Categories
વાચન સમૃદ્ધિ

શ્રીધર વેંકટેશ કેતકર

જ. 2 ફેબ્રુઆરી, 1884 અ. 10 એપ્રિલ, 1937

ઇતિહાસકાર, નવલકથાકાર અને મહારાષ્ટ્ર જ્ઞાનકોશના સર્જક શ્રીધર કેતકરનો જન્મ મધ્યપ્રદેશના રાયપુરમાં થયો હતો. મૂળ વતન કોંકણનું અંજનવેલ, પરંતુ કુટુંબ અમરાવતીમાં આવીને વસ્યું. માતાપિતાનું અવસાન થવાથી કાકાના આશ્રયે ઉછેર થયો. તેઓ મૅટ્રિક સુધીનું શિક્ષણ અમરાવતીમાં મેળવી મુંબઈની વિલ્સન કૉલેજમાં દાખલ થયા. કૉલેજનો અભ્યાસ અધૂરો રાખી 1906માં અમેરિકા ગયા. ત્યાં કાર્નેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા, પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ભારત પાછા આવી કૉલકાતા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદેશથી આવી ‘કેસરી’માં લખવાનું શરૂ કર્યું. તેમણે ‘વિદ્યાસેવક’ નામનું સામયિક શરૂ કર્યું. તેમાં ‘અજ્ઞાત’, ‘સહૃદય’ અને ‘ગોવિંદપૌત્ર’ જેવાં તખલ્લુસથી લેખો, વાર્તાઓ અને નવલકથાઓ લખી. તેમણે આંધ્રપ્રદેશમાં ‘રાષ્ટ્રધર્મ પ્રચારક સંઘ’ અને નાગપુરમાં ‘મહારાષ્ટ્રીય જ્ઞાનકોશ મંડળ લિ.’ની સ્થાપના કરી. તેમણે શારદોપાસક સંમેલન અને મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલન – એમ બે મરાઠી સાહિત્ય સંમેલનોમાં પ્રમુખ તરીકે કાર્ય કર્યું. ‘ધ હિસ્ટ્રી ઑફ કાસ્ટ ઇન ઇન્ડિયા’ (વૉલ્યુમ-I) (1990), ‘એન એસે ઑન હિન્દુઇઝમ ઇટ્સ ફોર્મેશન ઍન્ડ ફ્યૂચર’ (1911), ‘એન એસે ઑન ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ (1914), ‘હિન્દુ લૉ ઍન્ડ ધ મૅથડ્સ ઍન્ડ પ્રિન્સિપલ્સ ઑફ ધ હિસ્ટોરિકલ સ્ટડી ઑફ ધેર ઑફ’ (1914), ‘નિઃશસ્ત્રાંચે રાજકારણ’ (1926), ‘વિક્ટોરિયન ઇન્ડિયા’ (1937), ‘પ્રાચીન મહારાષ્ટ્ર શાતવાહન વર્ષ’ (1935) વગેરે તેમના સંશોધનાત્મક કાર્યનો પરિચય આપે છે. તેમણે મરાઠીમાં સાત નવલકથાઓ લખી છે, જેમાં ‘ગોંડવનાતીલા પ્રિયંવદા’, ‘બ્રાહ્મણકન્યા’ અને ‘વિચક્ષણ’ મુખ્ય છે. તેમણે મહારાષ્ટ્ર જ્ઞાનકોશના ચાર ખંડો અને 23 ભાગ આપ્યા છે. તેમણે ગુજરાતી જ્ઞાનકોશ તૈયાર કરવાની યોજના બનાવી હતી. ગુજરાતી જ્ઞાનકોશનો પ્રથમ ગ્રંથ 1929માં પ્રકાશિત થયો, પરંતુ તે પછી આગળ કામ થયું નહિ. તેમણે એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ સહયોગ આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

એ. કે. હંગલ

જ. 1 ફેબ્રુઆરી, 1914 અ. 26 ઑગસ્ટ, 2012

ભારતીય હિન્દી સિનેમાના ચરિત્ર અભિનેતા એ. કે. હંગલ એક આગવી ઓળખ ધરાવે છે. એમનું મૂળ નામ અવતાર ક્રિષ્ણ હંગલ હતું. તેઓ જન્મે કાશ્મીરી પંડિત હતા. પિતા સ્વાતંત્ર્યસેનાની હોવાને કારણે દેશભક્તિના સંસ્કાર એમને બાળપણથી જ પ્રાપ્ત થયા હતા. તેઓ ફિલ્મજગતમાં આવતાં પહેલાં સ્વાતંત્ર્યસેનાની તરીકે સતત સક્રિય રહ્યા. અર્થોપાર્જન માટે દરજીકામથી કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ અભિનય પ્રત્યે બાળપણથી જ લગાવ હતો. 1936માં કરાંચીમાં શ્રી સંગીત પ્રિયા મંડળમાં જોડાયા, જ્યાં વિવિધ નાટકોમાં અભિનય કર્યો. મિત્રોના પ્રભાવથી માર્કસવાદી વિચારધારા અપનાવી. સામ્યવાદી ચળવળોની પ્રવૃત્તિઓને કારણે કારાવાસ પણ ભોગવવો પડ્યો. કારાવાસમાંથી મુક્ત થયા પછી મુંબઈમાં સ્થાયી થયા. ત્યાં અભિનય માટે ઇપ્ટા સંસ્થા સાથે જોડાયા. જીવનનાં પચાસ વર્ષ પછી હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1966માં બાસુ ભટ્ટાચાર્યના દિગ્દર્શનમાં ફિલ્મ ‘તીસરી કસમ’માં અભિનય કર્યો. ‘શાગિર્દ’, ‘આઈના’, ‘શોલે’, ‘શૌકીન’, ‘નમકહરામ’, ‘બાવર્ચી’, ‘અર્જુન’, ‘આપ કી કસમ’, ‘અવતાર’ જેવી લગભગ 225 ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પાત્રો ભજવ્યાં. 2001માં ફિલ્મ ‘લગાન’માં તેમનો અભિનય ધ્યાનાકર્ષક રહ્યો. 2008 સુધી એમની અભિનયયાત્રા ચાલુ રહી. 2008માં સિરિયલ ‘ક્રિષ્ણ ઔર કંસ’માં મહારાજા ઉગ્રસેનના પાત્રને એમણે અવાજ આપ્યો. 2008માં ‘હમસે હૈ ઝમાના’ ફિલ્મમાં અભિનય કરીને અભિનયક્ષેત્રે સંન્યાસ લીધો. 91 વર્ષે ફૅશન શોમાં વ્હિલચૅર ઉપર બેસીને રેમ્પ વૉક કરીને એક આગવી ઓળખ પણ આપી. 2006માં ભારત સરકારે એમને પદ્મભૂષણ ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા. એ. કે. હંગલ સદા એક સંસ્કારી, નીતિવાન, આદર્શ વ્યક્તિના પાત્રમાં ભાવકોના હૃદયમાં સદાય બિરાજમાન રહેશે. 98 વર્ષની ઉંમરે ઉંમરાધીન વ્યાધિઓ અને ફૅક્ચર થવાને કારણે તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર સોમનાથ શર્મા

જ. 31 જાન્યુઆરી, 1923 અ. 3 નવેમ્બર, 1947

પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થનાર મેજર સોમનાથ શર્માનો જન્મ કાંગડામાં થયો હતો. તેમના દાદા મોહનલાલ કાશ્મીરના મહારાજા ગુલાબસિંહની સેનાના યોદ્ધા હતા. પિતા અમરનાથ ડૉક્ટર હતા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડતાં ભારતીય સૈનિકોની સારવાર માટે પ્રૅક્ટિસ છોડી અને લશ્કરમાં જોડાયા હતા. માતા સરસ્વતી પ્રથમ વિશ્વયુદ્ધની કથાઓ સંભળાવતી હતી. કૉલેજશિક્ષણ પૂર્ણ કરી તેઓ 1941માં ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા. તેઓ બ્રિટિશ હિંદની સેના વતી બર્મા મોરચે લડ્યા હતા. અરાકાન મોરચે સફળતા બદલ તેમને મેન્શન્ડ ઇન ડિસ્પેચિસ ચંદ્રક આપવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે તેઓ દિલ્હીમાં હતા. તેમના હાથે ફ્રૅક્ચર થયું હતું. તેમણે મોરચા પર જવા માટે જીદ કરી. 4થી કુમાઉં બટાલિયનની ટુકડી સાથે તેઓ શ્રીનગર પહોંચ્યા. 3 નવેમ્બર, 1947ના રોજ 700 જેટલા પાકિસ્તાની સૈનિકોએ બડગામ સરહદે હુમલો કર્યો ત્યારે ડેલ્ટા કંપનીમાં 90 સૈનિકો હતા. મેજર શર્માએ જવાનોનો જુસ્સો વધાર્યો. દુશ્મનોને માર્યા. આથી બીજું આક્રમણ આવ્યું. ડેલ્ટા કંપનીના સૈનિકો ઘાયલ થયા. જવાનોને શસ્ત્રસરંજામ પૂરો પાડવા દોડધામ કરી. દુશ્મનો નજીક આવતાં તેમને પીછેહઠ કરવાનો આદેશ મળ્યો, છતાં તેમણે લડવાનું નક્કી કર્યું. આપણા શસ્ત્રાગાર પાસે દુશ્મનની તોપનો ગોળો આવ્યો. દારૂગોળો ફાટ્યો એ સાથે જ મેજર સોમનાથ શર્મા શહીદ થયા. તેમની સૂઝબૂઝને કારણે શ્રીનગરની હવાઈ પટ્ટી પાકિસ્તાનના હાથમાં જતાં બચી હતી. ભારત સરકારે 21 જૂન, 1950ના રોજ તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કર્યો હતો. પરમવીરચક્ર મેળવનાર તેઓ પ્રથમ હતા.