Categories
વાચન સમૃદ્ધિ

વલ્લથોલ નારાયણ મેનન

જ. ૧૬ ઑક્ટોબર, ૧૮૭૮ અ. ૧૩ માર્ચ, ૧૯૫૮

મલયાળમ ભાષાના ‘મહાકવિ’ વલ્લથોલ નારાયણ મેનનનો જન્મ કેરળના મલપ્પુરમ્ જિલ્લાના ચેન્નારા ગામમાં થયો હતો. પિતા કડુંગોટ્ટે મલ્લિસેરી દામોદરન ઈલાયથુ અને માતા કુટ્ટિપ્પારુ અમ્મા (પાર્વતી). તેમણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું. તેઓ આરંભમાં સંસ્કૃત વિદ્વાન પાસેથી અને પછી તેમના કાકા પાસેથી સંસ્કૃત શીખ્યા. તેમણે સંસ્કૃત પદ્યસાહિત્યનો પરિચય કરાવ્યો. તેઓ ફિલૉસૉફી અને તર્કશાસ્ત્ર પણ શીખ્યા. તેમણે ત્રિસ્સુરમાં ૧૯૦૫થી ૧૯૧૦ સુધી કલ્પદ્રુમ પ્રેસમાં મૅનેજર તરીકે કામ કર્યું. તેમની શ્રવણશક્તિ બગડતાં ૧૯૧૫થી ‘કેરાલોદયમ્’ છાપામાં કામ શરૂ કર્યું. એ પછી જર્નલ ‘અમૃત રિતેશ’માં કામ કર્યું. તેમણે બાર વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. ‘કિરથ સતકમ્’ અને ‘વ્યાસાવતારમ્’ તેમની પહેલી પ્રકાશિત રચનાઓ હતી. તેમની કવિતાઓ ‘ભાષાપોષિણી’, ‘કેરળ સંચારી’ અને ‘વિજ્ઞાન ચિંતામણિ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થઈ. ૧૮૯૪માં ‘ભાષાપોષિણી’ સામયિકનો કવિતા પુરસ્કાર મેળવ્યો. તેમણે વાલ્મીકિ રામાયણનો મલયાળમ ભાષામાં અનુવાદ કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું.  ૧૯૧૩માં તેમનું મહાકાવ્ય ‘ચિત્રયોગમ્’ પ્રકાશિત થયું. એ પછી તેઓ ‘મહાકવિ’ કહેવાયા. તેમણે ‘કેરળ કલામંડલમ્’ની સ્થાપના કરી અને કથકલી નૃત્યને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ રાષ્ટ્રવાદી કવિ હતા. ભારતના સ્વતંત્રતાઆંદોલન પર તેમણે બે કવિતાઓની શ્રેણી રચી છે. તેમણે ‘ગંગાપતિ’, ‘બંધનસ્થાનય અનિરુદ્ધન’ તથા ‘સાહિત્યમંજરી’ના ૧૧ ગ્રંથો આપ્યા છે. તેમણે ઘણા કાવ્યગ્રંથો અને અનુવાદો આપી મલયાળમ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ૧૯૭૮માં ટપાલખાતાએ તેમની ૨૫ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં વલ્લથોલ સાહિત્ય સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા મલયાળમ સાહિત્યમાં યોગદાન માટે ૧,૧૧,૧૧૧/-નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. કોચીનના મહારાજા દ્વારા તેમને ‘કવિસર્વભૌમન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે ૧૯૫૪માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

