Categories
વાચન સમૃદ્ધિ

સબમરીન

સામાન્ય રીતે દરિયામાં પાણીની સપાટી નીચે લાંબો સમય પ્રવાસ કરી શકે તેવી યાંત્રિક નૌકા.

સબમરીન પાણીની સપાટી ઉપર તેમ જ પાણીની સપાટી હેઠળ પણ ચાલી શકે છે. સબમરીન જેવા વાહનની શોધ ૧૭મી સદીની શરૂઆતમાં થઈ હતી; પરંતુ ૧૯મી સદીમાં બે અમેરિકન સંશોધકો જૉન. પી. હૉલંડ અને સાયમન લેકને સબમરીન બાંધવામાં સફળતા મળી. તેમાં આંતરદહન એન્જિનો અને બૅટરીનો સહિયારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સબમરીનોએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. અનેક ઉતારુ-જહાજો તથા લશ્કરી જહાજોને ડુબાડી દઈ આ સબમરીનોએ આતંક મચાવ્યો હતો.

સબમરીન જહાજના આકારની મોટી હવાચુસ્ત પેટી જેવી હોય છે. દરિયાના તળિયે પાણીનું પ્રચંડ દબાણ સહન કરવા માટે તેની સપાટી ધાતુની બનેલી મજબૂત હોય છે.  સબમરીન પેટ્રોલ, ડીઝલ જેવાં બળતણથી કે અણુશક્તિ(ન્યૂક્લિયર પાવર-ઊર્જા)થી ચાલે છે. તેમાં હવા ભરેલી ખાલી ચેમ્બરો હોય છે. આ ચેમ્બરો ખાલી હોય ત્યારે તે સપાટી પર રહે છે. આ ચેમ્બરોમાં પાણી ભરાય ત્યારે તેનું વજન વધે છે અને પાણીમાં નીચે જતી રહે છે. માછલીની ઝાલર જેવા તેના ‘હાઇડ્રૉપ્લેઇન્સ’ સબમરીન ડૂબે કે ઉપર આવે ત્યારે તેનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. સબમરીન હજારો નાના-મોટા પુરજાઓનું બનેલું અતિ સંકુલ વાહન છે. તેની રચના અને કામગીરી અટપટી હોય છે. અણુશક્તિ-સંચાલિત સબમરીન તો પાણીની સપાટી પર આવ્યા વિના નીચે રહીને સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે છે. સબમરીનનો મુખ્ય ઉપયોગ યુદ્ધમાં થાય છે. દરિયાના તળિયે સંશોધનો કરવા માટે પણ તે ઉપયોગી છે. આધુનિક સબમરીનો મહાવિનાશક અણુ-પ્રક્ષેપાસ્ત્રોથી સજ્જ હોય છે. આ સબમરીનો દિશા નક્કી કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. સબમરીનને ઘણા લોકો ‘પાતાળપરી’ તરીકે ઓળખે છે. જોકે આ પરી એક એવું ઘાતક વાહન છે, જે દુશ્મન માટે ભયાનક દુ:સ્વપ્ન લાવી શકે. મહિના– બે મહિના સુધી અંધારિયા દરિયે લપાતી-છુપાતી, એક જ ઠેકાણે અડિંગો જમાવીને બેઠેલી સબમરીનની ભાળ મેળવવી મુશ્કેલ હોય છે. જોકે આવી સબમરીન એની આસપાસ કે ઉપરના પાણીમાંથી પસાર થતાં જહાજોના સગડ બરાબર પારખી શકે છે. વિશ્વના વિકસિત દેશો પાસે જે સબમરીનો છે તેમની સરખામણીમાં ભારત પાસેની સબમરીનોની સંખ્યા, તેમનું કદ અને સંહારક શક્તિ વામણાં જ લાગે. જોકે ૨૦૧૨માં ભારતે રશિયા પાસેથી નવી ન્યૂક્લિયર સબમરીન ‘ચક્ર’ મેળવી છે. વળી સ્વદેશી બનાવટની એક ન્યૂક્લિયર સબમરીન ‘અરિહંત’ પણ તૈયાર થઈ ગઈ છે, જે પરંપરાગત સબમરીન કરતાં લાંબો સમય પાણીમાં રહી શકે છે. આમ ભારતના વિશાળ સાગરકિનારાનું રક્ષણ કરવા માટે બે અણુ-સબમરીનો નૌકાદળના કાફલામાં જોડાઈ છે. દુનિયાના કોઈ પણ સંરક્ષણદળમાં સૌથી છૂપી ખુફિયા કામગીરી સબમરીન બજાવે છે. દુશ્મન જહાજો કે એમના જાસૂસી ઉપગ્રહોની નજરથી બચવા દિવસો સુધી ઊંડા પાણીમાં રહેતી અને દેશની જળસીમાનું ધ્યાન રાખતી આ સબમરીનોમાં ક્યારેક અકસ્માતો પણ સર્જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સબમરીન, પૃ. ૧૬)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જિયોલૉજિકલ સર્વે ઑફ

ઇન્ડિયા ================================

ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના ૧૮૫૧માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા ભાગના સખત ખડક પ્રદેશ (hard rock terrain)ના ૬૮,૦૦૦ કિમી. જેટલા વિસ્તારના નકશા (mapping) તૈયાર કર્યા છે. ભૂસ્તરીય મોજણી દ્વારા તે સંસ્થા વિવિધ ખડકોની સ્તરરચના, સ્તરભંગ, ભૂગેડ, ખનિજ-ઉદભવસ્થાન અને ભૂપૃષ્ઠ-બંધારણનો અભ્યાસ કરે છે. હાલ તેના ઉપક્રમે કુદરતી વાયુ અને તેલ તેમજ પરમાણ્વીય ખનિજો સિવાયનાં ખનિજોનાં અન્વેષણ (exploration) અને મૂલ્યાંકન (evaluation), ભૂપ્રાવિધિક (geotechnical) અન્વેષણ તેમજ ભૂવિદ્યાઓ (earth sciences) અને સંબંધિત વિજ્ઞાનની અન્ય શાખાઓ; જેવી કે, ભૂકાલલેખન (geochron-ography), સ્તરવિજ્ઞાન (stratigraphy), જીવાવશેષશાસ્ત્ર (palaeontology), ખડકવિદ્યા (petrology), દૂરસંવેદન (remote sensing), ખનિજવિજ્ઞાન (mineralogy), ભૂરસાયણ (geochemistry), વૈશ્લેષિક રસાયણ અને ભૂભૌતિક વિજ્ઞાનમાં મૂળગત અને પ્રયુક્ત (applied) – એમ બંને પ્રકારનું સંશોધન ચાલી રહ્યું છે. તદુપરાંત તે ભૂતાપીય(geothermic) ક્ષેત્ર, હિમનદવિજ્ઞાન (glaciology), ભૂકંપશાસ્ત્ર (seismology), પ્રકાશ-ભૂસ્તરશાસ્ત્ર (photo-geology) વગેરેમાં પણ વિશિષ્ટ સંશોધન હાથ ધરી રહેલ છે. સંસ્થાની હૈદરાબાદ અને જયપુરસ્થિત પ્રયોગશાળાઓ ખનિજ પૃથક્કરણમાં કાર્યરત છે. આ ઉપરાંત તે વિવિધ ઇજનેરી પરિયોજનાઓમાં નિષ્ણાત તકનીકી સલાહનું પ્રદાન તેમજ ખનન, જમીન ઉપરાંત નદીઓ અને જંગલોના ઉપયોગ તથા રણનિયંત્રણ વગેરે સાથે સંબદ્ધ ભૂપર્યાવરણીય (geo-environmental) અભ્યાસના ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિશીલ છે. એન્ટાર્કટિકાનાં અભિયાનો(expeditions)માં પણ તે પ્રથમથી જ ભાગ લઈ રહેલ છે.

જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, કૉલકાતા

સંસ્થામાં કાર્ય કરતા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂવૈજ્ઞાનિકો, ખનિજ ઇજનેરો વગેરેની ભરતી કેન્દ્રીય સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોમાંથી કરવામાં આવે છે. સંસ્થાનું સંચાલન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિભાગોનાં વડાં મથકો અનુક્રમે લખનૌ, હૈદરાબાદ, રાયપુર અને જયપુર વચ્ચે વહેંચાયેલ છે. સંસ્થાનાં ૬ પ્રાદેશિક કાર્યાલયો, ૨૯ સર્કલ કાર્યાલયો અને ૨૫ જેટલી વિશિષ્ટ એજન્સીઓ છે. વિભાગોના કાર્યપાલકો તેમના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કેન્દ્રીય ભૂસ્તરીય પ્રોગ્રામિંગ બોર્ડની મંજૂરી અન્વયે રાષ્ટ્રીય અગ્રિમતા મુજબ ભૂસ્તરીય મોજણીની જુદી જુદી યોજનાઓ કાર્યાન્વિત કરે છે. ખાણ-મંત્રાલયની ખનિજ અંગેની સમિતિઓમાં આ સંસ્થાના પ્રતિનિધિ સદસ્ય હોય છે, જ્યારે રાજ્યસરકારના ભૂસ્તરીય કાર્યક્રમ અંગેના બોર્ડમાં જે તે વિભાગના વડા સદસ્ય તરીકે હોય છે. સંસ્થા દ્વારા તેની જુદી જુદી પ્રાદેશિક શાખાઓ કે પાંખો દ્વારા એકઠા કરાયેલા આંકડાઓ એકત્રિત કરી તેમનું સમાનુકરણ (collation) અને પ્રક્રમણ (processing) કર્યા બાદ તેમનું વિતરણ (dissemination) કરવામાં આવે છે. વૈજ્ઞાનિક માનવબળના વિકાસાર્થે સંસ્થા દ્વારા તાલીમ કાર્યક્રમો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. આમ તે ભારતીય સંસ્થાઓ તેમજ ESCAPના સભ્ય દેશોને મદદ કરી રહી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

જયંતીભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ

Categories
વાચન સમૃદ્ધિ

સફરજન

દ્વિદળી વર્ગમાં આવેલી ગુલાબના કુળની, મીઠાં ફળો આપતી વનસ્પતિ.

સફરજનનાં વૃક્ષો યુરોપ, યુ.એસ.એ., જાપાન, ઑસ્ટ્રેલિયા તથા એશિયાના ઠંડા પહાડી પ્રદેશોમાં ઊગે છે. તે સમશીતોષ્ણ પ્રદેશનાં ફળોમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં તે કાશ્મીર, જમ્મુ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશની ટેકરીઓ, અરુણાચલ, સિક્કિમ, નાગાલૅન્ડ, તમિળનાડુ તથા બૅંગાલુરુમાં વાવવામાં આવે છે. ભારતમાં અંદાજે ૨.૩૨ લાખ હૅક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. સફરજનનું ઝાડ કદમાં નાનું હોય છે. તે આશરે ૧૫ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. સફરજનનાં પાન અંડાકાર ટોચે અણીદાર, આશરે ૫થી ૮ સેમી. લંબાઈનાં અને દાંતાદાર હોય છે. પાનનું દીંટું પાનથી અડધું લાંબું અને રુવાંટીદાર હોય છે. ફૂલોનો રંગ લાલ ટપકાંવાળો સફેદ અથવા ગુલાબી હોય છે. તે આશરે ૨.૫થી ૫ સેમી. પહોળાં, ઘંટાકાર અને ગુચ્છામાં થાય છે. ફળો કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે આછાં પીળાં કે લાલ રંગનાં થાય છે. સફરજનની અનેક જાતો છે. તેમના સ્વાદમાં પણ વિવિધતા હોય છે.

સફરજનનું ઝાડ

સામાન્ય રીતે સફરજન બારે માસ મળતાં હોય છે. વખારમાં ૯૦% સાપેક્ષ ભેજવાળા વાતાવરણમાં ઘોડાઓ, ખોખાંઓ કે ટોપલાઓમાં તેનો સંગ્રહ કરવાની ભલામણ કરવામાં આવે છે. સફરજન વિવિધ રીતે ઉપયોગી છે. તેના ફળનાં પતીકાં  પાડી તેને સૂકવવામાં આવે છે. તેમાંથી જામ તથા જેલી બનાવી તેની ડબ્બાબંધી (canning) કરાય છે. તેનાં ફળોનો તાજો રસ પણ પિવાય છે. ખાટી જાતનાં સફરજન રાંધવામાં વપરાય છે. તેને પકાવી (baking) તેમાંથી પાઇ વગેરે બનાવાય છે. તેને વરાળમાં બાફી તેમાંથી ‘ઍપલ સૉસ’ (apple sauce) બનાવાય છે. આથવણની ક્રિયાથી તેમાંથી દારૂ, સાઇડર (cider) અને વિનેગર બનાવાય છે. સાઇડર સફરજનમાંથી બનાવાતું પીણું છે.

સફરજનમાં ૮૫% પાણી હોય છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, બી, સી તથા કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, ફૉસ્ફરસ, મૅંગેનીઝ, ઝિંક, આયોડિન, બોરોન અને લોહ જેવાં ખનિજો ધરાવે છે. આ ખનિજ-ઘટકો મનુષ્યના પોષણ માટે અત્યંત મહત્ત્વનાં ગણાય છે. આયુર્વેદ અનુસાર તે સ્વાદે મધુર, રુચિ ઉત્પન્ન કરનાર, શીતળ, હૃદય માટે લાભદાયી, ઝાડો બાંધનાર, મગજની શક્તિમાં વધારો કરનાર અને પાચનકર્તા છે. તે તાવ, ક્ષય અને સોજાનો નાશ કરે છે. તે ઝાડા અને મરડા માટે ઉત્તમ ઔષધિ ગણાય છે. સફરજન ખાવું આરોગ્યની દૃષ્ટિએ ખૂબ હિતકારી છે. ‘One apple a day, Keeps the doctor away.’ (રોજનું એક સફરજન ખાશો તો ડૉક્ટરની પાસે નહીં જવું પડે.) તેવી ઉક્તિ પણ પ્રચલિત છે. નાનાં બાળકોને, વૃદ્ધોને તથા ઝાડા કે મરડો થયેલ દર્દીઓને તે આપી શકાય છે. સફરજનનો ઉલ્લેખ સાહિત્યમાં થતો જોવા મળે છે. બાઇબલમાં આદમ અને ઈવ જ્ઞાનના ફળરૂપ સફરજન ખાય છે તેવો ઉલ્લેખ છે. સ્વિસ દંતકથા પ્રમાણે વિલિયમ ટેલ તેના પુત્રના માથા પર મૂકેલ સફરજનને બાણથી વીંધે છે. અનેક બાળવાર્તાઓમાં પણ સફરજનના વિવિધ રીતના ઉલ્લેખો મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી