જાફરાબાદ


ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ ૩૬૫.૬ ચોકિમી. અને વસ્તી ૯૦,૭૨૬ (૨૦૦૧) છે. અહીં ૫૨૪.૪ મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી છે. વલસાડ જિલ્લાના માછીમારો ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી માછલાં પકડવા અહીં આવે છે. જાફરાબાદમાં ૧૦ લાખ ટન સિમેન્ટ ઉત્પન્ન કરી શકે તેવું સિમેન્ટનું કારખાનું છે. જાફરાબાદ શહેર સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ૨૦ ૫૨´ ઉ. અ. અને ૭૧ ૨૨´ પૂ. રે. ઉપર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. જાફરાબાદની ખાડી ૫ કિમી. લાંબી અને ૧.૬ કિમી. પહોળી છે. નવું બંદર ખાડીના જમણા કાંઠે ૪૦૦ મી.નો બ્રેક વૉટર બાંધીને સુરક્ષિત બનાવાયું છે. ખાડીના ડાબા કાંઠે માછીઓ માટેનો ધક્કો છે. જાફરાબાદ ખાતે લાકડું, વિલાયતી નળિયાં, કપાસિયાં, અનાજ, પેટ્રોલિયમ વગેરે આયાત થાય છે, જ્યારે મીઠું, સિમેન્ટ અને માછલાં નિકાસ થાય છે.

નવું બંદર, જાફરાબાદ

સિમેન્ટનું કારખાનું, જાફરાબાદ

જાફરાબાદની ૨૦૦૧માં ૨૫,૦૮૧ વસ્તી હતી. ત્યાંની ઉચ્ચતર માધ્યમિક શાળા વિવિધલક્ષી શાળા છે. શહેરનું પુસ્તકાલય સમૃદ્ધ છે. જાફરાબાદ સાતમી-આઠમી સદી દરમિયાન ચાવડા રજપૂતોના કબજા નીચે હતું. ત્યારબાદ ચૂડાસમાઓને તાબે હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં દીવના રક્ષણ માટે જાફરાબાદમાં થાણું નાખ્યું હતું અને કિલ્લો બાંધ્યો હતો. સુલતાન મુઝફ્ફરશાહના નામ ઉપરથી તેને મુઝફ્ફરાબાદ નામ અપાયું હતું. ૧૫૨૧માં પોર્ટુગીઝોએ દીવ પહેલાં જાફરાબાદ જીતવા પ્રયત્ન કર્યો હતો, ૧૫૩૧માં તુર્કસ્તાનના નૌકાધિપતિ સુલેમાન પાશાએ અહીં તેનો નૌકા-કાફલો રાખ્યો હતો. તેથી પોર્ટુગીઝોના આક્રમણનો તે ભોગ બન્યું હતું. અઢારમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં મુઘલ થાણદારનું થાણું હતું. સ્થાનિક કોળીઓ સાથે મળીને ચાંચિયાગીરી કરતા સૂરતના મુઘલ કાફલાના અધિપતિ સીદી હિલાલે આક્રમણ કરી જાફરાબાદનો કબજો લીધો હતો. સીદી હિલાલ જાફરાબાદને વધારે વખત સુરક્ષિત રાખી શકે તેમ ન હતો. તેથી તેણે તે જંજીરાના નવાબને વેચી દીધું. આમ તે જંજીરાના નવાબના કબજા નીચે આઝાદી સુધી રહ્યું હતું. જાફરાબાદનાં શિયાળ, ભેંસલો અને સવાઈ બેટ સહિત ૧૨ ગામો હતાં. આઝાદી પછી જાફરાબાદ મહાલ ભાવનગર જિલ્લા નીચે હતો. ૧૯-૬-૫૯ના સરકારી હુકમથી જાફરાબાદ મહાલને અમરેલી જિલ્લા નીચે મૂકવામાં આવ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

શેળો (Hedehog)


શરીર પર વાળની જગ્યાએ શૂળો (spines) ધરાવતું કીટભક્ષી પ્રાણી.

શૂળો વાસ્તવમાં વાળનું રૂપાંતર છે. તેનું શરીર શૂળોથી છવાયેલું હોય છે. તેની શૂળોના સ્નાયુઓ મજબૂત હોય છે. તેની શૂળો પોલી હોય છે જેથી તેના શરીરનું વજન ખૂબ વધી જતું નથી. જ્યારે તેના પર આક્રમણ થાય ત્યારે તે મજબૂત શૂળોને ટટ્ટાર કરી આક્રમણકારને ભોંકી શકે છે. તેને જ્યારે ભય જણાય ત્યારે તે પોતાના શરીરને શૂળોવાળા દડા જેવું કરી દઈ રક્ષણ મેળવે છે. સામાન્ય રીતે શેળો નિશાચર પ્રાણી છે. તે દિવસ દરમિયાન ખેતર, ઝાડી, વાડ જેવી જગ્યાઓમાં સંતાઈ રહે છે અને સાંજે ખોરાકની શોધમાં બહાર નીકળે છે. કીટકો ઉપરાંત શેળો કૃમિ, ગોકળગાય, ઈંડાં, જીવડાં તથા દેડકાં ખાય છે. શેળાના કાન કદમાં નાના હોય છે. રણમાં વસતા શેળા પ્રમાણમાં મોટા કાન ધરાવે છે. શેળાની આંખો વિકાસ પામેલી હોય છે. શાહુડીની જેમ તે પણ તેની પૂંછડી પાસે આવેલ ગ્રંથિમાંથી તીવ્ર વાસવાળા પ્રવાહીનો સ્રાવ કરે છે.

માદા ૩૦થી ૫૦ દિવસ સુધી ગર્ભ ધારણ કરે છે. તેઓ મોટા ભાગે વર્ષમાં બે વાર એકીસાથે બે અથવા તેથી વધારે બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં જન્મસમયે અંધ હોય છે. માદા શેળોના નીચેના વાળ કોમળ હોય છે. આથી તેનાં બચ્ચાંને ધવરાવતી વેળાએ ઈજા થતી નથી. શેળા લગભગ ૩૦ સેમી. લાંબા અને ૪૦૦ ગ્રામ કે તેથી વધુ વજન ધરાવતા હોય છે. તેઓ લગભગ દસ વર્ષનું આયુષ્ય ધરાવતા હોય છે. શેળાની જીવાત, કૃમિ, પક્ષીઓ વગેરે ખાવાની આદતને લીધે ખેતરમાંના ખેડૂતોને તથા બગીચામાંના માળીઓને તેઓ ખૂબ ઉપયોગી લાગે છે. શેળા અનુકૂળ સમયમાં ખૂબ ખોરાક ખાઈ લે છે અને શિયાળાની ઠંડીમાં જ્યારે ખોરાક ન મળે અથવા ઓછો મળે ત્યારે શીતનિદ્રામાં પોઢી જાય છે. ખેતરોની વાડમાંથી શેળાને પકડીને તેના આગલા પગેથી ઝુલાવવાથી તે નાના બાળકના રડવા જેવો તીણો અવાજ કાઢે છે. ગામડામાં ખેડૂતોનાં બાળકો તેથી મનોરંજન મેળવે છે ! ભારત અને ઉત્તર એશિયામાં તથા યુરોપ-આફ્રિકામાં શેળાની વિવિધ જાતો જોવા મળે છે. તેમાં Erinaceus europaens મુખ્ય છે. શેળાની ઘણી જાતો ભારત, મ્યાનમાર, સિયામ (થાઇલૅન્ડ), જાવા, સુમાત્રા અને બોર્નિયોમાં મળી આવે છે. પર્વતીય પ્રદેશોમાં ૨૭૪૩ મીટર જેટલી ઊંચાઈ સુધી શેળા મળી આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ

જાપાનની ચિત્રકલા


કલા અને સંસ્કૃતિના વારસાની બાબતમાં જાપાન ચીનનું ઋણી છે. જાપાનની ચિત્રકલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જાપાન એટલે પર્વતો, ઝરણાં, વૃક્ષો, લતાઓ અને ફૂલોનો દેશ. જાપાનની પ્રજા દુનિયાની બીજી પ્રજાની સરખામણીમાં પ્રકૃતિ અને કલાની સવિશેષ ચાહક છે. જાપાનની ચિત્રકલામાં પ્રજાની આ ચાહના ભારોભાર વ્યક્ત થયેલી જોવા મળે છે. જાપાનની ચિત્રકલાનો ઇતિહાસ ૧૨૦૦ વર્ષ જૂનો છે, જે અનેક પ્રકારની ચિત્રશાળાઓ(schools)માં વહેંચાયેલો છે. જાપાનમાં ચિત્રકલાનું પ્રેરણાસ્થાન ધર્મ હતું. શિન્તો, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મોએ જાપાનની ચિત્રકલાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે જાપાનમાં પણ સામાજિક પરિવર્તન આવ્યું અને ચિત્રકલાના વિષયો બદલાયા.

