો લાવવા-લઈ જવાની છૂટ આપવી જોઈએ. (૩) બીમાર તથા ઘવાયેલા સૈનિકોનાં આશ્રયસ્થાનોને સૈનિકોના મુકામ ગણવા જોઈએ નહિ. (૪) સાજા થઈ ગયેલા સૈનિકોને પોતપોતાના સ્વદેશ પાછા મોકલી આપવા જોઈએ. (૫) બીમાર અને ઘવાયેલા સૈનિકોને તથા શરણાર્થી શિબિરવાસીઓની સારવાર તથા આશ્રય માટેની હૉસ્પિટલો તથા સ્થળો પર તેમજ ઍમ્બુલન્સ વાહનો પર પોતાના દેશનો ધ્વજ તથા સફેદ પશ્ચાદભૂમાં લાલ રંગનો ક્રૉસ દર્શાવેલો હોવો જોઈએ. તબીબી કર્મચારીગણે એ જ ડિઝાઇનની બાંયપટ્ટી (arm band) પહેરવી જોઈએ. (૬) આ કરાર હેઠળ રક્ષણ પામેલી બીમાર કે ઘવાયેલી વ્યક્તિઓ, મકાનો તથા સાધનસામગ્રી અંગે વળતો હુમલો કરવામાં આવશે નહિ. (૭) તબીબી સારવાર માટેનાં વિમાનો યુદ્ધમાં સંડોવાયેલાં રાષ્ટ્રોએ ચોક્કસ સમજૂતી કર્યા મુજબની ઊંચાઈએ, સમયે તથા માર્ગ પર ઊડી રહ્યાં હોય તો તેના પર હુમલો કરવામાં આવશે નહિ. (૮) લશ્કરી હૉસ્પિટલ કે જહાજો વગેરે પર હુમલો કરવામાં આવશે નહિ, તેમને બાનમાં લેવાશે નહિ, શરત એ કે તેમણે પોતાનાં નામ તથા પોતાની ઓળખાણ અંગે યુદ્ધમાં સંડોવાયેલ પક્ષોને વહાણોની સેવા લીધાના ૧૦ દિવસ અગાઉ જાણ કરી હોવી જોઈએ. શત્રુપક્ષ દ્વારા પકડાયેલા સૈનિકોએ પોતાનું નામ, જન્મતારીખ, સર્વિસ નંબર તથા હોદ્દા અંગે જ જાણ કરવાની હોય છે. યુદ્ધકેદીઓ સાથે માનવતાભર્યું વર્તન કરવાનું હોય છે. તેમના માટે ભોજન, કપડાં  તથા રહેઠાણની વ્યવસ્થા તેમને બંદી બનાવનાર દેશે કરવાની હોય છે. અધિકારીઓ સિવાયના યુદ્ધકેદીઓ પાસેથી, બંદી બનાવનાર પક્ષ યુદ્ધ સાથે સીધી રીતે સંકળાયેલું ન હોય તેવું કામ પણ લઈ શકે અને આવા કામના બદલામાં તેમને વળતર પણ ચૂકવવાનું રહે. જિનીવા સમજૂતી પર સહી કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આમ, ૧૮૬૪માં થયેલી પ્રથમ સમજૂતી પછી ૧૯૦૬, ૧૯૨૯, ૧૯૪૯ અને ૧૯૭૭નાં વર્ષો દરમિયાન એમાં બીજી કેટલીક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

એચ. એમ. પટેલ, અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે

શ્વેત ક્રાંતિ


દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાની ક્રાંતિકારી ઘટના.

ભારતમાં ડેરી-ઉદ્યોગની શરૂઆત ખાનગી ક્ષેત્ર દ્વારા ઓગણીસમી સદીમાં શરૂ થઈ. ત્યાર પછી વીસમી સદીમાં સહકારી ડેરી-ઉદ્યોગની શરૂઆત થઈ. આઝાદી પછી દેશમાં સહકારી ક્ષેત્રે ડેરી-ઉદ્યોગનો વિશેષ તથા મહત્ત્વનો વિકાસ થયો છે. ભારત સમગ્ર વિશ્વમાં વધુ દૂધ પેદા કરતો દેશ બન્યો છે. જોકે માથાદીઠ દૂધની ઉપલબ્ધિ તથા વપરાશમાં અને પશુઓની દૂધ-ઉત્પાદકતામાં દેશ ઘણો પાછળ છે. આમ છતાં પશુપાલન વ્યવસાય માટે કેટલાક અનુકૂળ ઘટકો જોવા મળે છે. તેને લીધે દેશની અડધા જેટલી કામ કરતી વસ્તી આ વ્યવસાય સાથે જોડાયેલી જોવા મળે છે. આયોજનકાળથી માંડીને અત્યાર સુધી દેશમાં દૂધ-ઉત્પાદનનું પ્રમાણ પાંચ ગણાથી પણ વધારે થયું છે. ભારત દૂધની બનાવટો તથા પેદાશોની વિદેશમાં પણ નિકાસ કરતું થયું છે.

અમૂલ ડેરી

દૂધ શ્વેત રંગનું હોવાથી તેના ઉત્પાદનમાં થયેલા મોટા વધારાની ઘટનાને ‘શ્વેત ક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર એશિયામાં જેની નામના છે તે અમૂલ ડેરીની સ્થાપના ગુજરાતમાં આણંદ ખાતે ૧૯૪૬માં કરવામાં આવી હતી. આ ડેરીની સ્થાપના અને વિકાસમાં શ્રી ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનનો મોટો ફાળો હતો. ૧૯૬૪માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી આણંદની મુલાકાતે આવ્યા ત્યારે ડેરીની સફળતાથી પ્રભાવિત થઈ તેમણે ડૉ. કુરિયનને આવી ડેરીઓ સમગ્ર ભારતમાં ઊભી કરવા જણાવેલું. આ અરસામાં દેશમાં સઘન પશુ-વિકાસ કાર્યક્રમ (Intensive Cattle Development Programme – ICDP) શરૂ કરવામાં આવ્યો. તેની અંતર્ગત શ્વેત ક્રાંતિ આણવા માટે પશુમાલિકોને સુધાર-પૅકેજ આપવામાં આવ્યાં. ૧૯૬૫માં રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ(National Dairy Development Board – NDDB)ની સ્થાપના કરવામાં આવી. પાંચેક વર્ષ બાદ આ નિગમ દ્વારા ‘ઑપરેશન ફ્લડ’ તરીકે ઓળખાતો વિશ્વનો સૌથી મોટો વિકાસ-કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. બે દાયકામાં આ કાર્યક્રમ હેઠળ શ્વેત ક્રાંતિ રૂપે ભારતમાં દૂધના ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. ‘ઑપરેશન ફ્લડ’ના સૂત્રધાર અથવા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયન હતા. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી-ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે. આ દેશની સરકાર અને સહકારી મંડળીઓના સહિયારા સફળ પ્રયાસથી જે ક્રાંતિ સાધી શકાઈ છે તે ખરેખર દેશના ગરીબ તથા મધ્યમ વર્ગ માટે ઘણી હિતકર સાબિત થઈ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ

જિનીવા


સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન ૪૬° ૧૨´ ઉ. અ. અને ૬° ૦૯´ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર ૧૮ ચોકિમી. તથા ઉપનગરો સાથેનો વિસ્તાર ૨૮૨ ચોકિમી. છે. તેની વસ્તી ૪,૨૭,૩૯૬ (૨૦૦૪) છે. મૂળે તે રોમન શહેર હતું. છઠ્ઠી સદીમાં રાજા ફ્રાંકે તે લઈ લીધા બાદ બારમી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યમાં ભેળવી દીધું.

