Categories
વાચન સમૃદ્ધિ

સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ

જ. ૧૪ ઑક્ટોબર, ૧૯૫૦ અ. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧

માત્ર છ માસની લશ્કરી કારકિર્દીમાં શહીદ થનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલનો જન્મ પુણેમાં થયો હતો. પિતા મદનલાલ ભારતીય સેનામાં એન્જિનિયર હતા. સનાવરની લૉરેન્સ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૭માં ખડકવાસલાની નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. તાલીમ પૂર્ણ કરી ૧૩ જૂન, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ સ્ક્વૉડ્રનનું કમાન્ડિંગ કરી રહ્યા હતા. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સની બ્રાવો ટૅન્ક સ્ક્વોડ્રન તેમજ ૩જી ગ્રેનેડિઅર્સ સૈનિક ટુકડી પર પાકિસ્તાની દળોએ જોરદાર આક્રમણ કરતાં ૧૭મી પૂના હોર્સની આલ્ફા ટૅન્ક સ્ક્વૉડ્રનના ખેતરપાલ જરપાલ તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેમના પર પાકિસ્તાની દળોએ ફાયરિંગ કર્યું. ખેતરપાલ ટૅન્કમાંથી ગોળા ફેંકતા દુશ્મનો તરફ આગળ વધતા રહ્યા. દુશ્મન પાસે પહોંચી તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા અને પાકિસ્તાની સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા અને શસ્ત્રસરંજામ કબજે કર્યો. આગળ વધતાં પાકિસ્તાનની ૧૪ ટૅન્કો સાથે યુદ્ધ થયું. તેમણે ૧૦ ટૅન્કોનો નાશ કર્યો. દુશ્મનની ટૅન્કનો એક ગોળો ખેતરપાલની ટૅન્ક પર પડ્યો. ટૅન્કની સપાટી પરથી આગની જ્વાળા નીકળવા માંડી. ખેતરપાલને પાછા વળવાનો આદેશ આપવામાં આવ્યો, પરંતુ તેમણે બાકીની ચાર ટૅન્કો તરફ આગેકૂચ કરી. તેમણે બે ટૅન્કોનો નાશ કર્યો. પાકિસ્તાની સૈનિકો રણભૂમિ છોડી નાસી ગયા. એ દરમિયાન એક ગોળો ટૅન્ક પર પડ્યો. ટૅન્કમાંના ડ્રાઇવર, ઑપરેટર અને તોપચી જખમી થયા. ખેતરપાલ ગંભીર રીતે ઘવાયા હોવા છતાં ફાયરિંગ કરતા રહીને દુશ્મનની ટૅન્ક તરફ ધસી ગયા. ખેતરપાલની ટૅન્કમાંથી ગોળો છૂટે એ પહેલાં જ દુશ્મનની ટૅન્કનો ગોળો આવ્યો. અસંખ્ય કરચો તેમના પેટમાં ઘૂસી ગઈ. સાથળમાં ઘણા ઘા થયા. પગનું હાડકું ભાંગી ગયું અને તેઓ શહીદ થયા. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસાધારણ બહાદુરી માટે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો. પરમવીરચક્ર મેળવનાર તેઓ સૌથી નાની ઉંમરના સૈનિક છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

ભૂલાભાઈ દેસાઈ

જ. ૧૩ ઑક્ટોબર, ૧૮૭૭ અ. ૬ મે, ૧૯૪૬

વિદ્વાન વકીલ અને સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈનો જન્મ અનાવિલ પરિવારમાં થયો હતો. પિતા જીવણજી અને માતા રમાબાઈ. તેમણે શાળેય શિક્ષણ વલસાડની અવાબાઈ હાઈસ્કૂલ અને મુંબઈની ભરડા હાઈસ્કૂલમાં મેળવ્યું. ૧૮૯૫માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ સ્થાને પાસ કરી. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવી વર્ડ્ઝવર્થ પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી. અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. નોકરી દરમિયાન એલએલ.બી. થયા. ૧૯૦૫માં મુંબઈમાં વકીલાત શરૂ કરી. ૧૯૧૬માં તેઓ હોમરૂલ લીગમાં જોડાયા. થોડાં વર્ષો લિબરલ પાર્ટીના સભ્ય પણ રહ્યા. ૧૯૨૮માં ભારતમાં બંધારણીય સુધારાઓ માટેના સાયમન કમિશનનો તેમણે વિરોધ કર્યો. બારડોલી સત્યાગ્રહ પછી સરકારે નીમેલા તપાસપંચ સમક્ષ તેમણે ખેડૂતોના કેસનું પ્રતિનિધિત્વ કરી જોરદાર રજૂઆત કરી જેથી ખેડૂતોને લાભ થયો. તેઓ ૧૯૩૦માં કૉંગ્રેસમાં જોડાયા. વિલાયતી માલના બહિષ્કાર માટે મુંબઈ સ્વદેશી સભાની સ્થાપના કરી. સરકારે ૨૫ જુલાઈ, ૧૯૩૨ના રોજ તેમની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. ૧૯૩૪-૩૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય બન્યા. તેઓ કેન્દ્રની ધારાસભામાં ચૂંટાયા. બીજા વિશ્વયુદ્ધમાં ભારત અને ભારતીય સૈનિકોના સમાવેશનો તેમણે વિરોધ કર્યો. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો, આથી તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેમને દસ મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૫માં વચગાળાની સરકારની રચના માટે તેમણે મુસ્લિમ લીગના લિયાકત અલીખાન સાથે વાટાઘાટો કરી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજના શાહ નવાઝખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરુબક્ષસિંહ ધિલ્લોન પર રાજદ્રોહના કેસમાં તેમણે બચાવપક્ષના વકીલ તરીકે અભ્યાસપૂર્ણ દલીલો કરી હતી. મોતીલાલ સેતલવાડે તેમનું જીવનચરિત્ર લખ્યું છે. મુંબઈમાં તેમના નામે રોડનું નામાભિકરણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રહલાદ પારેખ

જ. ૧૨ ઑક્ટોબર, ૧૯૧૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૬૨

અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌંદર્યનિષ્ઠ કવિતાના સર્જક તરીકે પ્રતિષ્ઠિત થયેલા પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ મંગળાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધેલું. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીનો તેમના વ્યક્તિત્વઘડતરમાં નોંધપાત્ર ફાળો હતો. ઈ. સ. ૧૯૩૦ની સ્વાતંત્ર્યચળવળમાં જોડાવા અભ્યાસ છોડ્યો. જેલવાસ ભોગવ્યો. ફરી અભ્યાસ શરૂ કર્યો. દક્ષિણામૂર્તિની ‘વિનીત’ની પરીક્ષા પાસ કરી. પછી વધુ અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવ્યા. ત્યાંથી ૧૯૩૩માં શાંતિનિકેતન જઈ ચાર વર્ષ ભણ્યા. ત્યાં રવીન્દ્રનાથના સહવાસને કારણે કાવ્યસર્જનની પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યૂપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. બીજે વરસે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. ૧૯૪૫થી મુંબઈની મૉડર્ન હાઈસ્કૂલમાં જોડાયા અને છેક સુધી ત્યાં રહ્યા. રાષ્ટ્રીય ચેતનાવાળા ગાંધીયુગના માહોલમાં તેમણે સૌંદર્યાભિમુખ કાવ્યોનો સંગ્રહ ‘બારીબહાર’ (૧૯૪૦) આપ્યો. સૌંદર્યાભિમુખતા એ નવીન કવિતાનું એક લક્ષણ ગણાય છે. એ પછી તેમની પાસેથી ૧૯૪૮માં ‘સરવાણી’ નામે ગીતસંગ્રહ મળે છે. ગીતસ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. ‘આજે’, ‘વિદાય’, ‘પરાજયની જીત’ વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. ઉમાશંકર જોશીએ તેમની કવિતાને ‘નીતરા પાણી’ જેવી કહીને વખાણી છે. ‘ગુલાબ અને શીવલી’ એ ભાઈ-બહેનની કરુણમંગલ ગદ્યકથા છે. તેમણે કેટલીક નવલકથાઓના અનુવાદો પણ આપ્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમણે આપેલી પરિચયપુસ્તિકા છે. તેમણે લાંબી બાળવાર્તાઓ અને ‘તનમનિયાં’માં બાળકાવ્યો પણ આપ્યાં છે.

તેમનું અવસાન મુંબઈમાં થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી