જાલોન (Jalaun)


ઉત્તર પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન તે ૨૬ ૦૯´ ઉત્તર અક્ષાંશ અને ૭૯ ૨૧´ પૂર્વ રેખાંશની આજુબાજુનો ૪૫૬૫ ચોકિમી. જેટલો (પૂર્વ પશ્ચિમ ૯૩ કિમી. લંબાઈ અને ઉત્તર-દક્ષિણ ૬૮ કિમી. પહોળાઈ) વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું નામ જિલ્લામથક જાલોન પરથી પડેલું છે. જિલ્લામથક જાલોન હોવા છતાં ઓરાઈ વહીવટી મથક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઝાંસી વિભાગનો જિલ્લો ગણાય છે. તેની ઉત્તરે ઓરૈયા, પૂર્વમાં કાનપુર, અગ્નિ અને દક્ષિણ તરફ હમીરપુર, દક્ષિણ તરફ ઝાંસી જિલ્લા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા આવેલાં છે.

ભૂપૃષ્ઠ-આબોહવા : બુંદેલખંડ પ્રદેશના સમતળ મેદાનમાં આ જિલ્લો પથરાયેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સીમા પરથી યમુના નદી વહે છે. ઉત્તર તરફ યમુના નદી આ જિલ્લાને ઓરૈયા અને કાનપુર જિલ્લાઓથી અલગ પાડે છે; તેમજ બેતવા (સહાયક) નદી તેની દક્ષિણ સીમા અને પાહુજ નદી તેની પશ્ચિમ સીમા રચે છે. જ્યારે નોન (Non) અને મેલુંજા નદીઓ તેના મધ્ય ભાગમાંથી પસાર થતી હોવાથી ત્યાં ઊંડાં કોતરો રચાયાં છે. અહીંનું ઉનાળાનું સરેરાશ તાપમાન ૪૦ સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન ૧૦ સે. રહે છે. આ જિલ્લો સમુદ્રથી દૂર અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી અહીં દુષ્કાળની પરિસ્થિતિ અવારનવાર સર્જાય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૮૦૦ મિલી. જેટલો પડે છે.

વનસ્પતિ : અહીં વૃક્ષો અને વનસ્પતિનું પ્રમાણ ઓછું (૬%) છે; તેમ છતાં બાવળનાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. ઉત્તરના ભાગોમાં આંબા અને મહુડાનાં વૃક્ષો વધુ છે.

‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત

ખેતી-પશુપાલન : આ જિલ્લામાં મુખ્યત્વે જુવાર, બાજરી, ડાંગર, જવ, તેલીબિયાં, ઘઉં, કઠોળ, શેરડી વગેરે જેવા કૃષિ પાકો લેવાય છે. બાગાયતી ખેતીમાં ડેરીની સ્થાનિક જાતની વાડીઓ આવેલી છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, મરઘાં-બતકાં વગેરેનો ઉછેર થાય છે. અહીંની ગાયની અજયગઢ ઓલાદ વધુ જાણીતી છે. ગૃહઉદ્યોગ-વેપાર : અહીં ખેતી અને પશુપાલન પર આધારિત ગૃહઉદ્યોગો વિકસેલા છે; જેમાં ખાસ કરીને ચર્મઉદ્યોગ, હાથસાળ, ખાદ્યપ્રક્રમણ વગેરેનો સમાવેશ થાય છે. નિકાસ થતી વસ્તુઓ પૈકી  ઘઉં, બટાટા અને શેતરંજી તથા આયાતી વસ્તુઓ પૈકી ગંધક, સૂતર, કાપડ અને ઘી મુખ્ય છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાંથી કાનુપર-લખનૌ અને ઝાંસીને જોડતો રેલમાર્ગ ઓરાઈ પાસેથી પસાર થાય છે. કાનપુરથી ઝાંસી જતો મધ્ય રેલમાર્ગ આ જિલ્લાના મોટા ભાગને આવરી લે છે. એ જ રીતે ઉપર્યુક્ત મથકોને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૫ રેલમાર્ગને સમાંતર પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ નં. ૨૧ જાલોન નગરને ઓરાઈ સાથે તેમજ ઇટાવાહ જિલ્લાના ઓરૈયા મથકને સાંકળે છે. સડક માર્ગોની કુલ લંબાઈ આશરે ૮૦૦ કિમી. જેટલી છે. આ જિલ્લામાં મંદર સાહિબ, ગફૂર ઝંઝાની, ચૌલ બીબી, બહાદૂર શહીદ, ચૌરસી ગુંબજ (લોદી શાહ બાદશાહની કબર અથવા સિકંદર લોદીની કબર), સીરી દરવાજા જોવાલાયક સ્થળો ગણાય છે. અહીં કેટલાક સ્વાતંત્ર્ય-સેનાનીઓ થઈ ગયા છે, તેમની યાદમાં ૨૫મી ડિસેમ્બરે મેળો ભરાય છે. આ ઉપરાંત જિલ્લામાં ‘કલ્પી’ કિલ્લો આવેલો છે, તે યમુના નદી પર છે તેમજ તેનું ઐતિહાસિક મહત્ત્વ વધુ છે. ‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત અહીંના બાબુ મથુરાપ્રસાદે બંધાવેલી, તેમાં દશ મસ્તકવાળું રાવણનું પૂતળું મૂકેલું છે. લોકો-વસ્તી : ૨૦૧૧ મુજબ આ જિલ્લાની વસ્તી ૧૬,૭૦,૭૧૮ જેટલી છે. અહીં ૧૦ શહેરો અને ૧૧૫૧ (૨૦૯ વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. અહીં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ લોકોની વસ્તી છે. તેઓ મોટે ભાગે હિંદી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ કરે છે. આ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યકેન્દ્રોની સુવિધા ઉપલબ્ધ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા, નીતિન કોઠારી

