Categories
વાચન સમૃદ્ધિ

શિશુવિહાર

સ્વ. માનભાઈ ભટ્ટ દ્વારા ઈ. સ. ૧૯૩૯માં શરૂ થયેલ બાળકેળવણીની સંસ્થા.

‘શિશુવિહાર’ સંસ્થા અને માનભાઈ એક સિક્કાની બે બાજુઓ જેવા છે. ઈ. સ. ૧૯૩૮માં નાના પાયે શિશુવિહારની તેમણે શરૂઆત કરેલી. પાછળથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી તરફથી ઘણી મોટી જમીન દાનમાં મળી. આજે તો આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. અહીં પ્રાથમિક શાળા, વિનયમંદિર, સંગીતવર્ગો, રંગભૂમિ-પ્રવૃત્તિ વગેરે સાથે શિક્ષણને પૂરક એવી અન્ય અનેક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. આ સંસ્થા બાળજગતને ઉપયોગી એવાં પુસ્તકો તથા સામયિક વગેરે પ્રકાશિત કરે છે. ગરીબ બાળકોના સર્વાંગી વિકાસ માટે કશુંક નક્કર કરવાની ઝંખનાને કારણે માનભાઈએ આ પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. પ્રારંભમાં તેમને આ માટે ઊબડખાબડ જગ્યા પ્રાપ્ત થઈ. પછી તેને સપાટ ને સાફસૂથરી બનાવી. તેમના જેવી જ ભાવનાવાળા મિત્રોની મદદથી અને પ્રસિદ્ધ કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે તેમણે કાર્ય શરૂ કર્યું. એક હીંચકાથી ક્રીડાંગણની શરૂઆત કરી. માનભાઈ કોઈ પ્રકારના વ્યક્તિગત લાભની આશા વગર કે પોતે ઉપકાર કરી રહ્યા છે એવા ખ્યાલ વગર, પોતાના સિદ્ધાંત સાચવીને, બાળહિતની ભાવનાથી કાર્ય કરતા રહ્યા. વળી આ સંસ્થાએ ક્યારેય સરકાર પાસેથી આર્થિક મદદ કે અનુદાન લીધાં નથી. આ સંસ્થાને સ્વૈચ્છિક રીતે સ્વયંસેવકો અને વ્યાપક જનસમાજ તરફથી દાન કે મદદ પણ મળ્યાં છે. બાળકેળવણી અને સમાજસેવાના ધ્યેયથી આ સંસ્થા કામ કરે છે.

આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ નિયમિત રીતે ચાલે છે. આજે તેની પાસે વિશાળ ક્રીડાંગણ છે. તેમાં હીંચકા-લપસણી-ચકડોળો વગેરે રમતગમતનાં સાધનો છે. તરવા માટે હોજ, નાની નાની ટેકરીઓ, નાનાં નાનાં બુગદાંઓ, અરીસાઘર વગેરે પણ છે. અહીં અસંખ્ય વૃક્ષો છે. બાળકો કુદરતના ખોળામાં મોકળાશથી રમે છે અને શિક્ષણ મેળવે છે. આ સંસ્થા દ્વારા નેત્રયજ્ઞો થાય છે. સમાજના પછાત ગણાતા વિસ્તારમાં અને શાળાઓમાં નેત્રચિકિત્સા કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ભાવનગરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં MMR (Measles Mumpa and Rubella) નિમિત્તે રસીકરણનું કાર્ય રાહતદરે કરવામાં આવે છે. આ સંદર્ભે અનેક શિબિરો કરવામાં આવે છે. આ સંસ્થા આયુર્વેદિક દવાઓના ઉકાળાઓનું વિતરણ કરે છે. જરૂરિયાતમંદોને તબીબી સેવાના શેક માટેની કોથળી, પાણીની પથારી, ચાલવા માટેની ખાસ લાકડી, વૉકર, વ્હીલચૅર જેવાં સાધનોની સગવડ પણ પૂરી પાડે છે. ૧૯૫૨થી મોંઘીબહેન બધેકા બાલમંદિર ચાલે છે. અહીં મૉન્ટેસોરી પદ્ધતિ મુજબ શિક્ષણ અપાય છે. ૧૯૮૪થી રમકડાંઘર અને બાળપુસ્તકાલયની શરૂઆત થઈ છે. યુવાનોના યોગ્ય ઘડતર માટે સ્કાઉટ અને ગાઇડની પ્રવૃત્તિ ચાલે છે. શિશુવિહારના સ્કાઉટ-ગાઇડે છ વખત ગવર્નર શિલ્ડ જીતેલા અને તેમણે રાષ્ટ્રીય પુરસ્કારો પણ મેળવેલા. આ સંસ્થા જેલ, હૉસ્પિટલ વગેરે સંસ્થાઓને પુસ્તકો તેમ જ સામયિકો મોકલે છે. અહીં કલાકેન્દ્ર પણ ચાલે છે. તેને પોતાનું ઓપન ઍર થિયેટર છે. આ સંસ્થામાં ૧૯૪૦થી સીવણવર્ગો શરૂ થયા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ,
વૉલ્યુમ ભાગ-૮, શિશુવિહાર, પૃ. ૨૯8)

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

જળગાંવ

મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો. ભૂતકાળમાં તે પૂર્વ ખાનદેશ નામથી ઓળખાતો હતો. તાપી નદીની મધ્ય ખીણમાં આવેલો આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં ૨૦થી ૨૧ ઉ. અ. તથા ૭૫થી ૭૬-૨૮´ પૂ. રે.ની વચ્ચે પ્રસરેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં ઔરંગાબાદ જિલ્લો, પૂર્વમાં નાશિક જિલ્લો તથા પશ્ચિમ દિશામાં ધુળે જિલ્લાની સીમાઓ આવેલી છે. તે દખ્ખનના સપાટ પ્રદેશનો એક ડુંગરાળ તથા જંગલવ્યાપ્ત ભાગ છે. તેની ઉત્તરમાં સાતપુડા, નૈર્ઋત્યમાં હટ્ટી તથા દક્ષિણમાં અજંટા પર્વતમાળાઓ છે. જિલ્લાનો વિસ્તાર ૧૧૭.૬૫ ચોકિમી. છે. જિલ્લા વસ્તી ૪૨,૨૪,૪૪૨ (૨૦૧૧). શહેરની વસ્તી ૪,૬૦,૪૬૮ (૨૦૧૧) છે, જેમાં અનુસૂચિત જાતિના ૯.૨૫% તથા અનુસૂચિત જનજાતિના ૯.૮૪% લોકો છે. વસ્તીના ૩૦.૦૧% ખેડૂતો અને ૩૧.૮૮% ખેતમજૂરો છે બાકીના અન્ય વ્યવસાયોમાં જોડાયેલા છે. જિલ્લાની ચોકિમી. દીઠ વસ્તીની ગીચતા ૨૭૧ છે. વસ્તીના ૭૩% ગ્રામવિસ્તારમાં તથા ૨૭% શહેરી વિસ્તારમાં વસે છે. સાક્ષરતાનું પ્રમાણ ૬૪.૩૦% છે. સામાન્ય હવામાન સૂકું છે. સરેરાશ વરસાદ ૭૧૦ મિમી. પડે છે. ખેડાણ હેઠળની કુલ જમીનના ૬૨%માં ખાદ્યપેદાશો તથા ૧૬%માં શેરડી અને તેલીબિયાં જેવા રોકડિયા પાકો થાય છે. ફળફળાદિ તથા શાકભાજી વવાય છે. સિંચાઈ હેઠળની કુલ જમીનના ૭૬% ને કૂવાઓમાંથી અને બાકીની ૨૪% જમીનને પૃષ્ઠભાગ પરનાં અન્ય સાધનોમાંથી સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય છે. ખેતીના મુખ્ય પાકો બાજરી, ઘઉં, ચોખા, ચણા, તુવેર, અડદ અને મગ છે.

