Categories
વાચન સમૃદ્ધિ

ઝુબીન ગર્ગ

જ. 18 નવેમ્બર, 1972 અ. 19 સપ્ટેમ્બર, 2025

ભારતીય સંગીતકાર, ગાયક, ગીતકાર, વાદ્યવાદક, કવિ, અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મનિર્માતા તરીકે જાણીતા ઝુબીન ગર્ગ મુખ્યત્વે અસમીઝ, બંગાળી અને હિન્દી ફિલ્મ અને સંગીતક્ષેત્રે કામ કરતા હતા. તેમણે 40 અન્ય ભાષા અને બોલીઓમાં પણ ગીત ગાયાં હતાં. ગર્ગે ત્રણ વર્ષની વયથી ગાવાનું શરૂ કર્યું હતું. તેમનાં પ્રથમ ગુરુ તેમની માતા હતાં. તેમણે પંડિત રોબિન બેનર્જી પાસેથી 11 વર્ષ સુધી તબલાં વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. ગુરુ રમણી રાયે તેમને અસમીઝ લોકસંગીતનો પરિચય કરાવ્યો હતો. શાળાના દિવસોથી જ તેમણે ગીતો લખવાનું શરૂ કર્યું હતું. ઝુબીન ગર્ગે 1992માં અસમીઝ સોલો આલબમ ‘અનામિકા’ સાથે એમ. કે. પ્રોડક્શનના બૅનર હેઠળ પ્રવેશ કર્યો અને તે જ વર્ષે તેમણે યુવા મહોત્સવમાં તેમના વેસ્ટર્ન સોલો પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1995માં તેમનું પ્રથમ બિહુ આલબમ ‘ઉજાન પિરિતી’ રિલીઝ થયું હતું જે વ્યાપારિક રીતે સફળ રહ્યું હતું. 1990ના મધ્યમાં તેઓ મુંબઈ બોલિવુડના સંગીતઉદ્યોગમાં કામ કરવા ગયા, જ્યાં તેમનું પ્રથમ ઇન્ડિપોપ સોલો આલબમ ‘ચાંદની’ રિલીઝ થયું હતું અને ત્યારબાદ તેમણે હિન્દી આલબમ અને રિમિક્સ જેવાં કે ‘ચંદા’ (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-1 (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-2 અને 3 (1997), ‘જલવા’ (1998), ‘યૂં હી કભી’ (1998), ‘જાદુ’ (1999) અને ‘સ્પર્શ’ (2000) અને અન્ય આલબમ રેકૉર્ડ કર્યાં હતાં. ઝુબીન ગર્ગને બોલિવુડમાં તેમની સૌથી મોટી સફળતા મૂવી ‘ગેંગસ્ટર’માંથી મળી હતી જ્યાં તેમણે ‘યા અલી’ ગીત ગાયું હતું. ગર્ગનું સંગીત આત્માથી ભરેલું અને તેમનું કાર્ય લોકથી પોપ સુધી વિસ્તરેલું હતું. તેમના સંગીતમાં રોમૅન્ટિક અને ભક્તિમયથી માંડી બિહુ અને આધુનિક ગીતો સુધીની વિવિધતા જોવા મળે છે. સંગીત ઉપરાંત તેમણે અનેક અસમીઝ ફિલ્મ લખી, નિર્દેશિત અને અભિનીત કરી હતી. પરંપરાગત ગીત અને નૃત્ય વાર્તાઓને બદલે તેમણે વાસ્તવિક અને રાજકીય થીમ્સ વધુ પસંદ કરી હતી. આ ઉપરાંત તેઓ તેમનાં બોલ્ડ અને સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા હતા. ઝુબીન ગર્ગને 1996માં તેમના આલબમ ‘ચાંદની રાત’ માટે ચૅનલ વી મ્યુઝિક ઍવૉર્ડથી અને 2011માં અસમ કન્વેન્શન ઑફ બુક, ઇલિનિયોસ, યુ.એસ. દ્વારા વર્ષના મહેમાન કલાકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 27 મે, 2024ના રોજ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, મેઘાલય દ્વારા માનદ ડૉક્ટર ઑફ લિટરેચર ડી.લિટ્.ની ડિગ્રી આપવામાં આવી હતી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શોભના સમર્થ

