શ્રીનગર


જમ્મુ-કાશ્મીર રાજ્યનું ઉનાળુ પાટનગર તથા શ્રીનગર જિલ્લાનું વહીવટી મથક.

તે ૩૪° ૦૫´ ઉ. અ. અને ૭૪° ૪૯´ પૂ. રે. પર કાશ્મીર ખીણમાં, ૧૬૦૦ મીટરની ઊંચાઈએ  નિર્મળ સરોવરો અને ઊંચા પર્વતોની વચ્ચે જેલમ નદીને બંને કાંઠે વસેલું છે. સ્ટાઇને લખેલા પુસ્તકમાં મળતી નોંધ અનુસાર, સાતમી સદીથી શ્રીનગર કાશ્મીરના પાટનગર તરીકે રહ્યું છે. આશરે ૬૩૧માં હ્યુ-એન-શ્વાંગે શ્રીનગરની મુલાકાત લીધેલી. તે વખતે જેલમનું નામ ‘વિતસ્તા’ હતું. ત્યારે પણ આ શહેર આજના સ્થળે જ હતું. તે એમ પણ જણાવે છે કે સમ્રાટ અશોકે ઈ. સ. પૂ. ૨૦૦ના ગાળામાં કાશ્મીરની ખીણ સુધી તેનું સામ્રાજ્ય વિસ્તારેલું. તેણે પર્વતની તળેટીમાં દક્ષિણ ધાર પર શ્રીનગર વસાવેલું. હ્યુ-એન-શ્વાંગના મત પ્રમાણે પ્રાંદ્રેથન જૂનું પાટનગર હતું, જ્યારે શ્રીનગર નવા શહેર તરીકે આકાર પામેલું. શહેરનું નામ ‘શ્રી’ એટલે લક્ષ્મી પરથી રાખવામાં આવેલું. બીજા મત પ્રમાણે છઠ્ઠી સદીના મધ્યકાળમાં રાજા પ્રવરસેન બીજાએ આ નગર વસાવેલું અને ત્યારે તે ‘પ્રવરસેનપુર’ તરીકે ઓળખાતું. કલ્હણે તેનો ‘પ્રવરપુર’ નામથી ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ તે ‘શ્રીનગરી’ અથવા ‘શ્રીનગર’ તરીકે જાણીતું થયું.

દાલ સરોવર

આજના શ્રીનગર શહેરની મધ્યમાં થઈને જેલમ નદી પસાર થાય છે. તે નદી પર લાકડાના સાત પુલો આવેલા છે. સ્થાનિક લોકોની અવરજવર માટે તથા પ્રવાસીઓના મનોરંજન માટે જેલમ નદીમાં શિકારાઓની હેરફેર રહે છે. પ્રવાસન અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. શહેરનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસીઓ પર આધારિત છે. શહેર નજીક આવેલા દાલ સરોવરમાં તેમ જ જેલમ નદીમાં પ્રવાસીઓ માટે નૌકાગૃહો(house boats)ની સગવડ છે, તેનો લાભ અનેક પ્રવાસીઓ લે છે. પ્રવાસની મોસમ દરમિયાન પ્રવાસીઓ માટે શણગારેલા શિકારા દ્વારા નૌકાવિહારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. શહેરના મધ્યભાગમાં સરકારી કાર્યાલયો આવેલાં છે. નદીકાંઠાના વિવિધ ભાગોમાં હોટલો, દુકાનો, ધાર્મિક સ્થળો, લઘુ ઔદ્યોગિક કેન્દ્રો આવેલાં છે. શ્રીનગર શહેર તેની આજુબાજુની ખેતપેદાશોનું જથ્થાબંધ અને છૂટક બજાર ધરાવે છે. અહીંના ગાલીચા, રેશમ અને રેશમી વસ્ત્રો, ધાતુકામની તેમ જ કાષ્ઠકલા-કોતરણીવાળી ચીજવસ્તુઓ વખણાય છે. આ વસ્તુઓની નિકાસ પણ કરવામાં આવે છે. શ્રીનગર દિલ્હી અને અમૃતસર સાથે નિયમિત હવાઈ સેવાથી સંકળાયેલું છે. પહાડી ભૂપૃષ્ઠને કારણે અહીં રેલમાર્ગો વિકસી શક્યા નથી. સડકમાર્ગોનો સારો વિકાસ થયેલો છે. શહેરના આંતરિક ભાગોમાં નાની નહેરો પસાર કરેલી છે. શ્રીનગર શહેર ખેલકૂદનું મુખ્ય કેન્દ્ર પણ છે. શહેરમાં કાશ્મીર યુનિવર્સિટી (૧૯૪૮) આવેલી છે. શહેરમાં આવેલાં જોવાલાયક સ્થળો પૈકી દાલ સરોવર, ચિનાર બાગ, શાલીમાર-નિશાત-ચશ્મેશાહી જેવા ભવ્ય અને રમણીય મુઘલ બગીચા, જામિયા મસ્જિદ, હઝરતબાલ મસ્જિદ અને કેન્ચિન્ગ્ટન સંગ્રહસ્થાન જાણીતાં છે. તખ્ત ટેકરી પરથી આખાય શહેરને નિહાળી શકાય છે. શંકરાચાર્ય ટેકરી પર આવેલા મંદિરની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીંથી જઈ શકાય એવાં અન્ય જોવાલાયક સ્થળોમાં અનંતનાગ, ગુલમર્ગ, સોનમર્ગ, ખિલનમર્ગ, વુલર સરોવર, નંગા પર્વતશિખર, પહેલગામ, અમરનાથ વગેરેનો સમાવેશ થાય છે. ચલચિત્ર-ઉદ્યોગ માટે પણ શ્રીનગર પ્રિય સ્થળ રહ્યું છે. કાશ્મીરને પૃથ્વી પરના સ્વર્ગની ઉપમા અપાયેલી છે. ભારત તેમ જ દુનિયાભરના જુદા જુદા દેશોમાંથી સંખ્યાબંધ પ્રવાસીઓની શ્રીનગર ખાતે અવરજવર રહે છે. પરંતુ આતંકીઓની ત્રાસવાદી પ્રવૃત્તિથી પ્રવાસન ઉપર માઠી અસર પડી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

જામનગર


જામનગર જિલ્લાનું મુખ્ય શહેર અને આઝાદી પૂર્વે આ જ નામ ધરાવતા દેશી રાજ્યનું પાટનગર. તે ૨૨ ૨૮´ ઉ. અ. અને ૭૦ ૦૪´ પૂ. રે. ઉપર આવેલું છે. નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલ સ્થળ નાગનાથ તરીકે ઓળખાતું હતું, જામ રાવળે ઈ. સ. ૧૫૪૦માં આ સ્થળે શહેર વસાવી તેને નવાનગર નામ આપ્યું હતું. ઈ. સ. ૧૬૬૩થી ૧૭૦૯ દરમિયાન અહીં મુઘલ થાણું હતું અને તેને ઇસ્લામાબાદ નામ આપ્યું હતું. જાડેજા રાજાના ‘જામ’ બિરુદ ઉપરથી નવાનગરને બદલે તેને જામનગર નામ મળ્યું જણાય છે. ૧૯૧૪ પૂર્વે જામનગર દરવાજાવાળું કિલ્લેબંધ શહેર હતું. જામ રણજિતસિંહે વિશાળ રવેશો (facades), ચોક, વર્તુળો, વિશાળ રાજમાર્ગો અને એકસરખાં મકાનોની શ્રેણી દ્વારા તેની કાયાપલટ કરતાં તેને ‘સૌરાષ્ટ્રનું પૅરિસ’ બિરુદ મળ્યું. શહેરના વિકાસમાં બેડી બંદરનો મહત્ત્વનો ફાળો છે. બંદરની સુધારણા કરાતાં વેપાર અને ઉદ્યોગોની વૃદ્ધિ થઈ હતી. જામનગરના માર્કેટ યાર્ડમાં જિલ્લાના બાજરી, જુવાર, મગફળી, ઘઉં, લસણ વગેરે પાકો વેચાવા આવે છે. ૧૯૪૩માં સેન્ટ્રલ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની એક શાખા હતી. આજે મહત્ત્વની રાષ્ટ્રીય બૅન્કોની શાખાઓ તથા જામનગર જિલ્લા સહકારી બૅન્ક અને નાગરિક સહકારી બૅન્ક છે. તેનો વેપાર-ઉદ્યોગના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે.

