Categories
વાચન સમૃદ્ધિ

મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

જ. ૧૧ ઑક્ટોબર, ૧૮૯૯ અ. ૧ ફેબ્રુઆરી, ૧૯૬૯

શિક્ષણશાસ્ત્રી, લેખક, સંપાદક અને ગાંધીવાદી મગનભાઈ દેસાઈનો જન્મ ધર્મજમાં પાટીદાર કુટુંબમાં થયો હતો. શાળેય શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૭માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.ના અભ્યાસ માટે દાખલ થયા, પરંતુ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ કૉલેજ છોડી. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. તેમણે બોરસદ વિનયમંદિરમાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પછી ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના અધ્યાપક બન્યા. સવિનય કાનૂનભંગની લડતમાં લોકમત કેળવવાનું કાર્ય કર્યું. ૧૯૩૨માં અંગ્રેજ સરકારે ગૂજરાત  વિદ્યાપીઠને ગેરકાનૂની જાહેર કરી, પછી મગનભાઈને જેલવાસ થયો. તેમણે એક વર્ષ માટે વર્ધા મહિલા આશ્રમનું સંચાલન અને શિક્ષણ કર્યું. ૧૯૩૭થી ૧૯૬૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર રહ્યા. તેઓ ૧૯૪૬થી ૧૯૫૩ સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રમુખ હતા. ૧૯૪૬માં નવજીવન ટ્રસ્ટના સભ્ય અને ૧૯૪૭માં ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય થયા. તેઓ ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા, પરંતુ ૧૯૬૦માં રાજીનામું આપ્યું. ટ્રસ્ટીઓ સાથે મતભેદ થતાં ૧૯૬૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સેવક તરીકે રાજીનામું આપ્યું. તેઓ અનેક સંસ્થાઓ અને સમિતિઓ સાથે સંકળાયેલા હતા. શિક્ષણશાસ્ત્રી ઉપરાંત તેઓ પત્રકાર-સંપાદક પણ હતા. તેમણે ૧૯૩૯માં ‘શિક્ષણ અને સાહિત્ય’ નામનું સામયિક શરૂ કર્યું અને ૧૯૬૧ સુધી તેના તંત્રી રહ્યા. આ ઉપરાંત તેઓ અન્ય સામયિકોના પણ તંત્રી હતા. તેમણે ઘણાં પુસ્તકો અને અનુવાદો આપ્યાં છે. ‘દારૂનિષેધ અને સ્વરાજ’, ‘સત્યાગ્રહની મીમાંસા’, ‘રાજા રામમોહન રાયથી ગાંધીજી’, ‘મેકૉલે કે ગાંધી ?’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ પુસ્તકો લખ્યાં હતાં. પ્રાથમિકથી યુનિવર્સિટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ એવા આગ્રહ માટે તેઓ જાણીતા હતા.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યાસાગર આચાર્ય

