Categories
વાચન સમૃદ્ધિ

હરિવંશરાય બચ્ચન

જ. 27 નવેમ્બર, 1907 અ. 18 જાન્યુઆરી, 2003

હરિવંશરાય બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમજ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. તેમનો જન્મ અલાહાબાદ પાસે પ્રતાપગઢ જિલ્લામાં એક નાના ગામ બાબૂપટ્ટીમાં થયેલો. તેમનું મૂળ નામ હરિવંશરાય શ્રીવાસ્તવ. તેઓનો જન્મ કાયસ્થ પરિવારમાં થયેલો. તેમને બાળપણમાં ‘બચ્ચન’ (જેનો અર્થ બાળક કે સંતાન) કહેવામાં આવતા. આ શબ્દ તેમણે પોતાના તખલ્લુસ તરીકે રાખ્યો. વળી મોટા પુત્ર અમિતાભના શાળાપ્રવેશ સમયે તેમણે પોતાની જ્ઞાતિ ન જણાવવા આ ‘બચ્ચન’ શબ્દને અટક તરીકે જ રાખ્યો. આરંભમાં તેમણે કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂનું શિક્ષણ લીધું, પછી પ્રયાગ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને ત્યારબાદ સેંટ કૈથરીન કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજ કવિ ડબલ્યુ. બી. યેટ્સ પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા અને ત્યારપછી થોડો સમય આકાશવાણીમાં કાર્ય કરી પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના વિશેષજ્ઞ તરીકે દિલ્હીમાં રહ્યા. તેઓ હિન્દુસ્તાની અને અવધી ભાષામાં પણ પારંગત હતા. 1935માં ‘તેરા હારા’ તેમનું પ્રથમ પ્રકાશન હતું પણ તેમને ‘મધુશાલા’ની રચનાઓને કારણે અગ્રસ્થાન મળ્યું. 1936માં તેમણે ‘મધુબાલા’ તથા 1937માં ‘મધુકલશ’ના કવિતાસંગ્રહ બહાર પાડ્યા. તેમની રચનાઓમાં ઉમર ખય્યામની રુબાયતોનો પ્રભાવ જોવા મળે છે. ‘નિશા નિમંત્રણ’ (1938) અને ‘એકાન્ત સંગીત’ (1937) નામના કાવ્યસંગ્રહોમાં તેમની ઉત્કૃષ્ટ રચનાઓ છે. ‘આકુલ અંતર’ (1943), ‘સતરંગિની’ (1945), ‘હલાહલ’ (1946) અને ‘મિલનયામિની’(1950)માં તેમનાં યુગલક્ષી સુંદર ગીતો સંચિત થયેલાં છે. આ ઉપરાંત તેમના આત્મચરિત્ર ગ્રંથો જેમાં પ્રથમ ખંડ ‘ક્યા ભૂલું ક્યા યાદ કરું’(1960)માં પ્રથમ પત્નીના અવસાન સમયની વ્યથા-કથા, બીજા ખંડ ‘નીડર કા નિર્માણ’ (1970), ત્રીજા ખંડ ‘બસૈર સે દૂર’(1977)માં દેશ-નગર-પરિવારથી દૂર કેમ્બ્રિજમાં સંશોધન અને ચોથા ખંડ ‘દશદ્વાર અને સોપાન’માં અનેક રોચક વર્ણનો છે. આ ઉપરાંત ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબૅથ’ વગેરેના અનુવાદો પણ કર્યા છે. તેઓ 1952થી અલાહાબાદ રાજ્યસભાના મનોનીત સભ્ય હતા અને તેમણે સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે આપેલા પ્રદાન માટે અનેક સન્માન પણ આપવામાં આવેલાં જેમાં 1976માં ‘પદ્મભૂષણ’ પારિતોષિક ખાસ ઉલ્લેખનીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી

જ. 26 નવેમ્બર, 1825 અ. 14 નવેમ્બર, 1892

ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ તરીકે જાણીતા વ્રજલાલ શાસ્ત્રીનો જન્મ સોજીત્રા તાલુકાના મલાતજ ગામના સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મલાતજમાં જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત કવિતા અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. વ્યાકરણની સાથોસાથ તેમણે સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદસ્થિત જૈન મંદિર ખાતે સંસ્કૃત શીખવ્યું હતું. જૈન ધાર્મિક પુસ્તકોના અભ્યાસને કારણે તેઓ પ્રાકૃત, પાલિ, અપભ્રંશ અને અર્ધમાગધી ભાષાથી પરિચિત થયા હતા. જે પરથી તેમણે ગુજરાતી ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો લખ્યાં હતાં. વ્રજલાલ શાસ્ત્રીએ 1865માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ધર્મસભા સાથે કામ કર્યું હતું અને તેમના બે જર્નલ ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ધર્મપ્રકાશ’નું સંપાદન કર્યું હતું. સંશોધનકાર અને વિદ્વાન તરીકે તેમની પચીસ વર્ષની લાંબી કારકિર્દી હતી. 1876માં વર્નાક્યુલર કૉલેજ ઑફ સાયન્સમાં જોડાયા હતા અને 1879માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. વિદ્વાન સંશોધક અને લેખક વ્રજલાલ શાસ્ત્રી પાસેથી આપણને પંદર ગ્રંથો પ્રાપ્ત થયા છે – જેમાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (1866), ‘ઉત્સર્ગમાલા’ (1870), ‘ધાતુસંગ્રહ’ (1870), ‘હિતોપદેશ શબ્દાર્થ’ (1870), વૈશેષિક તર્કસાર’ (1878), ‘ગુર્જર ભાષાપ્રકાશ’ (1892) અને ‘ઉક્તિસંગ્રહ’ ખાસ ઉલ્લેખનીય છે. ‘નાગરોત્પત્તિ’, ‘ભક્તિભાસ્કર’ તેમના પ્રકીર્ણ ગ્રંથો છે. ‘યાજ્ઞવલ્ક્યચરિત’ ગુજરાતીમાં એ પ્રકારનું પ્રથમ ચરિત્ર છે. ‘બ્રહ્મસૂત્રાર્થપ્રકાશ’, ‘મુક્તામાળા’ અને ‘રસગંગા’ 1934માં પ્રકાશિત થયેલાં મરણોત્તર પ્રકાશન છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાધુ વાસવાણી

જ. 25 નવેમ્બર, 1879 અ. 16 જાન્યુઆરી, 1966

ભારતીય શિક્ષણવિદ, સ્વાતંત્ર્યતાસેનાની અને શિક્ષણક્ષેત્રે મીરાં આંદોલનના પ્રણેતા સાધુ વાસવાણીનું મૂળ નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. પોતાની અંદર વિકસિત થઈ રહેલ આધ્યાત્મિક શક્તિને બાળક વાસવાણીએ બચપણથી જ જાણી લીધી હતી. તેથી તેઓ સાંસારિક બંધનોને છોડીને ભગવત ભક્તિમાં પ્રવૃત્ત થવા માગતા હતા, પરંતુ તેમનાં માતાની ઇચ્છા હતી કે પુત્ર ગૃહસ્થાશ્રમ અપનાવી પરિવારમાં જ રહે, પોતાની માતાના આગ્રહને વશ થઈ તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1902માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ સાધુ વાસવાણીએ વિવિધ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ટી. જી. કૉલેજમાં અધ્યાપક તરીકે નિયુક્તિ પામ્યા હતા. લાહોરની દયાલસિંહ કૉલેજ, કૂચ બિહારની વિક્ટોરિયા કૉલેજ અને કૉલકાતાની મેટ્રોપોલિટન કૉલેજમાં ભણાવ્યા બાદ 1916માં તેઓ પટિયાળાની મહેન્દ્ર કૉલેજના આચાર્ય બન્યા હતા. સાધુ વાસવાણીએ જીવહત્યા અટકાવવા માટે જીવનપર્યંત પ્રયત્નો કર્યા હતા. સમસ્ત જીવોને તેઓ એકસમાન માનતા હતા. જીવહત્યા રોકવા માટે પોતાનું મસ્તક કપાવવા પણ તેઓ તૈયાર હતા. માત્ર જીવજંતુ જ નહિ, પરંતુ વનસ્પતિમાં પણ પ્રાણ હોય છે તેવો તેમનો મત હતો. યુવાનોને સારું શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરવામાં તેમને ખૂબ રસ હતો. તેઓ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક સહિષ્ણુતા અને એકતાના  પ્રખર હિમાયતી હતા. 30 વર્ષની વયે સાધુ વાસવાણી ભારતના પ્રતિનિધિ તરીકે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે બર્લિન ગયા હતા. ત્યાં પોતાનું અસરકારક ભાષણ કર્યા બાદ તેઓ સમગ્ર યુરોપમાં ધર્મનો પ્રચાર કરવા માટે ગયા હતા. પ્રભાવશાળી વક્તા હોવાથી ભારતના વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ કરીને તેમણે લોકોને ભારતીય સંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવ્યો હતો. બંગાળના ભાગલા વખતે સાધુ વાસવાણીએ સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને રાજનીતિમાં પણ પ્રવેશ કર્યો હતો. ગાંધીજીની સાથે રહી સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ જોડાયા હતા. તેઓ ખેડૂતોના હિતરક્ષક અને આધુનિક ખેતીના હિમાયતી હતા.