Categories
વાચન સમૃદ્ધિ

રાજકુમાર

જ. ૮ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૩ જુલાઈ, ૧૯૯૬

ભારતીય હિન્દી સિનેમાજગતના અભિનેતા રાજકુમાર અનોખા અવાજ, અનોખી સંવાદ-રજૂઆત અને અનોખી અદાકારી માટે લોકપ્રિય અભિનેતા હતા. તેમનું મૂળ નામ કુલભૂષણ પંડિત હતું. અભિનયક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ઊભી કરવા માટે રાજકુમારના નામ સાથે કારકિર્દી શરૂ કરી. ૧૯૪૦માં શ્રીનગરથી મુંબઈ આવીને સ્થાયી થયા. જ્યાં મુંબઈ પોલીસ વિભાગમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી. દરમિયાન દિગ્દર્શક નજમ નક્વી રાજકુમારના વ્યક્તિત્વથી અભિપ્રેત થયા અને ૧૯૫૨માં ફિલ્મ ‘રંગીલી’માં અભિનય કરાવ્યો. ૧૯૫૭માં મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધરઇન્ડિયા’માં અભિનય કર્યો અને પ્રતિભાવંત અભિનેતા તરીકે લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘ઘમંડ’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘વક્ત’, ‘કાજલ’, ‘હીર-રાંઝા’, ‘નીલકમલ’, ‘હમરાઝ’, ‘પાકિઝા’, ‘કર્મયોગી’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને એક આગવી ઓળખ ઊભી કરી. ‘જાની’ શબ્દ રાજકુમારના મોટા ભાગના સંવાદોની શરૂઆતનો અપેક્ષિત શબ્દ રહેતો. એક સમયે રાજકુમારના સંવાદો ઉપર સિનેમાઘરોમાં પડદા ઉપર સિક્કાઓનો વરસાદ થતો. કારકિર્દીના પાછલા પડાવમાં પણ ‘સૌદાગર’, ‘તિરંગા’, ‘બેતાજ બાદશાહ’, ‘બુલંદી’ જેવી ફિલ્મોમાં એમનો અભિનય અને પડદા પરની ઉપસ્થિતિ (screen presence) ફિલ્મના મુખ્ય અભિનેતા માટે પડકાર સમી રહેતી. પત્ની ગાયત્રી કુમાર, બે પુત્રો તથા એક પુત્રી તેમનો પરિવાર હતો. ગળાના કૅન્સરની બીમારીમાં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. રાજકુમાર દર્શકોની સ્મૃતિમાં સદા અમર અભિનેતા તરીકે અંકિત થયેલા રહેશે.

અલ્પા શાહ

Categories
વાચન સમૃદ્ધિ

નરહરિ દ્વારકાદાસ પરીખ

જ. ૭ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૧૫ જુલાઈ, ૧૯૫૭

લેખક, સંપાદક, સમાજસુધારક અને સ્વાતંત્ર્યસેનાની નરહરિ પરીખનો જન્મ અમદાવાદમાં. વતન કઠલાલ. શાળેય શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૦૬માં મૅટ્રિક થયા બાદ ૧૯૧૧માં ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. ૧૯૧૩માં એલએલ.બી. થયા પછી વકીલાત શરૂ કરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થતાં ૧૯૧૬માં વકીલાત છોડી અને સ્વતંત્રતાના આંદોલનમાં જોડાયા. તેઓ સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળાના શિક્ષક બન્યા. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૩માં બારડોલી પાસેના સરભોણમાં આશ્રમ સ્થાપી વણાટશાળા શરૂ કરી અને દૂબળાઓને ભણાવવાનું શરૂ કર્યું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૩૦માં ધરાસણા સત્યાગ્રહમાં લાઠીચાર્જથી ઘવાયા અને જેલવાસ થયો. ૧૯૩૪માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક બન્યા. ૧૯૩૭માં રચાયેલ બુનિયાદી શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિમાયા. તેઓ સેવાગ્રામમાં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય બન્યા. ગાંધીજીએ તેમના વસિયતનામામાં નીમેલા બે ટ્રસ્ટીઓ પૈકી એક નરહરિ પરીખ હતા. તેમણે અસ્પૃશ્યતા, દારૂ તેમજ નિરક્ષરતા નાબૂદી માટે કાર્ય કર્યું. તેઓ થોડાં વર્ષો સુધી ગાંધીજીના અંગત સચિવ રહ્યા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ હતા. તેમણે અનેક મૌલિક પુસ્તકો લખ્યાં. સંપાદનો અને અનુવાદ પણ કર્યા છે. ‘મહાદેવભાઈનું પૂર્વચરિત્ર’, ‘સરદાર વલ્લભભાઈ’ (ભાગ-૧, ૨), ‘માનવ અર્થશાસ્ત્ર’, ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘નામદાર ગોખલેનાં ભાષણો’, ‘ગોવિંદગમન’, ‘કરંડિયો’, ‘મહાદેવભાઈની ડાયરી’ (ભાગ ૧થી ૭), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ વગેરે સંપાદનો કર્યાં છે. તેમણે રવીન્દ્રનાથ ટાગોરની ‘ચિત્રાંગદા’, ‘વિદાય અભિશાપ’નો તથા ટૉલ્સ્ટૉયનાં પુસ્તકોનો ‘જાતે મજૂરી કરનારાઓને’ અને ‘ત્યારે કરીશું શું ?’ નામે અનુવાદ કર્યો છે. તેમના ‘કન્યાને પત્રો’નો હિન્દી, મરાઠી અને ઊડિયામાં અનુવાદ થયો છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

દામિનીબહેન મહેતા

જ. ૬ ઑક્ટોબર, ૧૯૩૦ અ. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯

ખ્યાતનામ ગુજરાતી નાટ્ય અભિનેત્રી અને નિર્દેશિકા દામિનીબહેન મહેતાનો જન્મ અમદાવાદ ખાતે ચુસ્ત, ધાર્મિક અને સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. માતા સરસ્વતીબહેન અને પિતા જીવણલાલ મહેતા. પિતાનું અકાળે અવસાન થતાં કુટુંબ કપરી આર્થિક પરિસ્થિતિમાં આવી પડ્યું. તે સમયે ‘જવનિકા’ નાટક કંપની દ્વારા ભજવાતાં નાટકોમાં બાળકલાકારની જરૂર જણાતાં દામિનીબહેનને અનાયાસે અભિનય કરવાની તક મળી. તેમાં ‘રૂપમતી’ નાટકનો તેમનો અભિનય ખૂબ વખણાયો. અભિનય દ્વારા મળતો પુરસ્કાર તેમના કુટુંબની આર્થિક પરિસ્થિતિમાં ટેકારૂપ બન્યો. ‘જવનિકા’ નાટક કંપનીમાં થોડાં વર્ષ કામ કર્યાં બાદ તેને છોડીને ‘નટરંગ’ નામની સંસ્થા સ્થાપી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહીં. આ પછી તેઓ દર્પણ સ્કૂલ ઑફ પર્ફૉર્મિંગ આર્ટમાં નૃત્યકલાગુરુ મૃણાલિનીબહેન સારાભાઈનું આમંત્રણ મળતાં તેમાં જોડાયાં. દર્પણમાં નાટ્યવિદ કૈલાસ પંડ્યાના સહયોગમાં નાટ્યવિભાગ શરૂ કર્યો. ૪૫ વર્ષ સુધી દર્પણ સંસ્થામાં કાર્યરત રહીને અનેક નાટ્યપ્રયોગો કર્યા. દામિનીબહેને તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૧૫૦ જેટલા નાટકોમાં અભિનય કર્યો. તેમનાં કેટલાંક યાદગાર નાટકોમાં ‘પીળું ગુલાબ’, ‘કોઈ પણ ફૂલનું નામ લો’, ‘કાનન’, ‘લીલા’, ‘નવલશાહ હીરજી’, ‘તારામતી’, ‘મસ્તાની’ વગેરેનો સમાવેશ થાય છે. આકાશવાણી, દૂરદર્શન તથા માહિતીખાતાનાં દસ્તાવેજી ચિત્રો બનાવવામાં પણ તેમનો ફાળો હતો. ગુજરાતની અતિ પ્રાચીન કલા ભવાઈના જતન અને સંવર્ધન માટે તેમણે ખાસ યોગદાન આપ્યું છે. તે સમયે ભવાઈની પ્રસ્તુતિમાં પુરુષો જ સ્ત્રીની વેશભૂષા સાથે સ્ત્રીનું પાત્ર ભજવતા, પરંતુ દામિનીબહેને સ્ત્રીપાત્રમાં અભિનય કરવાનો નવીન પ્રયોગ શરૂ કર્યો. તેમણે નાટ્યક્ષેત્રે આપેલ યોગદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યાં છે. જેમાં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, ‘નવલશા હીરજી’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો પુરસ્કાર, પં. ઓમકારનાથ ઠાકુર સન્માન, ૧૯૯૪-૯૫માં ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.

શુભ્રા દેસાઈ