Categories
વાચન સમૃદ્ધિ

મનોજ ખંડેરિયા

જ. ૬ જુલાઈ, ૧૯૪૩ અ. ૨૭ ઑક્ટોબર, ૨૦૦૩

ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર અને કવિ મનોજ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પિતા વ્રજલાલ ખંડેરિયા મહેસૂલી અધિકારી હોવાથી તેમની વારંવાર બદલી થવાને કારણે મનોજ ખંડેરિયાએ ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ અને જામનગર જેવાં વિવિધ સ્થળોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈને ૧૯૬૫માં બી.એસસી. અને ૧૯૬૭માં એલએલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૮થી જૂનાગઢમાં વકીલાત શરૂ કરી હતી. થોડો સમય તેમણે જૂનાગઢની કૉલેજમાં વાણિજ્ય કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે પણ સેવા આપી હતી. ૧૯૮૪થી પથ્થરની ખાણના ઉદ્યોગ સાથે પણ સંકળાયા હતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. મનોજ ખંડેરિયાનો પ્રથમ સંગ્રહ ‘અચાનક’ અને બીજો સંગ્રહ ‘અટકળ’ નામે પ્રગટ થયો હતો. પરંપરાગત ગઝલને તેમણે આધુનિકતાના સંદર્ભે પ્રયોજી ગુજરાતી ગઝલને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે. તેમના અન્ય બે સંગ્રહો ‘હસ્તપ્રત’ અને ‘અંજની’ ૧૯૯૧માં પ્રગટ થયા હતા. ૧૯૯૪માં પ્રગટ થયેલ ‘કોઈ કહેતું નથી’ સંગ્રહમાં તેમની ગઝલો અને ૨૦૦૪માં તેમની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો  કાવ્યો ‘એમ પણ બને’ એવા શીર્ષકથી નીતિન વડગામા દ્વારા સંપાદિત થયાં છે. ‘ક્યાંય પણ ગયો નથી’ એ એમનો છેલ્લો ગઝલસંગ્રહ છે.

‘મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’ – કવિનો યાદગાર શેર છે.

મનોજ ખંડેરિયાના ‘અચાનક’ કાવ્યસંગ્રહ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ‘અટકળ’ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને ‘અંજની’ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે તો એમના ‘હસ્તપ્રત’ સંગ્રહને પણ અકાદમી અને પરિષદ બંને દ્વારા પોંખવામાં આવ્યો છે. ૧૯૯૯માં આઈ. એન. ટી. (મુંબઈ) દ્વારા તેમને કલાપી ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડની તમામ રકમ એમણે આઈ. એન. ટી.ને પરત કરી અને તેમાંથી વર્ષ દરમિયાન પ્રગટ થયેલ ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યું હતું. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

રશીદ ખાન

જ. ૫ જુલાઈ, ૧૯૧૫ અ. ૭ નવેમ્બર, ૧૯૭૨

સાઠથી વધુ હિન્દી ચલચિત્રોમાં અભિનય કરનાર ચરિત્ર અભિનેતા રશીદ ખાનનો જન્મ વડોદરા, ગુજરાતમાં થયો હતો. ૧૯૪૬માં ફિલ્મ ‘ધરતી કે લાલ’થી તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ૧૯૪૬થી ૧૯૭૪ની વચ્ચે તેમણે સાઠથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતા દેવ આનંદ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો હતા અને તેમણે લગભગ દેવ આનંદનાં મોટા ભાગનાં ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. દેવ આનંદની ફિલ્મ પ્રોડક્શન કંપની નવકેતન ફિલ્મ્સની સૌથી પહેલી ફિલ્મ ‘અફસર’થી લઈને ‘બાઝી’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘તેરે ઘર કે સામને’, ‘બમ્બઇ કા બાબૂ’ અને ‘કાલા બઝાર’ જેવી હિટ ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકાઓ કરી હતી. ૧૯૫૦થી ૧૯૭૦ના સમયમાં તેમણે રાજ કપૂર, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન જેવા અનેક મશહૂર અભિનેતાઓ સાથે પણ કામ કર્યું હતું.  મોટા ભાગે તેઓ પિતા, હીરોના સહાયક, વિલન, હાસ્ય કલાકારની ભૂમિકાઓ ભજવતા હતા. ૧૯૭૨માં ૫૭ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું, પરંતુ મૃત્યુ પછી પણ ૧૯૭૪ સુધી તેમની ફિલ્મો આવી હતી. તેમની અભિનીત જાણીતી ફિલ્મોમાં ‘ધરકી કે લાલ’, ‘બાઝી’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘શ્રી ૪૨૦’, ‘નવ દો ગ્યારહ’, ‘કાલા પાની’, ‘મુઝે જીને દો, ‘કાલા બાઝાર’, ‘પ્રોફેસર’, ‘દો દૂની ચાર’, ‘રાજકુમાર’, ‘બનારસી બાબૂ’ અને ‘છુપા રુસ્તમ’નો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ગુલઝારીલાલ નંદા

