જ. ૮ જૂન, ૧૯૩૪ અ. ૯ મે, ૨૦૨૫

ગુજરાતની આચાર્ય પરંપરામાં જેમનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે તે ગંભીરસિંહનો જન્મ સિહોર તાલુકાના સેંદરડા ગામમાં થયો હતો. ત્યાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. નાનપણમાં કોઈક બીમારીને કારણે બહેરાશ આવી ગઈ. આથી પિતા ભૂરુભાએ ઢોરઢાંખરના કામમાં જોડી દીધા. કોઈક કારણસર ભાવનગર ગયા. ત્યાંની મનહરકુંવરબા રાજપૂત છાત્રાલયમાં ગયા. ત્યાંના ગૃહપતિના પ્રેમને કારણે ભાવનગરમાં રહી પોતાને ભણવું છે તેવી પિતા પાસે જીદ કરી. અંતે છાત્રાલયમાં રહી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ૧૯૫૪માં પૂના બોર્ડની એસ.એસ.સી.ની પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સમગ્ર બોર્ડમાં પ્રથમ આવ્યા. તે સમયે તેમના સહાધ્યાયીઓ હતા દિનકર જોષી, માય ડિયર જયુ અને ખોડીદાસ પરમાર. છાત્રાવાસ દરમિયાન તેઓ ‘ઉદય’ નામનું ભીંતપત્ર ચલાવતા હતા. પછી શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.; એમ.એ. થયા. ત્યાં ફેલો તરીકે થોડું અધ્યાપનકાર્ય પણ કર્યું. ૧૯૬૬થી ઉપલેટા કૉલેજના અધ્યાપક, અધ્યક્ષ અને આચાર્ય થયા ને તેમની કારકિર્દી ઘડાતી ગઈ. ત્યારબાદ સાવરકુંડલા, પછી ભાવનગરની વળિયા આર્ટ્સ કૉલેજ અને અંતે ભાવનગરની શામળદાસ કૉલેજના આચાર્યપદેથી ૧૯૯૪માં નિવૃત્ત થયા. ગંભીરસિંહ એક એવા આચાર્ય હતા જેઓ નિવૃત્ત થયા પછી ૨૦૦૬માં પીએચ.ડી. થયા હતા, જે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. તેમની પાસેથી મળેલ ‘પ્રજાવત્સલ રાજવી’ જીવનચરિત્રમાં તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ચરિત્ર ઘણા અભ્યાસથી આલેખ્યું છે. સાડાચારસોથી વધુ પૃષ્ઠો ધરાવતા આ ચરિત્રને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને બીજાં અનેક સન્માનો મળ્યાં છે. તેમની પાસેથી ‘ગ્રંથવિવેક’ (૨૦૧૦), ‘ગ્રંથવિશેષ’ (૨૦૧૧) જેવા વિવેચનગ્રંથો મળ્યા છે. ‘ખિસકોલી તો ખિસકોલી જ’ અને ‘પંખીડું ઊડી ઊડી જાય’ જેવા બાળવાર્તાસંગ્રહો પણ મળ્યા છે. તેમણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચૅરમૅનપદને પણ શોભાવ્યું હતું. ‘ભાવનગર ગદ્યસભા’ના સ્થાપક પ્રમુખ તરીકે તેમણે કેટલાંય વર્ષો સુધી નવોદિતોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ એક સાહિત્યકાર તથા ઉમદા, શિસ્તપ્રિય વહીવટકર્તા તરીકે જાણીતા હતા.
શ્રદ્ધા ત્રિવેદી