Categories
વાચન સમૃદ્ધિ

વિન્સ્ટન ચર્ચિલ

જ. 30 નવેમ્બર, 1874 અ. 24 જાન્યુઆરી, 1965

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન, સમર્થ રાજપુરુષ અને ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર વિન્સ્ટન ચર્ચિલનો જન્મ વુડસ્ટોક, લંડનમાં થયો હતો. પિતા રૅન્ડોલ્ફ ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ હેરો અને સેન્ડહર્સ્ટ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ 1895માં લશ્કરમાં જોડાયા. 1900માં તેઓ ઓલ્ડમમાંથી રૂઢિચુસ્ત પક્ષના સભ્ય તરીકે આમસભામાં જોડાયા, પરંતુ 1906માં ઉદારમતવાદી પક્ષમાં ભળ્યા. 1908માં તેમને ગૃહખાતાનો હવાલો સોંપવામાં આવ્યો. 1911માં ચર્ચિલને નૌકાખાતામાં (ફર્સ્ટ લૉર્ડ ઑવ્ એડમિરલ્ટી) તરીકે મૂકવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સેનાપતિ લૉર્ડ ફિશર સાથે મતભેદ થતાં રાજીનામું આપી લશ્કરમાં જોડાયા. ફ્રાન્સની ભૂમિ પર જર્મની સામે લડવા પણ ગયા. સમય જતાં ઉદારમતવાદી પક્ષ સાથે પણ મતભેદો થતાં ફરી રૂઢિચુસ્ત પક્ષમાં જોડાયા. 1924માં પક્ષના ઉમેદવાર તરીકે આમસભામાં ચૂંટાયા અને બોલ્ડવિન પ્રધાનમંડળમાં તેમને નાણાખાતું સોંપાયું. તેમણે દેશમાં સોનાનું ચલણ ફરી શરૂ કર્યું. કરવેરામાં ફેરફારો કરી દેશના અર્થતંત્રને યુદ્ધની અસરમાંથી મુક્ત કરી ફરી ચેતનવંતું બનાવ્યું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં વડાપ્રધાન નેવિલના પ્રધાનમંડળમાં તેમને નૌકાખાતું સોંપવામાં આવ્યું. 1940માં નેવિલે રાજીનામું આપતાં ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા. તેઓ 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડ અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં તથા હિટલરના ભયની સામે લોકોનું દેશાભિમાન જગાડવામાં તેમનો મોટો ફાળો હતો. તેમણે દેશને વિજય અપાવવા માટે આપેલો સંકેત V (V for victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો. તેઓ યુદ્ધ પછીના નૂતન વિશ્વના નિર્માણકર્તાઓમાંના એક ગણાતા. 1951ની ચૂંટણીમાં ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ વિજયી બનતાં 77 વર્ષની વયે પ્રધાનમંડળની રચના કરી. તેમણે લખેલ આત્મકથાત્મક યુદ્ધ-સંસ્મરણો ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર’ વિશ્વસાહિત્યમાં નોંધપાત્ર બની રહ્યું અને મુખ્યત્વે એ માટે જ 1953માં તેમને સાહિત્ય નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયા

જ. 29 નવેમ્બર, 1935 અ. 5 ડિસેમ્બર, 1961

શહીદ કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયાનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ જનવલ ગામે થયો હતો. માતા ધનદેવી અને પિતા મુન્શીરામ. પિતા બ્રિટિશ હિંદની સેનામાં હતા. પિતા દ્વારા લશ્કરી વાતો સાંભળી બાળક ગુરુબચનસિંહમાં દેશપ્રેમના સંસ્કાર દૃઢ થયા. 1946માં બૅંગાલુરુની કિંગ જ્યોર્જ રૉયલ મિલિટરી કૉલેજમાં પ્રવેશ મળ્યો. બીજા વર્ષે કૉલેજની જલંધર શાખામાં દાખલ થયા. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે સંરક્ષણ મંત્રાલયને ફી માફી માટે પત્ર લખ્યો. માફી મંજૂર થતાં અભ્યાસખર્ચમાંથી મુક્તિ મળી. 1956માં નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં અને ત્યાર પછી ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં અભ્યાસ કર્યો. તેઓ 1લી ગોરખા રાઇફલ્સની 3જી બટાલિયનમાં જોડાયા. 1961માં તેમને સંયુક્ત રાષ્ટ્રના ઑપરેશનના ભાગ રૂપે કોંગો પ્રજાસત્તાકમાં મોકલવામાં આવ્યા. 5 ડિસેમ્બર, 1961ના રોજ કટાંગાના સશસ્ત્ર અલગતાવાદીઓએ એલિઝાબેથવિલે ઍરપૉર્ટ જવાના રસ્તાની નાકાબંધી કરી. આ નાકાબંધી દૂર કરવાનું કામ સલારિયા અને 15 જવાનોની ટીમને સોંપવામાં આવ્યું. બપોરે દુશ્મનોએ ગુરુબચનસિંહની આલ્ફા કંપની પર ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનોને રોકવા તેઓ રાઇફલ લઈને દુશ્મનો પર તૂટી પડ્યા અને સાથીઓને લડવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા. તેમને ગરદનમાં ગોળી વાગી તેમ છતાંય તેઓ અટક્યા નહીં. દુશ્મનની ખાઈ સુધી પહોંચી ગયા. કેટલાકને રાઇફલના છરાથી તો કેટલાકને ખુકરીથી માર્યા. પછી તેઓ આગળ વધ્યા. ગોળીથી ઘાયલ થતાં ઘણું લોહી વહી જવાથી તેઓ ઢળી પડ્યા. તેમણે તેમના 15 સાથી જવાનો સાથે 90 જેટલા દુશ્મનોમાંથી 40ને માર્યા. દુશ્મનની બે કારનો ખાતમો કર્યો. તેઓ છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. પોતાના જીવની પરવા કર્યા વિના ફરજનું પાલન કરવા શહાદત વહોરનાર ગુરુબચનસિંહને ભારત સરકાર દ્વારા 1962માં પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

ઍંજલ્સ ફ્રેડરિક

જ. 28 નવેમ્બર, 1820 અ. 5 ઑગસ્ટ, 1895

જર્મન સમાજવાદી ચિંતક અને કાર્લ માર્કસના નિકટના સાથી ઍંજલ્સ ફ્રેડરિકનો જન્મ બાર્મેન પ્રુશિયામાં એક પૈસાદાર કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટા ભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે કાર્લ માર્કસ સાથે પ્રથમ મુલાકાત થઈ જે આધુનિક સામ્યવાદી વૈજ્ઞાનિક વિચારસરણીના ઘડતરમાં નિર્ણાયક સાબિત થઈ. ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક તરીકે ઍંજલ્સ પ્રખ્યાત બન્યા. માર્કસે સંપાદિત કરેલા ઍંજલ્સના બે લેખો જર્મન ફ્રેન્ચ ઇયર બુકમાં પ્રકાશિત થયા હતા. માન્ચેસ્ટર અને સાલફોર્ડ જેવાં ઇંગ્લૅન્ડનાં ઔદ્યોગિક નગરોમાં વસતા કામદાર વર્ગની હાલાકી તથા કંગાલિયતનું પ્રત્યક્ષ અવલોકન કરવાની તેમને તક મળી હતી. જે તેમના પુસ્તક ‘ધ કન્ડિશન ઑવ્ વર્કિંગ ક્લાસ ઇન ઇંગ્લૅન્ડ, ઍન્ટિ દુહરિંગ(Anti Duhring)માં સ્પષ્ટપણે દેખાય છે. તેમના ‘ઓરિજિન ઑવ્ ધ ફૅમિલી પ્રાઇવેટ પ્રોપર્ટી ઍન્ડ ધ સ્ટેટ’માં ખાનગી મિલકત તથા પુરુષવર્ગના વર્ચસ પર આધારિત સમાજવ્યવસ્થામાં સ્ત્રીવર્ગની પરાધીનતા વખોડી કાઢવામાં આવી છે. ‘ધ હોલિ ફૅમિલી’ (1845), ‘ધ જર્મન આઇડિયોલૉજી’ (1845) તથા ‘ધ કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો’ (1848) એ ત્રણ માર્કસ તથા ઍંજલ્સની સંયુક્ત કૃતિઓ છે. ઉપરાંત ‘ફ્રેડરિક ઓસ્વાલ્ડ’ તખલ્લુસથી ઍંજલ્સે લખેલા ઘણા લેખો તત્કાલીન વર્તમાનપત્રો તથા સામયિકોમાં પ્રકાશિત થયા હતા. માર્કસના અવસાન (1883) પછી તેના શકવર્તી ગ્રંથ ‘દાસ કૅપિટલ’ના બીજા તથા ત્રીજા ભાગને માર્કસનાં કાચાં લખાણોને આધારે સંકલિત અને સંપાદિત કરી પ્રકાશિત કરવામાં ઍંજલ્સે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્લ માર્કસમાં તલસ્પર્શી વિશ્લેષણ કરવાનું કૌશલ્ય હતું તો ઍંજલ્સમાં કુશાગ્ર બુદ્ધિમત્તા, પ્રખર પાંડિત્ય તથા કામદારવર્ગની તત્કાલીન પરિસ્થિતિનું સ્વાનુભવ પર આધારિત ભાથું હતું. બંનેના સંયુક્ત પ્રયાસથી જ વૈજ્ઞાનિક સમાજવાદ(માર્કસવાદ)ની વિચારસરણીનો જન્મ થયો છે. ઍંજલ્સને માર્કસના વૈચારિક ઉત્તરાધિકારી ગણવામાં આવે છે.