જિલ્લાનાં કુલ મોટા ભાગનાં ગામડાં તથા શહેરોનું વીજળીકરણ થઈ ચૂક્યું છે. જિલ્લામાં ૮૧૯૦ કિમી. રસ્તાઓ છે જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગોનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાંથી પસાર થનાર મધ્ય તથા પશ્ચિમ રેલવેના માર્ગોની લંબાઈ ૩૫૦ કિમી. છે અને તેના પર કુલ ૪૨ રેલમથકો છે. પ્રમુખ ઔદ્યોગિક ઉત્પાદનમાં ખાંડ, રાસાયણિક દવાઓ, કાપડ, કૃત્રિમ રેશમ, સૂતર, ફટાકડા, પ્લાસ્ટિકની વસ્તુઓ અને સિમેન્ટ નોંધપાત્ર છે. જિલ્લામાં રુગ્ણાલયો, દવાખાનાંઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પરિવાર કલ્યાણ કેન્દ્રો છે. જિલ્લામાં પૂર્વપ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ તથા મહાવિદ્યાલયો છે. ૧૯૧૬માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિલૉસૉફી આ જિલ્લાના અમળનેર નગરમાં છે. જિલ્લામાં બાંધકામ માટે વપરાતાં પથ્થર, ચૂનો અને રેતી જેવાં ગૌણ ખનિજો ઉપલબ્ધ છે.

તાપી જિલ્લાની મુખ્ય નદી છે, જે જિલ્લામાં ૧૬૦ કિમી. લંબાઈ ધરાવે છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ ૬ તાલુકાઓમાં વહે છે. ૧૬૦ કિમી. લંબાઈ ધરાવતી ગિરણા નદી ૪ તાલુકાઓમાંથી પસાર થઈ તાપી નદીમાં ભળે છે. જિલ્લાની અન્ય નદીઓમાં વાઘ (લંબાઈ ૮૮ કિમી.), અગ્નાવતી (લંબાઈ ૧૦૭ કિમી.), અંજની (લંબાઈ ૭૨ કિમી.), બોરી (લંબાઈ ૫૬ કિમી.), ગિરના (લંબાઈ ૫૪ કિમી.) તથા મોર (લંબાઈ ૪૮ કિમી.) નોંધપાત્ર છે. તાપી, બોરી તથા ગિરના નદીઓ પર સિંચાઈ માટેના પ્રકલ્પો વીસમી સદીના આઠમા દાયકામાં હાથ ધરવામાં આવેલા છે. જિલ્લામાં ચાળીસગાંવ નજીક પાટણાદેવીનું મંદિર, એદલાબાદ તાલુકામાં તાપી અને પૂર્ણા નદીના સંગમ પર ચાંગદેવ મંદિર, કોથળીમાં મુક્તાબાઈનું મંદિર, એરંડોલ પાસે ગણપતિનું પુરાતન મંદિર, ફરકાડેમાં ઐતિહાસિક ઝૂલતા મિનારા, ચોપડા તાલુકામાં ગરમ પાણીના ઝરા, અમળનેર તાલુકામાં રામેશ્વર અને મહાદેવનાં પુરાતન મંદિરો, રાવેર તાલુકામાં સાતપુડા પર્વતશ્રેણીમાં પાલ નામક હવા ખાવાનું સ્થળ વગેરે પર્યટકો માટેનાં આકર્ષણો છે. પાલ ખાતે વન પ્રશિક્ષણ કેન્દ્ર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જળગાંવ, પૃ. ૬૬૨)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

શિવાલિક ટેકરીઓ

સિંધુ નદીથી બ્રહ્મપુત્ર નદી સુધીની હિમાલયની સળંગ લંબાઈમાં દક્ષિણ તરફ તદ્દન બહાર આવેલી ટેકરીઓ.