શ્રવણ


પુરાણોમાં આવતું અંધ માતા-પિતાની સેવા કરનાર આદર્શ પુત્રનું પાત્ર.

બ્રહ્મપુરાણ પ્રમાણે શ્રવણના પિતા એક તપસ્વી બ્રાહ્મણ હતા. તેમનું નામ શાંતનુ. તેમનાં બીજાં નામ કંદર્પ, અંધક, ગ્રહભાનુ, શાંતવન વગેરે હતાં. તેમની માતાનું નામ જ્ઞાનવતી. વાલ્મીકિરામાયણ પ્રમાણે તેના પિતા વૈશ્ય અને માતા શૂદ્ર હતાં. શ્રવણ મોટો થતાં વૃદ્ધ બનેલાં અંધ માતા-પિતાએ તીર્થયાત્રા કરવાની ઇચ્છા દર્શાવી. માતૃભક્ત અને પિતૃભક્ત શ્રવણે તેમની ઇચ્છા પૂરી કરવા કમર કસી. તેણે કાવડ બનાવી. તેમાં માતા-પિતાને બેસાડી પગપાળા ચાર ધામ, બાર જ્યોતિર્લિંગ તથા ૬૮ તીર્થોની યાત્રા  કરાવી.

માતા-પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવતો શ્રવણ

ઘેર પાછા ફરતી વખતે તેઓ માર્ગમાં સરયૂ નદીને કાંઠે પાણી પીવા રોકાયાં. તે સમયે અયોધ્યાના યુવરાજ દશરથ સરયૂ નદીને કાંઠે મૃગયા ખેલવા આવ્યા હતા. રાત્રિના સમયે નદીમાં અનેક પ્રાણીઓ પાણી પીવા આવતાં. તેમનો શિકાર કરવાની ઇચ્છાથી દશરથ રાજા સરયૂતટે ગયા અને એક વૃક્ષ પાછળ છુપાઈને શિકારની રાહ જોવા લાગ્યા. દરમિયાન શ્રવણ માતા-પિતાની તરસ છિપાવવા ઘડો લઈને આવ્યો. તેના ઘડામાં પાણી ભરાતાં બુડ…બુડ અવાજ થયો. એ અવાજ કોઈ પ્રાણીનો હોવાનું માની દશરથે રાત્રિના અંધારામાં શબ્દવેધી બાણ છોડ્યું. શ્રવણને તે વાગતાં તેનો આર્તનાદ દશરથને સંભળાયો. દશરથ રાજા સ્તબ્ધ થઈ ગયા. શ્રવણના શબ્દો દશરથના કાને પડ્યા, ‘અરેરે, રાત્રિના સમયે હું જળ લેવા આવ્યો છું ત્યારે મને કોણે બાણ માર્યું ? મેં કોનો અપરાધ કર્યો છે ? મારા મરણ પછી મારાં વૃદ્ધ અંધ માતા-પિતાનું શું થશે ? એ કેવી રીતે જીવી શકશે ?’ શ્રવણે દશરથને જોઈને કહ્યું, ‘રાજન્ ! હું મારાં માતા-પિતા માટે જળ લેવા અહીં આવ્યો હતો. તેઓ ખૂબ તરસ્યાં છે અને બહુ આતુરતાથી મારી વાટ જોતાં હશે. કૃપા કરી તમે આ ઘડામાં પાણી લઈ જઈને તેમને પિવડાવો.’ શ્રવણ દશરથના બાણથી વીંધાઈને ધરતી પર પડ્યો હતો. તેણે દશરથને પોતાનાં માતા-પિતા માટેનું સેવાકામ સોંપીને પ્રાણ છોડ્યા. શ્રવણનાં માતા-પિતાએ પછી પુત્રવિયોગમાં દશરથ રાજાને પણ પોતાના જેવું પુત્રવિયોગનું દુ:ખ ભોગવવું પડશે એવો શાપ આપતાં પ્રાણ છોડ્યા. અન્ય પુરાણો અનુસાર, શ્રવણને દેહાવસાન બાદ આકાશમાં ભગવાને તેજસ્વી તારા રૂપે સ્થાન આપી અમર કર્યો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ

જામજોધપુર


જામનગર જિલ્લાના ખંભાળિયા સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તાલુકામથક. આ તાલુકાની દક્ષિણે પોરબંદર જિલ્લો, પૂર્વ અને અગ્નિખૂણે રાજકોટ જિલ્લો, ઉત્તરે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને પશ્ચિમે ભાણવડ તાલુકો આવેલા છે. આ તાલુકામાં જામજોધપુર શહેર અને ૭૯ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૦૯૧.૩ ચોકિમી. છે. તાલુકાની કુલ વસ્તી ૧,૧૭,૪૩૫ (૨૦૦૧) છે. આ તાલુકાનો પોરબંદર જિલ્લાની સરહદે આવેલો દક્ષિણ ભાગ અને ઈશાન ખૂણે કાલાવડ તાલુકાની સરહદે આવેલો ભાગ ડુંગરાળ છે. બાકીનો ભાગ લગભગ સપાટ છે. કેટલીક જમીન ડેક્કન ટ્રૅપ પ્રકારના ખડકોના ઘસારાને લીધે કાળી બનેલી છે. તે ભેજ સાચવી શકે છે. કપાસ માટે તે અનુકૂળ છે. સેન્દ્રિય તત્ત્વોવાળી બાકીની જમીન હલકી અને ઓછી ફળદ્રુપ છે. જામનગર જિલ્લામાં સરેરાશ ૪૧૨ મિમી. વરસાદ પડે છે. પોરબંદર નજીક આવેલ આ તાલુકામાં સરેરાશ ૮૦૦ મિમી.થી વધુ વરસાદ પડતો નથી. મે માસમાં સરેરાશ ૩૬° સે. તાપમાન રહે છે, જ્યારે જાન્યુઆરીમાં સરેરાશ ૨૬° સે. તાપમાન રહે છે. સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં પડે છે.

મગફળીનો પાક                                       

કપાસનું વાવેતર

આ તાલુકામાં જુવાર, બાજરી, ઘઉં, કપાસ, મગફળી વગેરે પાકોનું વાવેતર થાય છે. અનાજના વાવેતરની ૮૦% જમીનમાં અખાદ્ય પાક વવાય છે. બાકીની ૨૦% જમીનમાં ઘઉં, શેરડી, કઠોળ, ડાંગર, મરચાં, લસણ અને ડુંગળી જેવા ખાદ્ય પાકોનું વાવેતર થાય છે. વળી, રોકડિયા પાકો વવાય છે તે જમીનના ૮૦% જમીનમાં મગફળી, ૯%માં કપાસ અને બાકીની જમીનમાં તમાકુ, તલ, એરંડા અને ઘાસચારો થાય છે. તાલુકાના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને ગૌણ ધંધો પશુપાલન છે. આ તાલુકામાં મગફળી અને કપાસનો વિશેષ પાક થતો હોવાથી પંદરેક તેલની મિલો અને કપાસ લોઢવાનું જિન આવેલાં છે. એક સૉલ્વન્ટનું કારખાનું છે. જામજોધપુર શહેર ૨૧° ૫૪´ ઉ. અ. અને ૭૦° ૦૧´ પૂ. રે. ઉપર આવેલું તાલુકા મથક અને એકમાત્ર શહેર છે. તેની કુલ વસ્તી ૨૨,૬૫૧ (૨૦૦૧) છે. શિક્ષણનું પ્રમાણ સારું છે. તેલ, કપાસિયાં અને ઘીની નિકાસ થાય છે. સિમેન્ટ, લોખંડની વસ્તુઓ, ખાંડ, ચા, ચોખા, કઠોળ વગેરેની આયાત થાય છે. જામજોધપુર પોરબંદર-જેતલસર મીટરગેજ રેલવેનું મહત્ત્વનું સ્ટેશન છે. તાલુકામથક હોઈને જામજોધપુર જથ્થાબંધ વેપારનું કેન્દ્ર તથા વિતરણ કેન્દ્ર છે. શહેરમાં આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલય, દવાખાનું વગેરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર