Categories
વાચન સમૃદ્ધિ

ઑટો હાન

જ. 8 માર્ચ, 1879 અ. 28 જુલાઈ, 1968

જર્મન રસાયણશાસ્ત્રી અને 1944ના વર્ષના નોબેલ પારિતોષિક વિજેતા ઑટો હાનનો જન્મ ફ્રેન્કફર્ટમાં થયો હતો. ઑટો હાનનાં માતાપિતાએ તેમને સ્થપતિ બનાવવાનો વિચાર સેવેલો પણ ઑટો હાનને પહેલેથી જ રસાયણશાસ્ત્રમાં રુચિ હતી તેથી તેમણે યુનિવર્સિટી ઑફ માર્બર્ગમાં રસાયણશાસ્ત્ર ભણવા પ્રવેશ મેળવ્યો. 1901માં તેમણે ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1904માં તેઓ અંગ્રેજી ભણવા લંડન ગયા. ત્યાં રેડિયોઍક્ટિવિટીમાં રસ ધરાવતા સર વિલિયમ રામસે સાથે કામ કર્યું. અહીં કાચા રેડિયમને શુદ્ધ બનાવવાના કાર્યમાં જોડાયા. આ પ્રક્રિયા દરમિયાન એક નવો જ કિરણોત્સર્ગ પદાર્થ, જેને તેમણે રેડિયોથોરિયમ નામ આપ્યું તે મળ્યો. સર રામસેની મદદથી તેમને બર્લિનની યુનિવર્સિટીમાં પોસ્ટ મળી તેથી 1906માં તેઓ જર્મની આવ્યા. ત્યારબાદ ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી લીઝ મેટનર સાથે બર્લિન-ડેહલેનની ‘કેઇઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર કેમિસ્ટ્રી’માં જોડાયા. અહીં તેઓ નાની પણ સ્વાયત્ત રેડિયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વડા બન્યા. 1913માં તેમનાં લગ્ન એડિથ જંગહેન્સ સાથે થયાં. બીજે વર્ષે વિશ્વયુદ્ધ થવાથી તેઓ 1915માં કેમિકલ વૉરફેર સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત રહ્યા. વિશ્વયુદ્ધ બાદ લીઝ મેટનર સાથે મળી તેમણે સૌપ્રથમ વાર પ્રોટેક્ટિનિયમ-231 છૂટું પાડ્યું. ત્યારબાદ 12 વર્ષ રસાયણશાસ્ત્રમાં રેડિયોઍક્ટિવની ઍપ્લિકેશન (પ્રસ્તુતતા) માટે ફાળવ્યા. 1934માં ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી એનરિકો ફર્મીના કાર્યમાં તેમને ઘણો રસ પડ્યો. તેમણે લીઝ મેટનર અને સ્ટ્રાસમૅન સાથે મળી યુરેનિયમના વિખંડનની પ્રક્રિયા પર કાર્ય કર્યું. વિશ્વયુદ્ધ બાદ બીજા ન્યૂક્લિયર વૈજ્ઞાનિકો સાથે તેમને ઇંગ્લૅન્ડ લઈ જવામાં આવ્યા અને 1944માં તેમને નોબેલ પારિતોષિકવિજેતા જાહેર કર્યા. જ્યારે તેઓ જર્મની પાછા આવ્યા ત્યારે તેમને ‘કેઇઝર વિલ્હેમ સોસાયટી’(પછીથી મેક્સ પ્લેન્ક સોસાયટી ફોર ધ એડવાન્સમેન્ટ ઑફ સાયન્સ)ના પ્રમુખ બનાવ્યા. આ ઉપરાંત 1966માં તેમને લીઝ મેટનર અને સ્ટ્રાસમૅન સાથે એનરિકો ફર્મી ઍવૉર્ડ પણ એનાયત થયો.

Categories
વાચન સમૃદ્ધિ

જોસેફ નાઇસફોર નીસ

જ. 7 માર્ચ, 1765 અ. 3 જુલાઈ, 1833

છબીકલાના અગ્રણી ફ્રેન્ચ સંશોધક જોસેફ નાઇસફોર નીસનો જન્મ ફ્રાંસના સાધનસંપન્ન કુટુંબમાં થયો હતો. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ કલૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય વાયુના મિશ્રણથી આંતરિક દહનથી ચાલતું એન્જિન બનાવ્યું. તેનું નામ પાયરેલોફેર આપ્યું. ઉપરાંત તેમણે પિસ્ટન અને સિલિંડરની રચનાની શોધ કરી. 1813માં તે વખતની છાપકામની નવી નવી ટૅકનિક અંગેના પ્રયોગોમાં તે વ્યસ્ત થઈ ગયા. કોઈ પણ લખાણનું સ્વયં બિંબ મળી આવે તે શોધી કાઢવા તેમણે અનેક પ્રયોગો કર્યા. તેમણે મિશ્ર ધાતુના પતરા ઉપર હળવા છતાં પ્રકાશગ્રાહી પદાર્થોનું અસ્તર ચડાવી તે ઉપર કોતરાયેલા અક્ષરોની પ્રતિકૃતિ તડકામાં ઊપસી આવે તેમ કર્યું. 1816ના એપ્રિલમાં ફોટોગ્રાફી માટે નવા પ્રયોગો કરી હીલિયોગ્રાફીની શોધ કરી. આ એક પ્રકારના કૅમેરા સાથેનું સાધન હતું. પછી તો ફોટો પાડવા માટે પ્રકાશની તત્કાળ અસર ઝીલનારો કાગળ બનાવવા અને પ્રકાશની મદદથી તેના પર કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ અંકિત થાય તે માટે ભિન્ન ભિન્ન પદાર્થો પર તેમણે અનેક પ્રયોગો કર્યા. 1822માં તેમને આ પ્રયોગમાં સફળતા મળી. 1826માં કૅમેરાનો ઉપયોગ કરી પોતાની પ્રયોગશાળામાં બારી બહાર દેખાતા એક દૃશ્યને પ્યૂટર પ્લૅટ પર આબેહૂબ ઝીલ્યું. આમાંથી કોતરેલા પતરા કે શિલા પરથી આકૃતિને છાપવાની કલા વિકસતી ગઈ. આમ નીચે પ્રાકૃતિક દૃશ્યોને પ્રકાશની મદદથી હૂબહૂ પ્રતિબિંબિત કરી બતાવ્યાં; એટલું જ નહિ, પરંતુ સાથે સાથે સ્વયંસંચાલિત કાગળ પર ફરી વાર નીપજતાં પ્રતિબિંબની શોધ પણ કરી. જોકે પોતાની શોધખોળ સંપૂર્ણ સિદ્ધિને વરે તે પહેલાં નીસનું અવસાન થયું. પરંતુ તેમણે કરેલા પ્રયોગો વધુ ઊંડાણપૂર્વક ચાલુ રાખતાં ડેગ્વેર કાળક્રમે સફળ થયા. તેમણે પ્રતિબિંબને ઝીલવા માટેનો સમય અતિશય ટૂંકાવી નાખ્યો. આમ હીલિયોગ્રાફીની શોધના મૂળ જનક નીસ ગણાય છે. જોકે નીસનું નમ પશ્ચાદ્ભૂમિમાં ઠેલાઈ ગયું છે અને ડેગ્વેરનું નામ મોખરે રહ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

માઇકેલૅન્જેલો

જ. 6 માર્ચ, 1475 અ. 18 ફેબ્રુઆરી, 1564

યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. તેમનું સ્થાન રેનેસાં કાળના કલાના ટોચના ત્રણ કલાકારોમાં – લિયૉનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે છે. તેમના પિતાનું નામ લોદોવિકો દ લિયૉનાર્દો બઓનરાતી સિમોની અને માતાનું નામ ફાન્ચેસકા હતું. તેઓ જ્યાં જન્મ્યા એ નગરનું નામ બદલીને હવે ‘કૅપ્રિસ માઇકેલૅન્જો’ કરવામાં આવ્યું છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા. ઈ. સ. 1475માં તેઓ ફ્લૉરેન્સમાં વસ્યા હતા. ઈ. સ. 1488માં તેઓ ચિત્રકાર ડોમેનિકો ઘીર્લાન્દાયોના શિષ્ય બન્યા, પરંતુ શિલ્પ પ્રત્યેના લગાવને કારણે તેઓ શિલ્પી બૅર્ટોલ્દો દ જિયોવાનીના શિષ્ય બન્યા. તેઓ ફ્લૉરેન્સના ધનાઢ્ય મૅડિચી કુટુંબના ઘરમાં જ રહ્યા. ‘મેડોના ઑવ્ ધ સ્ટેર્સ’ અને ‘બેટલ ઑવ્ ધ સેન્ટૉર્સ’ નામનાં શિલ્પો આ સમયની તેમની મહત્ત્વની કૃતિઓ ગણાય છે. તેમનાં બીજાં અગત્યનાં શિલ્પોમાં ‘સ્લીપિંગ ક્યૂપિડ’, ‘પિપેતા’, ‘ડેવિડ’ વગેરે છે. રોમમાં સિસ્ટાઇન ચેપલની છત ચીતરવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો. આ કામ તેઓએ એકલે હાથે ચાર વર્ષે પૂરું કર્યું. તેઓ લશ્કરના મૅજિસ્ટ્રેટ તથા ફ્લૉરેન્સના ગવર્નર નિમાયા. 1535ની સાલમાં તેઓને રોમના પોપ ત્રીજાએ વૅટિકેનના સત્તાવાર શિલ્પી, ચિત્રકાર અને સ્થપતિ તરીકે નીમ્યા. તેમણે ચેપલની છત ઉપર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ (ફ્રેસ્કો) ચીતર્યું. જીવનના અંતકાળમાં સ્થાપત્ય તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું. જીવનના અંતકાળે શિલ્પો ‘ડિસેન્ટ ફ્રોમ ધ ક્રૉસ’, ‘પેલેસ્ટ્રિના પિયેતા’ અને ‘રોન્દેનિની પિયત’ શિલ્પ ખૂબ ધ્યાનાકર્ષક બન્યાં છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમનાં કાવ્યો ‘આધ્યાત્મિક આત્મકથા’ના નામે પ્રસિદ્ધિ પામ્યાં છે.