જ. ૪ જુલાઈ, ૧૮૯૮ અ. ૧૫ જાન્યુઆરી, ૧૯૯૮

ભારતરત્નથી સન્માનિત ભારતના પૂર્વવડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી મજૂરનેતા ગુલઝારીલાલ નંદાનો જન્મ પંજાબના સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમાં છે)માં થયો હતો. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતાનું નામ ઈશ્વરદેવી હતું. તેમનાં પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું. તેમને પોતાનું શિક્ષણ લાહોર, આગ્રા અને અલાહાબાદમાં પ્રાપ્ત થયું હતું. ૧૯૨૦-૨૧માં તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં શ્રમ સંબંધી સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું હતું. ૧૯૨૧માં મુંબઈની નૅશનલ કૉલેજમાં અધ્યાપક બનવાની સાથોસાથ તેઓ અસહકાર આંદોલનમાં જોડાયા હતા. ૧૯૨૨માં તેઓ અમદાવાદ ટેક્સટાઇલ લેબર ઍસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે ૧૯૪૬ સુધી કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સત્યાગ્રહ માટે તેઓ ૧૯૩૨માં અને ફરીથી ૧૯૪૨થી ૧૯૪૪ સુધી જેલમાં રહ્યા હતા. ગુલઝારીલાલ નંદાએ ૧૯૪૬થી ૧૯૫૦ સુધી બૉમ્બે સરકારના શ્રમમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્ય વિધાનસભામાં શ્રમવિવાદવિધેયક સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. તેમણે કસ્તૂરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, હિન્દુસ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે અને રાષ્ટ્રીય યોજના સમિતિના સદસ્ય તરીકે સેવાઓ આપી હતી. ૧૯૪૭માં જિનીવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં તેમણે એક સરકારી પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ૧૯૫૦માં તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ બન્યા હતા. ગુલઝારીલાલ નંદા ૧૯૫૨ અને ૧૯૫૭ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી. ૧૯૬૨માં સાબરકાંઠા બેઠક પરથી ચૂંટાયા બાદ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી કેન્દ્રીય ગૃહમંત્રીપદે પણ રહ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ ૨૭ મેથી ૯ જૂન, ૧૯૬૪ સુધી અને લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ૧૧ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું. બાદમાં ૧૯૭૦-૭૧માં તેઓ રેલવેમંત્રી પણ બન્યા હતા. ‘ગુલઝારીલાલ નંદા : અ લાઇફ ઇન ધ સર્વિસ ઑફ પીપલ’ નામના પ્રેમિલા કાનનલિખિત જીવનચરિત્રમાં ગાંધીજી સાથેની નંદાની મુલાકાતનું વર્ણન છે. તેમણે પોતે પણ પાંચેક અંગ્રેજી પુસ્તકો લખેલાં છે. સાદગીની જીવંત મૂર્તિ તરીકે ગુલઝારીલાલ સદા સ્મરણમાં રહેશે.