સોલેરિયમ (જામનગર)

અહીં એક સુતરાઉ અને એક ગરમ કાપડની મિલ ઉપરાંત તેલની મિલો, સૉલ્વન્ટનાં અને બ્રાસનાં વીજળીનાં સાધનોમાં વપરાતા ભાગોનાં તથા સાબુ, મીઠું તથા લોખંડની વસ્તુઓનાં અનેક કારખાનાં છે. જામનગર તેની બાંધણી, ભરત અને જરીકામ, કંકુ, કાજળ અને સુરમા માટે પ્રખ્યાત છે. શહેર વાહનવ્યવહારનું કેન્દ્ર છે. ઓખા-વિરમગામ બ્રૉડ ગેજ રેલવેનું તે જંકશન છે. રાજકોટ-ઓખા અને જામનગર-પોરબંદર રાજ્યધોરી માર્ગ દ્વારા સૌરાષ્ટ્રનાં મહત્ત્વનાં શહેરો સાથે તે જોડાયેલું છે. વિમાનવ્યવહાર દ્વારા તે રાજકોટ, ભુજ અને મુંબઈ સાથે જોડાયેલું છે. જામનગર મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર છે. આયુર્વેદિક યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, વિનયન, વિજ્ઞાન તથા વાણિજ્ય વિદ્યાશાખાની કૉલેજો, મેડિકલ કૉલેજ, પૉલિટૅકનિક, આઈ.ટી.આઈ., વાણિજ્ય અને ટૅકનિકલ વિષયોનું શિક્ષણ આપતી વિવિધલક્ષી શાળાઓ, સ્ત્રી અધ્યાપન મંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલયો, સંસ્કૃત પાઠશાળા, સંગ્રહસ્થાન, લશ્કરની ત્રણ પાંખોની તાલીમશાળાઓ વગેરે અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. શહેરમાં સોલેરિયમ સંગ્રહસ્થાન, આદર્શ સ્મશાનગૃહ, પંદરમી-સોળમી સદીનાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો ઉપરાંત લાખોટો, કોઠો, રણજિતસાગર બંધ વગેરે જોવાલાયક છે. સંગ્રહસ્થાનમાં ઘૂમલી, પાછતર, પિંડારા અને ગાધવીના સ્થાપત્યના અવશેષો, તામ્રપત્રો, શિલાલેખો, સિક્કાઓ, ભૂચર મોરીના યુદ્ધનાં દૃશ્યનું ચિત્રપટ વગેરે છે. આદર્શ સ્મશાનગૃહમાં સંતો, દેવ-દેવીઓ વગેરેની સોએક મૂર્તિઓ અને ધાર્મિક ગ્રંથો વગેરેનું પુસ્તકાલય છે. અણદાબાવાની ધાર્મિક સંસ્થા, પાઠશાળા, સદાવ્રત, શાળા વગેરેનું સંચાલન કરે છે. શહેરનું ક્ષેત્રફળ ૧૪.૪૩ ચોકિમી. છે. ૨૦૧૧માં તેની વસ્તી આશરે ૬,૦૦,૪૧૧ હતી. તે સૌરાષ્ટ્રનું મહત્ત્વનું શહેર છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

શેષનાગ


પૌરાણિક કલ્પના પ્રમાણે જેણે બ્રહ્માંડ પોતાના મસ્તક પર ધારણ કર્યું છે તે નાગ.

જે રીતે ગણિતમાં ‘શેષ’નો અર્થ કોઈ રકમનો ભાગાકાર કરતાં છેવટે જે વધે તે, તે રીતે જ્યારે બધું નાશ પામતાં જે છેવટે રહે તેનું પ્રતીક મનાય છે શેષનાગ. તેનાં ‘અનંત’, ‘આદિશેષ’, ‘સંકર્ષણ’ જેવાં અનેક નામો છે. મહાભારત પ્રમાણે કશ્યપથી કદ્રુના પેટે જન્મેલા હજારો નાગમાં સૌથી મોટો તે શેષનાગ. વાસુકિ, ઐરાવત અને તક્ષક શેષનાગના ભાઈઓ છે. કેટલાક નાગ તો ક્રૂર અને અન્યને હાનિ પહોંચાડે તેવા પણ ખરા. શેષનાગ તો તેનાં ભાઈઓ તથા માતાને છોડી ખૂબ તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરે છે અને તેમની પાસેથી તે પોતાના મન પર કાબૂ રાખી શકાય એવી શક્તિનું વરદાન માગે છે. બ્રહ્મા તેની માગણી સ્વીકારે છે અને તેને અસ્થિર પૃથ્વીને તેની સહસ્ર ફેણ પર ધારણ કરી સ્થિરતા આપવા કહે છે. ત્યારથી આજ સુધી શેષનાગે પૃથ્વીને પોતાની ફણા પર ધારણ કરી છે. તે પાતાળમાં વસે છે.

ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે

શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે ‘નાગોમાં હું અનંત નાગ છું.’ શેષનાગ ભગવાન વિષ્ણુની તામસિક શક્તિ ગણાય છે અને તે વિષ્ણુની રક્ષા કરે છે. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે, તેથી વિષ્ણુ ‘શેષશાયી’ પણ કહેવાય છે. શેષનાગ બ્રહ્માંડના સર્જન પહેલાં પણ હતો. કલ્પને અંતે શેષનાગ ઝેરી અગ્નિ ઓકે છે. અગિયાર રુદ્રોનું સર્જન કરી તેના દ્વારા બ્રહ્માંડનો નાશ કરે છે. જ્યારે જ્યારે પૃથ્વી પર શ્રીવિષ્ણુ અવતાર લે છે ત્યારે ત્યારે તેની રક્ષા માટે શેષનાગ અવતાર લે છે. એ રીતે રામાવતારમાં લક્ષ્મણના રૂપે અને કૃષ્ણાવતારમાં બલરામના રૂપે તેણે જન્મ ધારણ કર્યો હતો. વ્યાકરણકાર પતંજલિ પણ શેષનાગનો અવતાર ગણાય છે. કલિયુગમાં રામાનુજ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનુજાચાર્યને પણ શેષાવતાર માનવામાં આવ્યા છે. શેષનાગે તેની હજાર ફેણ પર પૃથ્વી ધારણ કરી હોઈ જ્યારે તે બગાસું ખાય છે ત્યારે ધરતી ધ્રૂજે છે. આવી ધરતીકંપ અંગેની પૌરાણિક માન્યતા પ્રચલિત છે. શ્રીકૃષ્ણના જન્મ પછી કંસના ભયથી વાસુદેવ તેમને નંદરાયના ત્યાં મૂકવા જાય છે, ત્યારે જમુના નદી ઓળંગતી વેળાએ મુશળધાર વરસાદથી બાલકૃષ્ણનું રક્ષણ કરવા શેષનાગ જ તેમના પર છત્ર ધારણ કરીને ચાલ્યો હતો. દક્ષિણ ભારતમાં આવેલા શહેરનું ‘તિરુવનંતપુરમ્’ (જૂનું ત્રિવેન્દ્રમ) નામ ‘અનંત’ પરથી પડ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી