Categories
વાચન સમૃદ્ધિ

આનંદીબાઈ જોષી

જ. 31 માર્ચ, 1865 અ. 26 ફેબ્રુઆરી, 1887

ભારતનાં પ્રથમ મહિલાતબીબ જેમણે 1886ની સાલમાં અમેરિકા જઈને ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી. તેમનો જન્મ મુંબઈ નજીકના કલ્યાણ ગામે ગણપતરામ જોષીને ત્યાં થયો હતો. નવ વર્ષની કુમળી વયે તેમનાં લગ્ન ગોપાળરાવ સાથે કરવામાં આવ્યાં હતાં. પતિ એક સામાન્ય કારકુન હતા. પત્નીની બુદ્ધિપ્રતિભા જોઈને તેમણે આનંદીને શિક્ષણ અપાવવાનો નિર્ધાર કર્યો. તેમના આ નિર્ણય સામે ઘણો વિરોધ થયો, પરંતુ ગોપાળરાવ અને આનંદીબાઈ સમાજ સામે અડીખમ રહ્યાં. તેમણે અનેક વિરોધનો, અપમાનનો સામનો કરવો પડ્યો. આનંદીબાઈ ઘરની બહાર નીકળે એટલે લોકો તેના પર કચરો ફેંકે, હડધૂત કરે. શાળા જવા માટે આનંદીને ટાંગામાં ખ્રિસ્તી ગોરી મેડમના પગ પાસે બેસવું પડે. ખ્રિસ્તી પાસે ભણીને આનંદીએ જાણે હિંદુ ધર્મનું સત્યાનાશ વાળ્યું હોય તેવું લોકો માનતા. આમ અનેક મુશ્કેલીઓ અને પજવણી સાથે આનંદીબાઈએ શિક્ષણ પૂરું કર્યું. આનંદીબાઈને ડૉક્ટર બની રોગગ્રસ્તોની સેવા કરવાની ઝંખના હતી. પતિ ગોપાળરાવને લાગ્યું કે રૂઢિચુસ્ત સમાજમાં આનંદીબાઈ ભારતમાં તો નહીં જ ભણી શકે. આથી તેમણે આનંદીબાઈને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તે સમયે પુરુષો માટે પણ પરદેશગમન સમાજને સ્વીકાર્ય નહોતું.   ત્યારે ફક્ત 17 વર્ષની વયે ચુસ્ત બ્રાહ્મણ સમાજની સ્ત્રીને એકલા અમેરિકા જઈ ડૉક્ટર બનવાનું બીડું પતિએ ઝડપ્યું. આનંદીબાઈ પણ પોતાના નિર્ણયમાં અફર રહ્યાં. આ સમાચારે સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચાવી મૂક્યો. પણ આનંદીબાઈ તેમના નિર્ણયમાં અફર રહ્યાં. અવરોધ અને વિરોધ વચ્ચે તેઓએ 1883ની સાલમાં સ્ટીમરમાં અમેરિકા જવા પ્રયાણ કર્યું. પેન્સિલવેનિયાની વિમેન્સ કૉલેજમાં તેમણે શિક્ષણ શરૂ કર્યું. અપોષણ, પૈસાની તંગી અને તાપણાની ધૂણી શ્વાસમાં જવાથી તેમને શારીરિક તકલીફો થવા લાગી. આનંદીબાઈએ 1886માં 11મી માર્ચે ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી અને ભારતનાં પ્રથમ મહિલાડૉક્ટર બનવાનું માન મેળવ્યું. અતિ શ્રમ, અપોષણ તથા અસ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં આનંદીબાઈ ટી. બી.નો શિકાર બન્યાં. માત્ર 22 વર્ષની ઉંમરમાં આનંદીબાઈનું નિધન થયું. ન્યૂયૉર્કમાં આનંદીબાઈની પ્રતિમા મૂકવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વામી યોગાનંદ

