Categories
વાચન સમૃદ્ધિ

આચાર્ય નરેન્દ્રદેવ

જ. ૩૦ ઑક્ટોબર, ૧૮૮૯ અ. ૧૯ ફેબ્રુઆરી, ૧૯૫૬

ભારતના પ્રમુખ સ્વાતંત્ર્યસેનાની, સાહિત્યકાર, પત્રકાર તથા શિક્ષાવિદ નરેન્દ્ર દેવનો જન્મ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ખત્રી પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ સ્વામી રામતીર્થ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત દીનદયાળ શર્માના સંપર્કમાં રહેવાનો મોકો મળેલો. આથી મનમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિ અનુરાગ. તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની ઉપાધિ મેળવેલી, પછી કાશીની ક્વીન્સ કૉલેજમાં પુરાતત્ત્વનો અભ્યાસ કર્યો. ૧૯૧૩માં એમ.એ.ની ઉપાધિ પણ મેળવી. રાજનીતિમાં રસ ધરાવતા હોવા છતાં પરિવારના આગ્રહથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૦ સુધી ફૈજાબાદમાં વકીલાત કરી. દેશમાં અસહયોગ આંદોલનના પ્રારંભ પછી જવાહરલાલની સૂચના અને મિત્ર શિવપ્રસાદ ગુપ્તના આમંત્રણથી કાશી વિદ્યાપીઠ આવ્યા. અહીં ડૉ. ભગવાનદાસની અધ્યક્ષતા હેઠળ કાર્ય શરૂ કર્યું અને ૧૯૬૨માં પોતે પણ અધ્યક્ષ બન્યા. ત્યારથી આચાર્યની ઉપાધિ તેમના નામનું એક અંગ બની ગઈ. નાદુરસ્ત તબિયત રહેતી હોવા છતાં ૧૯૩૦માં ‘મીઠાના સત્યાગ્રહ’ તથા ૧૯૩૨માં આંદોલનમાં ભાગ લીધો આથી કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૩૪માં જયપ્રકાશ નારાયણ, ડૉ. રામમનોહર લોહિયા તથા અન્ય સહયાગીઓ સાથે મળીને કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. ૧૯૪૮માં પાર્ટીના સંમેલનમાં અધ્યક્ષતા કરી. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉત્તરપ્રદેશની માધ્યમિક શિક્ષા સમિતિની અધ્યક્ષતા કરી ઘણાં મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યાં હતાં. સંસ્કૃત ભાષા ભણાવવાનો તેમનો આગ્રહ રહેતો. બૌદ્ધ ધર્મના અનુરાગી હોવાથી ‘અભિધર્મકોશ’ પ્રકાશિત કરાવ્યું હતું. ‘અભિધમ્મત્થસંહહો’નું હિંદી ભાષાંતર કરેલું. વળી પ્રાકૃત તથા પાલિ વ્યાકરણ હિંદીમાં તૈયાર કર્યું હતું પણ આકસ્મિક નિધન થવાથી અમુક રચનાઓ પ્રાપ્ત થતી નથી. તેઓએ ‘વિદ્યાપીઠ’ ત્રૈમાસિક પત્રિકા, ‘સમાજ’ ત્રૈમાસિક, ‘જનવાણી’ માસિક, ‘સંઘર્ષ‘ અને ‘સમાજ’ સાપ્તાહિકોનું સંપાદન કરેલું. તેમની રચનાઓમાં સમાજવાદ, રાષ્ટ્રીયતા અને ખેડૂતોના પ્રશ્નો મુખ્યપણે રહેતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઉત્તમચંદ ખીમચંદ શેઠ

જ. ૨૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૦

ભારતમાં ક્લિનિકલ ફાર્માકૉલૉજીના સ્થાપક અને વિશ્વવિખ્યાત ફાર્માકૉલૉજિસ્ટ ઉત્તમચંદ શેઠનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ‘યુકેએસ’ તરીકે જાણીતા હતા. તેમણે માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. કર્યું પછી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. અને મેડિસિનમાં એમ.ડી.ની પદવી મેળવી. મેડિકલ રેસિડેન્સી પૂર્ણ કર્યા પછી મુંબઈની ટી. એન. મેડિકલ કૉલેજમાં પૅથૉલૉજી વિભાગમાં જોડાયા. ૧૯૫૦થી ૧૯૫૩ સુધી સહાયક પ્રોફેસર હતા. પછી ફાર્માકૉલૉજી વિભાગના વડા બન્યા. ૧૯૫૬થી ૧૯૭૩ સુધી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાં પ્રોફેસર અને વિભાગના વડા અને ૧૯૭૩થી ૧૯૭૮ સુધી ડિરેક્ટર પ્રોફેસર બન્યા. નિવૃત્તિ પછી નેપાળમાં WHOના નેપાળના ફાર્માકૉલૉજીના સલાહકાર બન્યા. એ પછી આઠ વર્ષ સુધી મલેરિયા અને ફાઇલેરિયાસિસ માટે WHOમાં સલાહકાર બન્યા. તેઓ મુંબઈમાં પ્રોફેસર એમેરિટ્સ અને શેઠ જી. એસ. મેડિકલ કૉલેજ અને ભારતીય વિદ્યાભવનના સ્વામી પ્રકાશાનંદ આયુર્વેદ સંશોધન કેન્દ્રના વરિષ્ઠ સલાહકાર બન્યા. રોકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ મળતાં યુ.એસ.એ. ગયા. ત્યાંથી આવીને પ્રાયોગિક અને ક્લિનિકલ ફાર્માકૉલૉજીનો પાયો નાંખ્યો. મલેરિયા માટે મેફલોક્વિનના ક્લિનિકલ વિકાસમાં એમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેમણે ૩૫૦થી વધુ વૈજ્ઞાનિક પ્રકાશનો કર્યાં જેમાંનાં અડધાં પ્રાયોગિક સંશોધન પર આધારિત હતાં. તેમણે ભારતમાં અનેક જર્નલોનું સંપાદન કર્યું હતું. તેમણે ફાર્માકૉલૉજી વિષયમાં બે પુસ્તકો લખ્યાં, ‘સિલેક્ટેડ ટોપિક્સ ઇન એક્સપરિમેન્ટલ ફાર્માકૉલૉજી’ એમનું પ્રસિદ્ધ પુસ્તક છે. તેઓ શ્રેષ્ઠ પ્રાધ્યાપક હતા. તેમણે ફાર્માકૉલૉજી જેવા નીરસ વિષયને રસપ્રદ બનાવ્યો હતો. તેમના હાથ નીચે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એમ.એસસી., એમ.ડી. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેઓ અમેરિકન કૉલેજ ઑવ્ ક્લિનિકલ ફાર્માકૉલૉજી ઍન્ડ કીમોથૅરપી અને અમેરિકન થેરાપ્યુરિક સોસાયટીના ફેલો હતા. તેમણે આપેલા યોગદાન બદલ તેમને ૧૯૬૮માં શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર, ૧૯૭૧માં અમૃત મોદી ઍવૉર્ડ અને ૧૯૭૮માં ડૉ. બી. સી. રૉય ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મણિલાલ ગાંધી

જ. ૨૮ ઑક્ટોબર,૧૮૯૨ અ. ૫ એપ્રિલ, ૧૯૫૬

ગાંધીજીના પુત્ર, સ્વાતંત્ર્યસેનાની અને પત્રકાર-સંપાદક મણિલાલ ગાંધીનો જન્મ રાજકોટમાં થયો હતો. જન્મભૂમિ ભારત, પરંતુ કર્મભૂમિ દક્ષિણ આફ્રિકા રહ્યું. તેઓ શરૂઆતનાં વર્ષો રાજકોટમાં રહ્યા. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પરિવાર સાથે તેઓ પણ ગયા. ગાંધીજી ઔપચારિક શિક્ષણમાં માનતા ન હતા, આથી મણિલાલનું શિક્ષણ ઘરે જ થયું. તેઓ ફોનિક્સ સેટલમેન્ટ અને ટૉલ્સ્ટૉય ફાર્મમાં રહ્યા.  તેઓ નાનપણથી ફોનિક્સમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરવાનું શીખ્યા. તેઓ ૧૯૧૦માં સત્યાગ્રહમાં જોડાયા અને ૧૯૧૩ સુધીમાં ચાર વખત જેલવાસ ભોગવ્યો. તેમણે ફોનિક્સમાં ખેતીકામ, વૃક્ષો અને બીમાર લોકોની સંભાળ લેવાનું કામ કર્યું. જેલવાસ દરમિયાન જેલની સ્થિતિ સુધારવા માટે ભૂખહડતાળ કરી હતી. ભારતમાં આવીને અમદાવાદમાં ગાંધીજી માટે આશ્રમ શોધવામાં મદદ કરી અને ખાદીના ઉત્પાદનનું કાર્ય શીખ્યા. ‘ઇન્ડિયન ઓપિનિયન’ સંભાળવા માટે ૧૯૧૭માં દક્ષિણ આફ્રિકા ગયા. એક પણ રૂપિયાનું મહેનતાણું લીધા વગર તેમણે સંપાદક તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્ય કર્યું. તેમણે ૧૯૨૭માં કિશોરલાલ મશરૂવાળાની ભત્રીજી સુશીલા સાથે લગ્ન કર્યાં. તેઓ ૧૯૨૯માં ભારત આવ્યા અને સ્વતંત્રતાઆંદોલનમાં જોડાયા. ૧૯૩૦ની દાંડીકૂચમાં ગાંધીજી સાથે જનારા ૭૮ સત્યાગ્રહીઓમાંના એક તેઓ હતા. તેમણે ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો આથી દસ મહિનાની જેલની સજા ભોગવી હતી. તેઓ ફરી દક્ષિણ આફ્રિકા ગયા. તેઓ નિષ્ક્રિય પ્રતિકાર સંઘર્ષમાં જોડાયા અને ૨૩ દિવસ જેલમાં રહ્યા. તેમણે એશિયાટિક લૅન્ડ ટેન્યર (Ghetto) ઍક્ટ વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ૧૯૪૮માં ટ્રાન્સવાલ સરહદપાર કૂચ કરનારાઓનું નેતૃત્વ કર્યું. ૧૯૫૧માં તેમણે રંગભેદ કાયદાઓ સામે વિરોધ કરવા વ્યક્તિગત ઝુંબેશ શરૂ કરી. તેમણે આજીવન અહિંસા અને સત્યાગ્રહના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું.