Categories
વાચન સમૃદ્ધિ

પ્રબોધ બેચરદાસ પંડિત

જ. ૨૩ જૂન, ૧૯૨૩ અ. ૨૮ નવેમ્બર, ૧૯૭૫

જાણીતા ભાષાવિજ્ઞાની. ભાવનગર જિલ્લાના વળા ગામમાં તેમનો જન્મ. તેમણે અમદાવાદ અને અમરેલીમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૩૯માં મૅટ્રિક થયા. ૧૯૪૨ની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને છ મહિના જેલવાસ પણ ભોગવ્યો હતો. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા વિષયો સાથે ૧૯૪૪માં બી.એ. થયા. ૧૯૪૬માં સંસ્કૃત અને ભાષાશાસ્ત્રના વિષય સાથે ભારતીય વિદ્યાભવનમાંથી એમ.એ. થયા. વધુ અભ્યાસ માટે લંડન ગયા અને સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં જોડાયા. ‘ષડાવશ્યક બાલાવબોધ વૃત્તિ’ ઉપર રાલ્ફ લિલી ટર્નરના માર્ગદર્શન હેઠળ સંશોધન કરીને ૧૯૫૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ભાષાશાસ્ત્રમાં રુચિ કેળવાતી ગઈ. જુલ્સ બ્લોચના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી વિવિધ ભારતીય બોલીઓનો અભ્યાસ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. તેમની શૈક્ષણિક કારકિર્દી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક, પુણેની ડેક્કન કૉલેજમાં પણ અધ્યાપન કરાવ્યું. દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભાષાશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. વિદેશમાં પણ અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે રહ્યા અને ત્યાં પણ ભાષાશાસ્ત્રવિષયક અધ્યાપન કરાવ્યું. ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર પ્રબોધભાઈ પંડિતે ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬), ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩), ‘પંચરંગ સમાજમાં ભાષા’ (૧૯૮૩) વગેરે ભાષાવિજ્ઞાનને લગતા મહત્ત્વના ગ્રંથો આપ્યા છે. તેમનું પુસ્તક ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ને ૧૯૬૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્રમાં યોગદાન આપવા માટે ૧૯૭૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

રામપ્રસાદ મોહનલાલ શુક્લ

જ. ૨૨ જૂન, ૧૯૦૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૯૬

કવિ અને વિવેચક તરીકે પ્રસિદ્ધિ પામેલા રામપ્રસાદ શુક્લનું મૂળ નામ રતિલાલ હતું અને ચૂડામાં તેમનો જન્મ થયેલો. તેમનું વતન તો વઢવાણ પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધેલું. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત મુખ્ય વિષય સાથે ૧૯૨૮માં બી.એ. થયા અને પછી લાંબા સમય બાદ ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ. થયા. આરંભમાં સી. એન. વિદ્યાલયમાં શિક્ષક પછી અમદાવાદની એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક થયેલા. ૧૯૬૩થી ૧૯૭૩ સુધી ખંભાતની કૉલેજમાં આચાર્ય રહ્યા અને ૧૯૭૩માં નિવૃત્ત થયા. તે પછી અમદાવાદની મહિલા કૉલેજમાં આચાર્ય તરીકે કામગીરી બજાવેલી. ૬૦ સૉનેટનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘બિન્દુ’ (૧૯૪૩) બચુભાઈ રાવતની માવજત પામીને પ્રગટ થયો હતો. એમાં ‘વિનાશ અને વિકાસ’નાં ૨૫ સૉનેટના ગુચ્છમાં વિશ્વયુદ્ધની ભીષણતા પછીની પ્રફુલ્લતાનું આલેખન કવિના ચિંતક અને કવિ તરીકેના ભાવજગતને વ્યક્ત કરે છે. સંસ્કૃત વૃત્તોનો લયહિલ્લોળ, સહજ પ્રાસાનુપ્રાસ, તાજગીસભર અલંકારો તેમ જ સૉનેટના સ્વરૂપ અપેક્ષિત ભાવવળાંકોથી આ સૉનેટો કલાત્મક થયાં છે. ઘણા લાંબા સમયના અંતરાલ બાદ તેમની ૮૩ વર્ષની વયે ૧૯૯૩માં તેમની પાસેથી ‘સમય નજરાયો’ કાવ્યસંગ્રહ મળે છે. તેમાં પણ ‘સ્મૃતિ’ અને ‘સંસ્કૃતિ’ નામક બે સૉનેટગુચ્છો છે. આ ઉપરાંત તેમાં ગીત, ગઝલ, ભજન, રાસ, મુક્તક તેમ જ કેટલીક દીર્ઘરચનાઓ છે. નિરંજન ભગતે તેમની કવિતાને ‘બુદ્ધિપૂત ઊર્મિની કવિતા’ કહી છે. ‘સરિતાઓના સાન્નિધ્યમાં’ (૧૯૯૩) એ તેમની નદીઓની પદયાત્રાને આલેખતા નિબંધોનો સંગ્રહ છે. કવિ અને પ્રવાસવર્ણનના લેખક ઉપરાંત તેઓ વિદ્વાન વિવેચક તરીકે પ્રતિષ્ઠિત છે. તેમની પાસેથી ૧૯૪૭ અને ૧૯૪૮ની ગુજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ થતી વાર્ષિક ગ્રંથસમીક્ષાઓ મળી છે. જેમાં તેમનું વિવેચક પાસું વ્યક્ત થયું છે. ‘આપણું સાહિત્ય’ નામે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનનું (અન્ય સાથે) પુસ્તક પણ મળે છે. તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ (મરણોત્તર) પ્રાપ્ત થયો હતો. અમદાવાદમાં તેમનું અવસાન થયેલું.

Categories
વાચન સમૃદ્ધિ

બી. જી. વર્ગીસ

જ. ૨૧ જૂન, ૧૯૨૭ અ. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય પત્રકારત્વને નવી દિશા આપનાર વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગીસનું પૂરું નામ બૂબલી જ્યૉર્જ વર્ગીસ હતું. પિતા જ્યૉર્જ અને માતા અન્ના. વતન કેરળ રાજ્યનું તિરુવલ્લા ગામ અને જન્મ બર્માના મેમ્યોમાં. ધ દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો. દૂનમાં હતા ત્યારે ‘ધ દૂન સ્કૂલ વીકલી’નું સંપાદન કર્યું. ૧૯૪૮માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા. પછી કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે પત્રકારત્વક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૪૮થી ૧૯૬૬ સુધી ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કામ કર્યું. ૧૯૬૬થી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના માહિતીસલાહકાર અને ભાષણલેખક હતા. એ સમયે રોટરી ક્લબ ઑવ્ બૉમ્બે નૉર્થે તેમને વર્ષના શ્રેષ્ઠ પત્રકાર તરીકે સન્માનિત કર્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૫ સુધી ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી તરીકે કાર્ય કર્યું. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીની ટીકા કરવા બદલ તેમને તંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૭૭થી ૧૯૮૨ સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ફેલો હતા. તેમણે ‘વૉલન્ટરી ઍક્શન’ના તંત્રી તરીકે સફળ કામગીરી બજાવી હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી રહ્યા. તેઓ સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ, નવી દિલ્હીમાં પ્રાધ્યાપક હતા. તેમણે ૧૯૭૭માં કેરળના માવેલિક્કારાથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. તેઓ કારગીલ સમીક્ષા સમિતિના તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય પણ હતા. ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણો થયાં પછી તેઓ એડિટર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા ફેક્ટ ફાઇન્ડિંગ મિશનમાં હતા. દેશની નદીઓના આંતર-જોડાણ માટેના ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે અને નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના પર્યાવરણીય પેટા જૂથના સભ્ય તરીકે તેમણે કામ કર્યું હતું. ૧૯૭૮થી ૧૯૮૧ સુધી તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન, અમદાવાદના અધ્યક્ષ હતા. તેમણે રાષ્ટ્રકુળ માનવઅધિકાર પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. ‘વૉટર્સ ઑવ્ હોપ’ (૧૯૯૦), ‘વિનિંગ ધ ફ્યુચર’ (૧૯૯૪), ‘ડિઝાઇન ફોર ટુમોરો’ (૧૯૬૫) વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાનું જીવનચરિત્ર ‘વોરિયર ઑવ્ ધ ફોર્થ એસ્ટેટ’ લખ્યું છે. ‘ફર્સ્ટ ડ્રાફ્ટ : વિટનેસ ટુ મેકિંગ ઑવ્ મૉડર્ન ઇન્ડિયા’ તેમની આત્મકથા છે. ૧૯૭૫માં પત્રકારત્વક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને રેમન મૅગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.