જ. 30 માર્ચ, 1861 અ. 28 માર્ચ, 1899

રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ ઉપપ્રમુખ સ્વામી યોગાનંદનો જન્મ દક્ષિણેશ્વર નજીક થયો હતો. તેમનું નામ યોગીન્દ્રનાથ રૉય ચૌધરી હતું. તેઓ બાળપણથી જ ધ્યાન અને પૂજામાં વ્યસ્ત રહેતા હતા. તેઓ 17 વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસને મળ્યા. રામકૃષ્ણએ તેમનામાં રહેલા આધ્યાત્મિક ભાવને જાણ્યો અને અવારનવાર આવવા માટે કહ્યું. ભક્તિ તરફ વળવાને કારણે યોગીન્દ્રનાથના અભ્યાસ પર અસર થઈ. આથી માતાપિતાને ચિંતા  થવા લાગી. પરિવારને આર્થિક ટેકો થાય એ માટે તેઓ નોકરીની શોધમાં કાનપુર ગયા. ત્યાં તેઓ એકાંતમાં રહેવાનું પસંદ કરતા હતા. પરિવારજનોએ તેમનાં લગ્ન કરવાનું નક્કી કર્યું જેથી તેઓ જવાબદાર બને અને મન સંસારમાં પરોવાય. અનિચ્છા છતાં માતાપિતાના આગ્રહથી લગ્ન કરવાં પડ્યાં. લગ્ન પછી યોગીન્દ્રનાથ રામકૃષ્ણને મળ્યા. તેમણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા દક્ષિણેશ્વર જવાનું શરૂ કર્યું. તેઓ મોટા ભાગનો સમય રામકૃષ્ણ સાથે વિતાવવા લાગ્યા. રામકૃષ્ણના અવસાન પછી તેઓ શારદાદેવી સાથે વૃંદાવન ગયા. ત્યાં તેમને કલાબાબુના કુંજમાં દીક્ષા આપવામાં આવી. તેઓ શારદાદેવીના પ્રથમ શિષ્ય બન્યા. એક વર્ષ પછી કૉલકાતા આવ્યા. તેઓ સ્વામી બ્રહ્માનંદ સાથે પુરી ગયા પછી 1888થી 1899 સુધી કૉલકાતામાં જુદાં જુદાં સ્થળોએ રહ્યા અને શારદાદેવીની સંભાળ રાખી. શારદાદેવી તેમને પ્રેમથી ‘છેલે યોગેન’ કહેતાં. તેમણે 1887માં સ્વામી વિવેકાનંદના નેતૃત્વમાં અન્ય શિષ્યબંધુઓ સાથે મઠનું વ્રત લીધું અને સ્વામી યોગાનંદ નામ ધારણ કર્યું. 1891માં વારાણસી ગયા. ત્યાં કઠોર જીવન જીવ્યા. તેમનું સ્વાસ્થ્ય બગડતાં બારાનગર મઠમાં આવ્યા. તેઓ પેટની બીમારીથી પીડાતા હતા. તેઓ બલરામ બોઝના ઘરે રહ્યા. તેઓ દક્ષિણેશ્વર મંદિરમાં રામકૃષ્ણના જન્મદિવસની જાહેર ઉજવણીનું મોટા પાયે આયોજન કરનારી પ્રથમ વ્યક્તિ હતા. 1897માં સ્વામી વિવેકાનંદ કૉલકાતા આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થયા પછી તેમને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જગદીપ

જ. 29 માર્ચ, 1939 અ. 8 જુલાઈ, 2020

હિંદી ફિલ્મજગતના હાસ્યઅભિનેતાનો જન્મ મધ્યપ્રદેશના દતિયા ગામે થયો હતો. હિંદી સિનેમામાં પોતાના આગવા અભિનયથી આગવી ઓળખ ધરાવતા જગદીપનું મૂળ નામ સૈયદ ઇશ્તાક જાફરી હતું. એમના પિતા દતિયામાં વકીલાતનો વ્યવસાય કરતા હતા. એમનો પરિવાર સમૃદ્ધ હતો. દસ ભાઈ-બહેનોમાં જગદીપ સૌથી નાના હતા. એમણે આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતાએ સંતાનો સાથે કરાંચીમાં પોતાનાં સગાંસંબંધીઓ પાસે સ્થળાંતર કર્યું, પરંતુ ત્યાં તેમનું જીવન વધુ કપરું બન્યું. પરિવાર વિખરાઈ ગયો. માતા બાળક જગદીપ સાથે મુંબઈ આવ્યાં, જ્યાં બાળપણમાં જગદીપે સાબુ, રમકડાં, પતંગ જેવી ચીજો વેચીને માતાને મદદ કરવાનું શરૂ કર્યું. રસ્તા પર ફેંકાયેલો ખોરાક ખાઈને પણ દિવસો વિતાવ્યા. દરમિયાન નિર્દેશક-નિર્માતા બી. આર. ચોપરાની નજર જગદીપ ઉપર પડતાં 1951માં ફિલ્મ ‘અફસાના’માં બાળકલાકાર તરીકે અભિનય કરવાની તક મળી. ત્યારબાદ ‘દિલ્લી દૂર નહિ’,  ‘હમ પંછી એક ડાલ કે’, ‘આરપાર’ જેવી ફિલ્મોમાં અભિનય કરીને ફિલ્મ-કારકિર્દી શરૂ થઈ. ગુરુદત્ત એ. એ. અબ્બાસ, બિમલ રૉય જેવા નિર્માતા-નિર્દેશકો સાથે કામ કરતાં કરતાં અભિનય શીખતા ગયા. યુવાન અભિનેતા તરીકે ‘ભાભી’, ‘બરખા’, ‘બિંદિયા’ જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક સાંપડી. 1968માં ફિલ્મ ‘બ્રહ્મચારી’માં એમનો હાસ્ય-અભિનય દર્શકોએ આવકાર્યો. ત્યારથી હાસ્યઅભિનેતા તરીકે એમની ઓળખ બની. આગવી સંવાદપ્રસ્તુતિ, આગવો આંખોનો અભિનય અને અવાજપ્રક્ષેપણે (voice projection) એમને અનોખા અભિનેતા તરીકે અનોખું સ્થાન અપાવ્યું. ‘પુરાના મંદિર’, ‘3 D સામરી’ જેવી કેટલીક હૉરર ફિલ્મોમાં પણ એમણે અભિનય કર્યો. પરંતુ દર્શકોએ એમને હાસ્યઅભિનેતા તરીકે જ આવકાર્યા. 1975માં ફિલ્મ ‘શોલે’માં સૂરમા ભોપાલીના પાત્રએ એમને હાસ્યની દુનિયામાં એક અમર મુકામ ઉપર મૂકી દીધા. એમણે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો જે લગભગ યાદગાર બની રહ્યો. ‘શહેનશાહ’, ‘કાલિયા’, ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મોમાં એમનું પાત્ર દર્શકોના ચિત્તમાં આજે પણ અકબંધ છે. 2009માં ફિલ્મ ‘લાઇફ પાર્ટનર’માં એમનો અભિનય એમની અંતિમ યાદ બની રહ્યો. મુંબઈમાં કૅન્સરની બીમારીમાં 81 વર્ષની વયે એમનું અવસાન થયું.