જિનીવા વિશ્વવિદ્યાલય

સેન્ટ પીટરનું દેવળ

બે હજાર વર્ષ જૂના આ નગરનો ૧૯૪૫ પછી ઝડપભેર વિકાસ થયો છે. સ્વિટ્ઝર્લૅન્ડનાં મહત્ત્વનાં ઔદ્યોગિક નગરોમાં તેની ગણના થતી હોવા છતાં મૂળભૂત રીતે વ્યાપારી કેન્દ્ર તરીકે તે વિકાસ પામ્યું છે. વ્યાપારી પ્રતિષ્ઠાનો, બૅન્કો અને વીમા-કંપનીઓ જેવા આર્થિક ધોરણે સેવા પૂરી પાડતા એકમોનું નગરમાં ઝડપી વિસ્તરણ થયેલું હોવાથી ત્યાંનું અર્થતંત્ર ‘સેવા ઉદ્યોગ’ (service industry) પર નભે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ નગરના અર્થતંત્ર પર વર્ચસ્ ધરાવે છે તથા દેશમાં રોકાયેલ કુલ વિદેશી મૂડીરોકાણમાંથી લગભગ અડધોઅડધ મૂડીરોકાણ આ નગરમાં કેન્દ્રિત થયેલું છે. ઘઉં, સરસવ, રાયડો, ડેરીની બનાવટો તથા જુદા જુદા ઉચ્ચ પ્રકારના શરાબની ત્યાંની મુખ્ય સ્થાનિક પેદાશો ગણાય છે. નગરમાં યંત્રો, યંત્રના છૂટા ભાગ, સ્વચાલિત વાહનો, ઘડિયાળો, રસાયણો, ખાદ્ય પદાર્થો, વીજળીનાં સાધનો, સાઇકલો, સોનાચાંદીનાં ઘરેણાં અને હસ્તકલાના નમૂનાઓ બનાવતા ઉત્પાદન એકમો વિકસ્યા છે. નગરમાં સૌંદર્યથી ભરપૂર ઉદ્યાનો, વસ્તુસંગ્રહાલયો, નાટ્ય તથા સિનેમાગૃહો અને પ્રાણી તથા પક્ષી સંગ્રહાલયો આવેલાં છે. તેરમી સદીનું સેન્ટ પીટરનું દેવળ (cathedral), સોળમી સદીનું નગરગૃહ, અઢારમી સદીનું ન્યાયાલય, વીસમી સદીમાં નિર્માણ કરવામાં આવેલ રાષ્ટ્રસંઘ(League of Nations)નું મુખ્યાલય, વેધશાળા, વનસ્પતિ ઉદ્યાન તથા સંગ્રહાલય પર્યટકો માટેનાં વિશેષ આકર્ષણનાં સ્થળો છે. તેના પ્રણેતા જ્હૉન કૅલ્વિનના પ્રયાસોથી ૧૫૫૯માં નગરમાં જિનીવા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. આજે પણ આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય રાજકારણ, વનસ્પતિશાસ્ત્ર તથા શિક્ષણશાખાના અભ્યાસ અને સંશોધનનું મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. આલ્પ્સ અને જુરા પર્વતમાળાઓની વચ્ચે, પ્રાકૃતિક જળગ્રહણ ક્ષેત્રના કેન્દ્રમાં, ઊંચાણવાળા સ્થાન પર અપ્રતિમ સૃષ્ટિસૌંદર્ય વચ્ચે વિકસેલી આ નગરી ઘણી જાહેર અને ખાનગી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં મુખ્યાલયો ધરાવે છે. ૧૮૬૪માં આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસની તથા ૧૯૧૯માં રાષ્ટ્રસંઘનું યુરોપ ખંડનું મુખ્યાલય શરૂ કરવામાં આવ્યું. ઉપરાંત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ ચર્ચીસ તથા ઇન્ટરનૅશનલ બોર્ડ ઑવ્ એજ્યુકેશનની મુખ્ય કચેરીઓ પણ આ નગરમાં છે. અત્યાર સુધીની ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો આ નગરમાં યોજવામાં આવી હતી. દા.ત, ૧૯૫૪માં કોરિયા તથા ઇન્ડોચીન વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટેની પરિષદ તેમજ ૧૯૫૫માં શીતયુદ્ધનો અંત લાવવા માટે આયોજિત પરિષદ તેમજ ૧૯૬૨–૬૩માં નિ:શસ્ત્રીકરણ તથા અણુશસ્ત્રોના નિરીક્ષણ માટેની પરિષદ યોજવા માટે આ નગરની જ પસંદગી થઈ હતી. જિનીવા સરોવરના છેડા પર ઈ. પૂ. પ્રથમ સદીમાં ત્યાં સૌથી પહેલી વસાહત ઊભી કરવામાં આવી હતી. રુસ્સો અને વૉલ્ટેર જેવા વિચારકોના નિવાસસ્થાન તરીકે પણ આ નગરની ખ્યાતિમાં વધારો થયો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જિનીવા, પૃ. ૭૭૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે