Categories
વાચન સમૃદ્ધિ

હર્બર્ટ સટક્લિફ

જ. 24 નવેમ્બર, 1894 અ. 22 જાન્યુઆરી, 1978

ઇંગ્લૅન્ડની યોર્કશાયર કાઉન્ટી તરફથી અને ઇંગ્લૅન્ડ તરફથી પ્રૉફેશનલ ક્રિકેટર તરીકે હર્બર્ટ સટક્લિફે 54 ટેસ્ટમાં 60 રનની સરેરાશથી 4555માં રન કર્યા હતા અને પ્રથમ કક્ષાની 754 મૅચમાં 52 રનની સરેરાશથી 50670 રન કર્યા હતા. ટેસ્ટમૅચ ક્રિકેટમાં 16 સદી કરનારા એ પ્રથમ ખેલાડી હતા અને હર્બર્ટ સટક્લિફ અને જેક હોબ્સની ઓપનિંગ જોડી અત્યંત વિખ્યાત બની હતી અને ક્રિકેટજગતની એ એક અત્યંત સમર્થ ઓપનિંગ જોડી ગણાતી હતી. પોતાની એકાગ્રતા અને દૃઢતાથી જમોડી બૅટ્સમૅન હર્બર્ટ સટક્લિફ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની ટીમને માટે મહત્ત્વની રમત ખેલતો હતો. એમના સમયગાળા દરમિયાન યોર્કશાયરે બાર વખત કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં વિજય મેળવ્યો અને આજે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના હેડિંગ્લેનાં મેદાન પર બે ગેટને હર્બર્ટ સટક્લિફનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આઈ.સી.સી. ક્રિકેટ હૉલ ઑફ ફેમમાં પણ હર્બર્ટ સટક્લિફને સ્થાન મળ્યું છે. આઠ વર્ષની વયથી જ ક્રિકેટની રમતને ગંભીરપણે ખેલતા હર્બર્ટ સટક્લિફ સતત પોતાની બૅટિંગ કલામાં વિકાસ સાધતા રહ્યા. તેરમા વર્ષે 1908માં નિશાળ છોડીને બૂટ કંપનીમાં ક્લિકર તરીકે જોડાયા. એમની ક્રિકેટ કામયાબીને લીધે એમને સ્થાનિક કાપડની મિલે કારકુન તરીકે રાખ્યા, જ્યાં એ હિસાબ-કિતાબ સંભાળતા હતા અને એમાંથી અંતે એ સફળ વેપારી બન્યા. એમણે યોર્કશાયર તરફથી ઇસેક્સની ટીમ સામે 313 રનનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો અને પહેલી વિકેટની ભાગીદારીમાં પર્સી હોમ્સ સાથે 555 રનનો એ સમયે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. નિવૃત્ત થયા પછી યોર્કશાયરની ક્લબ કમિટીમાં 21 વર્ષ સુધી કામ કરનાર હર્બર્ટ સટક્લિફે ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના સિલેક્ટર તરીકે પણ સેવા આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

સરલા બિરલા

જ. 23 નવેમ્બર, 1924 અ. 28 માર્ચ, 2015

શિક્ષણ, કલા અને સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવતાં ઉદ્યોગપતિ બિરલા પરિવારનાં માતુશ્રી સરલા બિરલાનો જન્મ રાજસ્થાનના કુચામનમાં થયો હતો. પિતા બ્રિજલાલ ગાંધીવાદી કાર્યકર અને સ્વતંત્રતાસેનાની હતા. સરલાનું બાળપણ મહારાષ્ટ્રના અકોલામાં વીત્યું. તેમણે અકોલાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કર્યો. એપ્રિલ, 1941માં જમનાલાલ બજાજ અને ગાંધીજીએ બસંતકુમાર સાથે પરિચય કરાવ્યો. તેમણે બસંતકુમાર બિરલા સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી તેમણે પતિની સાથે વ્યવસાયમાં ધ્યાન આપ્યું. તેમણે બિરલા પરિવારના વ્યવસાયમાં વિસ્તરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમણે શિક્ષણ, કલા અને ભારતીય સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું. તેઓ માનતાં હતાં કે શિક્ષણ એ સમાજમાં પરિવર્તન માટે અને મહિલાઓની સ્થિતિ સુધારવા માટેનો અસરકારક માર્ગ છે. આથી તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ થાય એ માટે 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં ફાળો આપ્યો. તેમણે અને તેમના પતિએ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ સાયન્સ (BITS), બી. કે. બિરલા કૉલેજ ઑફ આર્ટસ, સાયન્સ ઍન્ડ કૉમર્સ, બી. કે. બિરલા પબ્લિક સ્કૂલ, મહાદેવી બિરલા વર્લ્ડ એકૅડેમી, મહાદેવી બિરલા શિશુવિહાર, બિરલા એકૅડેમી ઑફ આર્ટ ઍન્ડ કલ્ચર, સંગીત કલામંદિર, બિરલા વિદ્યાનિકેતન વગેરે સંસ્થાઓની મુંબઈ, કૉલકાતા અને દિલ્હીમાં સ્થાપના કરી. તેઓ કલા અને સંસ્કૃતિપ્રેમી હતાં. તેમનામાં વ્યાવસાયિક સૂઝ હતી. તેઓ સંસ્થામાં કામ કરતા લોકોની પરિવારનાં વડાંની જેમ કાળજી રાખતાં. તેઓ મરાઠી, હિન્દી અને અંગ્રેજી જાણતાં હતાં. મોટી ઉંમરે ફ્રેન્ચ શીખવાનું શરૂ કર્યું હતું. જી. ડી. બિરલાની 121મી જયંતી નિમિત્તે દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગયા ત્યારે એક નાના અકસ્માતમાં ઘાયલ થયાં અને હૃદયરોગને કારણે તેમનું અવસાન થયું. તેમણે આજીવન કરેલાં સામાજિક કાર્યો બદલ ભારત સરકારે 1990માં પદ્મભૂષણથી તેમને સન્માનિત કર્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

સૈયદ સુલેમાન નદવી

જ. 22 નવેમ્બર, 1884 અ. 22 નવેમ્બર, 1953

સૈયદ સુલેમાન નદવીનો જન્મ બિહારમાં આવેલા નાલંદા જિલ્લાના દેસના નામના ગામમાં થયો હતો. તેઓ દક્ષિણ એશિયાના ઇતિહાસકાર, લેખક અને ઇસ્લામના વિદ્વાન હતા. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તેઓ 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર થયા. મૌલાના શિબ્લીએ તેમને મદરેસામાંથી પ્રસિદ્ધ થતા સામયિકના સહતંત્રી બનાવીને ધાર્મિક તથા વિવિધ સાહિત્યના સંપાદનની જવાબદારી સોંપી. તેઓ કૉલકાતાથી પ્રસિદ્ધ થતા મૌલાના અબુલ કલામ આઝાદના ખ્યાતનામ અખબાર ‘અલ-હિલાલ’ના સંપાદકમંડળમાં જોડાયા. મૌલાના શિબ્લી નોંમાનીએ 1914માં આઝામગઢ ખાતે દારુલ મુસન્નિફીનના નામે એક સંસ્થા ઊભી કરી. તેનો આશય વિદ્વાન લેખકો-સંશોધકો વગેરેને પ્રોત્સાહન આપવાનો હતો. સૈયદ સુલેમાન પોતાના ઉસ્તાદના આગ્રહથી આઝમગઢ આવ્યા અને સંસ્થાની જવાબદારી સંભાળી લીધી. તેના સર્વાંગી વિકાસમાં તેઓ તનમનથી પરોવાઈ ગયા. તેમની અંતિમ અને સર્વોત્તમ રચના ‘સીરતુન્નબી’ છે. તેના ફક્ત બે ભાગ છપાયા પછી તબિયતના કારણે પથારીવશ થયા. એ પુસ્તકનું કામ પૂરું કરવા તેઓ ખૂબ ચિંતિત હતા, પણ તે પુસ્તક તેઓ પૂરું કરી શક્યા નહિ. પરંતુ કુદરતે સૈયદ સુલેમાનને જશ આપ્યો કારણ કે તેમણે પોતાના ઉસ્તાદના આ ભગીરથ કાર્યને પૂરેપૂરા ન્યાય સાથે બીજા પાંચ ભાગમાં પૂરું કર્યું. આજે આ ખ્યાતનામ ગ્રંથની ભારત-પાકિસ્તાનમાં અનેક આવૃત્તિઓ થયેલી છે અને અરબી તથા અંગ્રેજી ભાષામાં તેનો અનુવાદ પણ થયો છે. તેમનાં અનેક પુસ્તકોમાં ઉમર-ખય્યામ ઉપરનો તેમનો ગ્રંથ ‘ખય્યામ’ ખૂબ મહત્ત્વનો લેખાય છે. ભાષાવિજ્ઞાન અને ભાષાના ઇતિહાસ ઉપર તેમના અનેક નિબંધો છપાયા છે. ‘નુકૂશે સુલેમાની’ નામનો ગ્રંથ આજેય ઘણાં વિશ્વવિદ્યાલયોના ઉર્દૂના અભ્યાસક્રમોમાં સામેલ છે. 1940માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને માનદ ડી.લિટ્.ની પદવી એનાયત કરી હતી.