શેખ આદમ આબુવાલા

જ. ૧૫ ઑક્ટોબર, ૧૯૨૯ અ. ૨૦ મે, ૧૯૮૫

કવિ અને નવલકથાકાર તરીકે જાણીતા શેખ આદમ આબુવાલાનું પૂરું નામ આદમ મુલ્લાં શુજાઉદ્દીન શેખ હતું. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ગુજરાતી વિષય સાથે તેઓ એમ.એ. થયા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કરી હતી. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે તેઓ મૉસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને જર્મની ગયા. ૧૯૫૬થી ૧૯૭૪ સુધી તેઓ પશ્ચિમ જર્મનીમાં રહ્યા. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિંદુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કરેલું. ભારત પરત આવ્યા પછી પત્રકાર તરીકે રહ્યા. ‘ચાંદની’ (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘અજંપો’, ‘હવાની હવેલી’, ‘સોનેરી લટ’, ‘ખુરશી’, ‘તાજમહાલ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. રાજકીય અને સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધપાત્ર છે. ગઝલના સ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. તેમણે પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી હતી. તેઓ ભારતઝુરાપો એમની ગઝલોમાં વ્યક્ત કરતા રહ્યા હતા. તેમની પાસેથી ‘તમન્ના તમાશા’, ‘તું એક ગુલાબી સપનું છે’, ‘આયનામાં કોણ છે ?’ વગેરે મળી સાતેક નવલકથાઓ મળી છે. તેમણે ‘શ્રેષ્ઠ જર્મન વાતો’ નામે અનુવાદ આપ્યો છે. ‘હું ભટકતો શાયર છું’ એ તેમનું આત્મકથાત્મક પુસ્તક છે. વળી તેમણે ઉર્દૂમાં પણ ગઝલસંગ્રહો આપ્યા છે. ‘દીવાને આદમ’ (૧૯૯૨) એ તેમની સમગ્ર કવિતાનો સંચય છે. અમદાવાદમાં આંતરડાની બીમારીથી તેમનું અવસાન થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ

જ. ૧૪ ઑક્ટોબર, ૧૯૫૦ અ. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧

માત્ર છ માસની લશ્કરી કારકિર્દીમાં શહીદ થનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલનો જન્મ પુણેમાં થયો હતો. પિતા મદનલાલ ભારતીય સેનામાં એન્જિનિયર હતા. સનાવરની લૉરેન્સ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૭માં ખડકવાસલાની નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. તાલીમ પૂર્ણ કરી ૧૩ જૂન, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ સ્ક્વૉડ્રનનું કમાન્ડિંગ કરી રહ્યા હતા. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સની બ્રાવો ટૅન્ક સ્ક્વોડ્રન તેમજ ૩જી ગ્રેનેડિઅર્સ સૈનિક ટુકડી પર પાકિસ્તાની દળોએ જોરદાર આક્રમણ કરતાં ૧૭મી પૂના હોર્સની આલ્ફા ટૅન્ક સ્ક્વૉડ્રનના ખેતરપાલ જરપાલ તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેમના પર પાકિસ્તાની દળોએ ફાયરિંગ કર્યું. ખેતરપાલ ટૅન્કમાંથી ગોળા ફેંકતા દુશ્મનો તરફ આગળ વધતા રહ્યા. દુશ્મન પાસે પહોંચી તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા અને પાકિસ્તાની સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા અને શસ્ત્રસરંજામ કબજે કર્યો. આગળ વધતાં પાકિસ્તાનની ૧૪ ટૅન્કો સાથે યુદ્ધ થયું. તેમણે ૧૦ ટૅન્કોનો નાશ કર્યો. દુશ્મનની ટૅન્કનો એક ગોળો ખેતરપાલની ટૅન્ક પર પડ્યો. ટૅન્કની સપાટી પરથી આગની જ્વાળા નીકળવા માંડી. ખેતરપાલને પાછા વળવાનો આદેશ આપવામાં આવ્યો, પરંતુ તેમણે બાકીની ચાર ટૅન્કો તરફ આગેકૂચ કરી. તેમણે બે ટૅન્કોનો નાશ કર્યો. પાકિસ્તાની સૈનિકો રણભૂમિ છોડી નાસી ગયા. એ દરમિયાન એક ગોળો ટૅન્ક પર પડ્યો. ટૅન્કમાંના ડ્રાઇવર, ઑપરેટર અને તોપચી જખમી થયા. ખેતરપાલ ગંભીર રીતે ઘવાયા હોવા છતાં ફાયરિંગ કરતા રહીને દુશ્મનની ટૅન્ક તરફ ધસી ગયા. ખેતરપાલની ટૅન્કમાંથી ગોળો છૂટે એ પહેલાં જ દુશ્મનની ટૅન્કનો ગોળો આવ્યો. અસંખ્ય કરચો તેમના પેટમાં ઘૂસી ગઈ. સાથળમાં ઘણા ઘા થયા. પગનું હાડકું ભાંગી ગયું અને તેઓ શહીદ થયા. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસાધારણ બહાદુરી માટે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો. પરમવીરચક્ર મેળવનાર તેઓ સૌથી નાની ઉંમરના સૈનિક છે.

અનિલ રાવલ