જ. ૧૦ ઑક્ટોબર, ૧૯૪૬ અ. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪

એક પ્રભાવશાળી ભારતીય દિગંબર જૈન આચાર્ય. કન્નડભાષી જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ મલ્લપ્પા હતું. પિતા પછીથી મુનિ મલ્લિસાગર બનેલા. માતાનું નામ શ્રીમતી. સમય જતાં તેઓ આર્યિકા સમયમતિ બન્યાં હતાં. બાળપણનું નામ વિદ્યાધર હતું. ૧૯૬૮માં તેમને ૨૨ વર્ષની ઉંમરે અજમેરમાં આચાર્ય જ્ઞાનસાગરે દિગંબર સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેઓ આચાર્ય શાંતિસાગરના વંશના હતા. તેમનાં માતા, પિતા, બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તેમના ભાઈઓ પણ તેમના અનુસરણમાં આવ્યા અને તેમને પણ દીક્ષા આપવામાં આવી. આચાર્ય વિદ્યાસાગરે દિગંબર જૈન ધર્મમાં શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પુનરુત્થાનનું કાર્ય કરેલું. તેઓ નાનાં ભાઈ-બહેનોને ધર્મના સિદ્ધાંતો શીખવતા. ૧૯૭૨માં તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું. તેઓ વિહાર કરતા હોય ત્યારે સંઘનું નેતૃત્વ કરતા હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષાના જાણકાર હતા. તેમના લખેલા ગ્રંથોમાં મુખ્યત્વે ‘નર્મદા કા નરમ કંકર’, ‘ડૂબા મત લગાઓ ડૂબકી’, ‘તોતા રોતા ક્યોં ?’, ‘મૂક માટી’ આદિ કાવ્યરચનાઓ; ‘ગરુવાણી’, ‘પ્રવચન પારિજાત’, ‘પ્રવચન પ્રમેય’ તેમનાં પ્રવચનસંગ્રહનાં પુસ્તકો છે. તેમના શિષ્ય મુનિશ્રી ક્ષમાસાગરજીએ એમની જીવનકથા ‘આત્માન્વેષી’ નામે લખી છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. મુનિ પ્રણમ્યાસાગરજીએ તેમના જીવન પર ‘અનાસક્ત મહાયોગી’ નામે કાવ્યની રચના કરી છે. આચાર્ય વિદ્યાસાગરે પ્રતિભાસ્થલી ખાતે જ્ઞાનોદય વિદ્યાપીઠ નામે છોકરીઓ માટે શાળા ખોલી હતી. ૨૦૧૮માં તેમની દીક્ષાને પચાસ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી નિમિત્તે અજમેર, રેવા, શ્રવણબેલગોલા અને અન્ય સ્થળોએ સ્મારક સ્તંભો બનાવવામાં આવ્યા છે. તેઓ અભ્યાસ કરવા માટે સદાય ઉત્સુક રહેતા અને જ્યારે પણ સમય મળે ત્યારે ચિત્રકામ કરતા હતા. તેમને અનાસક્ત યોગી, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, સંત શિરોમણિ કહેવામાં આવે છે

નલિની દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જૉસેફ મૅકવાન

જ. ૯ ઑક્ટોબર, ૧૯૩૬ અ. ૨૮ માર્ચ, ૨૦૧૦

ગુજરાતના જાણીતા નવલકથાકાર જૉસેફ મૅકવાનનો જન્મ આણંદ જિલ્લાના ત્રણોલી ગામે થયો હતો. પિતાનું નામ ઇગ્નાસ અને માતાનું નામ હીરી. વતન ઓડ. બાળપણ ગરીબીમાં પસાર થયું. મજૂરી કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તરત જ નોકરીએ લાગ્યા. તેમણે બહારના વિદ્યાર્થી તરીકે એમ.એ., બી.એડ્. સુધીનો અભ્યાસ કર્યો. એમ.એ. થયા બાદ થોડા સમય ડાકોરની કૉલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. પણ તેઓ માનતા કે માધ્યમિક શિક્ષણ મજબૂત હોવું જોઈએ. આથી અધ્યાપક તરીકેની નોકરી છોડી, આણંદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. શિક્ષણકાર્યની સાથે તેઓ સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ કરતા. ૧૯૫૬થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પાસેથી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ તથા ચરિત્રસાહિત્ય મળ્યું છે. ‘વ્યથાનાં વીતક’(૧૯૮૫)માં એમણે લખેલાં જીવનચરિત્રો સંગૃહીત થયાં છે. તેમની પાસેથી ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મનખાની મિરાત’, ‘બીજ-ત્રીજનાં તેજ’ જેવી સત્ત્વશીલ નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. ‘આંગળિયાત’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. ૧૯૮૯માં દિલ્હી સાહિત્ય અકાદેમી દ્વારા આ નવલકથા પુરસ્કૃત થઈ હતી. ‘સાધનાની આરાધના’, ‘આગળો’, ‘પન્નાભાભી’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની પાસેથી નિબંધસંગ્રહો તથા સંપાદનો પણ મળ્યાં છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના અનેક પુરસ્કારો મળ્યા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૯૦ની સાલનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત સંસ્કાર ઍવૉર્ડ, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, દર્શક ઍવૉર્ડ વગેરેથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્યના અગ્રણી સાહિત્યકાર અને નવલકથાકાર તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.

શ્રદ્ધા ત્રિવેદી