Categories
વાચન સમૃદ્ધિ

દત્તોપંત ઠેંગડી

જ. 10 નવેમ્બર, 1920 અ. 14 ઑક્ટોબર, 2004

લેખક, કુશળ સંગઠક, વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દત્તોપંત ઠેંગડીનો જન્મ મહારાષ્ટ્રના આર્વીમાં થયો હતો. પિતા બાપૂરાવ વકીલ હતા. માતા જાનકીદેવી ભગવાન દત્તાત્રેયનાં ભક્ત હતાં. દત્તોપંતજીએ શાળેય શિક્ષણ આર્વી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મેળવ્યું. 15 વર્ષની ઉંમરે તેમણે ‘વાનરસેના’ અને આર્વીની મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. 1936માં મોરિસ કૉલેજમાં દાખલ થયા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન સાથે જોડાયા. અનુસ્નાતક થયા પછી નાગપુરની લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. તેઓ 22 માર્ચ, 1942ના રોજ પ્રચારક બન્યા. કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિસ્તાર કરવા માટે કાલિકટ ગયા. 1945માં કૉલકાતામાં પ્રચારક તરીકે ગયા. 1949માં બંગાળ-અસમ પ્રાંતપ્રચારક બન્યા. 1950માં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(INTUC)ના સંગઠનમંત્રી બન્યા. તેઓ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં જનસંઘના સંગઠનમંત્રી હતા. તેમણે ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણમંચ, સામાજિક સમરસતામંચ, સર્વ પંથ સમાદર મંચ અને પર્યાવરણ મંચની સ્થાપના કરી. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહસ્થાપક હતા. તેઓ 1964થી 1976 સુધી રાજ્યસભાના  સભ્ય હતા. 1969માં સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે હંગેરી અને સોવિયેત રશિયાની મુલાકાત લીધી. તેઓ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન પરિષદમાં પ્રતિનિધિ તરીકે હંગેરી ગયા અને 1977માં જિનીવા ખાતે બીજી આંતરરાષ્ટ્રીય રંગભેદ વિરોધી પરિષદમાં હાજરી આપી. તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો.

તેઓ હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં લેખન કરતા હતા. તેમણે 100 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તે સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ઇમરે કેરતેસ

જ. 9 નવેમ્બર, 1929 અ. 31 માર્ચ, 2016

ઇમરેનો જન્મ હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે હજારો યહૂદીઓને પકડીને પોલૅન્ડની આશવિઝ શિબિરમાં મૂક્યા હતા, તેમાં કેરતેસ પણ હતા. ત્યારબાદ તેમને જર્મનીની શિબિરમાં મૂક્યા. યુદ્ધ પૂરું થયું અને મુક્તિ મળી પણ કેરતેસને શિક્ષણ મળ્યું જ નહીં. 19 વર્ષની વયે તેમણે સમાચારપત્રમાં કામ કર્યું. 1957થી હંગેરી પર કમ્યુનિસ્ટોનું શાસન આવ્યું. લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. રશિયાએ હંગેરીની પ્રજા પર અનેક સિતમ વરસાવ્યા. કેરતેસને ગુલામી પસંદ નહોતી, તેથી તેમણે નોકરી છોડવી પડી. ત્યારબાદ તેમણે નિત્શે ફ્રૉઇડ, વિટગેંસ્ટાઇન, શ્વાઇત્ઝર વગેરેના સાહિત્યનો અનુવાદ કરી તેની કમાણીમાંથી પેટગુજારો કર્યો. આ રીતે ચાળીસ વર્ષ વીતી ગયાં. આ કઠોર જીવનને લીધે તેમણે મુશ્કેલીઓ સામે હસતાં શીખી લીધું. તેઓ યહૂદી પરિવારમાં જન્મ્યા હતા તેથી ઘણી યાતનાઓ વેઠવી પડી. સાહિત્યનું નોબેલ પારિતોષિક તેમણે 2002માં મળ્યું. આ પારિતોષિક મેળવનાર તેઓ પહેલા હંગેરિયન છે. 1989માં સામ્યવાદી રશિયાનું માળખું તૂટી પડ્યું ત્યારે હંગેરી રશિયાની ચુંગાલમાંથી છૂટ્યું અને આઝાદીના શ્વાસ લીધા. ઇમરેની પ્રથમ નવલકથા ‘ફેટલેસ’ 1965માં લખાઈ, જે નોબેલ પારિતોષિક માટે મુખ્ય કારણ છે. ત્યારબાદ 1988માં ‘ફિઆસ્કો’, અને 1990માં ‘કૅડિશ ફોર એ ચાઇલ્ડ નોટ બોર્ન’ નામની નવલકથા લખી. 1992માં ‘ગેબી ડાયરી’ નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. આ સર્વ રચનામાં વીસમી સદીની ત્રાસદાયક ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી છે. આ પુસ્તકો વાચકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં. તેઓને ‘બ્રેન્ડેનબર્ગ’ જર્મન પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પુ. લ. દેશપાંડે

જ. 8 નવેમ્બર, 1919 અ. 12 જૂન, 2000

મરાઠી લેખક, અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને ગાયક પુરુષોત્તમ દેશપાંડેનો જન્મ મુંબઈમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા લક્ષ્મણ ત્ર્ યંબક દેશપાંડે અને માતા લક્ષ્મીબાઈ. મુંબઈના પાર્લેના ટિળક વિદ્યાલયમાં અભ્યાસ કરી ઇસ્માઈલ યુસુફ કૉલેજમાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતક થયા. પિતાનું અવસાન થતાં નોકરી શરૂ કરી સાથે નાટ્યકલાની તાલીમ મેળવી. તેમણે પટકથાઓ લખવાનું, અભિનય કરવાનું, ગાવાનું તેમજ સંગીતનિર્દેશનનું કામ કર્યું. એ પછી તેઓ અનુસ્નાતક થયા અને એલએલ.બી.ની પદવી મેળવી. પ્રારંભમાં મુંબઈની ઓરિએન્ટ હાઈસ્કૂલના શિક્ષક બન્યા પછી કર્ણાટકના બેલગામની રાણી પાર્વતી કૉલેજ અને મુંબઈની કીર્તિ કૉલેજમાં અધ્યાપન કર્યું. તેમણે આકાશવાણીના મુંબઈ, પુણે અને દિલ્હી કેન્દ્રમાં સેવા આપી. યુનેસ્કોની શિષ્યવૃત્તિ મેળવી ટેલિવિઝન અને પ્રસારણના અભ્યાસ માટે બીબીસી લંડન ગયા. પાછા આવ્યા પછી આકાશવાણી, મુંબઈમાં નાટ્ય વિભાગના અધ્યક્ષ બન્યા. તેમણે 1943માં લેખનની શરૂઆત કરી. ‘ખોગીર ભરતી’થી તેઓ હાસ્યલેખક તરીકે જાણીતા થયા. એમણે એકપાત્રીય નાટકો લખ્યાં અને ભજવ્યાં. ‘બટાટ્યાચી ચાળ’ નાટક ભારતભરમાં ભજવ્યું હતું. તેમણે મૌલિક નાટકોની સાથે વિદેશી નાટકોનાં રૂપાંતર પણ કર્યાં છે. એમનાં નાટકો ભારતની અનેક ભાષાઓમાં ભજવાયાં છે. એમનાં પુસ્તકોના અનુવાદ કન્નડ, ગુજરાતી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં થયા છે. 1965માં નાંદેડ ખાતે યોજાયેલ અખિલ ભારતીય મરાઠી નાટ્યસંમેલનમાં તેઓ પ્રમુખ હતા અને 1974માં ઇચલકરંજીમાં યોજાયેલ અખિલ ભારતીય સુવર્ણ મહોત્સવી મરાઠી સાહિત્ય સંમેલનના તેઓ અધ્યક્ષ હતા. તેમણે આપેલાં પદાર્પણ બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર (1965), પદ્મશ્રી (1966), સંગીત નાટક અકાદમી પુરસ્કાર (1967), કાલિદાસ સન્માન (1987-88), બાળગંધર્વ સ્મૃતિ માનચિહ્ન (1988), રામ ગણેશ ગડકરી પુરસ્કાર (1989), પદ્મભૂષણ અને મહારાષ્ટ્ર ગૌરવ સન્માન (1990), ગરિમા પુરસ્કાર (1993), મહારાષ્ટ્રભૂષણ (1996) મુખ્ય છે. ત્રણ યુનિવર્સિટીઓએ તેમને માનદ ડૉક્ટર ઑવ્ લિટરેચરની પદવી આપી હતી.