જ. 17 નવેમ્બર, 1916 અ. 9 ફેબ્રુઆરી, 2000

ત્રીસના દાયકાની સ્વરૂપવાન અને સફળ અભિનેત્રી શોભના સમર્થનો જન્મ મુંબઈમાં થયો હતો. મૂળ નામ સરોજ શિલોત્રી હતું. પિતા પી. એસ. શિલોત્રી અને માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. સરોજે ‘શોભના સમર્થ’ નામે 1934માં ‘વિલાસી ઈશ્વર’ ચિત્રથી અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો. ગુજરાતી તથા હિંદી બે ભાષામાં બનેલા ‘દો દીવાને’ ચિત્રમાં શોભનાએ મોતીલાલ સાથે કામ કર્યું અને એ વખતે બંને વચ્ચે બંધાયેલી ગાઢ મિત્રતા અંત સુધી રહી. કુમારસેન સમર્થ સાથેના લગ્ન પછી પ્રથમ પુત્રી નૂતનના જન્મ સમયે શોભનાએ બે વર્ષ ચિત્રોમાં કોઈ કામ ન કર્યું, પણ પછી જે ચિત્ર આવ્યું તે ‘કોકિલા’ સફળ રહ્યું. એ દિવસોમાં વાડિયા બ્રધર્સ માત્ર મારધાડનાં ચિત્રો બનાવતા હતા, પણ શોભનાને લઈને તેમણે સામાજિક ચિત્ર ‘શોભા’ બનાવ્યું હતું. 1941માં દિગ્દર્શક વિજય ભટ્ટ ‘ભરત મિલાપ’નું સર્જન કરી રહ્યા હતા. સીતાની ભૂમિકા તેમણે શોભનાને સોંપી. ભૂમિકા ટૂંકી હતી પણ શોભનાના દમદાર અભિનયને કારણે 1943માં વિજય ભટ્ટે ‘રામરાજ્ય’માં સીતાની ભૂમિકા માટે તેમને જ પસંદ કર્યાં. આ ચિત્રને ખૂબ સફળતા મળી. તે પછી શોભનાએ ઘણાં ધાર્મિક ચિત્રોમાં કામ કર્યું. ‘રામબાણ’ અને ‘રામવિવાહ’માં પણ તેમણે સીતાની ભૂમિકા ભજવી. આ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર સાથે ‘નલ દમયંતી’ પણ સફળ રહ્યું. કિશોર સાહુનિર્મિત ‘વીર કુણાલ’માં તેમનો અભિનય ખૂબ પ્રશંસા પામ્યો. 1950 પછી ધાર્મિક ચિત્રોનું નિર્માણ ઓછું થતાં શોભના પણ વ્યક્તિગત જીવનમાં પરોવાઈ ગયાં. છૂટાંછવાયાં ચિત્રોમાં ચરિત્ર ભૂમિકાઓ ભજવતાં રહ્યાં. નૂતનને અભિનયક્ષેત્રે લાવવા તેમણે ‘હમારી બેટી’ અને તનુજા માટે ‘છબીલી’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. તેમને ત્રીજી દીકરી ચતુરા અને પુત્ર જયદીપ હતાં. તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘વિલાસી ઈશ્વર’, ‘દો દીવાને’, ‘સવેરા’, ‘રામરાજ્ય’, ‘નૌકર’, ‘મહાસતી અનસૂયા’, ‘તારામતી’, ‘હમારી બેટી’, ‘રામજન્મ’, ‘ઇન્સાનિયત’, ‘લવ ઇન સિમલા’, ‘છલિયા’, ચિત્રલેખા’, ‘એક બાર મુસ્કુરા દો’, ‘દો ચોર’ ‘ઘરદ્વાર’ વગેરેને ગણાવી શકાય.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીરામ લાગૂ

જ. 16 નવેમ્બર, 1927 અ. 17 ડિસેમ્બર, 2019

હિન્દી અને મરાઠીમાં ભારતીય ફિલ્મ અને થિયેટરના અભિનેતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે ભાવે હાઈસ્કૂલ, ફર્ગ્યુસન કૉલેજ, પુણે અને બી. જે. મેડિકલ કૉલેજ(પુણે યુનિવર્સિટી)માં અભ્યાસ કર્યો હતો. તેમણે એમ.બી.બી.એસ. અને ત્યારપછી એમ.એસ.નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. બાળપણથી જ અભિનય પ્રત્યે લગાવ. શાળામાં હતા ત્યારથી નાટકોમાં કામ કરતા. 11 વર્ષના હતા ત્યારે પ્રથમ વાર શાળામાં વાર્ષિકોત્સવમાં શિક્ષકે લખેલા ‘વંદે ભારતમ્’માં કામ કર્યું. ગોપાળકૃષ્ણ ગોખલેની ભૂમિકા કરી અને વર્ષો પછી રિચાર્ડ એટનબરોના ચલચિત્ર ‘ગાંધી’માં પણ ભૂમિકા ભજવી હતી. 1950થી વ્યાવસાયિક મરાઠી નાટકોમાં અભિનય કરવાની શરૂઆત કરી હતી. આખો દિવસ હૉસ્પિટલમાં દર્દીઓની સેવા કરતા અને રાત્રે મોડે સુધી નાટકોમાં વ્યસ્ત રહેતા. સ્કોટલૅન્ડમાં ફરવા ગયા ત્યારે તેમનાં પ્રથમ પત્ની માલતીનું એક અકસ્માતમાં અવસાન થયું અને બે બાળકો આનંદ અને વિમલાના ઉછેરની જવાબદારી આવી. 1966માં ત્રણ વર્ષનો કરાર કરી પૂર્વ આફ્રિકા ગયા ત્યારે રંગમંચથી દૂર રહ્યા. ભારત પાછા આવી અભિનય અને તબીબી વ્યવસાયમાંથી અભિનયને પસંદગી આપી. 1971માં રંગભૂમિની એક અભિનેત્રી દીપા સાથે લગ્ન કર્યાં. 1972માં વી. શાંતારામના ‘પીંજરા’માં અવિસ્મરણીય અભિનય કર્યો. 1980ના દાયકામાં દૂરદર્શન પ્રાયોજિત કાર્યક્રમોમાં કાર્ય કર્યું, જેમાં શ્રીધર ક્ષીરસાગરની ‘ખાનદાન’ તેમની પ્રથમ ધારાવાહિક હતી. તેમણે હિન્દી અને મરાઠીની કુલ 250 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ઉપરાંત હિન્દી, મરાઠી અને ગુજરાતી નાટકોમાં પણ અભિનય કર્યો હતો. તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘પીંજરા’, ‘ચલતે ચલતે’, ‘ઘરૌંદા’, ‘કિનારા’, ‘થોડીસી બેવફાઈ’, ‘લાવારિસ’, ‘કામચોર’, ‘સૌતન’ અને ‘માયા મેમસાબ’ને ગણાવી શકાય. તેમના અભિનયક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને 1997માં કાલિદાસ સન્માન, ‘ઘરૌંદા’ ફિલ્મ માટે ફિલ્મફેર ઍવૉર્ડ ફોર બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર, ‘પુણ્યભૂષણ’ (2007), સંગીત નાટક એકૅડેમી ફેલોશિપ (2010) અને મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા