Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણા નહેરુ હઠીસિંહ

જ. 2 નવેમ્બર, 1907 અ. 9 નવેમ્બર, 1967

જવાહરલાલ નહેરુ અને વિજયાલક્ષ્મી પંડિતની સૌથી નાની બહેન અને લેખિકા કૃષ્ણાનો જન્મ અલાહાબાદના મીરગંજમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા સ્વરૂપરાણી. તેમનાં લગ્ન અમદાવાદના સુપ્રસિદ્ધ હઠીસિંહ પરિવારના ગુણોત્તમ (રાજા) હઠીસિંહ સાથે થયાં હતાં. કૃષ્ણાએ અને તેમના પતિએ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. કૃષ્ણાને સાત વખત જેલવાસ થયો, જેમાં સૌથી લાંબો જેલવાસ 14 મહિના અને 10 દિવસનો હતો.  1931માં પ્રથમ વખત તેમને જેલની સજા થઈ હતી. ત્યારબાદ બીજી વખત 1932માં 11 માસની જેલની સજા થઈ હતી. 1950માં તેઓ તેમના પતિ સાથે અમેરિકામાં વ્યાખ્યાન માટે ગયાં અને ભારતની આઝાદીની લડાઈ પર તેમના અનુભવો રજૂ કર્યા હતા. તેઓ ‘વૉઇસ ઑવ્ અમેરિકા’ સાથે જોડાયાં અને અનેક પ્રવચનો આપ્યાં. તેઓ પંડિત નહેરુની ટીકા કરતાં હતાં. 1952માં કૉંગ્રેસ પક્ષ વિરુદ્ધ ધરણા પર ઊતર્યાં હતાં. તેઓ 1958માં ઇઝરાયલ ગયાં અને પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન-ગુરિયને મળ્યાં હતાં. તેમણે 1959માં સી. રાજગોપાલાચારીને ફ્રીડમ પાર્ટી માટે ટેકો આપ્યો. તેઓ મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષની સામે સમાજવાદી તરીકે ચૂંટણી લડ્યાં હતાં. તેમણે સાત જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકોમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના જીવનની વાતો લખી છે. ‘વી નહેરુસ’, ‘વિથ નો રિગ્રેટ્સ – એન ઑટોબાયૉગ્રાફી’, ‘ડિયર ટુ બી હોલ્ડ ઃ એન ઇન્ટિમેટ પૉર્ટ્રેટ ઑવ્ ઇન્દિરા ગાંધી’, ‘શેડોઝ ઑન ધ વૉલ’, ‘ધ સ્ટોરી ઑવ્ ગાંધીજી’, ‘નહેરુઝ લેટર્સ ટુ હિઝ સિસ્ટર’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના પતિ પણ લેખક હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઊર્મિલા ભટ્ટ

જ. 1 નવેમ્બર, 1933 અ. 22 ફેબ્રુઆરી, 1997

રંગભૂમિ, ફિલ્મ અને ટીવીના પરદે જાજરમાન અભિનય આપનાર ઊર્મિલા ભટ્ટનો જન્મ દહેરાદૂનમાં થયો હતો. એમણે વડોદરામાં જ નૃત્યનાટકની તાલીમ લીધી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્ર સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતમાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958 દરમિયાન તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યનાં અધ્યાપિકા તરીકે તથા ત્યારબાદ વડોદરાની મ. સ. યુનિવર્સિટી સંચાલિત ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસ ખાતે અધ્યાપિકા તરીકે સંનિષ્ઠ સેવા આપી હતી. ત્યારબાદ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી. 1960માં રાજકોટની સંગીતકલા અકાદમીમાં લોકનૃત્યકાર તરીકે જોડાયાં. માર્કંડ ભટ્ટ જેવા નામી કલાકાર સાથે નાટકોમાં અભિનય કર્યો અને 1965માં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. તેમણે માર્કંડ ભટ્ટ સાથે ફિલ્મોમાં અભિનય પણ આપ્યો હતો. તેમણે ખ્યાતનામ દિગ્દર્શકો સાથે વિવિધ શૈલીનાં નાટકોમાં ભૂમિકાઓ ભજવી. તેમણે ભજવેલાં જાણીતાં નાટકોમાં ‘ભગવદજ્જુકીયમ’, ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’, ‘નંદિની’, ‘મરચન્ટ ઑવ્ વેનિસ’, ‘અત્ર લુપ્તા સરસ્વતી’, ‘ધરા ગુર્જરી’, ‘આણલ દે’, ‘શેતલને કાંઠે’, ‘મા’, ‘ઘૂંઘટપટ’ વગેરેનો સમાવેશ થાય છે. ચતુર્થ મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધા 1958 તથા ગુજરાત રાજ્ય નાટ્યસ્પર્ધા 1962માં તેમણે શ્રેષ્ઠ અભિનયનાં પારિતોષિક મેળવ્યાં હતાં. તેમણે 100થી વધુ હિન્દી ફિલ્મો, 75થી વધુ ગુજરાતી ફિલ્મો અને 10થી 15 રાજસ્થાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. બે દાયકા સુધી તેમણે હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરી ભારે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે બંગાળી, ભોજપુરી, હરિયાણવી વગેરે ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અભિનયક્ષેત્રે તેમણે કરેલા વિશિષ્ટ પ્રદાન બદલ 1970માં ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન, સિમલા દ્વારા તથા 1981માં ત્રિવેણી, વડોદરા દ્વારા તથા 1987માં વડોદરાની 30 જેટલી સંસ્થાઓ દ્વારા તેમને સન્માનવામાં આવ્યાં હતાં. સ્ત્રીનિકેતન, વડોદરાના પ્રમુખપદે રહી તેમણે અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ પણ કરી હતી. મુંબઈમાં તેમના ઘરમાં જ તેમની હત્યા થઈ હતી.

Categories
વાચન સમૃદ્ધિ

જયકૃષ્ણ હરિવલ્લભદાસ

જ. 31 ઑક્ટોબર, 1919 અ. 18 જાન્યુઆરી, 2000

મિલ-ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ, દાનવીર, સમાજસેવક, સ્ત્રીકેળવણીના હિમાયતી અજાતશત્રુ જયકૃષ્ણભાઈનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા હરિવલ્લભદાસ અને માતા મહાલક્ષ્મીબહેન. 1926માં પિતાની સાથે અમદાવાદ આવ્યા. 18 વર્ષની વયે પિતાના વ્યવસાયમાં જોડાયા અને કુશળ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી. તેમણે શ્રી અંબિકા ગ્રૂપના નામે પાંચ ટેક્સટાઇલ મિલોનું સંચાલન કર્યું. તેઓ 31 વર્ષની વયે દરિયાપુર મતવિસ્તારમાંથી ચૂંટણી જીતી મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય બન્યા. એ પછી 42 વર્ષની ઉંમરે 4 મે, 1961થી 4 મે, 1965 સુધી અમદાવાદના મેયર બની સમાજસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. તેમણે કૉર્પોરેશનની સમિતિઓમાં વિરોધપક્ષના સભ્યોને પ્રતિનિધિત્વ અપાવી એક નવી પરંપરા શરૂ કરી. તીર્થધામ વિકાસ, કેળવણી અને આરોગ્યક્ષેત્રે તેમણે મહત્ત્વનાં કાર્યો કર્યાં. તેઓ 1961થી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ચાન્સેલર અને 1963થી પ્રમુખ રહ્યા. તેમણે એચ. કે. આર્ટસ અને એચ. કે. કૉમર્સ કૉલેજનું સંચાલન કર્યું. મહીપતરામ રૂપરામ આશ્રમમાં 47 વર્ષ સુધી ચૅરમૅન તરીકે કાર્ય કર્યું. તેમણે અટિરાની ગવર્નિંગ કાઉન્સિલમાં 28 વર્ષ અને વહીવટી સભાના પ્રમુખ તરીકે 8 વર્ષ કાર્ય કર્યું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીના આરંભે 38 વર્ષ સુધી ઉપપ્રમુખ અને પછીથી પ્રમુખ બન્યા. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનની ગવર્નિંગ કાઉન્સિલમાં 38 વર્ષ રહ્યા. તેમણે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપનીના ચૅરમૅન, અપંગ માનવ મંડળ, અંધજન માનવ મંડળ, ઇન્ડો-જાપાન ફ્રૅન્ડશિપ ઍસોસિયેશન, ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન તેમજ અમદાવાદ મિલ-માલિક મંડળના પ્રમુખ તરીકે નોંધપાત્ર સેવા આપી. કૅન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં અને મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં ફાળો આપ્યો હતો. તેઓ 27 એપ્રિલ, 1995થી અવસાન સુધી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેમને જાપાનના પ્રતિષ્ઠિત ‘ધી ઑર્ડર ઑફ ધ રાઇઝિંગ સન’ ઍવૉર્ડ, રાજીવ ગાંધી ગોલ્ડમેડલ અને સમાજરત્નના ઇલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.