જાપાનની ચિત્રકલાનો એક નમૂનો

જાપાનમાં ચિત્રોના આલેખન માટે લખવાની પીંછીનો ઉપયોગ થતો હતો. ચિત્ર માટેની સાધનસામગ્રીમાં શાહી અથવા વૉટર કલર, બ્રશ, કાપડ અથવા રેશમી કાપડ, લાકડાની પટ્ટીઓનો સમાવેશ થતો હતો. ચિત્રકારો ઘૂંટણિયે પડીને રેખા અને રંગ વડે ચિત્રનું આલેખન કરતા હતા. શરૂઆતના સૈકાઓમાં બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ અજંટાની જેમ ભિત્તિચિત્રોનું આલેખન કરવામાં આવતું હતું. આ ઉપરાંત ચિત્રકલાના નમૂનાઓ ચિત્રવીંટા (Makimono scrolls) અને પડદાઓ(Kakemono-hangings)માં પણ જોવા મળે છે. ચિત્રકલાના વિષયોમાં દેવદેવીઓ, મનુષ્યો, વ્યક્તિચિત્રો, પ્રકૃતિ, પશુ-પંખીઓ ઇત્યાદિનું આલેખન જોવા મળે છે. ચીનની જેમ જાપાનનો ચિત્રકાર પોતાના સર્જનમાં રેખા અને લયને વિશેષ મહત્ત્વ આપે છે. કલાસર્જનના ઇતિહાસમાં યુકિયો શાખાના કુશળ ચિત્રકારોની રંગછાપ (colour-prints) માનભર્યું સ્થાન ધરાવે છે. આ કલાનાં મૂળિયાં પ્રાચીન ચીનમાં પડેલાં હતાં જેનો વિકાસ તાંગ અને શુંગ રાજવંશોના અમલ દરમિયાન (ઈ. સ. ૬૧૮-૯૦૫ અને ઈ. સ. ૯૬૦થી ૧૨૮૦) થયો હતો. શિષ્ટ પરંપરાના જાપાની ચિત્રકારો જ્ઞાન અને પ્રેરણા માટે તેના તરફ વળ્યા હતા. જાપાનની ચિત્રશાળાઓ સૌંદર્યશાસ્ત્રના ગહન નિયમોનું પાલન કરનાર હતી. જાપાનની ચિત્રકલાના ઇતિહાસમાં યેશિન સોઝુ ઈ. સ. ૧૦૧૭માં ધાર્મિક ચિત્રોના આલેખન માટે પ્રખ્યાત હતો. આ સમયમાં ડોએ-નો-ડાનોકા નામના ચિત્રકારે બિનસાંપ્રદાયિક ચિત્રો આલેખવાની શરૂઆત કરી હતી. ચિત્રમાં પશુ-પંખીઓ અને ફૂલો દેવો અને સંતોનું સ્થાન લેવા લાગ્યાં ! આશરે ઈ. સ. ૧૧૫૦માં રાજકીય આશ્રય હેઠળ રાષ્ટ્રીય ચિત્રશાળા ક્યોટો(Kyoto)નો જન્મ થયો જેણે રાજધાનીમાં મહેલો, સમૃદ્ધ ઘરો અને દેવળોમાં જાપાનનાં ફૂલો અને ધરતીની પ્રકૃતિને ચિત્રમાં મહત્ત્વ આપ્યું. આ રાષ્ટ્રીય ચિત્રશાળામાંથી તેના ઉત્તમ શિક્ષકોના નામે બીજી અનેક ચિત્રશાળાઓનો વિકાસ થયો જેમાં યામાતો રિયૂ, વાગા રિયૂ, કાસૂગા અને તોસા શાળા મુખ્ય છે. સમય જતાં આ તોસા શાળા પરંપરાગત રૂઢિઓ અને શૈલીઓમાં વિલીન થઈ ગઈ. ચીનમાં શુંગ નવજાગૃતિના કાળમાં જે નવી ચિત્રશૈલીઓનો જન્મ થયો તેમાંથી જાપાની ચિત્રકારોએ પોષણ અને પ્રેરણા મેળવ્યાં. તેમણે ચિત્રકલામાં ચીની પાત્રો અને દૃશ્યોનું આલેખન શરૂ કર્યું. ચીનની ચિત્રકલાના પ્રભાવના આ બીજા તબક્કામાં જાપાને એક મહાન ચિત્રકાર સેશિયૂની ભેટ ધરી. આ ચિત્રકાર ઝેન સાધુ હતો અને યુવાન વયથી સુંદર ચિત્રોનું આલેખન કરતો હતો. એણે ચિત્રકલામાં ચીની વિષયોને મહત્ત્વ આપ્યું. જાપાનની પ્રજા આજે પણ આ ચિત્રકાર પ્રત્યે આદરની લાગણી ધરાવે છે. પંદરમી સદીના અંતમાં જાપાનમાં કાનો-મસાનોબૂએ આશિકાના આશ્રય નીચે કિયોટો નામની બિનસાંપ્રદાયિક ચિત્રશાળાની સ્થાપના કરી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જાપાનની ચિત્રકલા, પૃ. 736)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ચીનુભાઈ નાયક