આ ટેકરીઓની સર્વપ્રથમ ઓળખ હરદ્વાર પાસે થઈ હોવાથી તેને ‘શિવાલિક રચના’ નામ અપાયેલું છે. આ ટેકરીઓથી બનેલી હારમાળાની પહોળાઈ સ્થાનભેદે ૧૫થી ૩૦ કિમી. અને સરેરાશ ઊંચાઈ ૧૫૦૦ મીટર જેટલી છે. બલૂચિસ્તાનથી મ્યાનમાર સુધીમાં પથરાયેલી આ ટેકરીઓને તેમનાં સ્થાન મુજબ બલૂચિસ્તાનમાં મકરાન, સિંધમાં મંચાર, આસામમાં તિપામ, ડુપીતિલા અને દિહિંગ તથા મ્યાનમારમાં ઇરાવદી-રચના જેવાં નામ અપાયાં છે. આ જ રીતે પૂર્વોત્તર રાજ્યોમાં તે પતકાઈ, નાગા અને મિઝો નામોથી ઓળખાય છે. તેમનો એક ફાંટો જે પશ્ચિમ તરફ લંબાયેલો છે, તે ખાસી, જેંતિયા અને ગારો નામથી જાણીતો છે. ઊંડી ખીણો, ગીચ જંગલો, પુષ્કળ વરસાદ અને હિંસક પ્રાણીઓ તેમ જ માનવભક્ષી આદિવાસીઓને કારણે અહીંનો વિસ્તાર ઓછી વસ્તીવાળો છે.

બંધારણ : શિવાલિક રચનાની ટેકરીઓનું બંધારણ રેતીખડકો, ગોળાશ્મખડકો, શેલ, મૃદ અને કાંપથી બનેલું છે. તે પૈકીના શરૂઆતમાં બનેલા ખડકો દરિયાઈ ખારા પાણીમાં અને પછીથી સ્વચ્છ નદીજળના માહોલમાં તૈયાર થયેલા છે, તેથી મોટા ભાગે તેમની ઉત્પત્તિ નદીજન્ય ગણાય છે. હિમાલયના ઉત્થાનના છેલ્લા તબક્કામાં તે સામેલ થયેલા હોવાથી તે સખત બનેલા છે; એટલું જ નહિ, ગેડીકરણ અને સ્તરભંગની અસરવાળા પણ છે.

આ ખડકરચના આ પ્રમાણેના ત્રણ વિભાગોમાં વિભાજિત કરી શકાય છે : નિમ્ન શિવાલિક, મધ્ય શિવાલિક અને ઊર્ધ્વ શિવાલિક; તે પ્રમાણે તેમનાં અંદાજી ભૂસ્તરીય વય અનુક્રમે મધ્ય માયોસીન (૩ કરોડ વર્ષથી ૨ કરોડ વર્ષ), નિમ્નથી ઊર્ધ્વ પ્લાયોસીન (૨ કરોડથી ૧ કરોડ વર્ષ) અને નિમ્ન પ્લાયસ્ટોસીન (૨૦ લાખથી ૧૬ લાખ વર્ષ) નક્કી કરાયાં છે. તેમાં મળી આવતા જીવાવશેષો પ્રારંભમાં દરિયાઈ ઉત્પત્તિજન્ય અને પછીના જીવાવશેષો નદીજન્ય પાર્થિવ ઉત્પત્તિવાળા છે. તેમાંથી મળી આવતા જીવાવશેષોનું પ્રમાણ વિપુલ છે;  જે ખાતરી કરાવે છે કે તત્કાલીન આબોહવા, જળપુરવઠો, ખાદ્યસામગ્રી જેવા સંજોગોનું અનુકૂલન હતું. તેથી તે વખતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓનાં હાડપિંજર દટાયેલી સ્થિતિમાં જળવાયેલાં મળી આવેલાં છે. આ રચનામાંથી મળતાં કરોડરજ્જુવાળાં પ્રાણીઓના જીવાવશેષો આજે જોવા મળતાં ભૂમિસ્થિત પ્રાણીઓના જ પૂર્વજો છે. એ વખતની પ્રાણીસંપત્તિ વિપુલ હતી. અત્યારે તો તેના માત્ર ત્રીજા ભાગની પ્રાણીસંપત્તિ બચી છે. શિવાલિક પ્રદેશમાં વસતાં અને ત્યાંના જ વતની હાથી તેમ જ હાથી-સમકક્ષ લગભગ ૨૯થી ૩૦ જેટલી ઉપજાતિઓનું અસ્તિત્વ હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિવાલિક ટેકરીઓ, પૃ. ૨૯૭) ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

ગિરીશભાઈ પંડ્યા

અમલા પરીખ